કંદમૂળ/યાયાવર પક્ષીઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
યાયાવર પક્ષીઓ

કાતિલ ઠંડીથી બચવા
સાઇબીરિયાથી કચ્છ જતાં
પ્રવાસી પક્ષીઓનાં ખરી રહેલાં પીંછાં
હવામાં ઊડતાં જઈ પડે છે
અજાણ્યા પ્રદેશોમાં.
અજાણી ભૂમિઓની પૂજનીય લોકવાયકાઓ જેવાં
એ વિદેશી પીંછાં,
બદલે છે રંગ
સ્થાનિક સ્થળના સ્થાનિક આકાશ પ્રમાણે
અને એ પ્રદેશો પરથી દૂર ઊડી ગયેલાં
એ યાયાવર પક્ષીઓનાં
પીંછાં વગરનાં
હળવાફૂલ શરીર
ખાલી ખાલી ઊડ્યા કરે છે
બમણી ગતિએ.
અમસ્તા આકાશોમાં.