ઓખાહરણ/સંપાદક-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સંપાદક-પરિચય

ડૉ. હૃષીકેશ રાવલ (જ.૮.૩.૧૯૬૯) એક અધ્યયનશીલ, ઉદ્યમી અને વિદ્યાર્થીપ્રિય અધ્યાપક ઉપરાંત સારા નાટ્યલેખક, નાટ્યવિવેચક, મધ્યકાલીન તથા સંતસાહિત્યના સંશોધક-સંપાદક પણ છે. અત્યાર સુધીમાં તેમણે સંશોધન-સંપાદનનાં ૧૦ જેટલાં પુસ્તકો આપ્યાં છે. એ પૈકી ઘણાં વિવિધ સાહિત્યક સંસ્થાઓ દ્વારા પુરસ્કૃત થઈને પોંખાયાં પણ છે. છેલ્લાં ૨૩ વરસોથી તેઓ પાલનપુરની જી.ડી.મોદી આર્ટ્‌સ કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક રૂપે સેવારત છે. વળી, છેલ્લા કેટલાક સમયથી ગુજરાત-સમાચાર દૈનિકની બુધવારની ‘શતદલ’ પૂર્તિમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કૃતિઓની સમીક્ષાઓ કરતી કોલમ લખતા રહ્યા છે. અહીંની તથા કેટલીક વિદેશની યુનિવર્સિટીઓમાં આયોજિત પરિસંવાદોમાં એમણે પ્રતિનિધિત્વ કર્યું અને શોધપત્રો રજૂ કર્યાં છે. તદુપરાંત એમણે એક કુશળ ઉદ્‌ઘોષક અને કાર્યક્રમના સંચાલક રૂપે પણ નામના મેળવી છે. નાટકા તેમજ ધારાવાહિકોમાં અભિનય કરીને ત્રણેકવાર રાજ્યકક્ષાના શ્રેષ્ઠ અભિનેતાના પુરસ્કારથી પણ તે સન્માનિત થયા છે. આમ, અનેક દિશાઓમાં સતત પ્રવૃત્ત રહેવા છતાં મિતભાષીપણું એ એમના સ્વભાવની ખાસ વિશેષતા રહી છે. ડૉ રાજેશ મકવાણા
સેન્ટ્રલ યુનિવર્સિટી, ગાંધીનગર