કાવ્યાસ્વાદ/૨૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૮

અમેરિકી કવિ જોહ્ન એશ્બરીની કવિતા હમણાં નજરે ચઢી, એથી આહ્લાદક રોમાંચ થયો. દરેક કવિ સત્યનું નવું દર્શન કરાવે છે. સત્ય એટલું વિરાટ છે કે આપણે હંમેશાં એના નવા રૂપના દર્શનથી વિસ્મિત થવાને તત્પર રહેવું જોઈએ. કવિએ પણ સત્યના નવા નવા આવિષ્કાર, શૈલીના નવા આવિષ્કારો કરતા રહેવું જોઈએ. એશ્બરી કહે છે કે મનને અનેક પ્રકારના સંસ્કારો, અધ્યાસો, પૂર્વગ્રહોથી ખચોખચ ભરી દઈને જગત પાસે જાઓ તો જગતને વસવાની, પ્રકટવાની જગ્યા જ ક્યાં છે? સાર્ત્ર કહે છે તે આ સન્દર્ભમાં મને સાચું લાગે છે. આપણે હૃદય, મન અને આત્મા એવા ચેતનાના જુદા જુદા અંશોને ઓળખાવીએ છીએ. વાસ્તવમાં આપણી ચેતના એટલે જગતને અભિમુખ થવાની ક્રિયા – a turning towards someting. ચેતનાને પોતાની કોઈ આગવી સામગ્રી હોતી નથી. એ શૂન્યાવકાશ જેવી જ હોય છે. સાર્ત્ર એને માટે શતરંજના પટનો દાખલો આપે છે. જો એ પટ ખાલી હોય તો જ એમાં પ્યાદાં ખસે. એશ્બરી એની એક કવિતામાં કહે છે કે શૂન્ય મનની લગભગ રિક્ત એવી આત્યન્તિક સાદાઈને આપણે જગતના પ્રાચુર્ય જોડે અથડાવા દઈએ, નવ આદિમતાવાદી ચિત્રકાર રૂસોના ચિત્રમાં હોય છે તેવા વિષુવવૃત્તનાં ગાઢ અરણ્યની નિબિડતા સાથે એની ઇચ્છાવાસનાની શાખાપ્રશાખાને વિસ્તરવા દઈએ, બે શ્વાસ વચ્ચેના અવકાશને જે કહેવું હોય તે કહેવા દઈએ – આપણે ખાતર નહિ, પણ બીજાને ખાતર – બીજાઓ આપણને સમજવા ઇચ્છે છે એટલા ખાતર જો આટલું કરીએ તો પછી એ લોકો તમને સમજી લઈને બીજાદ્વ સંક્રમણનાદ્વ કેન્દ્રો તરફ વળી જઈ શકશે, આમ સમજ વિકસતી આવે, ભૂંસાતી આવે. અહીં વિકસવા સાથે ભૂંસવાની પ્રક્રિયાને પણ જોડી દીધી છે તે સૂચક છે – એ બને છે તો જ મન એનો શૂન્યાવકાશ જાળવી રાખી શકે છે, તો જ ભવિષ્યની કવિતાનાં અવતરણ માટે થોડી કુંવારી ભોંય બચી રહી શકે છે. પેનેલોપ જે જાળ વણતી હતી તેમાં બનતું તેમ તાંતણા ગુંથાય અને ઉખેળાય – એવી પ્રક્રિયા કવિના ચિત્તમાં હંમેશાં ચાલ્યા કરવી જોઈએ. નવો આરમ્ભ થયા કરવો જોઈએ. આપણી સાવ સાદી સીધી વાતને આશા દેખાડીને આકર્ષીને દૂર ખસી જનાર, હતાશ કરી મૂકે એવી કવિતાને પડખે મૂકતા રહેવું જોઈએ. કશાકનું સંવહન કરવાની, કશુંક બીજાને કહેવાની ઇચ્છાનું આમ હમેશાં ધોવાણ થતું રહે છે, પંક્તિઓ ભાંગી પડે છે, આપણું વક્તવ્ય ચારે બાજુના હુમલાથી ઘેરાઈ ગયું હોય એવું પળે પળે લાગ્યા કરે છે. આપણા અંગત વ્યક્તિત્વનો રચાયા કરતો ઇતિહાસ પણ એમાંનું કશું જાળવી રાખવાનો આધાર ઊભો કરી આપતો નથી. એવી કશી રૂપરેખા આપણને દોરીને ભવિષ્ય તરફ લઈ જતી નથી. આથી એશ્બરી એની એક કાવ્યપંક્તિમાં કહે છે, Seen from inside all is/Abruptless. ચિત્તના નેપથ્યમાં જઈને આપણે બધું જોઈશું તો આ બધું એકાએક ઊપજી આવેલું લાગશે. આથી જ એશ્બરીએ એની કવિતામાં અન્યત્ર કહ્યું છે કે આપણે જે હતા તેનું આ ખીલી ચૂકેલું મોટું ફૂલ એની આ ધરતીની દાંડી પર પોતાના જ ભારથી વળ ખાય છે, આપણે જે થવાના છીએ તે ન હોવાને કારણે આપણે આતંકિત એકાન્ત અને વેગળાપણામાં જીવીએ છીએ. આમ આપણે કાળની રસળતી સુશૃંખલિત ગતિની કલ્પના કરીએ છીએ તે એક ભ્રમ છે. ભૂતકાળ અને વર્તમાનહૃજ્જ કડીઓે એટલી સુલભ નથી. આથી કોઈ આ સંક્રાન્તિની ભાત સહેલાઈથી ઉપસાવી આપે તો આપણે એને આશંકાની દૃષ્ટિએ જોઈએ છીએ. આને કારણે રહેતી ચિત્તની વિક્ષુબ્ધતા એ રચનાપ્રક્રિયાનો એક અનિવાર્ય અંશ બની રહે છે. જો આમ હોય તો કવિની ભાષા પર પણ એની અસર પડ્યા વિના નહિ રહે, એનો અન્વય એવો પ્રવાહી નહિ હોય; એમાં ચેતનાનાં ઊંડાણોમાં વેગથી પહોંચી જવાની ક્ષમતા હોય.