આલ્બેર કૅમ્યૂ/3

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આલ્બેર કૅમ્યૂ : એક નોંધ

માતાના મરણ પછી બીજે જ દિવસે દીકરો સમુદ્રમાં તરવાની મજા માણવા પડે, નવી છોકરી જોડે પ્રેમસમ્બન્‘ બાંધવાની પ્રવૃત્તિ આરમ્ભે ને રમૂજી ફારસ જોવા જાય; તાપ બહુ આકરો લાગતો હતો એટલા કારણસર એક આરબનું ખૂન કરી બેસે; ફાંસીને માંચડે ચઢતી વેળાએ પોતે સાવ સુખી છે એમ બે‘ડક જાહેર કરે ને પોતાને ફાંસીને માંચડે ચઢતો જોવા મોટું ટોળું એકઠું થયું હોય તો સારું એમ ઇચ્છે – આવા પાત્રને વિશે આપણે શું ધારીએ? કૅમ્યૂની પ્રખ્યાત નવલકથા ‘ધ આઉટસાઇડર’નો નાયક આ રીતે વર્તે છે. સૌથી પહેલી છાપ તો એ પડે કે આ સૃષ્ટિ કોઈ અનોખી જ સૃષ્ટિ છે; એમાં પ્રવર્તતાં મૂલ્યો પણ જુદા જ પ્રકારનાં છે. કૅમ્યૂનું કહેવું પણ એ જ છે. આ પાત્રને સમજવાને આ absurd શબ્દ ચાવીરૂપ છે. આ absurd માનવનું પ્રથમ લક્ષણ તે પોતે જે દુનિયામાં જીવે છે તેને વિશેની નિર્મમ ને સ્પષ્ટ સમજ. આ સમજનું સ્વરૂપ કેવું છે? એ વિશે The Myth of Sisyphusમાં વધુ વીગતે ચર્ચા કરી છે. આ absurdના બે અર્થ કૅમ્યૂ સૂચવે છે : એક તો જે અશક્ય કે અસમ્ભવ છે તે ને બીજો તે અસંગત કે પરસ્પરવિરોધી. આ અસંગતિનો ખ્યાલ એક તુલનાના પાયા પર ખડો કરવામાં આવે છે. એ તુલના તે જેને આપણે નરી હકીકત કહીએ છીએ અને જેને reality કહીએ છીએ તે બે વચ્ચેની તુલના. આ reality એટલે હકીકતોના નિરીક્ષણ પરથી વસ્તુસ્થિતિના સ્વરૂપ વિશેનો બાંધેલો એક સૈદ્ધાન્તિક ખ્યાલ. આ ખ્યાલ બાંધવાની પાછળ એ ખ્યાલની મદદથી હકીકતોને સારી રીતે સમજવાની આશા પણ રહી હોય છે. એ જ રીતે એક બીજા સ્વરૂપની તુલના પણ સમ્ભવે છે : હું જે કાર્ય કરું છું તે અને મારાં જેવાં અનેકનાં કાર્યોના પરિણામે મારી આગળ સ્પષ્ટ થતી આ દુનિયા વચ્ચેની તુલના. આ દુનિયા મારા કાર્યથી અતીત છે, એને એ હમેશાં અતિક્રમી જાય છે એનું મને સદા ભાન થાય છે. આ તુલના આ રીતે વિચ્છેદને અનિવાર્ય બનાવે છે. આ રીતે જોતાં અસંગતિ તે મનુષ્યમાં નથી કે જગતમાં નથી પણ એ બંનેની સહોપસ્થિતિમાં રહી છે. અથવા બીજી રીતે કહીએ તો આ અસંગતિના સમ્બન્‘થી જ મનુષ્ય અને જગત જોડાયેલાં છે. આ તુલના જ સમ્બન્‘ માત્રના પાયામાં રહેલા વિચ્છેદને પણ પ્રકટ કરે છે : જુદી જુદી ઘટના અને હકીકતોના ખડકલાને સળંગ સૂત્રમાં સાંકળી દેનારી એકતાને મનુષ્ય ઝંખે છે; પણ માનવમન અને એ જેને સમજવા ઇચ્છે છે તે કુદરત – આ બે વચ્ચેની પૃથક્તા, દ્વૈત ટાળી શકાય એમ નથી; મનુષ્ય અનન્તને ઝંખે છે પણ એના પોતાના અસ્તિત્વનો અન્ત તો નિશ્ચિત છે તે એ જાણે છે; પોતે એક લક્ષ્ય નક્કી કરીને એને સિદ્ધ કરવામાં મચ્યો રહેવા ઇચ્છે છે પણ આકસ્મિકતા, જીવન અને મરણનું ન ટાળી શકાય એવું દ્વૈત અને આ બધાંને કારણે જેને ‘યથાર્થ’ કહીએ તેની ધારણા બાંધવાની અશક્યતા જ આ લક્ષ્ય નક્કી કરવા દેતાં જ નથી. આ પરિસ્થિતિનું સ્પષ્ટ અને ઉત્કટ ભાન કૅમ્યૂના પાત્રને છે. કૅમ્યૂ એના ભાવકોમાં પણ આ પ્રકારની અસંગતિની, પાયામાં રહેલા વિચ્છેદની, ન ટાળી શકાય એવી પરસ્પરવિરોધિતાની સ્પષ્ટ સંવિત્તિ ઉપજાવી આપવાનું ઇચ્છે છે. એની નવલકથાનું આલેખન પણ એ આ હેતુને અનુકૂળ થઈ પડે એવી રીતે જ કરે છે. આપણે એક ઓરડામાં બેઠાં હોઈએ, એ ઓરડાની વચ્ચે કાચની પારદર્શી દીવાલ હોય તો એ દીવાલની બીજી બાજુની વ્યક્તિઓ શું કરે છે તે જોઈ શકીએ પણ એઓ શું બોલે છે તે સાંભળી નહીં શકીએ. આથી તેમનાં બધાં કાર્યોને વેરવિખેર રૂપે જ જોઈએ, એમાંથી કશા હેતુપુર:સરના વર્તનની સ્પષ્ટ છાપ ઉપસાવી ન શકીએ. કૅમ્યૂની નવલસૃષ્ટિની રચના આને મળતી છે. પેલી સ્પષ્ટ ને વિશદ સંવિત્તિ તે આપણી ને જગત વચ્ચેની પારદર્શી દીવાલ છે. એ બધું જ સ્પષ્ટ કરી આપે છે પણ એને જ કારણે આપણને ક્યાંય એકતા કે સંગતિ જણાતી નથી. શ્રદ્ધેય એવું જીવનદર્શન કે લક્ષ્યની સ્થાપના એથી કરીને અશક્ય બને છે. આ પરિસ્થિતિને જરા વધુ વિગતે તપાસીએ : છૂટક હકીકતોને કે ઘટનાઓને જોવી ને સમજવી સહેલી છે. પણ એને અતિક્રમીને રહેલા કશાક અર્થને પામવાની મનુષ્યને ઝંખના થાય છે. મનુષ્ય અને એની બુદ્ધિશક્તિ આજે જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં તો એને એવા કશા અર્થની પ્રાપ્તિ થઈ શકવાની નથી; ને છતાં હકીકતો પરથી કુદાવીને એવા અર્થ સુધી પહોંચાડવાના પ્રયત્નો ઇતિહાસમાં ઘણા થયેલા છે. મનુષ્ય સમાધાન શોધી લેવા તરફ વળે છે ને એ રીતે જેના પર પોતાનો વિશિષ્ટ અધિકાર છે તેવી અસંગતિની વિશદ સંવિત્તિને એ જતી કરે છે. મનુષ્યના જીવનમાં આવતું આ સૌથી મોટું પ્રલોભન છે. ઘણાં ‘ર્મો ને ફિલસૂફીઓમાં આ પ્રલોભનને મનુષ્ય વશ થયેલો દેખાય છે. આ પૈકી કૅમ્યૂ ક્યિર્કેગાર્દ, સાર્ત્રના અસ્તિત્વવાદ તથા હૂસેર્લની ફિનોમિનોલોજીનો ખાસ ઉલ્લેખ કરે છે. ક્યિર્કેગાર્દે બે અન્તિમો વચ્ચેના વિચ્છેદને ઉત્કટતાથી અનુભવે છે પણ એ વિચ્છેદના ભાનને માટે જવાબદાર બુદ્ધિના ત્યાગને એ મોટું સ્વાર્પણ લેખે છે. એના જીવનદર્શનમાં despair અનિવાર્ય છે ને એ જ પાપ છે કારણ કે જે ઈશ્વરથી વિચ્છેદ કરાવે તે પાપ; પણ કૅમ્યૂ તો કહે છે કે આ અસંગતિની સ્થિતિ તો ઈશ્વર વિનાનું પાપ છે – પણ પછી એને ‘પાપ’ કહેવાનો કાંઈ અર્થ છે ખરો? અસ્તિત્વવાદ પણ વિચારને નકારીને જ વિચારને અતિક્રમી જવાનું આત્મઘાતક વલણ અખત્યાર કરે છે. ફિનોમિનોલોજી આ વિશ્વને સમજાવવાનો પ્રયત્ન માથે લેતી નથી, એ તો વાસ્તવિક અનુભવનું વર્ણન માત્ર આપી છૂટે છે. જગતમાં કોઈ એક માત્ર એવું સત્ય નથી જેના વડે બધું સમજી લઈ શકાય; જગતમાં સત્યો છે. અહીં સુધી કૅમ્યૂને વાંધો નથી. પણ હૂસેર્લ કાળના પરિમાણની બહારના, જેને સમયના સાતત્યના આધારની જરૂર નથી એવા ેંસ્સ્ેંન્ચ્ેંની કલ્પના કરે છે. કૅમ્યૂને મન આ પણ આગળ કહેલા વિચ્છેદને ઠેકી જવાને મારેલો કૂદકો જ છે. બધી જ અનુભૂતિઓ, હકીકતો કે ઘટનાઓ એકસરખી સાર્થક કે નિરર્થક છે; એમાં ઉચ્ચતાનું તારતમ્ય સ્થાપવાનું ધોરણ ક્યાંથી ઊભું કરવું? ને એમ કરવાનું પ્રયોજન પણ શું? આપણી ચેતના જે હકીકત કે અનુભૂતિ કે ઘટના પર સ્થિર થાય છે તેને અજવાળે છે પણ એ બધીને કશાક સૂત્રમાં ગૂંથી લઈને કશા જ્ઞેય પદાર્થને ઉપજાવવાનું ને એને એ રૂપે તપાસવાનું કામ એનું નથી. પૃથક્ ખણ્ડોને સાં‘વાને માટેના કશા સિદ્ધાન્તને વચમાં લાવ્યા વિના, અનુભૂતિના જુદા જુદા ખણ્ડોને વર્ણવવાનો ને એ રીતે જાણવાનો પણ અનોખો આનન્દ છે પણ જો કોઈ આને માટે કોઈ બૌદ્ધિક ભૂમિકા ખડી કરવાની જફામાં પડે ને એ રીતે જ્ઞેય પદાર્થના ‘તત્ત્વ’ની ભાળ કાઢ્યાનો દાવો કરે તો તે કૅમ્યૂને મંજૂર નથી. આપણું મન એકતાને ઝંખે છે પણ આપણી સામે તો ખણ્ડખણ્ડમાં વહેંચાયેલું જગત છે. આ અસંગતિને સ્વીકાર્યે જ છૂટકો. આવા જગતમાં હું જે નિશ્ચિતપણે જાણી શકું છું, જેને હું નકારી શકું એમ નથી, જેને હું અવગણી કે ઉવેખી શકું એમ નથી તેનું મારે મન મહત્ત્વ છે. આ જગતનો એને અતિક્રમી જતો એવો કોઈ અર્થ હોય તો તેની મને ખબર નથી; ને એ વિશે હું આજની પરિસ્થિતિમાં તો કશુ જાણી શકું એમ નથી તે પણ નક્કી છે. તો એ પરિસ્થિતિ, મારા એ પરિવેશ કે સંદર્ભની હાર, પેલે પાર જો કોઈ અર્થ રહ્યો હોય તો તેને ને મારે શી નિસ્બત? હું તો માનવીના ઐહિક સંદર્ભમાં જ એ અર્થને જાણવાનો આગ્રહ રાખું છું. હું આ ખુરશીને જાણું છું કારણ કે મારો હાથ એને અડે છે ત્યારે એ બંને પોતાનું આગવું અસ્તિત્વ જાળવી રાખવાને પ્રયત્ન કરે છે. આ પ્રતિકાર જ આપણા જ્ઞાનનો પાયો છે. જે બધું એકરૂપ થઈ જાય છે તેનુ જ્ઞાન થયું એમ કહેવાનો ભાગ્યે જ કશો અર્થ છે. મનુષ્યની આ વિશિષ્ટ પ્રકારની સંજ્ઞા કે સંવિત્તિ જ એને વિશ્વમાં આગન્તુક કે બહારના માણસની કક્ષાએ મૂકી દે છે. વૃક્ષોમાં વૃક્ષરૂપ થઈને જીવવું કે પશુઓ વચ્ચે પશુ થઈને જીવવામાં આવી સમસ્યા ઊભી થતી નથી કારણ કે ત્યારે જગતમય થઈને જીવવાનું શક્ય છે. પણ આ સંવિત્તિ જ મને જગતની બહાર મૂકી દે છે – હું જગતમાં પર્યાપ્ત થઈને રહેતો નથી. આથી જ મારો અર્થ જગતની બહાર શોધવા હું પ્રેરાઉં છું પણ એવો કશો અર્થ મને પ્રાપ્ત થાય એમ નથી; આમ એ અર્થને પામ્યા વિનાનો હું જગતમાં છતાં જગતની બહારનો બની રહું છું. જે મને પૂરેપૂરું સમજાય તે જ હું કરું; જો આને અભિમાન રાખ્યાનું પાપ ગણો તો તેથી શું? અહીં પાપ જેવું કશું નથી. દુનિયામાં પાપી કોઈ નથી, બહુ તો એ કહી શકો કે બિનજવાબદાર લોકો છે. નરકની વાત કરીને બિવડાવશો તો એવી કોઈ વસ્તુની તો કલ્પના કરવાનીય મારામાં શક્તિ નથી. આવું વલણ રાખવાથી અમરતાનો અધિકાર ખોવા જેવું થાય છે એમ કહેશો તો ‘અમરતા’ જેવી સંજ્ઞાનો મારે મન કશો અર્થ નથી. પછી એને ખોવાની વાત જ ક્યાં રહે છે? જે કાંઈ અનિશ્ચિત છે, જે કાંઈ જાણી શકાતું નથી તેને ખાતર કશો કૂદકો મારવાની મારી તૈયારી નથી. એક અનુભૂતિને પૂરી જીવી લેવી, એનાં આગામી પરિણામોની કે એવા કશા હિસાબની ચિન્તામાં પડ્યા વિના એ અનુભૂતિને પૂરેપૂરી સ્વીકારીને જીવી લેવી તે જ મારે મન ઉચિત છે. જે બે અન્તિમોનો વિચ્છેદ થયો છે તેમાંના એકને નકારીને, જગતને મિથ્યા કહીને ને બ્રહ્મને સત્ય કહીને કે તેને જ સાચું માનીને ને બ્રહ્મને નકારીને – અસંગતિને ટાળીએ તો એ તો છટકી નાસવા જેવું થયું. પણ આપણે તો જીવવા ઇચ્છીએ છીએ, છટકી નાસવાનું નહીં. આમ આ જીવનરીતિમાં મનુષ્ય પોતે અને પોતા વિશેનું જ્ઞાન – એની વચ્ચેની દુર્બો‘તાને હંમેશાં દૂર કરવા મથે છે ને પેલી કાચની દીવાલના જેવી પારદર્શિતાને જાળવી રાખવાનો પ્રયત્ન જ ચેતનાને એક પ્રકારની ઉત્કટતા અર્પે છે. એમાં કોઈ મહત્ત્વાકાંક્ષા કે અભીપ્સાનો સવાલ નથી કારણ કે એને અન્તે કશું પામવાનો અહીં પ્રયત્ન જ નથી, એવા કશાની આશા પણ નથી. બે અન્તિમો વચ્ચેના વિચ્છેદને કૃત્રિમ રીતે સાંધીને સમાધાન કરનાર વૃત્તિ સામે બળવો કરવો અનિવાર્ય બની રહે છે. પરાણે કૂદકો કોઈ મરાવે તો તેની સામે બળવો જ કરવો પડે. આ બળવો પોતે જ એક મૂલ્ય બની રહે છે. જે લોકો પારદર્શી સૂઝથી ગભરાઈને આંખ પર આંધી ચઢાવે છે તેમની વાત જુદી; પણ જેઓ નરી આંખે જોવા ઇચ્છે છે તેમને એક વિરલ દૃશ્ય જોવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થાય છે : પોતાને ઉલ્લંઘી જતી એવી સત્તા સાથે બુદ્ધિ જ્યારે બાથ ભિડાવે છે ત્યારે એ દૃશ્ય જ બની રહે છે. માનવીય ગૌરવનું એ રોમાંચક દૃશ્ય છે. એ બુદ્ધિ કોઈની પાછી વાળેલી પાછી પડે એમ નથી. એમ કરવામાં એ પોતે પોતાના પર જે શિસ્ત ચલાવે છે, અભૂતપૂર્વ એવું જે સંકલ્પબળ પ્રકટાવે છે ને પછી જે જુદ્ધ જામે છે તે ખરેખર એક અસાધારણ વસ્તુ છે. એ સત્-તાને બુદ્ધિને હંફાવે એવે સ્થાને સ્થાપી હોય તે જ ઠીક, એવું ‘અમાનુષીપણું’ જ માનવને અનોખું ગૌરવ અર્પે છે. એ સત્-તાને જો એથી સહેજ પણ ન્યૂન બનાવીએ તો એટલે અંશે માનવી જ ઊણો બને. મને બધું જ સમજાવી દેનાર સિદ્ધાન્ત મને દરિદ્ર કરી મૂકે છે. કશાક સાથે અથડાવાનું આવે નહીં ત્યાં સુધી હું મારા શરીરની ગરિમાને પણ શી રીતે જાણું? ગુરુત્વાકર્ષણનું કામ જ એ છે ને! આમ કોઈ સિદ્ધાન્તનું શરણું લઈને અમરતાના આશ્વાસન સાથે મરવા કરતાં લડતાં લડતાં કશા આશ્વાસન કે સમાધાન વિના, બળવાની સ્થિતિમાં જ મરણને આવકારવું તે જ વધુ ઉચિત છે. આથી જ સ્વેચ્છાએ મરણને સ્વીકારવું ન જોઈએ. આ અસંગતિનું સદાજાગ્રત ભાન અને પારદર્શી સૂઝને જાળવી રાખવાને માટે ક્ષણે ક્ષણે ચાલતું યુદ્ધ absurd માનવીનાં લક્ષણો છે. આવા માનવીને મન મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થવાનો છે કે નહીં એ પ્રશ્ન જ અપ્રસ્તુત છે. એ પ્રત્યે એ સાવ ઉદાસીન છે. એવો પ્રશ્ન વિચારવો એટલે પોતાનો સ્વામી કોણ છે ને એ મુક્તિ ક્યારે આપશે એ વિચારવું એમ જ થયું ને! હું મારી મુક્તિ અનુભવી શકું છું. જો ઈશ્વરને સ્વીકારો તો પછી મુક્તિના પ્રશ્નની ચર્ચા નિરર્થક બની રહે છે; પછી ચર્ચવા જેવી તો એક જ વાત રહે છે અને તે વાત તે અનિષ્ટના અસ્તિત્વની. ઈશ્વર છે તો પછી અનિષ્ટ પણ કેમ છે? ક્યાં તો આપણે મુક્ત નથી ને સર્વશક્તિશાળી ઈશ્વર અનિષ્ટને માટે જવાબદાર છે એમ કહો અથવા આપણે મુક્ત ને જવાબદાર છીએ પણ ઈશ્વર સર્વશક્તિશાળી નથી એમ કહો! આ પ્રકારની જમાનાજૂની વિતણ્ડાથી આ યક્ષપ્રશ્નનો ઉકેલ નજીક આવ્યો નથી. મારી ઉપર આધિપત્ય ચલાવતી કોઈ સત્તા હોય તો તે મને કેવા સ્વરૂપની સ્વતન્ત્રતા આપી શકે તે હું કલ્પી શકતો નથી; ને એવી, એકની ઉપર એક એવી ચઢતી પાયરીનો ખ્યાલ જ મારા મનમાંથી નિર્મૂળ થઈ ચૂક્યો છે! કેદીને મળતી મુક્તિ કે વિચારનું સ્વાતન્ત્ર્ય ને વર્તનનું સ્વાતન્ત્ર્ય – આટલું મને સમજાય છે. અસંગતિનો સ્વીકાર શાશ્વત મુક્તિથી મને વંચિત કરે છે તો બીજી રીતે જોતાં મને અહીં વર્તનનું પૂરેપૂરું સ્વાતન્ત્ર્ય પણ બક્ષે છે; કારણ કે પછી મારે બીજા કોઈ ચઢિયાતા સ્વાતન્ત્ર્યની પેરવીમાં રહીને મારી જાત પર બન્‘ન લાદવાનું રહેતું નથી. જીવવાને માટેનું સ્વાતન્ત્ર્ય જ સત્યનો પણ પાયો છે પણ મૃત્યુ એને જ નકારે છે; ને આમ મૃત્યુ પોતે જ એક વાસ્તવિકતા બની રહે છે. અમરતાના આશ્વાસન વિનાની મુક્તિ કેવી હોઈ શકે? તો આ વાતને બીજી રીતે રજૂ કરીએ : હું અમુક સત્યની પરવા રાખું, અમુક રીતે જીવવાની કે સર્જન કરવાની કાળજી રાખું ને એ પ્રમાણે મારા જીવનને વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કરું; એમ કરવાથી એ જીવનનો કશો અર્થ છે એમ પુરવાર કરું તો એમ કરવાથી જ મારી જાતને માટેનાં બન્‘નનું નિર્માણ કરીને તેમાં મને પૂરી દઉં એ જ કહેવાય ને! જીવનમાં અમુક પ્રયોજન કે હેતુનો સ્વીકાર કરવો એટલે એને બન્‘ન પણ ગણવું ને એ અનુસાર જીવનને નિયન્ત્રિત કરવાની જરૂર પણ સ્વીકારવી; આમ માણસે પોતાની મુક્તિના જ ગુલામ બની રહેવું! ઈશ્વરમાં પોતાની જાતનું વિસર્જન કરી દઈને સા‘કો મુક્તિ પામે છે. સ્વેચ્છાએ સ્વીકારેલી આ ગુલામીમાંથી એમને એક ઊંડી સ્વતન્ત્ર નહીં, પોતાને માથે કશી જવાબદારી ન લેવી એમાં જ ગુલામની મુક્તિ રહેલી છે. આમ આપણે તો એક મર્યાદિત પણ પારદર્શી એવા જગતમાં રહેવાનું છે; એમાં આપણને બધું જ મળે છે પણ કશું જ શક્ય નથી; એની બહાર કેવળ શૂન્ય છે. ને છતાં આવા વિશ્વને સ્વીકારીને એમાં જ આપણે તો જીવવાનું છે; ખોટી આશાઓને નકારવાની છે ને કશાય આશ્વાસન વિનાની જિંદગી જીવવાનું ખમીર કેળવવાનું છે. આ અસંગતિને સ્વીકારનાર અનુભવોની ગુણવત્તા કરતાં અનુભવના પ્રાચુર્યને જ ઇચ્છે છે; કારણ કે ગુણવત્તાની ઈયત્તાને ધોરણની અપેક્ષા છે ને અસંગતિ કયું ધોરણ સ્વીકારે? દરેક અનુભવ એકસરખો મહત્ત્વનો ને માટે અદ્વિતીય છે. શ્રેષ્ઠ રીતે જીવવું એમ નહીં પણ ઉત્કટતાથી જીવવું. આ ઉત્કટતા અને અનુભવોનું પ્રાચુર્ય કે વૈવિધ્ય નહીં હોય તો ગુણવત્તાનાં મૂલ્યોનોય શો અર્થ? અમુક એક જ રીતિ સ્વીકારીને બેસી પડવું તે ખોટું છે. પરસ્પરવિરોધીતાનો અનુભવ કર્યા વિનાનુ જીવન વ્યર્થ છે કારણ કે આ વિરોધ જ વિકાસ સાધી આપે છે. આ વિચારણાના સંદર્ભમાં સર્જનપ્રવૃત્તિનું કૅમ્યૂને મન જે મહત્ત્વ છે તે હવે સમજવાનો પ્રયત્ન કરીએ. જીવનમાં જે છેડે પહોંચી શકાતું નથી, બે અન્તિમો વચ્ચેના વિચ્છેદને સ્વીકારી લેવો પડે છે તેને સાહિત્યસર્જનમાં દૂર કરી શકાય કારણ કે ત્યાં મૃત્યુ વચ્ચે આવીને દોર કાપી નાખતું નથી, ત્યાં છેલ્લે સુધી જવાની છૂટ છે. કલા માત્ર જેને આપણે જગતની વાસ્તવિકતા કહીએ છીએ તેને એને એ સ્વરૂપે સ્વીકારતી નથી પણ એનું પુનર્વિધાન કરે છે. આ રીતે કલા વાસ્તવિકતાનો નિષેધ પણ કરે છે ને એને સ્વીકારે પણ છે. વાસ્તવિકતામાં તો બધું જ વિશૃંખલ અને અરાજકતાથી ભરેલું હોય છે; કલાકાર એનું પુનર્વિધાન કરીને એમાં વ્યવસ્થા લાવે છે. આ પુનર્વિધાનને સમજવાના અનેક પ્રયત્નો થયા છે ને એ પૈકીના પ્લેટો વગેરેના પ્રયત્નોમાં આ પુનર્વિધાન તરફ શંકાની નજરે જોવામાં આવ્યું છે; તો કેટલાકે આ પુનર્વિધાનની પ્રવૃત્તિની ઉપયોગિતા સ્થાપી આપવાનો પણ પ્રયત્ન કર્યો છે. માર્ક્સવાદ આ રીતે કલાને સા‘ન તરીકે વાપરે છે. ને જ્યારે વાસ્તવિકતા પોતે જ સંતોષકારક બનશે ત્યારે એ પોતાનામાંથી અનોખું સૌન્દર્ય ઉપજાવશે. પછી સૌન્દર્યનું નિર્માણ કરવાને કલાની જુદી પ્રવૃત્તિની જરૂર પણ રહેશે નહીં. ત્યાં સુધી કલાએ ઇતિહાસને વશ વર્તીને રહેવાનું છે. આવા વલણની સામે કલાએ બળવો પોકારવાનો છે. અસંગતિનો શિકાર બનેલો માનવી કલા દ્વારા એક નવી સૃષ્ટિનું નિર્માણ કરીને સંગતિને સિદ્ધ કરવા મથે છે. આ દૃષ્ટિએ કૅમ્યૂને મન કલાનું મહત્ત્વ ઘણું છે. રાજકારણ અને સમાજ જે દુનિયા પોતાના સિદ્ધાન્તોથી રચવા ઇચ્છે છે ને જેમાં સદા નિષ્ફળ જાય છે તેની પડછે કલાકાર પોતાનું વિશ્વ રચે છે. આમ કરવામાં આજુબાજુના પરિવર્તનશીલ પરિવેશમાંથી પોતાના વિષયને છૂટો પાડવાનું જરૂરી બને છે; ને છતાં એ રીતે એને છૂટા પાડવાથી એ સ્થગિત ને જડ ન બને પણ એની સજીવતાને અખણ્ડ જાળવી શકે એ રીતે એનું નિર્માણ કરવાનું છે. આ રીતે કલા મરણશીલ નહીં એવા જીવનનું નિર્માણ કરે છે. આમ હેગલને અભીપ્સિત એવો વિશેષ અને સામાન્યનો સમન્વય કલામાં સિદ્ધ થાય છે. જે છે તેને એના એ સ્વરૂપે નહીં સ્વીકારવું એ બળવાનું પણ લક્ષણ છે. સર્જક, ખાસ કરીને નવલકથામાં, અસંગતિને સ્થાને સંવાદિતા અને સામંજસ્યને સ્થાપતી સૃષ્ટિ સરજે છે. પણ એનો અર્થ એ નથી કે આ કોઈ પ્રકારની પલાયનની વૃત્તિ છે. વળી આ સામંજસ્ય ને સંવાદિતાનું સ્વરૂપ પણ જુદું છે. પ્રચલિત મૂલ્યો સાથે તત્સમ થવું એવો એનો અર્થ નથી. આથી ઊલટું કૅમ્યૂ તો બે પ્રકારનાં સાહિત્યની વાત કરે છે : literature of rebellion અને literature of consent આપણા જમાનામાં બળવો બધી જ કક્ષાએ અનિવાર્ય બની રહ્યો છે ને કૅમ્યૂને મતે આ બળવો એટલે rejection of transcendental value – માનવીય સંદર્ભને અતિક્રમી જતાં પેલે પારનાં મૂલ્યોનો નકાર. આદિકાળમાં આવો નકાર પોકારતો બળવો હતો નહીં, વિશદ સંવિત્તિ હતી નહીં માટે કલ્પિત કથાસાહિત્ય(fiction)નું પ્રમાણ ઓછું હતું. આપણા જમાનામાં જ નવલકથાને એક ગમ્ભીર સાહિત્યપ્રકાર તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ છે. આ કાંઈ કાકતાલીય ઘટના નથી. પણ આજના બળવાની પાછળ કામ કરતી મનોવૃત્તિ અને નવલકથાના સર્જન પાછળ કામ કરતી મનોવૃત્તિમાં સામ્ય છે. પોતાની આગવી રીતે સંવાદી એવી સૃષ્ટિને રજૂ કરતી નવલકથાને જોશો તો આ વાત સ્પષ્ટ થશે. આપણી મર્યાદાઓને કારણે જે વાસ્તવિકતાનો કદી સમ્પૂર્ણ ખ્યાલ નથી આવવાનો તેને સ્થાને આ વાસ્તવિકતાનો, નવી ભૂમિકા ઉપર, સ્વીકાર થાય એવી સૃષ્ટિ અને એ રીતે પેલી મર્યાદાના પર વિજય મેળવવો એ આ નવલકથાના સર્જનની પાછળ રહેલું પ્રેરકબળ છે એમ કૅમ્યૂ માને છે. જીવનમાં પણ વાસ્તવિકતા સાથે મેળ બેસાડવા આપણે આપણું ને વાસ્તવિકતાનું નવવિધાન કર્યે જ જઈએ છીએ. પણ વચ્ચે મરણ આવીને બધું ખતમ કરી નાંખે છે. નવલકથામાં આ અન્તરાય નડતો નથી. જીવનમાં મરણને કારણે આવતી continuing incompleteness આપણને સમગ્ર અખણ્ડ દર્શનને પામવા પ્રેરે છે. આ રીતે જે ઘટનાઓને કે અનુભૂતિઓને વિશૃંખલ ને વિશ્લિષ્ટ સ્થિતિમાં રહેવાને કારણે જીવનમાં કશો અર્થ પ્રાપ્ત થતો નથી તેને નવલકથાકાર આગવા સંદર્ભો યોજીને સુશ્લિષ્ટતા અર્પે છે ને અર્થમય બનાવે છે. આ મુદ્દાને કૅમ્યૂ ફ્રેન્ચ નવલકથાકાર પ્રૂસ(Proust)ની નવલકથાની સાથે અમેરિકાની 1930ની આસપાસના ગાળાની નવલકથા સાથે સરખાવીને સ્પષ્ટ કરે છે. અમેરિકાની નવલકથામાં આ એકતા ને સુશ્લિષ્ટતા સ્થૂળ રીતે સિદ્ધ થઈ છે. એમાં પાત્રોના બાહ્ય વર્તનને જ વર્ણવવામાં આવે છે પણ એની પાછળ રહેલાં અનેક પરસ્પરવિરોધી સંકુલ આશયો ને બળોનું વર્ણન એમાં નથી. મનુષ્યનું આન્તરજીવન જ કેમ જાણે આ એકતાને સુશ્લિષ્ટતામાં અન્તરાયરૂપ હોય તેમ એને ટાળવામાં આવે છે. પણ કૅમ્યૂ જે બળવાની વાત કરે છે તેને તો આન્તરિક સંઘર્ષ જોડે સમ્બન્‘ છે. એને ટાળનાર સાહિત્ય ન્યૂન જ લેખાય. આથી અમેરિકાની એ સમયની નવલકથાએ supposedly average manનો pathological view pointથી પરિચય કરાવવામાં પોતાના કર્તવ્યની ઇતિ માની લીધી એમાં નવાઈ પામવા જેવું કશુ નથી. આ રીતે એ નવલકથામાંનો મનુષ્ય તે Man without memory છે. એ પ્રાકૃતિક આવેગોને જ જાણે છે. પણ પ્રૂસની નવલકથા જુદી જ દિશામાં જાય છે. એમાં તો વ્યક્તિના ભૂતકાળની અનુભવની સ્મૃતિની જ દુનિયા છે. એ આન્તરિક જીવનને જ નિરૂપે છે. પણ એનો અર્થ એ નથી કે એમાં બાહ્ય વાસ્તવિકતાનો નકાર છે. પણ પ્રૂસ પોતાની સર્જકપ્રતિભાના બળે એ બે વિશ્વોને અજબ રીતે ભેગાં કરીને એક નવા જ પ્રકારની એકતા સિદ્ધ કરે છે. એ ભૂતકાળનું એવી રીતે આલેખન કરે છે કે એ સમૃદ્ધ વર્તમાનકાળને રૂપે આપણી આગળ રજૂ થાય છે. આ રીતે શાશ્વતતાને પણ એક નવો માનવીય સંકેત પ્રાપ્ત થાય છે. કૅમ્યૂને મતે પ્રૂસની નવલકથા તે મૃત્યુ અને મનુષ્યને જીવનપટ પરથી ભૂંસી નાંખનાર બળ પરના વિજયની કથા છે. હમણાં હમણાં કલાએ મનુષ્યના જીવનને સમગ્રતયા નિરૂપવાને બદલે એના નિષેધનો માર્ગ અખત્યાર કરવા માંડ્યો છે. આથી એ શુદ્ધ રૂપની આગ્રહી બની છે પણ એમાં કોઈ પણ પ્રકારના યાથાર્થ્યની સ્વીકૃતિ નથી. કેવળ સ્થૂલ વાસ્તવિકતાનું યાન્ત્રિક અનુકરણ કરનારા વલણથી બીજે છેડેનું આ વલણ છે. આ બંને વલણો કૅમ્યૂના મતે સાચી સર્જક પ્રતિભાનાં વિરોધી છે. વાસ્તવિકતાના નવા સ્વરૂપને ઘડવાની અદમ્ય ઇચ્છા એ કલામાં રહેલું સાચા બળવાને ઉપકારક એવું તત્ત્વ છે. કલાકાર સાક્ષી તરીકે જીવે છે કે કેમ એવા પ્રશ્નના જવાબમાં કૅમ્યૂએ કહેલું કે એવો કશો ભાગ ભજવવાનું મને અભિમત નથી. આ જમાનામાં કલાકારને કોઈ સાક્ષી તરીકે દૂર બેસી રહેવા દે એમ જ નથી, એ ગમે તેટલો દૂર હોય તોય બધા એને ઘસડી આણે છે. આજે તો યાતના ગુજારવાનાં સા‘નો સૂક્ષ્મ બન્યાં છે ને યાતનાનું સ્વરૂપ પણ બદલાયું છે. આથી કલાકારને પોતે અમુકના પક્ષમાં છે કે વિરુદ્ધમાં છે તે જાહેર કરવું જ પડે છે. કૅમ્યૂ પોતાને વિરોધીઓના દળમાં મૂકે છે. પણ સાથે કબૂલ કરે છે કે આજે ન્યાય ચૂકવનાર ને અપરાધીનાં સ્થાનોની ઊલટપલટ ફેરબદલી એટલી તો ઝડપી થઈ જાય છે કે ન પૂછો વાત! માનવી પોતાના પતનની સામે જે રીતે ઝૂઝી રહ્યો છે તેનું સાચું બયાન આપવાનો કૅમ્યૂએ પ્રયત્ન કર્યો છે. ઇતિહાસને શિરે બધાં કૃત્યોની જવાબદારી નાંખી દેવી તે અક્ષમ્ય બિનજવાબદારી છે. કલાકાર કલાકાર તરીકે દુનિયાના મામલામાં કદાચ હસ્તક્ષેપ ન કરે પણ કલાકાર માનવી તરીકે તો એથી શી રીતે દૂર રહી શકે? આખી દુનિયામાં લાખ્ખો યન્ત્રણા સહન કરનાર મૂક લોકો વાચા પામવા ઇચ્છે છે ને જે કોઈની પાસે શબ્દો છે તેની એમને જરૂર છે. એ પીડિતોનાં હૃદયના ભારેલા મૌનના સમ્પર્કમાં રહેનાર સંવેદનશીલ માનવીઓની આજે સૌથી વિશેષ જરૂર છે. દુનિયા વિનસ ને એપોલોનાં શિલ્પોથી અલંકૃત બને તે કૅમ્યૂને ગમે છે; પણ આપણી નજર સામે જેની દરરોજ અવમાનના થાય છે ને જેમને દરરોજ અધોગતિને પંથે નીચે ને નીચે ગબડાવવામાં આવે છે તેની પણ ઉપેક્ષા શી રીતે થાય? આવી પરિસ્થિતિમાં મૌન પાલવે નહીં. પણ આનો અર્થ એમ નથી કે કોઈ સામાજિક નીતિના પ્રચારને ખાતર કલાનો ભોગ આપવો. પણ મનુષ્યસહજ સમભાવથી જો આપણે દુનિયાના જીવાતા જીવનમાં હસ્તક્ષેપ કરીશું તો તેની આપણામાંના કલાકાર પર પણ અસર તો પડવાની જ; આપણી ભાષા પર પણ એની અસર પડવાની જ. આપણે એકસાથે યાતના ને સૌન્દર્યને સેવવાનાં છે. સર્જકે કડવાશને હંમેશાં ટાળવાની છે. કલાકારે પોતે સૌથી જુદો છે ને અળગો છે એવું અભિમાન સેવીને પોતાની આજુબાજુ એકાકીપણું પણ ઉપજાવવાનું નથી. માટે જ કૅમ્યૂ કહે છે : One of the temptations of the artist is to believe himself solitary, and in truth he hears this shouted at him with certain base delight. But this is not true. He stands in the midst of all, in the same rank, neither higher nor lower, with all those who are working and struggling.’ કૅમ્યૂની વિચારણામાં રહેલી નિર્ભીકતા ને વિશદતા એને આજના એક સમર્થ ચિન્તકની કોટિમાં મૂકી દે છે. એની સર્જનાત્મક પ્રવૃત્તિનો આ વિચારણાના સંદર્ભમાં પરિચય કરવો જોઈએ.