આત્માની માતૃભાષા/44

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘કચ’ — એક વિશ્લેષણ

અનિલા દલાલ

કચ

[અસુરોના ગુરુ શુક્રાચાર્ય પાસેથી સંજીવની વિદ્યા મેળવવા ગયેલો દેવોના ગુરુ બૃહસ્પતિનો પુત્ર કચ ગુરુકન્યા દેવયાનીના એની પ્રત્યેના અનર્ગળ પ્રેમને કારણે અંતે વિદ્યા પ્રાપ્ત કરવામાં સફળ થાય છે. વિદ્યા મળતાં જ પ્રભાતે એ સ્વર્ગ જવા ઊપડે છે. આખે રસ્તે એ પોતાની આ વિરલ સિદ્ધિમાં પરિણમનાર પ્રણયાનુભવ વાગોળે છે, — દેવયાની સાથે જાણે વાત કરી રહ્યો ન હોય એ રીતે. ત્યાં સ્વર્ગદ્વારે આવી પહોંચતાં દેવોને માટે પોતે સંજીવની વિદ્યા લઈ આવ્યો છે એનો એ ઉદ્ઘોષ કરે છે. પણ એને ચાલુ મનમાં થયાં કર્યું છે કે પોતે કઈ સંજીવની લાવી રહ્યો છે? એક પ્રણયિનીની હૃદયસંજીવની સમી પ્રીતિ, જેના વિના આ વિદ્યા મળવી અસંભવ હતી — અરે પોતાનું જીવતા હોવું જ અસંભવ હતું, તેનો તો પોતે સ્વીકાર કર્યો નથી. કે પછી એવી પ્રીતિના પાત્ર સિવાય આવી ઉજ્જ્વલ વિદ્યા લાવવી જ મુશ્કેલ હતી? વિદ્યા આવી મળી એનો આનંદ માણવા આડે દેવોને તો કચના મંથનની કશી પડી નથી. પણ ત્યાં અશરીરિણી વાણી એને ઉમળકાભેર વધાવે છે: વત્સ, તારું આવી રીતે આવવું એ જ મહાસંજીવની છે.]

કચ: મળી સંજીવની વિદ્યા, નિવેદિત કરું જઈ
દેવોને સદ્ય, રે કિંતુ સંજીવની કઈ? — કઈ?

વને હત્યા મારી કુટિલ અસુરોએ કરી, તહીં
વિદારી આક્રોશે પટલ નભનું રાત્રિની મહીં
રહી ઢૂંઢી, પામી શવ મુજનું સંજીવન તણી
સુધા સીંચાવીને જનક-કરથી, પ્રાણ-ઝરણી
વહાવેલી કોણે ફરીથી મુજ? કો સાન્ધ્ય સમયે
ગયેલો લેવાને સમિધ, વન જોતો હું અભયે;
ધસી આવી ત્યાં તે અસુરગણ દુષ્ટે હણી મને,
ચિતાએ પોઢાડી, મુજ કરી હતી ભસ્મ વિપિને,
રહી શોધી ત્યારે, નીરખી અવશેષો વિષમ તે,
પિતાની વિદ્યાના ત્રિદિવ મહીં અપ્રાપ્ય અમૃતે

અપાવ્યું હા કોણે પુનરપિ મને આયુ? દનુજે
પછી કાલે સાંજે ગુરુઉદરમાં રુદ્ધ તનુ જે
કર્યું મારું (તંદ્રાસભર મદિરાપાત્રની મહીં
પિવાડી દૈ ભસ્મ જ્વલિત મુજ), તે જીવિત તહીં
કર્યું કોણે, ચીંધી પ્રિય જનકને માર્ગ કપરો:
‘પઢાવીને મંત્ર સ્વઉદર થકી મુક્ત જ કરો
તમારો તે શિષ્ય પ્રણત, પ્રતિપક્ષીસુત; પુન:
તમોનેયે વિદ્યાબળથી કરશે જીવિત, પિત:!'

પ્રયોગે સિદ્ધા આ અલભ મળી વિદ્યા, તહીં બની
ખરી આયુર્દાત્રી મુજની — વળી સંજીવની તણી —
અરે એ તો પ્રીતિ સરલ ઋષિકન્યાહૃદયની.

ન ક્યારે બંનેયે નિજ મુખથી ઝાઝું કહ્યું. — નથી
વૃથા ફેંક્યો શબ્દ પ્રથમથી જ જાણી? — વિનયથી
શકે બોલીયે તે ક્યમ કદીય એકેની રસના?
ન'તો આવ્યો સ્વર્ગે ઝપટ મહીં હું અપ્સરસના
સુગંધે બ્હેકેલા ફરફર થતા અંચલ તણી;
વયે નાનો, ને ના પ્રણયપથની મારી કથની.

અને એ દીએ તે અતિથિ ન હતો પ્રીતિપથનો.
ધર્યો વિદ્યાકાજે પગ ઉટજદ્વારે, તરસનો
ન રે! ન્હોતા ઘેરે કુલપતિ. વૃથા આગમન શું
જશે મારું? ફેરો સફળ બનશે? — શોચું મન-શું.
કહી ‘બેસો!’ નેત્રસ્મિતથી મલકી સ્વાગત મીઠું,
વળી તું વાતે; હા, વદન સહસા ત્યાં શું જ દીઠું?
કહીંથી આછી શી નમણી લમણે લ્હેકી લહરી,
ઢળેલાં નેત્રેયે ઊતરી કહીંથી છાંય ગહરી,

વિષાદે જન્મોના વદન છવરાયું ક્ષણભર;
ઊડી એ આભા, ને વળી સહજ વાતે તું મુખર.
સ્વરૂપ પ્રીતિનું પ્રિય તવ કપોલે સ્ફુટ લહ્યું,
ન હોઉં જન્મોનો સહચર, — કહી એ સહુ રહ્યું.

પછી આવ્યા જ્યારે કુલપતિ, વિપક્ષીસુત લહી
મને ના સ્વીકારે, અનુનય ગિરા ત્યાં તુજ વહી.
અને સ્થાપ્યો વિદ્યારત કુલ મહીં; કિંતુ વસમી
કસોટી ત્યાં જાગી અસુર સહુ જ્યારે સમસમી
રહ્યા, આવ્યો જોઈ સુર-યુવક હું તસ્કર સમો
મહાવિદ્યા કેરો.

સ્મરણ તુજને છે? સહુ અમે
ગયા શિષ્યો નાવા હ્ય્દ મહીં નદીના, જળ મહીં
જરી ડૂબું ઝીલું ચહુ દિશ ઉડાડું જળ તહીં
અચિંત્યો પાણીમાં પગ પકડી ખેંચે દનુજ કો,
અને તીરેથી ત્યાં ઊચરી રહતું નામ મુજ કો.
હતી તું: ‘બોલાવે ગુરુ કચ, તને!’ શું વરસતાં
નભેથી પીયૂષો અણઅનુભવ્યાં — નામ સુણતાં
મુખે તારા, મારા રુધિર મહીં રેલ્યું બળ અશું,
ધસ્યો તીરે, હસ્તી ગ્રસિતપદ કો ગ્રાહ સહ શું.
કદી શું ભૂંસાશે સ્મૃતિ થકી સ્મિતોત્ફુલ્લ અધર,
સ્ફુર્યો જે સોલ્લાસે તહીં તવ સુહાસે દ્યુતિભર?

પછી શબ્દે દર્શે ચિત ટટળી ર્હેતું શું તરસે!
દૃગોનાં નૃત્યોથી ખબર નહિ શું શું બની જશે.
ઘણું વારું મારું મન, પણ તને એ ન તજતું,
સમાધિમાં જાણે ઊતરી તુજને માત્ર ભજતું.
તનેયે શું સૂઝ્યું નવનવલ વેશે વિલસતી,
શિરીષો કર્ણે, કે કુરબક ધરી કેશ હસતી.
અહો હૈયાં કેવાં સહજ સહચારે મળી ગયાં,
જરી નેત્રોષ્માએ કંઈ વિધિ વિનાયે હળી ગયાં.
હતાં રોકાયાં કે જગત ઉપચારેય દિલ ન.
હતું એ તો કેવું અકિતવ ઉરોનું સુમિલન!
— અરે શું આ મારા અનુભવ સમું તારુંય હશે?
કહે પામી તેથી જીવતર બધું હૈયું નભશે?

મળ્યાં ન્હોતે કેવું? નવ મળી શકે કૈંક અહીંયાં.
મળ્યાં ન્હોતે તું-હું; જીવતર થતે ઝેર નહિ આ.
હતું એકાકી તે મધુસ્વપનમૂર્છામય અહો
સમુત્સાહે જીવ્યું! ફરીથી મુજનો એ સમય હો! —
પરીચિત્રો ચિત્તક્ષિતિજ પર ત્યારે તરી રહ્યાં,
અને કેવાં આશાસ્ફુરણ ઉરવ્હેણે સરી રહ્યાં!
કદી તન્દ્રાઘેને નયનરસમાં વિશ્વ વહતું,
તટસ્થાવસ્થામાં જગ પણ અકારું નહિ હતું.
હવે ના તેનું તે હૃદય, બદલાયું અનુભવે
કંઈ તો તારા ને કંઈક જગના; સંશય-દવે
સિઝાયું ભૂંજાયું: અમૃત નવ પી પાઈય શક્યું.
મર્યા વાંકે જીવે: નિરવધિ વિયોગે અવ ટક્યું.
રહેશે શે? સુજ્ઞે, બહુ બહુ કહ્યું ઇંગિત થકી
‘વળો પાછાં!’ ના તે પણ સમજી ક્યારેય તું શકી.
‘જરા ધીરે ધીરે!’ — પણ સમજતું કોઈય હશે,
તણાવાનું આવ્યે પ્રબળ ઉર ઉન્માદક રસે?
ન તેં હૈયે આવું કશુંય ગણકાર્યું; ગુરુ ગયા
પ્રવાસે એ રાતે હૃદયથી વિસારી સહુ દયા,
લઈ અંકે વીણા સ્વર કંઈ સજ્યા તેં, રહી રણી
અચિંતી તંત્રી ને વિધુવિધુર તે શાંત રજની
વલોવીને જાગ્યું તવ હૃદયસંગીત સભર.
સમાશે શે — ક્યાં? — આ વિરહ જનમોનો રસભર?
— રહ્યો છાત્રાવાસે અવશ હું વિમાસી જડ બની;
અને રોઈ રોઈ હતી બધી ગુજારી જ રજની.
પ્રભાતે ત્યાં વ્હેલા જળસરિતઘાટે મલપતા
મળી સદ્ય:સ્નાતા; અલક જલબિંદુ ટપકતાં;
રહી ઊભી રોપી નયન નયને: પ્રશ્ન કરતાં
ન શું જાણે તાજાં લઘુક ચખબિંદુ ઊપસતાં!
‘સુખે સૂતા?’ બોલી, પગ જરી ઉપાડી તું સરલા
જતી; કંઠે તારે વિરલ હતી તે કોકિલકલા.
વદી થોડું, તોયે સ્મિતમુખર કેવું હતું મુખ,
કપોલશ્રીમાં શું તરી તરવરી ર્હે ઉરસુખ!
સ્મરું દિવ્યા મૂર્તિ તપ વળી રસે સ્પંદિત થતી,
અને ક્યારે ક્યારે ખટક ખટકી અંતર જતી.
પિછાણ્યો ના પૂર્ણ પ્રણયતણખો, જે પ્રગટવા
ક્ષણે કૈં ઉલ્લાસ-સ્મિતભર ઝગ્યો, પ્રોજ્જ્વલ થવા
મહત્ત્વાકાંક્ષીયે બહુ બહુ હતો જે, હૃદયની
ધ્રુવજ્યોતિ થૈને મુજ રસની ચર્યાની તરણી
ચહે પ્રેરી ર્હેવા તિમિરવમળે જીવન તણા.
કદી ક્યારે આડાં પડળ તણી ફેલાઈ ભ્રમણા,
કદી ક્યારે ચૂક્યાં નયન નયનો, ના સૂધ રહી,
અવાજે સખ્તાઈ પ્રગટી અણજાણ્યે કદી; તહીં
ગણ્યો'તો હોલાયો, પણ ન કજળ્યો છેક જ; તવ
ફરી દૃષ્ટિસ્પર્શે જરીક, ભભૂક્યો એ અભિનવ:
હવે વાવાઝોડાં ભુવનભરનાં છો સૂસવતાં,
અને ઘોડાપૂર પ્રલયજળનાં છો ઘૂઘવતાં,
ત્રુટે આખો પેલો જ્વલત ઉડુનો મંડપ ભલે,
ન આ પ્રીતિજ્યોતિ રજ કજળશે અંતરતલે; —
પ્રતીતિ એ જામી. તહીં કહીંથી આ આવી ક્ષણ શે?
સ્ફુલિંગ પ્રીતિનો અરરર થપાટે સૂઈ જશે?
પરીક્ષાવેળાએ યશ ગુરુપ્રસાદે કંઈ મને
મળ્યો, ખીજ્યા દૈત્યો, તવ ઉર હસ્યું, ખિન્ન વદને
વદી તોયે: ‘વિદ્યા વળી હું, — પ્રિય કો બે મહીં વધુ?'
‘ન સોંપ્યો વિદ્યાએ તુજ કર મહીં હું?’ ‘મુખ-મધુ
અહો તારું કર્ણે વિષ સમ…’ કહી થંભી જતી તું.
ન'તું એ શું તારું હૃદયમધુ? — સૌ છોડ, સ્મૃતિ, તું.
ગમ્યું લાગ્યું ના તે વચન જરીયે મારું તુજને,
વદી એથી ઝાઝું પણ શકુંય હું શું, સુવદને?
સર્યું ધીરે ધીરે પછીથી ન શું હો અંતરપટ,
સર્યાં ધીરે ધીરે ઉભય જ્યમ બે ભિન્ન જ તટ!
ભલે માર્ગે ભેટે નયન, શકતું ના મુખ વદી.
પછી વર્ષાપૂરે હતી જ વીફરી એક દી નદી.
લઈને નૌકાઓ મદદ કરી સામે તટ, વળ્યાં
જહીં પાછાં, મૌન ત્યજ્યું જ લહી તેં ભાવિ અવળાં:
‘મળે વિદ્યા તો તું તરત મુજને શું તજી જશે?'
‘જશે ક્યાં?’ ‘હા, ક્યાં?'
‘ના ઉભય ઉર આ ભિન્ન જ થશે.
હશું ત્યારે જુદાં: હૃદયરસ જ્યારે ન હસશે,
દૃગો સ્પર્શે તોયે પ્રણયચિનગારી નવ લસે,
સરે ચિત્તે ક્યારે સ્મૃતિ, તદપિ ડોલે ન હૃદય,
વિયોગે ક્યારેયે અમૃત ન ઝમે આત્મ સદય.
હશું ત્યારે જુદાં: ઉભય ઉર જ્યારે બસ રહે
અજાણ્યાં શાં તાકી અવરનિજને, ના કંઈ કહે,
સમસ્યા ઉકેલી નવ શકતું એકેય વિકટ,
ભલેને બેઠેલાં અભિમુખ રહ્યાં છેક નિકટ.
યુગો વીતે છોને દૃગથી દૃગ આ પાવન થતાં,
હશું જુદાં બંને હૃદય થકી ના, ખંડિત છતાં.’
તટે આવ્યાં, ચાલ્યાં ઉટજ ભણી કેડી પર તહીં
— સ્મરે આછી પૂંઠે અસુર ગુજગોષ્ઠિ સ્ફુરી રહી?
‘ભલે લૈ જાયે એ ગુરુની દુહિતા, કિંતુ અહીંની
ન વિદ્યા કેમેયે…’ ‘ગુરુ ન દુહિતા દૂર નિજની
શકે વેઠી, સ્વર્ગે નહિ જ નહિ!’ ‘તો છો કચ રહે
અહીં ભૂલી સ્વર્ગ પ્રણયરસમાં…’ ચિત્ત જ દહે
વિષે સીંચ્યા શબ્દો. પ્રિય, તું પરિપન્થી શું મુજની,
મને સોંપાયેલા કઠિન સુરકર્તવ્ય-પથની?
પછી બોલ્યાં ક્યારે પણ ન, કરી રક્ષા મુજની તું
રહી; છોડી વિદ્યા-સ્થલ જઉં સદાનો જ, બની તું
નિમિત્તે ત્યાં જાતે! ફરી ફરી મને જીવન દઈ,
વધારી કે છેદી તુજનું, પ્રિય, તું જીવન રહી?
ઉશીકું કાંટાનું સ્મૃતિ તુજની મારે થઈ પડી;
નિશાના લંબાતા પ્રહર મહીં આંધી ઉર ચઢી.
થતાં પ્રાતર્વેળા, નિયત સુરકર્તવ્ય મુજને
ગયું મૂકી માર્ગે નિરવધિ મહા આ વિરહને.
સરી પાસે બંને નિશતિમિરમાં ભિન્ન જ વહ્યાં,
અજાણ્યાં શાં આજે ઉભય ઉર પાછાં થઈ ગયાં!
ન જાણે તેને કૈં કથવું, અવ શું ક્હેવું તુજને?
મળી વિદ્યા તે તો પ્રણય તુજ પામ્યેથી મુજને;
તહીં આવ્યેથી તે પ્રણય, પણ, પામ્યો હું સરલે!
અને આવ્યો તે તો વિરલ ગુરુવિદ્યા ક્યમ મળે
મને, એ આશાએ. બહુ જ બહુ જાણું, સુનયને,
ન તે વિદ્યા મારે કંઈ જ ખપની, જો પ્રણયને
ન હું સ્વીકારું; ને પ્રણય ખપનો લેશ પણ ના,
વિસારું ત્યાં આવ્યા તણું જ યદિ કર્તવ્ય ક્ષણ હા!
ઘડ્યું હૈયું તેણે વળી મહીં મૂક્યો શીદ રસ તો?
ખરે આ હૈયાની ઉપર અહ શો શાપ વસતો!
તિરસ્કારીને તે તવ હૃદયસંજીવનસુધા
સુરાર્થે વિદ્યા લૈ જવી જ મુજને!… દીર્ઘ વસુધા
તણે ખોળે ખોળી મનુજ, તુજ તું શ્રેય વરજે;
નહીં દેવો કાજે પ્રણય, વિચરે ધર્મવશ જે.
પ્રેમથી જિંદગી કેરું સાર્થક્ય; જિંદગી મહીં
પ્રેમસાર્થક્યની કિંતુ રહી નિશ્ચિતતા કહીં?
લો આ સંજીવની, દેવો, તમો સૌને જિવાડતી,
મને જિવાડનારી ને મહાવિદ્યા અપાવતી
ખરી સંજીવની તો હું આવ્યો શું ખોઈ શાશ્વતી,
અથવા પ્રીતિના પાત્રે વિદ્યા લાવ્યો છું ભાસ્વતી?
દેવો: મહાસંજીવની વિદ્યા અર્પી, દેવત્વ દે નવું
અમોને, તું કયા લાવ્યો પાત્રમાં તે ન જાણવું.
આકાશવાણી: મહાસંજીવની, વત્સ, તારું આ આવું આવવું.
અમદાવાદ, ૧૯૫૦