આત્માની માતૃભાષા/61

From Ekatra Wiki
Jump to navigation Jump to search
‘પંખીલોક’: ગુજરાતી સમગ્ર કવિતાનું એક ચિરંજીવ શૃંગ

ચંદ્રકાન્ત શેઠ

પંખીલોક

કાન જો આંખ હોય તો શબ્દ એને પ્રકાશ લાગે.

પો ફાટતાં પહેલાં અધઊંઘમાં સ્વરો ચમકે તન્દ્રાતમિદ્રા વીંધી,
ઘેઘૂર વૃક્ષઘટા આખી પ્રકાશનાં છાંટણાંથી ચૂએ જાણે,
પર્ણઝુંડમાંથી ટપકે ’…પચ્ મુચિ રિચ્ વચ્ વિચ્……'
ક્રિયાપદોની ત્વરિત હારમાળા પંખી પઢી જાય એક્કે શ્વાસે.
ઊઠો, જાગો, ક્રિયારત થાઓ—નું ઇંગિત.
બંધ આંખે વૈયાકરણી પાણિનિશિષ્યોનાં સૂત્રો સ્મૃતિમાં ઠરે.
પાણિનિનો આખોયે પ્રજ્ઞાપ્રાસાદ સાક્ષાત્કરાય.
નાનું અમસ્તું સૂત્ર, તેજનું આચમન, — પંખીએ ગાયેલું? પંખીએ

પાયેલું? —
’…પચ્ મુચિ રિચ્ વચ્ વિચ્ સિચ્…!’ કાનને પરિતર્પતી
દ્યુતિસેર ક્રિયાની, શબ્દની.
આટલા વહેલા પરોઢે વેદિયા હોય તેણે વેદ સંભાળવા ગ્રંથકારે

રૂડા ગ્રંથ રચવા.
કવિને શબ્દો શોધતા આવે. પાણિનિના નિયમોથી બદ્ધ શબ્દો?
કે પછી પંખીના જેવા ટપકતા પ્રકાશના ટુકડા?

શબ્દો જો બોલી શકતા હોત તો કવિને
જરૂર કહેત કે કવિતા બનવાનું અમારું તે શું ગજું?
છુટ્ટા કોશમાં — વ્યાકરણમાં, ભેળા માનવીની જીભ પર
એવા અમે થોડા જ હતા જેવા કવિતામાં તમે જોયા?
જગત જોતાં જ શરૂ થાય અમારી મેડક-કૂદંકૂદા,
રચયિતાના સંદર્ભના ઇશારે અમે વશ, મંત્રમુગ્ધ;

અમે શબ્દો-અવાજો,
અમે મૌનમાં ઝંપલાવીએ;
શમે અમારી અર્થબડબડ
રસોન્માદ છોળમાં.

શબ્દનો દ્યુતિમંત ચહેરો કવિ ભૂંસે, ક્યારેક તો
મહોરોય પહેરાવી દે
પોતાની કવિતાનો ચહેરો ઉપસાવવા.

દાર્શનિક ભલે મૂર્તતા ગાળી અર્ક નિચોવે શબ્દોનો,
કવિનો શબ્દ અર્કઅર્ણવમાંથી ઊપસતી ચારુ કિરણકેશ સમારતી

ઉષામૂર્તિ.

ઉષા! વેદ-કન્યા ‘ઉષા’ માત્ર શબ્દ છે? એક એક શબ્દ, એક એક સંકુલ.

આંખ જો કાન હોય તો તેજને-રંગને એ સાંભળી શકે.

ઉષાનો રંગ એ કયો સૂર? મધુમાલતીની બહાર, બોગનવીલિયાની

મિશ્ર છોળ,
નાજુક જૂઈ, ટીપકિયાળાં ફ્લૉક્સ, શુકનનાં કાર્નેશન, સૂરજમુખી,
ખુદ સૂર્ય,
એ સૌ કયા સપ્તકના કયા સૂર?

પ્રકાશના ઉત્સ સમી ઊછળે ઊડે ગીતમાં કોકિલ-કલા,
કાક-કુલ સ્વરોની સંજવારી ફેરવી લે અવકાશ પર,
એક આખું ચકીટોળું છંટકાવ કરી જાય તે પરે ઝટપટ
ગુજબુજનો, રહી રહી અર્ધુંપર્ધુંક ગાયાં કરે
બુલબુલ ‘શ્રીપ્ રભુ!’ ‘શ્રીપ્… શ્રીપ્રભુ!'—નાનકડી કાયાના કયાયે

ઊંડાણમાંથી,
ક્યારેક તો સભાનતાથી જાણે, — આખું વિશ્વ એના ગીતના આધારે
સંતુલિત અધ્ધરશ્વાસે-અધશ્વાસે ઊભું ન હો!

વિહંગોની હારની હારો સૂર્ય-ઉપસ્થાને ઊડ્યે જાય. ઊભેલાં
અચલ ઝાડવાંના એ ઊડતા ચપલ ઇશારા.
કૈંક સ્થાવર-સ્થવિર વૃક્ષરાજ અનેક બાહુએ ખોબેખોબા
ઉછાળ્યાં કરે ઉડાડ્યાં કરે કપોત કાબર લેલાં દૈયડનાં ટોળેટોળાં.
સારી રાત પૃથ્વીઊંડાં તરુમૂળ એક-કાન થઈ સુણી રહ્યાં—
પી રહ્યાં-'તાં
માળામાં વિશ્રંભે નીંદરતાં પંખીની ઊપડતી—પડતી
લઘુક છાતીની ધડક, ક્યારેક વચ્ચે વચ્ચે — સોણામાં જાણે —
ચઢી આવતી ગભરુ હાંફ.
પંખીપશુમાનવીની બિડાયેલી આંખોની ચોકી
આકાશનાં પલપલતાં નક્ષત્રો કર્યા કરે જાગ્રત, નિતાન્ત નિ:શબ્દ.
— ક્યારેક બ્રહ્માંડનો શ્વાસોચ્છ્વાસ તમે સાંભળી શકો. —

પ્રભાતમાં પર્ણેપર્ણ લચી રહે કલરવે, પૃથ્વીનાં મીંચેલાં જડ પડળોનો
સંચિત સ્વરપુંજ જાણે પાંદડે પાંદડે નાચતો
આખા અવકાશને ચોમેર ભરતો ફુવારા-શો ઊડી રહે.
પૃથ્વીના ભીતરી મૌનનો ભાસ્વત ઉત્સવ જાણે સ્તોત્રછોળે
પ્રત્યેક પરોઢે પંખીલોકમાં અંતરિક્ષે ઊજવાય.

મન જો હૃદય હોય તો તર્ક પણ એને રસગદ્ગદ કરે.

વાચનખાનાની બારીની બહાર નાનકડા
એકાન્ત બાગમાં નળના ખાબોચિયામાં
લીલા પોપટ રક્ત ચંચુ ડુબાવે, પાંખ
ફફડાવે પાણીમાં, જરીક અવાજથી ઊડી જાય.
ઠેકતો તપખીરિયા ડિલને પાંખથી પાંદડાંથી ઢાંકતો
ગભીર ભર્યા ભર્યા અવાજે ભારદ્વાજ હવાને અંજવાસતો
ત્યાં ‘શ્રીપ્ રભુ!'ની વચ્ચે લતાગુલ્મમાં સંતાયેલું પેલું
બોલી રહે સ્વગત : ‘વેઇટ્-એ-બિટ્!’ જાણે પોતાને જ
કૈંક યાદ કરાવી રહેતું ન હો : વેટ વેટ…વેટેબિટ્!…
(‘જરીક થોભો!’ — ‘લગરીક ખમો તો!’) સમય! સમય
શું રાહ જોવા માટે છે કે?

ઘર પાછળના ડુંગરના
પૂછ્યું'તું પેલા ડાહ્યાડમરા થઈને બેઠેલા કો
બધુંય સમજું છું એવી મુદ્રાથી ટગરટગર જોઈ રહેલા,
ગોળમટોળ સંતૃપ્તિધારી શૈલમહાશયને એક વાર :
બેઠા છો તમે કયુંક સત્ય ગોપવી પોતાની ભીતર?
ભરડો સજડ દઈ, સલામત સુરક્ષીને, બેઠા છો અને
મરકે છે મુખ કે — વ(૧૬૩)કારાગૃહે કેવું
તાળાબંધ સત્ય કરી દીધું અને કૂંચી તેય
ગળીને બેસી ગયો છું. મનને આ મારા —
હોય જો ધીરજ અરે અધીર આ મનને —
અવધિ જો હોય લાંબી — ભલે કલ્પનાના — આયુષ્યેય,
જરૂર તો જોઈ શકું, યુગોના પ્રખર પ્રચંડ સૂર્ય-
તાપ, વર્ષાધારા, વાયુઝંઝા, એ સૌની ઝીંકોની

નીચે એક દિને એ શૈલમહાશયના
કરડાકીભર્યા ચહેરાની કો બરડ રેખા-
તરડમાં સર્વસૃષ્ટિજયિની સિસૃક્ષાએ અંકુરિત
કરેલા કો લહરાતા રંગરંગી ફૂલ રૂપે
શૈલનું સકલ સત્ય પ્રસ્ફુટિત-પ્રસ્ફુરિત થતું
વિજયપતાકા સમું.

પરંતુ અત્યારે તો આ
દોડમાં સામેલ થાઓ, જગતની અંધદોડ દિવસના અજવાળે
ચાલે તેમાં ઘસડાઓ, ઘડિયાળનું પંખી કલાકે-અધકલાકે
બોલે તે સંભળાયું ન-સંભળાયું. સ્થગિત સમી
આ આયુષ્યની યાત્રા. બહાર નમતી સાંજ.
ઊંચે ઊંચે સેલારા લેતાં પંખી એકલ ધપ્યે જતાં. જરી રોકોને એને.

આકાશ-પીધેલાં પંખીને પૂછો : કેટલી લાંબી નભ વાટ?
તેજની છાલકો ઉછાળી પાંખો કહે : ડગલે ડગલે તેજ-ઘાટ.

હૃદય જો મન હોય તો લાગણીને એ પ્રમાણી શકે.
પડતી રાતે ચોગાનમાં - સીમમાં તોતિંગ વૃક્ષો પર
પાંદડાં વધુ કે વાયસજી, કા-કા-ના શોરનો ગોરંભો
ગગન-મોટો. આખા વડને ઢાંકી દીધો ઊંધી લટકતી વાગોળોએ,
વચ્ચે ચકરાતી ચામાચીડિયાંની અંધ ચિચિયારીઓ.
ચિત્ત તો કઠોર — હૃદય આ બધાથી સંકોચાય, ઓસવાય;
ચિત્ત એના વાસ્તવને આસ્વાદે. — હૃદય અંતે એની
આગવી સમજથી સ્વીકારે, આ સ્તો આખા ઊજળા દિવસનું
આંધળું સરવૈયું — ઘુવડને સુપરત કરવાનું.

આ ક્ષણે અર્ધી પૃથ્વી ભરેલાં નગરો ગામો મહોલ્લા શેરીઓ
ગલીઓ હવેલીઓ મહેલો ઘરો ઘોલકીઓ ઝૂંપડપટ્ટી
જંગલના ગોઠ નેસડા કૂબા માણસોથી ધબકે
આયખાના એક દિવસની પૂંજીથી રળિયાત,
આવતી કાલની આશાને વળ ચઢાવ્યે જાય.
પ્રહરો આ પ્રલંબાતા, અનુભૂતિપટે અંકિત કંઈ કંઈ થતું.
માનવ-પગલાની પ્રતીક્ષા કરતી ચંદ્રધૂલિ,

ગિરિમાળાઓના અફાટ હિમપટ પર મારદડી રમતા પવનો,
હાંફતા રણનો ફરફરતો લીલો લીલો સ્વાગત રૂમાલ,
સાગરપેટાળે અધખૂલી છીપમાં મીઠું મરકતાં મોતી,
કાન્તાર-અન્ધકાર વચ્ચે તગતગતી વ્યાઘ્ર-આંખો,
એક તારાની બીજા તારાને કિરણ-ચીસ. —

અહીં ઝાકળભીંજ્યો બપૈયાનો આર્ત્ત સૂર રોમરોમે
સંચારિત કરે વિશ્વે વળૂંભ્યો જે વિરહ. અધ-
રાતે જાણે મને હું સાંભળી રહું, સારીય સંવિદથી.
કહું? જ્યારે જ્યારે બોલું છું
સમૂહમાં, વર્ગમાં, બાગમાં, ઘરમાં, ગાડીના ડબ્બામાં,
ઝડપભેર ચાલતાં અથવા તો ઝાડ તળે,

મને મારો અવાજ હંમેશાં જ થોડો પોતાનો લાગ્યો છે?
સામે પાટલી પર બેસીને સાંભળી જોયું છે. —
‘આ માણસ શું કહેવા માગે છે?'
અને કોઈ કોઈ વાર એમ મેં મોં ફેરવી લીધું છે.

અંધકાર-પ્રકાશના કાંઠા પર છાલકે છાલકે ઘૂંટડે ઘૂંટડે ટીપે ટીપે
નિદ્રા — પ્રાણોની વિશ્રાન્તિ — રોમરોમને પાંપણોને ભીંજવી રહે;
નર્યું સાંભળવાનું હવે — બોલવાનું મુદ્દલે નહિ.
‘મારો અવાજ!’ — એટલું છતાંય બોલાઈ જાય.
નર્યા મારા અવાજને હવે સાંભળવાનો…
ત્યાં સ્તો આકંઠ નિદ્રા — પ્રાણવિશ્રાન્તિ,
ભારે ભરતીમોજું, અમોઘ જાગરણ-આઘાત
મારા અવાજને — સંવિદને સ્વપ્ન-આકારોમાં વિખેરી વિસ્ફુરાવી રહે.
નર્યો મારો અવાજ સંભળાયાં કરે.
મારી અંદર, જાણે મારી બહાર…
આ ક્ષણમાં, જાણે ક્ષણ પાર…

અધમધરાતે ‘મે-આઓ’ જાગે દૂરદૂર મયૂરનું.
જગવે શોણિતના કણકણે કો ઉત્તાન ગાન
કશાકને વધાવતું, જંપી ગઈ ચેતનાને મોડી રાતે સંકોરે
સારસનો તીવ્ર ઉરસંવેગનો સ્વર, જુદા
પાડી ન શકો દોર, એવો એ બેવડ આલાપ, આભ-વલોવતો.
કદી જો બે છૂટા પાડી શકો, એક અહીંનો, અન્ય
તો આવતો અચૂક લોકાન્તરથી, કહો જન્માન્તરથી.
આકાશ પૃથ્વીના ઘાસ પર જરી આળોટી લેવા ઊતરે
અંધારું એવું ઘટ્ટ થાય, એમાં જ
ગાયત્રી મંત્ર અવતરણ મુહૂર્ત ઊઘડે.
‘…પચ્ મુચિ રિચ્ વચ્ વિચ્…!'
‘વેઇટ્-એ-બિટ્…!'
— ધીર નાનું-શું સરવૈયું. શબ્દોમાં? મૌનમાં?
મૌન કવિનો શબ્દ બને :
હતા પિતા મારે, હતી માતા.
હા, હતી માતાની ભાષા.
હતું વહાલપ-સ્ફુરેલું, પ્રાણપૂરેલું શરીર.
હતું હૃદય — હતો એને કાન, હતો અવાજ.
મારું કામ? મારું નામ?
સપ્રાણ ક્ષણ, આનંદ-સ્પંદ, — એ કામ મારું
માનવતાની સ્ફૂર્તિલી રફતારમાં મળી ગયું છે.
મારા શબ્દ-આકારો જે કંઈ રસવીચિઓ તે હવે અન્ય હૃદયમય.
નામ મારું ભાષામાં ઓગળી ગયું છે.
વેઇટ્-એ-બિટ્!…
છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે.

અમદાવાદ, ૧૯૭૫; ૧૬૧૮-૩-૧૯૮૧


‘સપ્તપદી’નું અંતિમ ‘પદ’ તે ‘પંખીલોક’. ઉમાશંકર આ વિશે કાવ્યગ્રંથના પ્રવેશકમાં લખે છે: “સમસ્ત કૃતિના સમારોપ તરીકે પંખીલોકનું પ્રતીક કેવી રીતે આવ્યું તે મારે માટે એક સમસ્યા છે, પહેલી રચનામાંની બીજી કંડિકા સાથે એના શક્ય સંબંધ તરફ તો છેક અત્યારે મારું ધ્યાન જાય છે. પણ નાનપણથી અવાજોની દુનિયા સાથે આત્મીયતાનો નાતો રહ્યો છે. કવિ વિશે પણ ખ્યાલ એ રહ્યો છે કે એને ‘હતું હૃદય — હતો એને કાન, હતો અવાજ.’ તો હૃદયને કાન છે. ગમે તેવાં વ્યવહારકાર્યો વચ્ચે કવિનું હૃદય ઊંચેકાન રહે, અને વખતે ક્યારેક પોતીકો અવાજ પામે. ‘પંખીલોક’માં સમય અંગેનો પ્રશ્ન સહેજે વણાઈ ગયો છે. ‘પંખીલોક'માં દિનરાતનું, ઇહજીવનમાં પુનરાવર્તન પામ્યે જતું પૂરું સમયચક્ર નિરૂપાયું છે.” [સમગ્ર કવિતા, બી.આ., પૃ. ૭૯૭] આમ આ કવિએ ‘પંખીલોક’ પ્રતીક દ્વારા જે ‘દિનરાતચક્ર’ — ‘સમયચક્ર’નું નિરૂપણ કર્યું છે તે ‘આનંદઘોષ’ નિપજાવનારું કઈ રીતે નીવડે છે તે જોવાનો અત્રે ઉપક્રમ છે. ઉમાશંકર પ્રાજ્ઞ કવિ છે, કલાસભાન કવિવ્યક્તિત્વ ધરાવનારા છે. એમનું સર્જનનું ગણિત સારી પેઠે ગહન-સંકુલ રહે છે. ‘પંખીલોક’ રચના એનું એક સબળ ઉદાહરણ છે. આ કાવ્ય ઉમાશંકરની કાવ્યસર્જનની પ્રક્રિયાના અને એમની કવિસમજની સૂક્ષ્મતા ને ગહરાઈના નિદર્શનરૂપ છે. બાહ્ય વિશ્વનો પ્રાકૃતિક અનુભવ કાવ્ય રૂપે — શબ્દ રૂપે પોતાની સાક્ષાત્કૃતિ પ્રાપ્ત કરે એવી અનન્ય — અપૂર્વ ભાવકક્ષાએ પહોંચતી આ કાવ્યરચના — શબ્દરચના છે. ‘સંવાદિતાના સાધક’ આ ‘શીલભદ્ર સારસ્વત’ કવિ શબ્દ સાથેનો પૂર્ણ સંવાદ સાધતાં વિશ્વ સકળ સાથેના પોતાના આંતરસંવાદની અહીં કલાકીય રીતે વ્યંજના સિદ્ધ કરીને રહે છે, તેથી જ આ કાવ્ય એમની ‘સમગ્ર કવિતા’નું જ નહિ, ગુજરાતી સમગ્ર કવિતાનું પણ એક ચિરંજીવશૃંગ જણાય છે. ‘પંખીલોક’ કવિ પોતે જ કહે છે તેમ, એક પ્રતીક છે. તે શીર્ષક દેખીતી રીતે જ કવિના પ્રકૃતિ-લોક સાથેના સંબંધ-સાયુજ્યનો નિર્દેશ કરે છે; પણ તે ત્યાં જ અટકી રહેતું નથી. ‘પંખીલોક’ સમસ્ત સંસ્કૃતિલોક — સંસ્કૃતિ-આલોક સાથેય સૂક્ષ્મતયા બંધાયેલું છે. મનુષ્યમાંના વિકૃતિતત્ત્વના વાસ્તવિક અભિજ્ઞાન સાથે ચાલતાં, કવિ શબ્દસર્જનના સામર્થ્યે આત્મકૃતિ — આત્મ-આકૃતિને વાણીમાં આવિષ્કૃત કરતાં, સંવિદ-બળે પ્રકૃતિ-સંસ્કૃતિમાં પોતાને વિસ્તારતાં અંતતોગત્વા કૃતિમય — કવિતામય થઈને વિરમે છે. આમ આ કાવ્ય કવિની આનંદધર્મી આંતરયાત્રાનું, કવિની વ્યષ્ટિ-ચેતનાની વૈશ્વિક ઉત્ક્રાન્તિનું કાવ્ય છે. અહીં કવિની સાથે જ કવિતાનીયે ઉત્ક્રાન્તિ પરિસીમાએ — પરાકાષ્ઠાએ પહોંચે છે. ‘પંખી’ પંખી રહીને કવિશબ્દનુંયે પ્રતીક બને છે. કવિશબ્દ એવો શબ્દ છે, જેની સમૃદ્ધ પ્રશસ્ત સાંસ્કૃતિક સર્જનાત્મક પરંપરા છે અને જેની સાંપ્રત સાથે પૂર્ણતયા પ્રસ્તુતતા છે. એ શબ્દ ભવિષ્યના ભર્ગનો ગર્ભ લઈને અવતરેલો છે. આ કવિશબ્દ શાશ્વતીના ઉદ્ગાર — આકારરૂપ છે. તેથી જ એવા શબ્દનું પ્રતીક થતા પંખીનું આ વિશ્વ — ‘પંખીલોક’ કવિના શબ્દલોકરૂપ જણાય છે. અસતમાંથી સતમાં જતાં આવિષ્કૃત થતો આ સત્યલોક છે; મૃત્યુમાંથી અમૃતમાં જતાં આવિર્ભાવ પામતો આ અમૃતલોક છે, તમસમાંથી જ્યોતિમાં ઉદ્ભાસિત થતો આ જ્યોતિર્લોક છે. અહીં પ્રકૃતિયોગે કવિનો સંસ્કૃતિયોગ સધાતો અને એ રીતે આત્મયોગ — અમૃતયોગ નિષ્પન્ન થતો વરતાય છે. આમ આ કાવ્ય કવિના સંવિતકેન્દ્રમાંથી સ્ફુરીને પંખીસ્વરે વિસ્તરતું — વિકસતું ભૂમામયતામાં ઉત્સરતું પ્રતીત થાય છે. કવિતાને ‘કાનની કળા’ તરીકે વર્ણવનાર અને તેને કાનથી લખવાનું કહેનાર કવિ — શબ્દ રૂપે પોતાનો સાક્ષાત્કાર વાંછતો કવિ — કાવ્યનો સમારંભ કાનથી કરે એમાં શું આશ્ચર્ય? શ્રવણેન્દ્રિયથી આરંભાતી, ઇન્દ્રિયરાગે છેડાતી વાત છેવટે તો ઇન્દ્રિયાતીતતા સુધી પહોંચવાની જ છે; કેમ કે, કવિનું ભાવાનુભૂતિનું — સૌન્દર્યાનુભૂતિનું બળ, એનો આવેગ એવાં ઉત્કટ — ભારે છે. પ્રેરણાની પંખાળી પળોમાં, એના ચૈતસિક ઉત્થાનની ક્ષણોમાં કવિની પાસે જે શબ્દ આવે છે તેને ઝીલવા શ્રવણપાત્ર પર્યાપ્ત થતું નથી, કવિને અન્ય ઇન્દ્રિયોનો સાથ-સહકાર પણ અનિવાર્ય થઈ રહે છે. તેથી તો કવિને થાય છે કે જે કાનથી પમાય એવું છે તેને જો આંખથીયે પામી શકાય તો કેવું? અરે! આગળ વધીને કવિને એમ પણ થાય છે કે કાન જ જો આંખ હોય તો શબ્દનો અદકેરો સ્વાદ-આસ્વાદ પ્રકાશ રૂપેય પામી શકાય ને! કવિને સર્વાત્મભાવે, સર્વ ઇન્દ્રિયો દ્વારા શબ્દને પામવો છે, એના અમૃતને પામવું છે. કવિની ઉપર્યુક્ત ભાવસ્ફુરણાને ઉદ્દીપ્ત કરનારું પરિબળ છે પંખીસ્વર. એ સ્વર, જે માનવસ્વરની જેમ ભ્રષ્ટતા કે પ્રદૂષણને ભોગ થયેલો નથી. એ સ્વર ‘તન્દ્રાતમિદ્રા’ (કેવો સુભગ સમાસ!)ને વીંધીને આવનારો, ચમકતો સ્વર છે. તે આખી ઘેઘૂર વૃક્ષઘટામાંથી પ્રકાશનાં છાંટણાંએ જાણે ચૂનારો છે, પર્ણઝુંડમાંથી ટપકનારો છે. કવિએ પંખીસ્વરને કેવું ભાવોત્કટ ઇન્દ્રિયગ્રાહ્ય — ઇન્દ્રિયસંતર્પક મૂર્ત રૂપ બક્ષ્યું છે! કવિ એ સ્વરને કેવળ સ્વર રૂપે જ નહિ, સૌન્દર્યના સ્ફૂર્તિસભર પ્રકાશાનુભવ રૂપે ગ્રહે — સંગ્રહે છે. એ સ્વરમાં પકડાતા ‘પચ્ મુચિ રિચ્ વચ્ વિચ્’ ધ્વનિઓ એમની સારસ્વત પ્રતિભા સમક્ષ પાણિનિશિષ્યોનાં સૂત્રોની સ્મૃતિ ખડી કરી દે છે. એ ધ્વનિઓ ‘ઊઠો, જાગો, ક્રિયારત થાઓ'નો — ર્દિ(૮૭૨૧)(૮૭૧૯)દઠછ(૮૭૨૧)(૮૭૧૯) ઋ(૮૭૧૯)(૮૭૧૯)ઈંમ્(૮૭૨૧)(૮૭૧૯)… આદિનો, ઔપનિષદિક પરંપરાનો પ્રેરણાત્મક આદેશમંત્ર ઉદ્ઘોષિત કરીને રહે છે. કવિચિત્ત આગળ પાણિનિનો આખોય પ્રજ્ઞાપ્રાસાદ પ્રત્યક્ષ થાય છે. એ રીતે પ્રકૃતિથી સંસ્કૃતિ સુધીની સેતુરચનામાં પંખીસ્વર નિમિત્ત બને છે. આમ કવિ પંખીસ્વરના બળે શ્રુતિ દ્વારા સ્મૃતિમાં, પ્રકૃતિ દ્વારા સંસ્કૃતિમાં અભિસરે છે. જે કંઈ અતીતરૂપ છે, જે અંતરતમમાં સંસ્કારનિષ્ઠ પરંપરામાં ગોપિત છે તે સર્વ સાથે પંખીસ્વર એક અનોખો સંવાદસેતુ રચી દે છે. કવિના માટે પંખીસ્વર ‘કાનને પરિતર્પતી ક્રિયાની દ્યુતિસેર’ બની રહે છે. શબ્દ શબ્દ રહેવા સાથે ‘ેંન્ન્(૮૭૨૧)રૂ’ — ક્રિયા રૂપેય પ્રત્યક્ષ થાય છે. કવિને આવા પંખીસ્વરે આલોકિત હવામાનમાં પોતાના પૂર્વસૂરિઓની શબ્દ-રચનાના સંકેતોય સ્મૃતિગોચર થાય તે સ્વાભાવિક છે. આ હવામાનમાં ‘વેદિયા હોય તેણે વેદ સંભાળવા’ એમ કવનારો નરસિંહ ઉમાશંકરથી દૂર કેમ રહી શકે? બંને એક ભાવચેતનામાં સહયોગ કરી તદ્રૂપતા સાધીને રહે છે. કવિ પંખીસ્વરે સચેત થતાં, અધઊંઘમાંથી એવી જાગૃતિમાં, એવા આંતરપ્રભાતમાં સરે છે જ્યાં એમને કાવ્યના શબ્દો પંખીના જેવા પ્રકાશના ટુકડાએ ટપકતા લાગે છે. કવિ પાસે આવી લાગતા આ શબ્દો પાણિનિના નિયમોથી બદ્ધ શબ્દો નથી. તે સર્વ તો આત્મચેતનાએ, સ્વૈરગતિએ સંચરતા, કવિપ્રતિભાએ સમુત્થાન પામેલા — સ્ફુરેલા અમૃતસંતાનરૂપ — અમિયલ શબ્દો છે. તે સર્જનના શબ્દો છે. આ એવા શબ્દો છે જે કવિની ભીતર આવી કવિ માટે ‘અગોચરને ગોચર કરતા અભિનવા આનંદ'નો વિસ્મયમધુર પંખીલોક સર્જે છે. અહીં કવિ જે બાહ્ય વિશ્વમાં અનુભવે છે તે પોતાના આંતરવિશ્વ સાથે કેવું તો એકાકાર છે તે ગૂઢ અને ગાઢ રીતે પ્રતીત કરે છે અને તેનો રસ આપણનેય અંતર્મુખ કરીને રહે છે. કાવ્યચેતનામાં હોય છે તો શબ્દચેતના જ, પણ તે કવિચેતનાએ ચેતેલી એવી. કાવ્યમાંનો શબ્દ એ રીતે કવિપ્રતિભાથી તેજોમય હોય છે. તે કોશ વ્યાકરણાદિ તંત્રે બદ્ધ એવો નહિ, પણ પ્રેરણાવેગે મુક્ત મંત્રરૂપ હોય છે. તે કવિના ત્રીજા નેત્રની પ્રસાદી પામીને નવજીવન — નવચેતન પામેલો હોય છે. આવા કવિતાના શબ્દોને જો કહેવાનું થાય તો શું કહે? કવિએ સૂઝબૂજપૂર્વક શબ્દમુખે જ શબ્દની કથાનો — શબ્દની આત્મકથાનો તત્ત્વાર્થ રજૂ કર્યો છે. કવિતાના એ શબ્દો આપણને કહેવાના હોય તો આ જ કહે કે ‘અમે કવિચેતનાના સંજીવની સ્પર્શે એવી ભૂમિકાએ પહોંચ્યા છીએ જ્યાં અમે અમે ન રહેતાં અમે જે કંઈનો સંકેત કરીએ છીએ તે-મય — કેવળ ભાવાનુભવ રૂપ — મૌનરૂપ બન્યા છીએ.’ આમ શબ્દશક્તિની પરાકોટિ શબ્દાતીતતાના સીમાડા સુધી પૂગવામાં રહેલી છે, અને આ કવિ અહીં તે લીલયા બતાવીને રહે છે. આ કવિએ એકદા કવિતાને અનુલક્ષીને કવેલું: ‘તું તો શબ્દ સનાતન સુંદર મૌનનો.’ કાવ્યમાં શબ્દોનો કોલાહલ નહિ પરંતુ ભાવમૂક સંવાદ હોય છે. કાવ્યમાં શબ્દો બોલીને કહે છે તેથી અદકેરું, બોલ્યા વિના, પારસ્પરિક ભાવસંબંધને મૂર્ત કરતી વિલક્ષણ અન્વિતિ દ્વારા કહે છે. કાવ્યમાં શબ્દોની ‘અર્થબડબડ’ શમી જાય છે અને તેમનું ‘રસોન્માદ છોળ'માં પરિવર્તન — પરિણમન થાય છે. કવિનો શબ્દ તો એક એક ચિત્ર હોય છે, એક એક સંકુલ હોય છે, જેના દ્વારા તે એક આનંદમય અનુભૂતિલોક સર્જે છે. કવિ જે અમૂર્ત છે, પરોક્ષ છે, વાયવી છે તેને મૂર્તતા, પ્રત્યક્ષતા ને સઘનતા બક્ષે છે. કોઈ દાર્શનિકને શબ્દોના અર્કમાં — નિચોડ કે નિષ્કર્ષમાં, એના તત્ત્વ-ટૂંપણામાં રસ પડે; જ્યારે કવિને તો શબ્દોના અર્કમાંથી ‘ચારુ કિરણકેશ સમારતી ઉષામૂર્તિ'-થી આકૃતિનું નિર્માણ કરવામાં રસ પડે. કવિના માટે ‘ઉષા’ શબ્દ કેવળ વૈખરીની વસ ન રહેતાં પરાવાણીનો આધ્યાત્મિક ભાવસંદર્ભ બની રહે છે. કવિને તો ફોરમમાંથી ફૂલ સર્જવાનો ઇલમ સાધે ત્યારે જ ચેન પડે છે. તે તો કાવ્યેતર શબ્દોના ચહેરાઓને, અનિવાર્ય લાગે ત્યાં ભૂંસીકરી, છુપાવી કે પલટીને એના આધારે કવિતાનો મનોરમ ચહેરો સર્જે છે. કવિ શબ્દને ‘નૂતનાવતાર’ આપતાં પોતેય નૂતનાવતાર પામે છે. આમ કવિનું ગાન — કવિપંખીનું ઉષ:ગાન સતત વિસ્તરતું — વિકસતું વ્યષ્ટિસમિષ્ટચેતનાના આહ્લાદક અરુણોદયમાં — સૂર્યોદયમાં પરિણતિ સાધે છે. પ્રકૃતિનું અનાવિલ સૌન્દર્ય સહદ્રધારે ઊછળતું કવિને આંતરબાહ્ય ભૂમિકાએ વિવિધ રીતે સ્પર્શે છે. એ સૌન્દર્ય આંખકાન આદિ અનેક ઇન્દ્રિયોને વશ કરે છે. જે તેજ-રંગનો સ્વાદ આંખ લે છે તેનો સ્વાદ લેવાની વૃત્તિ કાનનેય રહે છે. આંખમાં જ જો ઇતર ઇન્દ્રિયોની પણ શક્તિ એકાગ્ર થઈ હોય તો દૃશ્યવિષયનો સૌન્દર્યાનુભવ કેટલી પ્રગાઢતાથી થઈને રહે! કવિ આ સંદર્ભમાં મધુર પ્રશ્ન કરે છે: ‘ઉષાનો રંગ એ કયો સૂર?’ કવિ અહીં રંગોનું સ્વરસપ્તક રચવામાં જાણે વ્યાપૃત થાય છે. આ સ્વાદવૃત્તિનો ઉત્કટ ઉછાળ કવિને સર્જકતાની દિશામાં પ્રેરે છે. મધુમાલતીની બહાર, બોગનવીલિયાની મિશ્ર છોળ, નાજુક જૂઈ, ટીપકિયાળાં ફ્લૉક્સ, શુકનમાં ઉપયોગમાં લેવાતાં કાર્નેશન, તે ઉપરાંત સૂરજમુખી અને પ્રિયકાન્તના શબ્દોમાં કહીએ તો ‘ખીલેલો લાગતો એવો’ સૂરજ પણ — આમ આ સાતેયથી રંગોનું એક અપૂર્વ ચાપ અહીં સર્જાય છે. કવિને કોકિલની ગાનકલામાંયે પ્રકાશનો ઉત્સ — પ્રકાશની છોળછાલક લહાય છે. વળી કોકિલની સાથે કાકકુલોના સ્વરોયે ‘અજબ મિલાવટ’ કરી દે છે. કોઈ જાતનો ગાનવિક્ષેપ તો દૂર રહ્યો બલકે પ્રભાતી સ્વરસંવાદ વધુ દૃઢ ને પ્રભાવક થાય છે! વળી આમાં ‘ચકીટોળું'-(કેવો મીઠડો શબ્દ!)યે એની ગુજબુજના છંટકાવે આ સ્વરમાધુરીને ઓર વધારે છે. બુલબુલના નાદમાં તો કવિને ‘શ્રીપ્ રભુ!’ ‘શ્રીપ્… શ્રીપ્રભુ!'નો ગંભીરગહન ઘોષ પમાય છે. આમ આખું વિશ્વ સ્વર-પ્રકાશના સુમેળે-સામંજસ્યે-માધુર્યે ઊઘડતું કવિને સૌન્દર્યની કોઈ સવિકલ્પ સમાધિમાં આકૃષ્ટ કરે છે. કવિને એક બુલબુલના સ્વરેય આખું વિશ્વ અધ્ધરશ્વાસે — અર્ધશ્વાસે સંતુલિત થતું ઊભું રહી ગયું હોય એવો ભાવ થાય છે. કવિચેતના પંખીસ્વરે આંદોલિત થતી એક બૃહદ વ્યાપમાં વળતી, સૂક્ષ્મતમ લયસંબંધે વિશ્વ સમસ્ત સાથેની પોતાની એકપ્રાણતાનો આહ્લાદક અનુભવ કરી રહે છે. કવિની આવી ઉષ:કાલીન અનુભૂતિ કંઈ સ્થગિત હોય? એના સૌન્દર્યાનુભવનાં ગતિવ્યાપ ક્રમિક રીતે બઢતાં વધુ ને વધુ સંકુલતાને ઉપસાવતાં રહે છે. કવિની દૃષ્ટિ દ્યાવા-પૃથિવી પર્યન્ત રમમાણ રહે છે. તે આકાશમાં ઊડી રહેલાં પક્ષીઓની હારમાળાને અવલોકે છે ને એમને એ રીતે જોતાં જ તેઓ જાણે સૂર્ય-ઉપસ્થાને જઈ રહ્યાં હોય — સૂર્યોપાસનામાં જોડાવા નીકળ્યાં હોય એવી રસાત્મક તર્કલીલા કરે છે. વૃક્ષો પરથી ઊડતાં પંખીઓને તેઓ ‘અચલ ઝાડવાંના ચપલ ઇશારા’ રૂપે વર્ણવે છે. (અહીં ‘અચલ'-`ચપલ'થી યમકરચના થતાં જે ભાવચમત્કૃતિ સધાય છે તે પણ રસિકોને તો ખ્યાલમાં આવે જ.) સ્થાવર વૃક્ષો અને ગતિશીલ પંખીઓ વચ્ચે જે ઊંડાણમાં એકાત્મતા છે તે કવિ સરસ રીતે અહીં વ્યંજિત કરીને રહે છે. કવિને વૃક્ષોની ‘સ્થાવરતા’ સાથે જ ‘સ્થવિરતા'યે સ્પર્શે જ છે. આવા સ્થવિર વૃક્ષરાજ અનેક શાખાબાહુઓ વચ્ચે કપોત, કાબર, લેલાં ને દૈયડનાં ટોળેટોળાં ખોબે ખોબે ઉછાળીને ઉડાડતા હોય એ ચિત્ર કેટલું બધું ઉલ્લાસસભર, તાજગીબક્ષ, અર્થપૂર્ણ ને હૃદયંગમ છે! આ તો એ જ વૃક્ષો, જેમનાં ‘પૃથ્વીઊંડાં’ તરુમૂળ એકકાન થઈ, ધ્યાનપૂર્વક, પોતાની ડાળ પરના માળાઓમાં નિરાંતે નિર્ભયપણે ને નિશ્ચિંતપણે વિશ્રાંતિપૂર્વક પોઢેલાં પંખીઓના હૃદયના ધડકારનો ઝીણો — સુકુમાર સ્પંદ સાંભળી રહેલાં! પૃથ્વીમાં ખૂંપતાં તરુમૂળની આકાશમુખી વિહંગમો પ્રત્યે કેવી સહાનુભૂતિ છે, તેમની સાથે તે સૌની કેવી તો સંવાદસેતુમય સહૃદયતા છે તેનું મર્મસ્પર્શી ભાવચિત્ર અહીં રેખાંકિત થયેલું આપણને સાંપડે છે. આ પંખીઓની આંખોની જ નહિ, એ સિવાયનાં પશુઓ-માનવીઓ આદિની આંખોની પણ મૂંગાં મૂંગાં આકાશમાં રહીને પલપલતાં નક્ષત્રો કેવી સજાગતાથી સંભાળ લે છે! કદાચ આ આંખોનેય એમની પોતાની એ નક્ષત્રો દ્વારા લેવાતી આવી સંભાળની — એ સંભાળ લેનારનીયે જાણ ન હોય એમ બને! કવિ સમગ્ર વિશ્વ સાથે એક-રાગતા સાધતાં એવી સમતા — એવી શમાવસ્થા પ્રાપ્ત કરે છે, જેમાં તેમને અખિલ બ્રહ્માંડનો ગતિ-સ્પંદ અનુભવાય છે, એ સર્વ સાથે કવિની પોતાની મૂળભૂત એકપ્રાણતાનો ભર્યો ભર્યો સાક્ષાત્કાર થાય છે. પ્રભાતે વૃક્ષરાજીમાં શ્રવણગોચર થતા મર્મરરવમાં પંખીનો કલરવ ભળી-મળી ગયાનો ભાવ પામી શકાય છે. પૃથ્વીના અંતરમાં — અંતસ્તલમાં જે સ્વરતત્ત્વ-સંગીતતત્ત્વ છે તેનો આવિર્ભાવ વૃક્ષરાજીના પાંદડે પાંદડે નર્તનોલ્લાસમાં કવિ પામે છે. આ સ્વરમધુએ સમગ્ર વાતાવરણમાં — અવકાશમાં માધુર્યમય આર્દ્રતાનો સ્પર્શ થાય છે. કવિને આથી આ પ્રાત:કાળનો સોેનેરી સમય ઉત્સ — પર્વ સમો લાગે છે. પૃથ્વીની — કહો કે સમગ્ર સૃષ્ટિની — અંતરતમ વાણીના — મૌનના મર્મોદ્ગાર રૂપે પંખીરવને પ્ર-માણતાં ને સત્કારતાં કવિ પરોઢી વેળામાં ‘પૃથ્વીના ભીતરી મૌનનો ભાસ્વત ઉત્સવ’ ઊજવાતો અનુભવે છે. અહીં જડ અને ચેતનના, અધસ્ અને ઊર્ધ્વના સીમાડા કવિસંવિદના આનંદાનુભવમાં વિગલિત-વિલુપ્ત થઈ ગયેલા પ્રતીત થાય છે. કવિ કેટલી સહજતાથી ને સમર્થતાથી સજીવારોપણની કલારીતિમાં વહે છે તે રસજ્ઞોએ ધ્યાનથી જોવા જેવું છે. કવિના ચિત્તમાં મન અને હૃદયની વિભિન્નતા સ્પષ્ટ છે. ‘તર્ક પણ જેને રસગદ્ગદ કરે તે હૃદય’ અને ‘લાગણીને પ્રમાણી શકે તે મન.’ કવિનો મન-હૃદય વિશેનો આવો ખ્યાલ વિલક્ષણ-વિશિષ્ટ ખરો જ. કવિ ઉષાના આનંદવૈભવને મોકળા મને ને ખુલ્લા હૃદયે ઝીલે છે, એમ કરતાં એમના સત્ત્વોદ્રેકનો — ચેતનોલ્લાસનો અંજવાસ—ઉછાળ પણ આપણને ભીંજવી રહે છે. કવિની ઉષાકિરણે ખૂલેલી ને ખીલેલી દૃષ્ટિ કેવાં મનોહર સ્વાભાવોક્તિસભર ચિત્રો ઝડપે છે તે પણ જોવા જેવું છે. કવિનો સચ્ચાઈપ્રેરિત ઉત્કટ સર્જનરસ, સમુદાર સૃષ્ટિરસ અને પ્રગાઢ જીવનરસ યુગપદ્ રીતે જ્યારે ક્રિયાન્વિત થાય ત્યારે જ અહીં ઉઠાવ્યાં છે તેવાં સુરેખ ચારુ ચિત્રોનો ચમત્કાર શબ્દપ્રવાહમાં શક્ય બની રહે. કવિ પોતાના વાચનખાનાની બારીમાંથી બહાર જુએ છે, ત્યારે એમની નજરે એક લીલો પોપટ નજરે ચડે છે, જે રક્ત ‘ચંચુ’ (અહીં ‘ચાંચ’ ન ચાલી શકે એવી હવા છે કાવ્યની!) એકાન્ત બાગના નળના ખાબોચિયામાં ડુબાવે છે, પાણીમાં પાંખ ફફડાવે છે ને પછી જરીક અવાજ થતાં ઊડી જાય છે. વળી તપખીરિયા ડિલને પાંખથી પાંદડાથી (પાંખ-પાંદડા વચ્ચે ભેદ કરવાનુંયે અહીં રુચિકર લાગતું નથી!) ઢાંકતો, ગભીર-ઊંડા ભર્યાભર્યા અવાજે હવાને અંજવાસતો (આ ક્રિયાપદ પણ કેટલું ઊજળું ને ઉજાળનારું છે કવિના ભાવસંદર્ભને!) ભારદ્વાજ પણ કવિની નજરે ચડે છે. આ ઉપરાંત લતાગુલ્મમાં સંતાઈને ‘વેઇટ્-એ-બિટ્’ બોલતું પંખી તો કવિને ને સાથે કાળનેય જરા થોભી જવાનું ન કહેતું હોય! કવિ પણ ત્યારે વિમાસણમાં પૂછે છે: ‘સમય! સમય શું રાહ જોવા માટે છે કે?’ અહીં ઉત્તરની તો અપેક્ષા જ નથી. કવિનો પ્રશ્ન જ પ્રતીક્ષાતત્ત્વનું જીવનમાં જે મર્મભેદી રહસ્ય છે તેના સત્યની ગહન-સંકુલ વ્યંજના સંકોરી રહે છે. કવિએ જે કાળપટની વાત કરી તે જેના ખભે લહેરાય છે તે સ્થળનોયે સંકેત કર્યા વિના રહે? કવિને માટે સ્થળ અહીં કોઈ જડ હસ્તી નથી. એ એમના માટે તો ‘શૈલમહાશય’ છે. (આ શબ્દપ્રયોગમાં કવિના વિનોદરસિક ચિત્તની પ્રસન્નતાનો સ્પર્શ પણ વરતાશે.) એમના એક આદિમ સ્વજન! એ શૈલમહાશય તો સત્ય ગોપવીને, તેને તાળાબંધ કરીને, તેની કૂંચીયે ગળી જઈને સંતૃપ્તિમાં વિરાજમાન છે. એ શૈલમહાશયનો ચહેરો ભલે કરડાકીવાળો હોય; ‘સર્વસૃષ્ટિજયિની સિસૃક્ષા'ના તૃણાંકુરથી ભેદાઈ રહેવાનું ઔદાર્ય એમણે દાખવ્યું જ છે. ટાઢ, તાપ, વર્ષાની સામેય ઝીંક લેતી એમની અણનમતાએ સર્જનશક્તિ આગળ તો પૂરી નમનીયતા-નમ્રતા દાખવી જ છે. કવિને તૃણાંકુરને પ્રતાપે ડુંગર પાસેથી સર્જકતાનું— સર્જનનું જે સત્ય લાધે છે તે એવું છે, જેને કોઈ બાંધી શકતું નથી, જેનો પરાભવ થઈ શકતો નથી. સર્વ સ્થૂલતાઓને વટીને કવિચિત્ત નિર્બંધ જીવનસત્ત્વે આનંદમૂલક અમૃતત્વનો એક સાત્ત્વિક ઉજાશ અહીં ડુંગરની છાયામાં ને તૃણાંકુરની લીલપમાં લહેરાતો પામે છે. પાષાણી ચટ્ટાનમાંથી કોઈ હરિત તૃણાંકુરનું અંકુરિત થવું — તૃણાંકુરનો એ પ્રકારનો વિસ્ફોટ અણુ-વિસ્ફોટથીયે સવિશેષ મહિમાવંત ઘટના છે આપણા કવિ માટે એ ઘટના સાચા જીવનસંઘર્ષની સુધામય ફળશ્રુતિરૂપ છે. સંઘર્ષનેય સંવાદમાં પલટી દેનારા સર્જકચિત્તના મહાન વિજયની એ સં-ઘટના છે. આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, પણ આપણે આપણી પ્રકૃતિની દિવસભર પ્રવૃત્તિસભર જીવનસંઘર્ષમાં જોતરાઈને જ જીવવાના! દિવસના અજવાળે ચાલતી દોડમાં — ‘અંધદોડ'માં આપણે અનિવાર્યતયા ઘસડાવાના. આપણે એ રીતે વ્યોમચારી પંખીના બદલે ઘડિયાળના પંખીના અવાજે નિયંત્રિત થઈને જીવનને ચલાવતા રહેવાના. શું આ રીતે જીવન ચલાવતાં જીવ્યાનો સ્વાદ-રોમાંચ મળે છે ખરો? આપણી આયુર્યાત્રા સ્થગિત થઈ ગયેલી, લાભશંકર કહે છે તેમ, ‘યાન્ ત્રિક તાના તાલ'માં નિબદ્ધ થઈ ગયેલી આપણને નથી લાગતી? પ્રકૃતિભ્રષ્ટ ને વિકૃતિગ્રસ્ત જીવન ગુજારતાં સાંજ પણ ઢળવાની ને ત્યારે આપણી નજર આકાશ તરફ, ત્યાં ઊંચે ને ઊંચે સહેલતા કોઈ એકલદોકલ પંખી તરફ પણ જવાની. આપણે ભલે ઘડિયાળના પંખી સાથે ચાલતા હોઈએ, આપણો હજુ આકાશવિહારી પંખી સાથેનો સ્નેહતંતુ છેક જ તૂટી ગયેલો નથી. હજુ એ પંખીને જોવાનો, એ પંખીને એના પ્રભુ સાથે મળવાનો, એની સાથે દોસ્તીની પળો ગાળવાનો કૌતુકભાવ — રોમાંચ બચ્યો છે, ટક્યો છે. આપણને વિસ્મિત ને રોમાંચિત કરનારાં એ પંખીઓ કેવળ આકાશવિહારી નથી. તેઓ તો આકાશ ગટગટાવીને પી ગયેલાં — ‘આકાશપીધેલાં’ છે. એમની પાંખોના ફફડાટે હજુય તેજની છાલકો વાગતી કવિસંવિદ અનુભવે છે. હજુ કવિ એ પંખીઓની પાસેથી નભ-વાટ કેટલી લાંબી તે જાણવાની સાચી જિજ્ઞાસા ધરાવે છે. તેમની પાંખોમાંથી તો કવિને જીવનમાં ડગલે ડગલે તેજ-ઘાટ હોવાનો સધિયારો સાંપડે છે. આપણે જો અંદરથી ખૂલીએ, મુક્ત થઈએ, ઉન્નત થઈએ તો તેજ-ઘાટ દૂર નથી જ. આપણી આશા, આપણી આશાનો સૂર્ય આપણી પડખે છે જ છે. સૂર્યના ઉદયની — સૃષ્ટિના સમુદયની અને જીવનના અભ્યુદયની ઘડી જેવી જ રોમ-હર્ષણ ઘડી તે સૂર્યના અસ્તની, આપણી સૃષ્ટિના ને આપણા જીવનના વિરામની હોવાની. વિરામ એટલે પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ, પ્રવૃત્તિનો અંત નહિ, જીવનનું કે સૃષ્ટિનું સમાપન કે એની ઇતિ નહિ. જીવનનો પ્રવાહ — સૃષ્ટિનો ચૈતન્યદ્રોત તો સર્વદા અવિચ્છિન્ન જ. એની તો સનાતન ગતિ. એમાં વિરામ-વિશ્રાંતિના તબક્કા ખરા, પરંતુ ક્યાંય ખટકી-અટકી પડવાનો તો પ્રશ્ન જ નહિ. ‘જરા આઘે રહીને’ આ જીવનસૃષ્ટિનું કે સૃષ્ટિજીવનનું દર્શન કરતાં આહ્લાદ જ થવાનો; આવતી કાલની આશા પણ ટકવાની, બલકે એને ઓર વળ મળવાનો. સાંજ પડ્યે સીમાડે — સીમમાં મસમોટા તરુવર પર કાગડા (‘વાયસજી’ જેવો મીઠો શબ્દ આ કાઠા પંખીઓ માટે પણ!) વધારે કે પાંદડાં એવી મીઠી મૂંઝવણ જગાવતો પ્રશ્ન જન્માવતું કા-કાના શોરના મસમોટા ગોરંભા સાથે ખડું થતું એક દૃશ્ય-શ્રાવ્ય ચિત્ર આ સાથે આવતું — ગોઠવાતું આખા વડને ઢાંકી દેતી ઊંધે માથે લટકતી વાગોળોનું અને વચ્ચે વચ્ચે પેલાં આંધળાં ચામાચીડિયાંની ચિચિયારીઓ — જે હાડે કવિ તે તો ચામાચીડિયાંની આ ચિચિયારીઓને જ ચકરાતી ને આંધળી કહેવાનું પસંદ કરે ને?! — આ પ્રકારના એક સાયંકાલીન ચિત્રપટને કંઈક કઠોર ને કુંઠિત ચિત્તેય જોવું તો પડવાનું જ. પ્રવૃત્તિનો વિરામ, અંધકારનું આગમન અને આખા ઊજળા દિવસનું ‘આંધળું’ સરવૈયું કાઢવાની જવાબદારીમાં ઘુવડો સંડોવાય એવી પરિસ્થિતિ — આ બધું સ્વીકારતાં કંઈક ક્ષોભ-સંકોચ આદિયે થાય ને છતાં તે આગવી વિશિષ્ટ સમજ સાથે, ચિત્તની શાણપણભરી સજ્જતા સાથે સ્વીકારવું જ રહ્યું. જે જિવાયું એનો આનંદ. જે કંઈ કરતાં માનવજાતથી પ્રેમપૂર્વક સમૂહમાં સુમેળથી રહેવાયું તેનું આશ્વાસન કંઈ ઓછાં ન જ હોય! આયખાનો તો એક એક દિવસ સોનાનો, રમણીય ને રોમાંચક. વિષમતાના કઠોર-કટુ સ્વાદનોયે આહ્લાદ. કવિને તો પૃથ્વી—ગામો—મહોલ્લા—શેરીઓ—ગલીઓ—હવેલીઓ—મહેલો—ઘરો—ઘોલકીઓ—ઝૂંપડપટ્ટી—જંગલના ગોઠ—નેસડા—કૂબા આ સર્વમાં વિશ્રાંતિ માણતા મનુષ્યોની હૈયાધબકનું વાસ્તવિક અભિજ્ઞાન છે અને એ જ તો એમની ખરી કાવ્યસંપદા છે. આ રાત્રિનો શાંત સમય તો કવિના માટે વિશ્વયોગ ને આત્મયોગ સાધવાનો જ સમય. કવિની આંખ તો આધુનિક મનુષ્યનાં વિકાસલક્ષી પગલાંની પ્રતીક્ષા કરતી ચંદ્રધુલિ સુધી, ગિરિમાળાઓના અફાટ હિમપટ પર મારદડી રમતા પવનો સુધી (કવિનું પવન અંગેનું ચમત્કારપૂર્ણ વાસ્તવિક નિરૂપણ પણ અહીં ધ્યાનમાં આવશે), લીલો લીલો સ્વાગત રૂમાલ ફરકાવતા દિવસભરના તાપે અકળાયેલાં ને હાંફતાં રણો સુધી, વ્યાઘ્ર-આંખોએ તગતગતા અંધકારવાળા જંગલ સુધી ને એક તારો બીજા તારાને કિરણચીસે પોકારે છે તે અંતરીક્ષના ઊંડાણ સુધી ફરી વળે છે. કવિને ચક્રવાક-શાં હૈયાંનો રાત્રિવિરહ પણ વીંધે છે. ઝાકળભીંજ્યા બપૈયાનો આર્ત સ્વર વિશ્વે વળૂંભેલો—વીંટળાયેલો—વ્યાપેલો જે વિરહ છે તેને કવિના રોમરોમે સંચારિત કરે છે. કવિચિત્ત કદાચ કૌંચવધે વ્યથિત વાલ્મીકિ-હૃદયની ગતને પામે છે. તે અધરાતે—મધરાતેય આ સમગ્ર સૃષ્ટિલીલાના અનુભૂતિસંચારે મુખરિત થાય છે અને એ પોતે જ પોતાને સાંભળી રહે છે — કેવળ કાનથી નહિ, સમગ્ર હસ્તીથી, સમસ્ત સંવિદથી. કવિની આવી અંતર્મુખતા જ પોતાના અસલી અવાજ અંગે પોતાને સાશંક કરે છે. સમૂહમાં, વર્ગમાં, બાગમાં, ઘરમાં, ગાડીના ડબ્બામાં કે ઝડપભેર ચાલતાં ચાલતાં કે ઝાડ તળે ઊભા રહીને બોલતાં જે બોલાય છે તેમાં ખરેખર પોતાનો શુદ્ધ સાચો અસલી અવાજ હોય છે ખરો? આ પ્રશ્ન કવિનો છે, ને કવિએ અન્ય કોઈને નહિ પોતાને જ સીધી રીતે પૂછેલો છે! ક્યારેક કવિએ પોતે જ પોતાના અવાજને વસ્તુલક્ષી ભૂમિકાએ — બિનંગતભાવે સાંભળવા—પામવા—પ્રીછવાનો પ્રયત્ન કરી જોયો છે; પરંતુ તે પ્રયત્ન કવિને સર્વથા—સર્વદા કદાચ સાનુકૂળ — પ્રોત્સાહક જણાયો નથી. ક્યારેક તો આ આત્મદર્શી કવિને ખુદને જ પોતાના અવાજ પ્રત્યે અભાવો — અરુચિ થયાનું બન્યું છે ને તેય અકારણ તો નહિ જ. સાંપ્રતકાલીન જીવનની કેટલીક વિસંવાદિતાઓથી ઉદ્ભવેલી વેદનાઓના ઓથાર ને ભીંસ વિના તો આવું ન જ થાય; પણ જે સર્વાત્મભાવે કવિ જ હોય તે પોતાના અવાજને — પોતીકા અવાજને પામ્યા વિના, એ અવાજનો એના તળિયા સુધી પહોંચી ભેદ પામ્યા વિના તો કેમ જંપે? પોતાના — પોતીકા અવાજના તળિયા સુધી પહોંચવું એ કવિ માટે તો ઘણી ઊંડી ને ગહન બાબત. તંદ્રાગ્રસ્ત—નિદ્રાગ્રસ્ત અવસ્થામાંયે, પોતાના અવાજ વિશેની સંપ્રજ્ઞતા છેક જ ડૂબી જઈ શકે ખરી? નર્યું સાંભળતાં રહેવાનું ને છતાંયે બોલવાનો હરફ સરખોયે નહિ! — એવી ભૂમિકાએ પહોંચવાનું શક્ય છે ખરું? કવિની ભીતર એક એવો અવાજ છે, જે છેક જ ઓલવાતો નથી; કદાચ તે રૂપાંતરો પામે છે અવનવા આઘાતોએ. જીવનમાં ઊઠતાં ભરતીમોજાંઓએ એમનું કવિસંવિદ જે રીતે સજાગ રહેતું ભાવાઘાતો પામે છે તેથી પેદા થતા ક્ષોભવિક્ષોભો નિગૂઢ રીતે સ્વપ્નમય આકારોમાં પરાવર્તિત થઈ પોતાના જ અંતરતમ અવાજનો સંકેત કરી રહે છે. એક એવો અવાજ કવિના અંતરતમમાં ઊઠે છે, જે એને પોતાના ઊંડાણમાંથી તેમ જ પોતાની બહાર જે કંઈ છે તેમાંથી આવતો, પોતાના સમયમાંથી આવતો અને પોતાના સમયની પારથીયે આવતો કવિને લાગે છે. મયૂરના ‘મે-આઓ'ના અવાજે સ્પંદિત થતા રક્તાવેગે પણ એનો પડછંદ કવિ ઝીલે છે. કોઈ સારસના — સારસયુગ્મના તીવ્ર ઉરસંવેગનો સ્વર — એમનો ‘આભ-વલોવતો બેવડ આલાપ’ કવિસંવેદનામાં ગ્રહાતો, કવિના જ અવાજમાં પ્રતિધ્વનિત થતો — સંક્રાન્ત થતો કવિના અવાજ રૂપે જ પ્રગટ થાય છે. કવિના અવાજમાં કવિવ્યષ્ટિનો જ નહિ, સૃષ્ટિ-સમષ્ટિનો અવાજ પણ ભળી ગયેલો હોય છે. કવિને તો પોતાના એ અવાજમાં લોકાન્તર—જન્માન્તરના અવાજોય મળી—ભળી ગયેલા લાગે છે. કવિના અવાજમાં તેમના ‘હું'નો — ૐ(૧૭૩)જ્(૮૭૧૯)ન્નો જ —`ઠ્ઠ(૧૭૪)(૮૭૧૯)'નો અવાજ પણ અવિશ્લેષ્ય રીતે રણકતો લહાય છે. કવિસંવિદ અંધકાર-પ્રકાશના કાંઠે રહી એકાકારતાએ ઠ્ઠ(૧૭૪)(૮૭૧૯) ને ઠ્ઠ(૮૭૧૯)(૧૭૪)(૮૭૧૯)ગ્ની સંપૃક્તિથી, વ્યષ્ટિ—સમષ્ટિ સાથેની રસસિદ્ધ સમાધિએ પોતાનામાં એકાગ્ર થાય છે ત્યારે એનામાં ઉષાગાનનોે — પ્રભાતમંત્રનોે — ગાયત્રીમંત્રનોે — પંખીસ્વરનોે — પંખીના ઉદ્ગાનનો આવિર્ભાવ થાય છે. કવિને આ ભાવસમાધિએ સહજતયા લાધતું મૌન એની અંતરતમ વાણીનો — એની પરાવાણીના પર્યાયરૂપ બની રહે છે; ને એ જ કવિના સાચા સર્જનશબ્દ રૂપે પ્રતીત થાય છે. કવિનો શબ્દ જ ‘પચ્ મુચિ રિચ્ વચ્ વિચ્'માં, ‘વેઇટ-એ-બિટ્'માં પડઘાતો ને પ્રકટતો પમાય છે. કવિની પાસે માતા-પિતા આદિની કુલપરંપરા—સંસ્કારપરંપરા ખરી જ; એની એક વૈયક્તિક ભાષાએ ખરી — ‘આત્માની માતૃભાષા’ થવાનું સામર્થ્ય દાખવતી. કવિની પાસે એ ભાષા બોલવાનો સ્વાદ લેતી જીભ ને બીજાના મુખે એવી ભાષા બોલાતી સાંભળવાનો કાન અને એનું હાર્દ પામવા માટેનું હૃદય — એ સર્વ પણ ખરાં જ. કવિમાં તો હૃદય-મન-શ્રવણ આદિની ભાષાનો અખિલાઈપૂર્વક સાક્ષાત્કાર કરવા માટેની એક સંગઠિત શક્તિયે ખરી. કવિ જ્યારે સર્જનની પ્રાણવંત ક્ષણોમાંથી પસાર થાય છે ત્યારે એના લોકોત્તર ભાવવિશ્વમાં — એના અલૌકિક આનંદસ્પંદમાં અને એ રીતે સર્વમાં હળીમળી ભળીગળી ગયેલો — સર્વાત્મભાવે પ્રગટેલો એક અનિર્વચનીય ભાવસંદર્ભરૂપ માત્ર બની રહે છે. આ જ કવિનું શેષ ને આ જ એનો વિશેષ! કવિનું કામ તો માનવની આનંદયાત્રાની સ્ફુર્તિલી સં-ગતિ ને પ્ર-ગતિમાં પરિણત થઈને રહેલું હોય છે. કવિ જે રીતે પોતાના શબ્દોમાં ઊઘડેલો—અવતરેલો કે આકૃત થયેલો હોય છે તે પણ અન્ય રસિક હૃદય સાથેના તેના અવિનાભાવિસંબંધ-યોગે કરીને જ. કવિનું પોતાનું કવિતાથી અલગ કોઈ નામઠામ હોતું નથી જ. કવિ એટલે જ એની કવિતા! ‘ફાઉસ્ટ'ની બહાર મળતા ગ્યૂઇથેનું આપણે શું કામ? આપણે તો ‘ફાઉસ્ટ'માં ઓગળી ગયેલા ગ્યૂઇથેને પામવાનો જ રોમાંચ હોય. કવિ એ વાતનો મર્મસંકેત આપતાં કહે છે, ‘નામ મારું ભાષામાં ઓગળી ગયું છે.’ પણ એવીયે સભાનોક્તિ શા માટે? કવિપંખી તો આ કાવ્યના અંતે કહે છે: વેઇટ્-એ-બિટ્!… છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે. આપણેય આ કવિની ઔપનિષદિક વાગ્લયના સંસ્કાર-સ્પર્શનું સ્મરણ કરાવે એવી મુક્ત છતાં સંયત એવી ઘૂંટાયેલી વિલક્ષણ લયાન્વિતિયુક્ત, તેજેઘડ્યા સંસ્કારદીપ્ત શબ્દસ્પંદે ફોરતી-મ્હોરતી, કલ્પનરસિત, વ્યંજનાગર્ભ, અરૂઢ સ્વરૂપયુક્ત વાણીનો — એમના પ્રજ્ઞાપ્રાસાદના સબળસંકુલ આલોકનો આસ્વાદ લેતાં, આપણને — આપણા નામનેય ઓગાળી દેતી આ શબ્દસંવિત-રચનાને આત્મસાત્ કરતાં, એના અંગે કહેવા જતાંયે પૂર્ણતયા-નિ:શેષપણે નહિ કહેવાયાનો મીઠો અસંતોષ છેવટે વ્યક્ત કરીને, સમુદાર મૌનનું શરણ સ્વીકારીને જ વિરમવું રહ્યું. ‘પંખીલોક', સમગ્ર કવિતા, બીજી આવૃત્તિ: ૧૯૮૧, પૃ. ૮૧૯-૮૨૪.