ઉમાશંકરનો વાગ્વૈભવ/નિબંધ/શિવ સંકલ્પ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩. શિવ સંકલ્પ

‘ઉઘાડી બારી’નો અનુગામી એવો આ લઘુલેખોનો – લઘુનિબંધોનો સંગ્રહ છે. આ સંગ્રહમાં ઉમાશંકર કર્મયોગ, અધ્યાત્મ અને પ્રકૃતિપ્રેમ, કેળવણી, વિજ્ઞાન અને સાહિત્ય, લોકશાહી, ભારત અને જગત-રંગ — આ ક્ષેત્રોની વિચારણા આપે છે. પોતાના દેશકાળ સાથેનો ઉમાશંકરનો જે સંવેદનાત્મક સંબંધ, તેના સુભગ પરિણામરૂપ આ ચિંતનલેખો છે. શબ્દની સાથે કામ પાડનારને વાસ્તવમાં તો વિશ્વ સમસ્તના આંતરબાહ્ય ચૈતસિક પ્રવાહો સાથે કામ પાડવાનું બની આવે છે. શબ્દમાં વ્યાપવા માગનારને માનવજીવનમાં અનેક ક્ષેત્રોમાં વ્યાપવું અનિવાર્ય બની જાય છે. આ રીતનું વ્યાપનકર્મ, કહો કે એવો વ્યાપનધર્મ ‘ઉઘાડી બારી’માં આપણે જોઈ શકીએ છીએ ને એ આ ‘શિવ સંકલ્પ’માંય જોવા મળે છે. ઉમાશંકરે ‘સંસ્કૃતિ’ના તંત્રી તરીકેના દાયિત્વભાન સાથે આ લેખો લખ્યા છે. ઉમાશંકર વ્યષ્ટિની સત્તાની માન-અદબ જાળવતાં, અનિવાર્યતયા સમષ્ટિ સાથેના એના સંવાદ-સંબંધના ચિંતનમાં સરી પડે છે. વ્યષ્ટિના સમષ્ટિ પ્રત્યેના ધર્મનાં ચિંતા-ચિંતનનો તાર આમાં ઠીક ઠીક રણકતો જણાય. તેઓ આ લેખોમાં `¨सहचिन्तनम् करवावहै' – જેવો ઉપક્રમ પણ રચતા લાગે ! એમના સંવાદ-ધર્મનો સંચાર અહીં પણ પ્રતીત કરી શકાય. ઉમાશંકરે સંસ્કૃતિના પહેલા અંકના પહેલા લેખમાં તે વખતની ઘડીને ‘ઘરના ચણતરમાં મોભ ચઢાવવાની ઘડી’[1] તરીકે ઓળખાવી અને એ રીતે શિવસંકલ્પવાન્ થવાની અનિવાર્યતા પણ આપણને ચીંધી. જે અમૃતતત્ત્વ પ્રજાઓમાં રહેલું છે એ વધુમાં વધુ પ્રગટ થાય એની ખેવના એમણે રાખી. આ રીતે ઉમાશંકરે શબ્દ દ્વારા એ શિવસંકલ્પનાં બળ-વિસ્તાર વ્યક્તિ-સમષ્ટિ ઉભયમાં વધે એમ તાક્યું. ઉમાશંકરને મન કવિનો શબ્દ તે સંસ્કૃતિનો શબ્દ, શિવસંકલ્પનિષ્ઠ એવો શબ્દ હોવાનુંયે આપણે તારવી શકીએ. ઉમાશંકર ભારતના સ્વાતંત્ર્યોપલબ્ધિના સમયને એક પ્રકારના આહ્વાનનો સમય લેખે છે. એ આહ્વાન રાષ્ટ્રીય કરતાં જાગતિક હોવાનું તેમને વધારે જણાય છે.[2] રેનેસાં-સાંસ્કૃતિક પુનરુત્થાનના કાળ સુધી વિશ્વના કેન્દ્રમાં ઈશ્વર હતો, ત્યાર પછી એને સ્થાને મનુષ્ય આવ્યો. યંત્ર-ઉદ્યોગનો યુગ બેસતાં સમૂહ-માનવ સંસ્કૃતિના કેન્દ્રમાં આવ્યો. તે પછી ટૅક્નૉલૉજીના વિકાસ સાથે સંસ્કૃતિના કેન્દ્રમાં યંત્રમાનવ હોવાનું લાગ્યું.[3] આમ યંત્રમાનવના પ્રવેશ સાથે મનુષ્ય પોતે જાણે પદભ્રષ્ટ થયાનું અનુભવે છે. કાર્યક્ષમતાના એકમાત્ર મૂલ્યનું વર્ચસ એ અનુભવે છે અને તે સામે કંઈક કરવાપણું એને માટે જરૂરી બની જાય છે. એ જે કંઈ કરવાનું છે તે વ્યક્તિને નજર સમક્ષ રાખીને કરવાનું રહેશે. ઉમાશંકરની દૃષ્ટિએ કટોકટીની સ્થિતિ મનુષ્યજીવનમાં આવ્યાં કરે એથી કશું આશ્ચર્ય નથી. એ કટોકટીને પહોંચી વળવામાં મનુષ્ય કેવો કામયાબ નીવડે છે એ જ આશ્ચર્યનો વિષય હોઈ શકે. ‘ગમે તેવી વિષય કટોકટી (‘ક્રાઇસિસ’)નો જવાબ માણસ’ હોવાનું તેમનું મંતવ્ય છે.[4] ‘કટોકટીનો જીવતો જવાબ બની જવાની સાધના’[5] – એને જ તેઓ મનુષ્યત્વની; મનુષ્યત્વની જ નહિ, દિવ્યતાની, આધ્યાત્મિકતાની સાધના લેખે છે. ઉમાશંકરને મનુષ્યની ઉપર્યુક્ત સાધનામાં શ્રદ્ધા છે, ને એવી સાધનાએ કદાચ આજના સમાજજીવનની સંકુલ રચનામાં ધર્મતત્ત્વની આત્મ-સ્થાપના વધુમાં વધુ પ્રસ્તુત હોવાનું તેઓ અનુભવી રહ્યા છે. તેઓ લખે છે :

“આપણે જે જુદા જુદા ધર્મોને ઓળખીએ છીએ તેઓની કશી આળપંપાળ વગરનું, બહારનાં ચિહ્નો વગરનું એક જાતનું નર્યું ધર્મતત્ત્વ અત્યારે જગતમાં પ્રસ્થાપિત થવા મથી રહ્યું છે, કહો કે ભાવી કોઈ નવા ધર્મના પાયા નંખાઈ રહ્યા છે.” (શિવ સંકલ્પ, પૃ. ૧૪)

તેમની દૃષ્ટિએ “સૌ ધર્મને જિવાડતો અધ્યાત્મમાર્ગ એ જ આવતીકાલનો માર્ગ છે.”[6] ઉમાશંકર અધ્યાત્મગોત્રવાળા જે મહાપુરુષો છે તે સર્વમાં અસૂયાશીલતાનો અભાવ જોતા જણાય છે. એવા ગાંધીજી, શ્રીઅરવિંદ જેવા મહાપુરુષો સત્+શ્રદ્ધાશીલ હોય છે. એવા મહાનુભાવોનું તો જીવન મહાજીવન હોય છે. ગાંધીજીના મહાજીવનની વાત કરતાં ઉમાશંકર એમના જીવનમાંની ‘મરજીવવાની પ્રક્રિયા’[7] નો નિર્દેશ કરે છે. તેઓ રાજકારણનુંયે વિષ કાઢી નાખવા મથતા ગાંધીજીના ‘સત્યકારણ’[8]નો ઉલ્લેખ કરે છે. આ સત્યકારણ જીવન જીવતાં થતા સત્યના અનુભવો પર આધારિત છે. સર્વત્ર સત્યને પામવા પ્રયત્ન કરનાર વ્યક્તિને ‘इशावास्यम् इदम् सर्वम् ।’ – એની પ્રતીતિ થવાની જ. દરેક નશ્વર પદાર્થમાં જે શાશ્વત ઈશતત્ત્વ છે તે જ તેની અમૃતતાની પ્રતીતિ આપે છે. આ અમૃતતાનો આસ્વાદ ઇતિહાસ પણ આપી શકે એવી ઉમાશંકરની સમજ જણાય છે. આ અમૃતતાની પ્રતીતિ જ મનુષ્યને સ્વસ્થતા – સમતા બક્ષતી હોય છે. ઉમાશંકર મનુષ્યની આનંદતત્ત્વની સાધનાને પુરસ્કારે છે. શ્રમને અંતે આનંદનો અનુભવ કરાવનાર ઉત્સવોના તેઓ હિમાયતી જણાય છે.[9] આ ઉત્સવો મનુષ્યને આનંદ આપવા સાથે તેમની ચેતનાના ઊર્ધ્વીકરણમાંયે સહાયભૂત થઈ શકે છે. આ ઉત્સવના આનંદ સાથે વેદનાનોય અનુભવ તેમને છે. “अब के भी दिन बहार के यूं ही गुजर गये ।” – એ કહેવાવારો આવે એવી પરિસ્થિતિઓના તેઓ જાણતલ છે;[10] પણ આવી જાણકારી મનુષ્ય-જીવનમાંની અમૃતતા વિશે તેમને વધુ દૃઢશ્રદ્ધ કરે છે. આ અમૃતતાની શ્રદ્ધા જ તેમને માનવજીવનના ચિંતનમાં ક્યાંય હતાશા તરફ પ્રેરનારી નહીં, પરંતુ ભરપૂર આશાવાદ તરફ દોરી જનારી બની રહે છે. ઉમાશંકર “सर्वे कर्मवशा वयम्” – એ મનુષ્યસ્થિતિ વિશેની સ્પષ્ટ સમજ ધરાવે છે, પણ તેથી તેમની પુરુષાર્થનિષ્ઠા ઘટતી નથી, બલકે વધે છે. રંતિદેવની જેમ જેનાથી સૌ જીવો દુ:ખરહિત થાય એવા ત્યાગ-પુરુષાર્થને તેઓ બિરદાવે છે. સૌ પ્રાણીઓનાં દુ:ખ દૂર કરવાની વૃત્તિ-પ્રવૃત્તિમાં તેઓ અમૃતત્વની જ આરાધના જોતા જણાય છે.[11] ઉમાશંકર આત્મજ્ઞાન સાથે જ વિજ્ઞાન-યોગનાયે સમર્થક જણાય છે. આત્મજ્ઞાન અને વિજ્ઞાન વચ્ચે વિરોધ નહીં, પણ બંને વચ્ચે એકબીજાનો સમર્થક-પોષક-વિકાસક એવો સંવાદસંબંધ જુએ છે. તેઓ આઇન્સ્ટાઇનને ટાંકીને ધર્મ તેમ જ વિજ્ઞાનની પરોપકારકતાનું દર્શન-સૂચન આપી રહે છે.[12] આઇન્સ્ટાઇન સાથે ગાંધીજીને મૂકવામાં વિજ્ઞાનના પ્રયોગોની પડછે ગાંધીજીના સત્યના પ્રયોગોને સ્મરવામાં[13] ઉમાશંકરની જીવનને અખિલાઈના સંદર્ભમાં જોવાની દૃષ્ટિ જ કારણભૂત છે. : “બહુ દઈ દીધું, નાથ ! જા, ચોથું નથી માગવું.”
(સમગ્ર કવિતા, બીજી આ., 1981, પૃ. 721)
ઉમાશંકર વર્તમાન યંત્રવિજ્ઞાનયુગમાં સાહિત્ય, કલા ઇત્યાદિની આવશ્યકતા કે પ્રસ્તુતતા જરાયે ઓછી થઈ માનતા નથી ને તે બરોબર છે. માનવજાતને હૃદયનું જે ડહાપણ જોઈએ છે તે સાહિત્યમાંથી મળવાની એમની માન્યતા છે.[14] ઉમાશંકર લોકઘડતરના સંદર્ભમાં રંગભૂમિનીયે ઉપયોગિતા બરોબર બતાવે છે. તેઓ લોકકેળવણીના પ્રશ્નોનો લોકશાહીના સંદર્ભમાં વિશેષભાવે વિચાર કરે છે. શિક્ષણનું કાર્ય એ ‘ચેતનની ખેતી’ છે;[15] એમાં લણણી જીવનની છે. તેઓ પ્રાથમિક કેળવણીને ‘લોકશાહીના ધરુ’ તરીકે ઓળખાવે છે.[16] એ રીતે તો લોકશાહી કેળવણીના એક સ્વાભાવિક પરિપાકરૂપ પણ લેખાય. ઉમાશંકર માણસને પલટવાનો રસ્તો સમજાવટમાં, કેળવણીમાં, પ્રેમમાં જુએ છે. તેઓ બધી મહાસમસ્યાઓનો ઉકેલ કેળવણીમાં રહેલો માને છે.[17] આમ કેળવણીને મનુષ્યના વિકાસમાં અત્યંત મહત્ત્વનું પરિબળ લેખતા હોવાથી તેઓ બાળકેળવણીમાંયે ‘ઉત્તમમાં ઉત્તમ માનવમાળીઓ’[18] જાય એમ વાંછે છે. તેમને મતે સક્રિય ગતિશીલ રહીને (‘ડાઇનૅમિકલી’) જીવનસાધના કરનાર શિક્ષકો જ સમાજના ગુરુપદને શોભાવી શકે એ સ્પષ્ટ છે. તેઓ કેળવણીને એકલા માણસનું કામ ગણતા નથી. “આપકેળવણી પણ એકલા એકલા પૂર્ણ રીતે થઈ શકતી નથી.”[19] – આ તેમનો અભિપ્રાય છે. તેઓ અધ્યાપકનું અધીત તેજસ્વી હોય એમ ઇચ્છે છે, કેમ કે ‘સ્વાધ્યાય-કૂવામાં જેટલું હશે તેટલું પ્રવચન-હવાડામાં આવશે.’[20] – એમ તેઓ માને છે. તેઓ વિશ્વવિદ્યાલયોમાં સંસાર જ મોટી વસ ન થઈ બેસે એ માટે ચિંતા સેવે છે.[21] ઉમાશંકરને સમાજવાદ, સામ્યવાદ આદિ સર્વ વિચારધારાઓમાંથી ગાંધી વિચારધારા જ વધુ અનુકૂળ આવી છે. જે દૃષ્ટિથી ‘વિશ્વશાંતિ’ સર્જાયું તે દૃષ્ટિ સમયના વહેવા સાથે વધુ સ્થિર બની જણાય છે. એક જાતનો ‘ગાંધી-સમાજવાદ’ વર્તમાન સમયમાં અપનાવ્યા વિના આરો નથી એમ તેઓ માનતા જણાય છે.[22] એક બાજુ અમેરિકા અને બીજી બાજુ રશિયા – એ બે સામસામા છેડાની વિચારસરણીઓ વચ્ચે સમન્વયનિષ્ઠ મધ્યમ માર્ગ જો કોઈ આપી શકે એમ હોય તો તે ભારત છે અને એ વિશે ઉમાશંકરના મનમાં ઊંડી શ્રદ્ધા – પ્રતીતિ જણાય છે.[23] સ્વતંત્રતા ને સમાનતા પછી બંધુતાનો પ્રશ્ન આવે છે અને તે હલ કરવામાં ગાંધીજીનું ભારત સ્વાભાવિકતયા જ નેતૃત્વ લઈ શકે એમ છે.[24] ઉમાશંકર સ્વતંત્રતા, સમાનતા ને બંધુતા – આ ત્રણેય મૂલ્યોનો સમન્વય ચાહે છે. એમની દૃષ્ટિએ સમાનતા વગર સ્વતંત્રતા અધૂરી છે તો બંધુતા વગર સમાનતા અલૂણી છે. આ બંધુતાના મૂળમાં ગાંધી-નિર્દિષ્ટ અહિંસાધર્મ રહેલો છે. સત્ય અને અહિંસાનાં મૂલ્યો જ રાજકારણમાં પ્રવેશતાં અનુક્રમે ‘સત્યાગ્રહ’ અને ‘સર્વોદય’ સ્વરૂપે પ્રગટ થાય છે એમ ઉમાશંકર દર્શાવે છે.[25] તેઓ વિશ્વસમસ્તનો ભાવિ શ્રેયોમાર્ગ આ સત્ય-અહિંસા પર નિર્ભર હોવાનું માનતા જણાય છે. તેમની દૃષ્ટિએ સત્યઅહિંસાનો ગાંધી-ચીંધ્યો રાહ જ માનવજાતને માટે વધુમાં વધુ કલ્યાણકર એવો વાસ્તવિક માર્ગ છે. એ રાહ દેખાય છે લાંબો, પણ છે ટૂંકામાં ટૂંકો. આપણો સ્વાતંત્ર્યોત્તર સમય નવનિર્માણ માટેની ઉજ્જ્વલ તક પૂરી પાડતો હોઈ ઉમાશંકરને એ ‘સુવર્ણની ઘડી’-રૂપ જણાય તો તેમાં નવાઈ નથી. જો પૂરી જવાબદારી ને શાણપણથી વર્તવામાં આવે તો આ દેશમાં એક નમૂનેદાર લોકશાહીનું વાતાવરણ સર્જવા માટેની પૂરતી ભૂમિકા છે. ઉમાશંકર વર્તમાન સમયની આપણી નિષ્ફળતાઓની જવાબદારી કોઈ એક રાજકીય પક્ષ પર નહિ લાદતાં, તેમાં બધા જ સમજદાર ગણાતા માણસોની જવાબદારી લેખે છે. ઉમાશંકર ઇચ્છે છે કે સમાજનું નેતૃત્વ કરનાર વર્ગ વધુ નિ:સ્પૃહ હોય, તે અર્થદાસત્વના ભાર તળે અંતરના અવાજને ન કચડતો હોય. તે વધુમાં વધુ અપરિગ્રહી હોય, સામાજિક ન્યાયની તીવ્ર ખેવનાવાળો હોય. ઉમાશંકર અત્યાર સુધીની આપણી સ્વાતંત્ર્યોત્તર વિકાસકૂચમાં ખાસ કરીને ત્રીજી ચૂંટણીના સંદર્ભમાં, સામાન્ય શિક્ષણ પામેલી અથવા નહિ પામેલી જનતાએ – અલ્પવિકસિત પ્રજાએ જે વિચાર-પ્રૌઢિ દાખવી છે તેની પ્રશંસા કરે છે.[26] તેઓ લોકશાહી-સાધનાના જ ઉપકર્મરૂપે બંધુતાના વિકાસની અને તદનુષંગે માનવ-જગતની એકતાની વાત પ્રસ્તુત કરે છે. ‘અમે’ નહીં, પરંતુ ‘આપણે’ની ભાવના વિકસતી – વિસ્તરતી ‘હું ગુર્જર ભારતવાસી’ જ નહીં, ‘હું ગુર્જર વિશ્વનિવાસી’ – એ આત્મપ્રતીતિ સુધી સંવેદનાને બઢાવે એ જરૂરી છે. ઉમાશંકરનું – ‘વિશ્વશાંતિ’ના જ ઉમાશંકરનું વ્યક્તિત્વ અહીં આ ‘શિવ સંકલ્પ’માં ફરી એક વાર વધુ પ્રૌઢિયુક્ત પરિવેશમાં આપણે પામતા હોઈએ એવું જણાય છે. ‘શિવ સંકલ્પ’માં માનવ-સંસ્કૃતિના અસ્તિત્વ તથા વિકાસ માટેની ચિંતા પ્રબળતાએ અનુભવાય છે. વિશ્વશાંતિ, વિશ્વસંવાદ તરફ બધી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું લક્ષ્ય જાય એ એમની વાંછના છે. ઉમાશંકર માનવ-અસ્તિત્વની બુનિયાદમાં અહિંસા, સંવાદ, સ્નેહનાં તત્ત્વો જોનારા છે. તેથી તેઓ લોકશાહી જેવી વ્યવસ્થાના મૂળમાંયે અહિંસા જુએ તો તેમાં નવાઈ નથી.[27] તેમના મતે “અશાંતિ એ અશ્રદ્ધાનો જ પડઘો છે.”[28] એ શાશ્વત સ્થિતિ નથી ને તેથી સ્પૃહણીય પણ ન હોય. શાંતિની સાધનામાં જ મનુષ્યતાની સાર્થકતા છે. મનુષ્યનું આવતીકાલનું સુખ આ શાંતિ પર જ નિર્ભર છે. ઉમાશંકર ભારતીય સંસ્કૃતિના અસ્તિત્વ તરીકે પણ શાંતિપ્રિયતા, સંવાદનિષ્ઠા અને સમન્વયલક્ષિતાને નિર્દેશે છે. આ શાંતિની સાધના શબ્દાદિ કળાઓ દ્વારા પણ થાય છે ને એ રીતે આ સાધનામાં સર્જનાત્મકતા સારા પ્રમાણમાં અનુભવાય છે. તેઓ શાંતિના પ્રયત્નોમાં પ્રગટ થતા નેતૃત્વને ‘સર્જનાત્મક’ કહે તો તે સમજી શકાય એમ છે. ઉમાશંકરે ‘શિવ સંકલ્પ’માં જાગ્રત નારીશક્તિ, ઉચ્ચ શિક્ષણ સાથે સંલગ્ન રાષ્ટ્રભાષાનો પ્રશ્ન, શિક્ષકો ને રાજકારણ — આવા આવા કેટલાક પ્રશ્નો વિશેય વિચાર્યું છે. તેઓ રાષ્ટ્રધ્વજના પ્રતીકની સમજણ આપવાનું; અર્જુનની કૃષ્ણ-પરાયણતાના બળનો કે કૃષ્ણના પાંચજન્યના રહસ્યનો ખ્યાલ આપવાનુંયે કાર્ય કરે છે. પૌરાણિક સંદર્ભોમાંથી આજના યુગધર્મના અનુલક્ષમાં અર્થઘટનો આપવાનો ઉપક્રમ પણ કેટલીક વાર તેઓ રચે છે. આ બધું કરતાં ઉમાશંકરનો સંસ્કૃતિનિષ્ઠ શબ્દસર્જનરસ અવારનવાર પ્રતીત થયાં કરતો હોય છે. એ સર્જનરસ ‘ધર્મોનું અધ્યાત્મગોત્ર’, ‘વત્સદૃષ્ટિ’, ‘મરજીવવું’, ‘ચેતનની ખેતી’ જેવા વિશિષ્ટ શબ્દ-પ્રયોગોએ અપાયેલાં લેખ-શીર્ષકોમાં વરતાય છે. શેક્સપિયરનું કૉલર કે વાયોલિનના સૂરનો વિશિષ્ટ સંદર્ભમાં અહીં વિનિયોગ થાય છે ને તેમાંય એ સર્જનરસ જોઈ શકાય. આ લઘુનિબંધોમાં ઉમાશંકરનું કવિહૃદય અવારનવાર એનો ઉછાળ પ્રગટ કરે છે. ઉમાશંકરની સર્જનપ્રતિભાનો – કવિપ્રતિભાનો ઉન્મેષ પ્રગટ કરતા અનેક શબ્દપ્રયોગો – વાક્યપ્રયોગો, ગદ્યખંડકો અહીં મળે છે. ‘વત્સદૃષ્ટિ’માં ‘શું કહ્યું તમે ?’ – એ રીતની ઉક્તિલઢણથી જાણે આપણી સાથે પ્રત્યક્ષ વાતચીતમાં ઊતરતા હોય એ રીતની કથનરીતિ તેઓ અજમાવે છે.[29] ‘દિવાળી’માં તેઓ “દિવાળી એટલે ઊજળી અમાસ, દિવાળી એટલે માનવસર્જી પૂનમ, માનવજીવનમાં આનંદની પૂનમ” એમ વાક્છટાયુક્ત વાણીમાં દિવાળીનો પરિચય આપે છે.[30] ‘જ્ઞાનપંચમી’ ‘લાભપંચમી’ને ‘જ્ઞાનલાભપંચમી’માં સમન્વિત કરવામાંયે એમનો પ્રતિભા-ઉન્મેષ જોઈ શકાય.[31] બાળકોની કીકીઓમાં સત્યયુગની, સત્યયુગ કરતાંય અદકી શક્યતાઓ ચમકી રહેલી જોવામાં તેમની સંવેદનશક્તિ કારણભૂત છે એમ કહી શકાય.૬૫ ગુજરાતની સીમારેખાની વાત કરતાં ‘સમુદ્રરેખા લક્ષ્મીની રેખા છે, તો તે ગિરિરેખા ગરીબીની રેખા છે” – એમ નિરૂપણ કરવામાં નિરીક્ષણ-સંવેદન સાથે એમની ભાષાશક્તિનોયે પરિચય થાય છે. “એ અલૂણો કોળિયો પ્રેમનો કોળિયો હતો, ભારે અલૂણો હતો.” (પૃ. ૧૦૧), “રાજ્યકર્તા પક્ષ સાંખ્યયોગ (જડ સંખ્યાબળ) પર મદાર બાંધીને બેફામ જીવવા ટેવાયો છે.” (પૃ. ૧૧૩), “આ બધાનો લાભ લેવા સામ્યવાદી પક્ષ આંખમાં તેલ આંજીને ટાંપીને ઊભેલો જ છે.” (પૃ. ૧૨૧) – જેવાં વાક્યોમાં એમનો શબ્દરસ જોવો મુશ્કેલ નથી. ઉમાશંકર ક્યાંક કટાક્ષો – વિનોદની વાણીયે યોજતા હોય છે. (દા.ત., પૃ. ૫૧, ૫૭, ૬૧, ૬૩–૬૪ વગેરે.) તેમના ‘હિમાલય-મોટી મજાક’ (પૃ. ૬૮), ‘દ્વેષઉકાળ’ (પૃ. ૬૯), ‘જંગલભાવ’ (પૃ. ૯૧), “પ્લુતિપ્રકાર ગુણાકાર” (પૃ. ૧૧૨), ‘ધગધગતી તમન્ના’ (પૃ. ૧૬૦) જેવા શબ્દપ્રયોગોનીયે સાર્થકતા સહૃદયો પ્રમાણે જ. ઉમાશંકર તળપદી ઉક્તિલઢણોથી માંડીને આલંકારિક ઉક્તિપ્રયોગો સુધીનું વૈવિધ્ય એમના ગદ્યમાં સિદ્ધ કરે છે. તેમની સમર્થ ગદ્યકારની પ્રતિભા આ લેખોમાં સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે. આ સંગ્રહ ‘ઉઘાડી બારી’ સાથે જ વાંચવો રહ્યો. ‘ઉઘાડી બારી’ અને આ સંગ્રહનો અભ્યાસ કરનારને ચિંતક ઉમાશંકરની શક્તિપ્રતિભાનો મર્મ ઠીક ઠીક સમજાશે. ઉમાશંકર ભારતીય સર્જક છે. ભારતીયતાના પુરસ્કર્તા એવા સંસ્કૃતિ-વિચારક છે, યુગધર્મપરિપાલન કરવાના ઉત્સાહથી વૈશ્વિક પ્રવાહો સાથે સંપર્ક જારી રાખવા મથનાર સભાન શબ્દોપાસક છે. સમષ્ટિનિષ્ઠ, વ્યષ્ટિસ્વાતંત્ર્યવાદી, કલાધર્મસભાન એવા ઉમાશંકર કલા અને કલાકારના દાયિત્વ બાબત કેવા ને કેટલા ઉન્નત ખ્યાલો સેવે છે તેની માર્મિક સમજ આ લખાણોમાંથીયે મળી રહે છે. તેઓ કલાકારનો શબ્દ શિવ-સંકલ્પપ્રેરિત હોય એમ વાંછનારાઓમાંના એક છે ને આ સંગ્રહ એની સબળ ગવાહી આપી રહે છે.



  1. શિવ સંકલ્પ, ૧લી આવૃત્તિ, પૃ. ૩.
  2. એજન, પૃ. ૫.
  3. એજન, પૃ. ૧૩૪.
  4. શિવ સંકલ્પ, પ્રથમ આવૃત્તિ, પૃ. ૮.
  5. એજન, પૃ. ૮.
  6. એજન, પૃ. ૧૫.
  7. એજન, પૃ. ૨૧.
  8. એજન, પૃ. ૧૦.
  9. શિવ સંકલ્પ, પૃ. ૩૨.
  10. એજન, પૃ. ૩૬–૩૭.
  11. એજન, પૃ. ૨૮–૨૯.
  12. એજન, પૃ. ૫૪.
  13. શિવ સંકલ્પ, પૃ. ૫૫.
  14. એજન, પૃ. ૭૩.
  15. એજન, પૃ. ૪૧.
  16. એજન, પૃ. ૪૪.
  17. એજન, પૃ. ૪૬.
  18. એજન, પૃ. ૪૨.
  19. એજન, પૃ. ૫૮–૫૯.
  20. એજન, પૃ. ૫૮.
  21. એજન, પૃ. ૪૯.
  22. શિવ સંકલ્પ, પૃ. ૨૨.
  23. એજન, પૃ. ૯૬.
  24. એજન, પૃ. ૧૫૫.
  25. એજન, પૃ. ૧૨૪.
  26. શિવ સંકલ્પ, પૃ. ૧૧૮.
  27. શિવ સંકલ્પ, પૃ. ૧૨૨.
  28. એજન, પૃ. ૧૪૩.
  29. શિવ સંકલ્પ પૃ. ૧૮.
  30. એજન, પૃ. ૩૩.
  31. એજન, પૃ. ૩૫.