કાવ્યમંગલા/સંજીવની

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સંજીવની
(ખંડ શિખરિણી)

તજેલી માયાઓ,
મહેચ્છા છાયાઓ,
મરેલી કાયાઓ,
પુનરપિ બધી જીવિત થતી;
સુકેલી ડાળીઓ અભિનવ સુપત્રો પ્રગટતી,
અહા, મારી વાડી નવકુસુમથી આજ લચતી,
સુરભિપવનોથી બહકતી,
મધુકરરવે આર્દ્ર બનતી,
ઉષા અંગે અંગે નભપટતરંગે વિહરતી.
અહો જેને છોડ્યાં,
મનો જ્યાંથી મોડ્યાં,
વછોડ્યાં જ્યાં હૈયાં,
હૃદય સરસાં આવી ઠરતાં,
ઉવેખ્યાં વૈરાગ્યે પ્રણયભરતીએ ઉભરતાં,
તજ્યું જે તે આજે કરમહીં પડે આવી સહસા,
ભવન ભવને સ્નેહવરષા,
હસતી વરસે સુન્દરરસા,
ચકોરોના દાઝ્યા અમરત પિયે દેહ તરસ્યા.
(જુલાઈ, ૧૯૩૦)