દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ, ‘કાકાસાહેબ’ (૧-૧૨-૧૮૮૫, ૨૧-૮-૧૯૮૧) : નિબંધકાર, પ્રવાસલેખક. જન્મ મહારાષ્ટ્રના સતારામાં. મરાઠીમાં પ્રાથમિક શિક્ષણ પૂના, શાહપુર, બેલગામ, જત, સાઘનુર અને ધારવાડ વગેરે સ્થળેથી લઈને ૧૯૦૩માં મૅટ્રિક. ૧૯૦૭માં પૂનાની ફર્ગ્યુસન કૉલેજમાંથી ફ્લિૉસૉફી વિષય સાથે બી.એ. ૧૯૦૮માં એલએલ.બી.ની પ્રથમ વર્ષની પરીક્ષા. ૧૯૦૮માં બેલગામમાં ગણેશ વિદ્યાલયમાં આચાર્ય. ૧૯૦૯માં મરાઠી દૈનિકમાં. ૧૯૧૦માં વડોદરાના ગંગનાથ વિદ્યાલયમાં. ૧૯૧૨માં વિદ્યાલય બંધ થતાં હિમાલયના પગપાળા પ્રવાસે ૧૯૧૫થી શાંતિનિકેતનમાં. ૧૯૨૦થી ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રાચીન ઇતિહાસ, ધર્મશાસ્ત્ર, ઉપનિષદો અને બંગાળીના અધ્યાપક. અહીં ગુજરાતી જોડણીકોશનું કામ એમણે સંભાળેલું. ૧૯૨૮માં વિદ્યાપીઠના કુલનાયકપદે. ૧૯૩૪માં વિદ્યાપીઠમાંથી નિવૃત્તિ. ૧૯૩૫માં ‘રાષ્ટ્રભાષા સમિતિ’ના સભ્યપદે રહી હિન્દી ભાષાના રાષ્ટ્રીય કક્ષાએ પ્રચારનું કાર્ય. ૧૯૪૮થી ગાંધી સ્મારક નિધિ, મુંબઈમાં અને ૧૯૫૨થી એ દિલ્હીમાં ખસેડાઈ ત્યારે દિલ્હીમાં સ્મારક નિધિના કાર્યમાં જીવનનાં છેલ્લા દિવસો સુધી વ્યસ્ત. દશેક વખત કારાવાસ ભોગવેલો અને પાંચેક વખત વિદેશપ્રવાસ ખેડેલો. ૧૯૫૨માં રાજ્યસભામાં સંસદસભ્ય તરીકેનો ૧૯૫૩માં ‘બેકવર્ડ કલાસ કમિશનના પ્રમુખ તરીકે તેઓ નિયુકત થયેલા. ૧૯૫૯ના ગુજરાતી સાહિત્ય પરિષદના વીસમા અધિવેશનના પ્રમુખ. ૧૯૬૪માં ‘પદ્યવિભૂષણ’નો ઇલ્કાબ અને ૧૯૬૫નું સાહિત્ય અકાદેમી, દિલ્હીનું પારિતોષિક. ‘હિમાલયનો પ્રવાસ’ (૧૯૨૪), ‘બ્રહ્મદેશનો પ્રવાસ’ (૧૯૩૧), ‘પૂર્વ આફ્રિકામાં’ (૧૯૫૧), ‘શર્કરાદ્વિપ અને મોરેશિયસ’ (૧૯૫૨), ‘રખડવાનો આનંદ’ (૧૯૫૩), ‘ઊગમણો દેશ’ (૧૯૫૮) એ એમના પ્રવાસગ્રંથો છે. સ્થળની સૂક્ષ્માતિસૂક્ષ્મ ખાસિયતો અને સ્થળસંદર્ભે ચિત્તમાં જાગતાં સ્મૃતિસાહચર્યોને તેઓ આલેખે છે, પરિણામે આ પ્રવાસગ્રંથની સામગ્રી માત્ર માહિતીમૂલક લેખો ન બની રહેતાં નિબંધનું રૂપ ધારણ કરે છે. ‘સ્મરણયાત્રા’ (૧૯૩૪) આત્મકથા ન બનતાં શૈશવના પ્રસંગોને આત્મનેપદી શૈલીમાં ૨જૂ કરતી સંસ્મરણકથા બની રહે છે. ‘બાપુની ઝાંખી’ (૧૯૪૬) અને ‘મીઠાને પ્રતાપે’ (૧૯૫૫) જેવા ગ્રંથો બાપુની પૂર્ણરૂપના જીવનચરિત્રવિષયક ગ્રંથનું સ્વરૂપ ધારણ ન કરતાં જીવનચરિત્ર માટેની શ્રદ્ધેય વિષયસામગ્રી પૂરી પાડતા ગ્રંથો બની રહે છે. ‘ધર્મોદય’ (૧૯૫૨)માંથી કાકાસાહેબની ધર્મભાવના અને શ્રદ્ધાનું રૂપ દૃષ્ટિગોચર થાય છે. ‘શ્રી નેત્રમણિભાઈને’ (૧૯૪૭), ‘ચિ. ચંદનને’ (૧૯૫૮) અને ‘વિદ્યાર્થિનીને પત્રો’(૧૯૬૪)માં તે તે વ્યક્તિઓને લખેલા એમના પત્રો સંગ્રહિત છે. એમણે, ગાંધીજીએ જુદી જુદી વ્યક્તિઓને લખેલા પત્રોનાં છએક જેટલાં સંપાદનો પણ તૈયાર કરેલાં. ‘પ્રાસંગિક પ્રતિસાદ’ (૧૯૭૦) એ એમની ડાયરીના અંશો ધરાવતી ડાયરી શૈલીની નોંધોનો સંગ્રહ છે. અહીં ચરિત્રાત્મક સાહિત્યનાં આત્મચરિત્ર, જીવનચરિત્ર જેવાં સ્વરૂપો ગૌણસ્વરૂપે, તો પત્રો અને ડાયરી જેવાં ગૌણસ્વરૂપે મુખ્યરૂપે એમની પાસેથી પ્રાપ્ત થાય છે. એમનું ચિંતનાત્મક લખાણ સંસ્કૃતિ, કલા અને સાહિત્ય – એમ ત્રિવિધ ક્ષેત્રે વહેંચાયેલું છે. ‘ઓતરાતી દીવાલો’ (૧૯૨૫), ‘જીવતા તહેવારો’ (૧૯૩૦), ‘જીવનસંસ્કૃતિ’ (૧૯૩૬), ‘જીવનભારતી’ (૧૯૩૭), ‘ગીતાધર્મ’ (૧૯૪૪), ‘જીવનલીલા’ (૧૯૫૬), ‘પરમસખા મૃત્યુ’ (૧૯૬૬)માંથી એમનું સંસ્કૃતિચિંતન તેમ જ ‘જીવનનો આનંદ’ (૧૯૩૬), ‘જીવનવિકાસ’ (૧૯૩૬), ‘અવાર નવાર’ (૧૯૫૬), ‘જીવનપ્રદીપ’ (૧૯૫૬), ‘રવીન્દ્રસૌરભ’ (૧૯૫૬), ‘ગુજરાતમાં ગાંધીયુગ’ (૧૯૭૦) ઇત્યાદિ ગ્રંથોમાંથી એમનું કળા અને સાહિત્યવિષયક ચિંતન પ્રાપ્ત થાય છે. એમના સાહિત્યચિંતનમાંથી સાહિત્યનાં પ્રયોજન અને કાર્ય, સાહિત્યની કસોટી, શક્તિ અને સફળતા વિશે, સાહિત્ય અને નીતિ, જીવન મૂલ્ય વગેરે વિશેના વિચારો મળે છે. શૃંગાર, વીર, કરુણ વગેરે રસોની શક્તિ અને કાર્ય વિશે એમણે કરેલી પરીક્ષા તથા પ્રશિષ્ટ ગ્રંથોના સેવનની એમણે કરેલી હિમાયત આજે પણ એટલી જ પ્રસ્તુત અને ઉપયોગી છે. એમના વિપુલ સાહિત્યમાંથી કેટલાક વિચારપ્રધાન, લલિત અને અંગત નિબંધોનાં પણ સુંદર ઉદાહરણો મળે છે. એમનું મોટા ભાગનું સાહિત્ય શિક્ષણ અને પત્રકારત્વની કામગીરીની નીપજરૂપ છે. એમણે પત્રકારત્વક્ષેત્રે જે પ્રદાન કર્યું છે તેનું ઘણું મૂલ્ય છે. પ્રારંભમાં ૧૯૦૯માં લોકમાન્ય તિલકના મરાઠી પત્ર ‘રાષ્ટ્રમત'માં સેવાઓ આપેલી. પછી ૧૯૨૨થી ‘નવજીવન’માં જોડાયેલા. એમણે લખેલા તંત્રીલેખો તથા ‘શિક્ષણ અને સાહિત્ય’ની વિષયસામગ્રી ધ્યાનાર્હ બની રહે એ કોટિની છે. ૧૯૩૬થી ‘ભારતીય સાહિત્ય પરિષદ’ના હિન્દી મુખપત્ર ‘હંસ’ના સંચાલનમાં એમણે સેવાઓ આપેલી. હિન્દીના પ્રચારાર્થે ‘વિહંગમ’માં સંપાદકપદે પણ રહેલા. ૧૯૩૭થી ગાંધીવિચારધારાના પ્રચારાર્થે ‘સર્વોદય’ શરૂ કરેલું. ૧૯૪૮માં એમણે મંગલપ્રભાત’ શરૂ કરેલું, જે ૧૯૭૫ સુધી ચાલેલું. ગુજરાતી ઉપરાંત હિંદી અને મરાઠી ભાષામાં પણ એમણે પત્રકારત્વની કામગીરી કરી છે. એક નીડર અને મૂલ્યનિષ્ઠ પત્રકાર રહીને એમણે પ્રકાશિત કરેલી સામગ્રીને કારણે એમને અનેક વખત કારાવાસની સજા થયેલી. ગાંધીયુગીન ગુજરાતી સાહિત્યમાં કાકાસાહેબનું સ્થાન સીમાસ્તંભ કોટિનું છે. જીવનવાદી કલામીમાંસક-વિચારક કાકાસાહેબનું ગદ્ય ગુજરાતી ગદ્યના વિકાસમાં મહત્ત્વનું પ્રદાન કરે છે. એમને ‘સવાઈ ગુજરાતી’ સર્જક તરીકેનું બિરુદ આ કારણે જ મળેલું. ભાવ, ભાષા અને અભિવ્યક્તિ સંદર્ભે એમના નિબંધોનું ઊંચું મૂલ્ય અંકાયું છે. બ.જા.