કાવ્યમંગલા/ધ્રુવપદ ક્યહીં?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ધ્રુવપદ ક્યહીં?
(શિખરિણી)


ભમંતાં કાવ્યોનાં મધુવન વિષે ઉત્સુક કવિ
મહા વાગ્મીશોની અજબ કવિતા–કુંજ–સુરભિ
લહી, માણી, એને અણુ અણુ મનીષા ઉર ઉઠી,
રસે સત્-સૌન્દર્યે સભર રચવા કુંજ ગરવી.

અને જ્યારે વ્યોમે શશિયર હતો સહેલ કરતો,
નિકુંજે પોઢેલો ક્વચિત કુજતો કોકિલ વળી,
જુઈનાં પુષ્પોની સુરભિ વહતો વાયુ મધુરી,
તદા આછા ઘેરા કવિ કવનના સૂર સ્મરતો.

મથ્યો એ આકાશી વિભવ ઉડુના હાથ કરવા,
ધરાના ગર્ભોના પ્રકૃતિ–મનુ–સૃષ્ટિ અખિલના ૧૦
રસો, ઊર્મિકેન્દ્રો, બલ હૃદય–આલંબ ગ્રહવા,
લણી સૌ સત્યોને મૃદુ કવનમાં ગૂંથી ભરવા.

પછી જૂના પંથે કવિજનતણા એહ પળિયો,
ગ્રહ્યા તે આલંબો જહીં રસ સ્ફુર્યો’તો કવિ ઉરે,
જુદું એને તો રે અવળું પડિયું સર્વ નજરે,
મહા એ આઘાતે કવિ શિથિલ થૈ હા લથડિયો.

મટ્યાં એને કાજે, મધુવન, દવાગ્નિ શું પ્રજ્ળ્યો,
પ્રહર્ષો જીવ્યાના, કલકલ સ્વરો સૃષ્ટિભરના
વિરામ્યા, સૂકાઈ નવરસભરી કુંજકવિતા,
અને તે હૈયેથી કરુણ રસ ઘેરો તહીં દ્રવ્યો ૨૦

અરે, મેં માનેલું જગત ક્યમ ગન્ધર્વનગરી
સમું આ લોપાયે, કવન મૃદુ, સંગીત મધુરાં
        શમે પૃથ્વી કેરા પવન ઉમટી રુદ્ર રણના
ખિલંતી મારી આ કવિત કરમાવે છળ કરી.

રસો મેં કલ્પેલા જગતપટમાં મૂર્ત સમજી,
અહં મારાની ચોગમ જગતનું ગુંફન કરી,
ઉગાડ્યાં મેં જે જે ગગનકુસુમો કલ્પન ભરી,
શું મેં મારી સૃષ્ટિ નિયતિ અનુસારે જ સરજી?

વસે ના ક્યાં યે રે કવિમગજનાં કલ્પિત સુખો,
ન તેવાં સંસારે અબુધ કવિનાં કલ્પિત દુઃખો ૩૦
ઘણા ગાઈ બેઠા અતિ–અસમ–ભાવે જગત આ,
ન કોઈએ કીધે કમળ પૃથિવીમાંહિ હસતાં.

નથી તારાઓથી ખચિત સહુ દિક્‌પ્રાન્ત શમવા
મનુષ્યોનાં નેત્રે – ચકિત કરવા કે – વિલસતા,
નથી સૂર્યો ચન્દ્રો કમળકુમુદો કાજ બનિયા,
ગ્રહો ના નિર્માયા મનુજગણભાવ્યર્થ ભમવા.

નથી આ પૃથ્વીની પ્રકૃતિ લલિતા, રુદ્ર, ઋતજા,
સમુદ્રો, શૈલેશો, સરિતકુલ, ગાઢાં વન બહુ,
પશુ, પક્ષી, પ્રાણી, કુસુમ, તરુઓ, ઔષધિ વળી,
મનુષ્યી ભાવોના જડ શું પ્રતિબિંબો સમ સ્રજ્યાં. ૪૦

છિપાવે કૂજીને નહિ રસતણી કોકિલ તૃષા,
મયૂરોની કેકા નહિ પરમ કો પ્રેમલગની,
નથી રે માણંતાં સુખ પરમ પંખી પશુ સદા,
ફરે ત્યાં યે રાતા નખ પ્રકૃતિના રક્તતરસ્યા.

ગુલાબો ખીલંતાં નહિ નુરજહાં–સ્નાન બનવા,
ન ચંપો કેસૂડો અલક-રમણાર્થે છ વિકસ્યા,
લતા આંબે બાઝી નહિ જ કવિતાલંકૃતિ થવા,
વનશ્રી ખીલી ના ફલક પર હા ચિત્રિત થવા.

લતાનાં લાલિત્યો, કુસુમસુરભિરંગ ગરવાં,
ફળોનાં બાહુલ્યો, તરુવરઘટા, કુંજરમણા, ૫૦
અરણ્યો ખીણોની પ્રકૃતિ સુભગા, સુન્દરતમા,
ન સૌ નિર્માયાં કેવલ મનુજને મોદ ધરવા.

સુખો આનંદોથી સ્થળ ન સ્થિતિ એકે કદી ભરી,
ન પૂર્ણત્વે કોઈ પટ પૃથિવીને મંડિત થયું,
સમગ્રા યોજેલી પ્રકૃતિરચનાના અવયવો
જુદા પાડી, તેમાં સુખ લહવું, એ મૂઢપ નરી.

નથી આ વિશ્વોએ લઘુ મનુજના ક્ષુદ્ર મનના
શમાઈ સંચામાં ઉચિત નિયત સ્થાન ગ્રહવું,
અનાદિ મંડાયા નિયતિકૃત સૃષ્ટિક્રમ વિષે,
મનુષ્યે પોતાનું સ્થળ સમજવું થૈ જ અદના. ૬૦

અરે, મારી ભોળી શિશુક કવિતાને હજી નથી
મળ્યું એનું સાચ્ચું ધ્રુવપદ, ભમે આજ અટુલી
સુગ્રંથ્યા વિશ્વોમાં બસુર સ્વરથી, કાવ્યઘડુલી
મહા સત્યાબ્ધિમાં સ્થિર તરણ અર્થે રહી મથી.

ઉકેલી વિશ્વોની ગહન લિપિ સામંજસવતી,
સુયોજ્યા સંસારે સ્થળ મનુજનું સત્ય નિરખી,
પ્રતિ પ્રાણીનાં જીવનજલતણાં વ્હેણ પરખી,
મહા શ્રદ્ધા–શબ્દે કવીશ કવિતા ઓજસવતી.

ચલો હાવાં, મારી મધુર કવિતા, દૂર ભ્રમથી,
તળે સત્યાબ્ધિને ડુબકી દઈએ તત્ત્વ ગ્રહવા,
અસત્યાકાંક્ષી જો હઈશું, લય ત્યાંહે જ બનશું,
મળ્યાં જો મોતી તો રચશું નવલી પ્રાણપગથી.

કવી આવું ધીરે કવન કવિએ ભગ્ન હૃદયે,
કર્યા વીણાતારો શિથિલ, વચનો સંહૃત કર્યાં,
અને સૂકી કુંજે રસજગતના શ્રાન્ત મુરછ્યો,
શશી સ્હેલાણી યે ક્ષણ વિરમિયો ચિત્ત સદયે.

(૩૧ જાન્યુઆરી, ૧૯૩૩)