એકોત્તરશતી/૫૧. સમવ્યથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સમવ્યથી(સમવ્યથી )

કીકો ન થતાં જો હું કુરકુરિયું થયો હોત—તો રખેને તારી થાળીના ભાતમાં હું મોં ઘાલવા આવું એ બીકે શું તું મને મના કરત? સાચું કહે, છેતરતી નહિ મા! તું શું મને કહેત : ‘હઠ હઠ હઠ! ક્યાંથી આવ્યું આ કૂતરું?' જા, મા, તો જા, મા! મને તારા ખોળામાંથી ઉતારી મેલ? હું તારા હાથનું ખાવાનો નથી, હું તારી થાળીમાં ખાવાનો નથી! કીકો ન થતાં મા, જો હું તારું પોપટપંખી થયો હોત તો રખેને હું ઊડી જાઉં એ બીકે શું તું મને સાંકળે બાંધી રાખત? સાચું કહે, મને છેતરતી નહિ મા! તું શું મને કહેત : ‘અભાગિયું પંખી સાંકળ તોડી થાપ આપી ઊડી જવા ચાહે છે.’ તો મને ઉતારી મેલ મા! મારા પર વહાલ ન કર! હું નહિ રહું તારા ખોળામાં, હું વનમાં જ જતો રહીશ. સપ્ટેમ્બર, ૧૯૦૩ ‘શિશુ’

(અનુ. રમણલાલ સોની)