આત્માની માતૃભાષા/5

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અંતરની આરતનું ગીત

હર્ષદ ત્રિવેદી

ઝંખના

સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી,
નવલખ તારાનાં ટોળાં ટળવળે રે જી.
પૃથ્વીપગથારે ઢૂંઢે ભમતા અવધૂત કોઈ
વિશ્વંભર ભરવા નયણે રે હો જી.
— સૂરજ…
મહેરામણ ભૈરવનાદે અલખ પુકારે,
મૂંગા ગિરિઓનાં મસ્તક ઊંચે ઝંખતાં રે જી.
તલખે પંખી ને પ્રાણી, સરવર નદીઓનાં પાણી,
રાતે ડુંગરિયા દવ નો જંપતા રે હો જી.
— સૂરજ….
તરણાની છાયા હેઠે કાયા ઢંકાય તારી,
આભનાં આભૂષણ તોયે ઓછાં પડે રે જી.
બ્રહ્માંડ ભરીને પોઢ્યા, કીકીમાં માશો શેણે?
જોવા તોયે લોચનિયાં ઘેલાં રડે રે હો જી.
— સૂરજ…
ગગન ઘેરીને આજે દર્શન વરસો રે વ્હાલા!
ઉરે ઝૂરે રે મારો પ્રાણબપૈયો રે હો જી.
— સૂરજ…
વીસાપુર જેલ, મે ૧૯૩૨


કવિના હૃદયમાં જાગેલી વિશ્વંભરના દર્શનની ઝંખનાનું આ કાવ્ય છે. જૂના ભજનના ઢાળમાં આપોઆપ ઢળી ગયું હોય એટલો સ્વાભાવિક એનો લય છે. શ્રી યશવંત શુક્લ સહેજ માથું ડોલાવતાં ડોલાવતાં કરકરા છતાં આર્દ્ર અવાજે ને ભાવે આ ગીત ગાતા. પરિષદના અધિવેશન કે જ્ઞાનસત્રમાં જવા માટેની બસમાં અનેક વાર હીરાબહેન પાઠકની સાક્ષીએ આ ગીત સાંભળ્યું છે. હજીયે એનો રણકો કાનમાં ગુંજે છે. ભારતમાં જન્મેલો સંવેદનશીલ અને મનુષ્યજાતને ચાહનારો ભાગ્યે જ કોઈ એવો જીવ હશે જેને વિશ્વંભરની શોધ ન હોય. કવિ ઉમાશંકર જોશી પણ એમાંથી બાકાત નથી. કવિની આ આરત પ્રકૃતિનાં તત્ત્વોને મિષે પ્રગટ થાય છે. પ્રકૃતિનાં તત્ત્વોમાં માનવહૃદયના ભાવોનું આરોપણ કોઈને લાગે એ શક્ય છે. પરંતુ ઉમાશંકર સમષ્ટિ સાથે એકાત્મભાવ અનુભવે છે. એટલે જાણે કે આ કવિની સાથે સમગ્ર વિશ્વ પૃથ્વીના ફરવાના લય સાથે એમાં જોડાય છે. કવિ પોતાનું કેન્દ્ર છોડ્યા વિના બ્રહ્માંડમાં જાણે કે વ્યાપી વળે છે. પ્રભુપ્રાર્થના નિમિત્તે વિશ્વંભરને આંખોમાં સમાવી લે છે. ગીતનો આરંભ જ પૃથ્વી પર ઊભાં ઊભાં બ્રહ્માંડના અનુસંધાન સાથે થાય છે.

સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી
નવલખ તારાનાં ટોળાં ટળવળે રે જી.
પૃથ્વી પગથારે ઢૂંઢે ભમતા અવધૂત કોઈ
વિશ્વંભર ભરવા નયણે રે હો જી!

સૂરજ, ચાંદો અને નવલખ તારાનાં ટોળાં વિશ્વંભરને શોધવા વ્યાકુળ બન્યાં છે. ટોળાં પણ કેવાં? ટળવળતા. દર્શનની ઇચ્છા જાગવી અને દર્શન માટે ટળવળવું એ બંને સ્થિતિ અલગ છે. આકાશમાં પરમ તત્ત્વોની આ સ્થિતિ છે તો પૃથ્વી ઉપર શું બને છે? પૃથ્વીપગથારે ભમતા અવધૂતની આંખ પણ એ બ્રહ્માંડની ગોળાઈ જેવડી થઈને પરમ તત્ત્વને ઢૂંઢે છે. ઢૂંઢવામાં એક પ્રકારની વિકળતા છે. શોધ શાંતિથી પણ થઈ શકે. વ્યાકુળતાનો સંદર્ભ ગીતની અંતિમ પંક્તિમાં પ્રાણબપૈયોમાં આવે છે. ઉપર નભના ચંદરવામાં પણ શોધ ચાલે છે એની વાત કર્યા પછી પૃથ્વી ઉપર આવતાં કવિ કહે છે:

મહેરામણ ભૈરવ નાદે અલખ પુકારે
મૂંગા ગિરિઓનાં મસ્તક ઊંચે ઝંખતાં રે જી.
તલખે પંખી ને પ્રાણી, સરવર નદીઓનાં પાણી,
રાતે ડુંગરિયા દવ નો જંપતા રે હો જી.

આ શોધ જાણે કે અહોરાત્ર ચાલી રહી છે. કોઈ એકાદ ક્ષણ કે પૂજા-પાઠના પ્રહરની વાત નથી. મહેરામણનો નાદ પણ ભૈરવ છે. ‘તલખે’ એ ‘ટળવળે’ પછીનું નવું ક્રિયાપદ છે. ટળવળાટ પછીની સ્થિતિ તલખવાની છે. આ તલસાટમાં પંખી ને પ્રાણીની સાથે નદીઓનાં પાણીનો લયવળોટ માણવા જેવો છે. આપોઆપ એમાં એકતારાનો લય, ગુંજારવ પ્રવેશી જાય છે. દિવસે તો સૂરજનાં તેજ છે, પણ રાત્રેય ડુંગરિયા દેવ પ્રજળીને આ શોધ માટે પ્રકાશ પાથરી રહ્યા છે. એની સાથે અંદરનું પ્રજ્જ્વલન પણ સાક્ષાત્ થઈ આવે છે. કુદરતના કણેકણ જેની શોધ માટે પ્રવૃત્ત થયા છે ને એ શોધમાં કવિનો માંહ્યલો પણ જાણે કે ઓગળી ગયો છે. આખાયે બ્રહ્માંડમાં વ્યાપેલો, બ્રહ્માંડને ધારણ કરતો એ વિશ્વંભર ક્યાં છે? ખૂણેખૂણામાં કવિની ચેતના ફરી વળે છે ‘ખ’ એટલે આકાશથી માંડીને હૃદયના ખૂણા સુધી. પરંતુ અહીં મામલો જરા નાજુક છે. સાવ એવું તો નથી કે એની ભાળ નથી. જાણ્યો છતાં અજાણ્યો. દેખાય છે ને નથી પણ દેખાતો. કવિ પાસે જાણે કે ઈશ્વરનાં પગલાંનો એક નકશો છે. એને થોડો અંદાજ પણ છે એટલે મહાન તત્ત્વોને પળ વાર બાજુએ મૂકીને તરણા ઉપર નજર કરે છે. પણ પરમ તત્ત્વ તો મૂળમાં છે. જે હોવા છતાં પ્રગટ રીતે પરખાતું નથી.

તરણાની છાયા હેઠે કાયા ઢંકાય તારી,
આભના આભૂષણ તોયે ઓછાં પડે રે જી,
બ્રહ્માંડ ભરીને પોઢ્યા, કીકીમાં માશો શેણે?
જોવા તોયે લોચનિયાં ઘેલાં રડે રે હો જી.

જેને આભનાં આભૂષણેય ઓછાં પડે એને જોવા લોચનિયાં રડે છે. પણ એની આગળનું ‘ઘેલાં’ વિશેષણ નોંધવું જોઈએ. સાથોસાથ મોટોમસ એક પ્રશ્ન આવે છે. આપ તો બ્રહ્માંડ ભરીને પોઢ્યા છો. એકેય કણ એવો નથી જેમાં તમે નથી. તો કીકીમાં માશો શેણે? જોવાની અદમ્ય ઝંખના તો છે પણ આ ચર્મચક્ષુની મર્યાદાય સ્વીકારવી રહી. પરંતુ આ સમસ્યા કવિની નથી. વિશ્વંભરની છે. એણે કીકીમાં સમાવાનું છે. ‘મારા નેણમાં સમાવ્યા નંદલાલ’ જેવી આ પરિસ્થિતિ છે. પાછાં રડતાં લોચનિયાં. પ્રભુ એમાં બિરાજે તોય વહી નહીં જાય એની ખાતરી શી? બહારનાં તત્ત્વો દ્વારા આરંભાયેલી આ શોધના મૂળમાં અવિરત વ્યાકુળતા છે. ઈશ્વર એટલે કે પ્રકૃતિના પરમ તત્ત્વને માટેની આરત ઉપર ઉપરની નથી. એટલે તો કવિ સમષ્ટિને પણ સાથે લે છે. પરંતુ છેલ્લે તો આત્મસ્થ જ થવાનું હોય. બીજાં તત્ત્વો મદદ કરે તોય કેટલી? એ તત્ત્વો કદાચ આત્મતત્ત્વને બ્રહ્માંડના લયમાં સમાવી લે, ગતિ આપે, તો પણ ઠરવાનું તો જાતમાં જ જગતનિયંતાને જોવાનો. કવિ આ બધું જાણે છે ને સ્વીકાર પણ કરે છે કે આ બધો ક્ષણનો જ મામલો છે. આટઆટલે ઠેકાણે ઘૂમી વળ્યા પછી કવિમન જાતે જ સમાધાન શોધે છે. એ સમાધાનને જ વિશ્વંભરનું વિરાટદર્શન કહી શકાય. છેલ્લે ચાર પંક્તિને બદલે બે પંક્તિમાં જ આ દર્શન આટોપી લીધું છે.

ગગન ઘેરીને આજે દર્શન વરસો રે વ્હાલા!
ઉરે ઝૂરે રે મારો પ્રાણબપૈયો રે હો જી.

ગગન ઘેરીને માત્ર વરસો એમ નહીં, દર્શન વરસો એવું કવિએ કહ્યું છે. આમ તો ગીતના આરંભથી જ, કવિને પરમતત્ત્વની ઝાંખી હોવાની આપણને ખબર પડી ગઈ છે. અગાઉ કહ્યું તેમ કવિની પાસે આછોતરો પણ એક નકશો છે. એટલે એ પગલે પગલે જાણે કે ફરી વળે છે. પરંતુ કવિને એય ખબર છે કે આટલું મોટું વિરાટ તત્ત્વ એમ કંઈ આંખોમાં સમાવાનું નથી. એટલે વહાવવું એમાં જ ઇષ્ટ. વહાવવામાં વહેવાનો ભાવ પણ છે. એક બાજુ દર્શન વરસે ને નીર વહે તો બીજી બાજુ આંખોમાંથી વહેતાં નીર! એ સમે પ્રાણબપૈયો ફરી પાછો ઝૂરવા માંડે છે પી…પિયૂ….પી…પિયૂ! ખરેખર તો કવિનું ગંતવ્ય પ્રભુપ્રાપ્તિનું છે જ નહીં. વિરાટ તત્ત્વોને નિમિત્તે અનુસંધાન રચીને એક ઝલક મેળવવાનો પ્રયત્ન માત્ર છે. અવિરત ઝૂરતું ઉર, અવિરત પીપાસા અને અવિરત શોધનું આ કાવ્ય છે. લયબંધ એકદમ ચુસ્ત છે. ભજનની તમામ વિશેષતાઓ એમાંની વ્યાકુળતાને કવિએ જાણે કે આત્મસાત્ કરી લીધી છે. આ કાવ્યનું પોતાનું એક સંગીત છે. એ સંગીતમાં ઘોંઘાટ નથી. એકતારાની ગુંજ છે. આછેરી ઢોલકી વાગે તો કદાચ ચાલી જાય પણ અન્ય સ્વરો કે સૂરોને અહીં અવકાશ રહેવા દીધો નથી. પોતાના હૃદયના ભાવોની સાથે સૂરજ, ચાંદો, નવલખ તારા, અવધૂત, મહેરામણ, ગિરિઓનાં મસ્તક, પંખી, પ્રાણી, સરવર-નદીઓનાં પાણી, ડુંગર અને એની ઉપરના દવ — આ બધાં પ્રકૃતિનાં અંગોને પોતાની આ શોધમાં કવિ સ્વાભાવિક રીતે સામેલ કરી દે છે. એ બધાં તત્ત્વો આપમાં છે એમ, આપ પણ એમાં સમાયેલો છે એની પ્રતીતિ કરાવી આપે છે. જાણે કશું પૃથક્ પૃથક્ રહેતું જ નથી. બ્રહ્માંડના લય સાથે શ્વાસ-ઉચ્છ્વાસનો લય તાલ મેળવે છે. એમાં એક ઝીણી ગૂંજ ભળે છે. એને જ પરમતત્ત્વ કહીશું? આરતમાં તીવ્રતા છે, પણ કવિનો સ્વર તીવ્ર નથી. એમાં એક પ્રકારનું આભિજાત્ય અને વિનમ્રતા પણ છે. સાથે સાથે એમ પણ જોઈ શકાય છે કે આટઆટલાં મહાન તત્ત્વો પણ જેની ઝંખના કરે છે એની સામે કવિનું નાનકડું મન કઈ રીતે અલગ રહી શકે? એટલે વિરાટના દર્શનની અભીપ્સાની સાથે પ્રકૃતિનાં તત્ત્વો સાથે જે એકાત્મનો ભાવ અનુભવાય છે તે મુખ્ય છે. કવિ વિનિત રહીને પણ મહાનની સાથે ભળી જવા છતાં પ્રાણબપૈયાના ઝુરાપાને અખંડ રહેવા દે છે એ પણ મનની લીલા જ ને?