કાવ્યાસ્વાદ/૪૦

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૦

ધીમે ધીમે ધૂસરતા બધે ફેલાતી જાય છે, સવારે તડકો જોયો હતો એ વાત તો હવે કપોલકલ્પિત લાગવા માંડી છે. કવિ ચેઝારે વાયેહો એના વતનના શહેર લીમામાં આવી જ એક વરસાદથી ધૂસર નમતી બપોરે પોતાના નિષ્ફળ પ્રેમની સ્મૃતિથી ભારે થઈ ગયેલા હૃદયને ફોસલાવતો બેઠો હતો તે યાદ આવે છે. એ તો પોતાના જીવનને ‘ઢળતી બપોર’ કહીને જ ઓળખાવતો હતો. કવિ કહે છે : ‘હૃદય તો વિચારમગ્ન મૂંગા ઘુવડ જેવું થઈને બેઠું છે. વરસાદ તો વરસતો ઘણી વાર જોયો છે, પણ આવો વરસાદ તો ક્યારેય જોયો નથી. અત્યારે તો જીવવા પરથી મન ઊઠી ગયું છે. એમ તો આ બપોર આકરી નથી, નરમ નરમ છે. એ રમણીયતા અને વિષાદ બંનેને એક સાથે ધારણ કરનાર નારી જેવી લાગે છે. આ વરસાદભીની બપોરે હૃદયના ઊંડાણમાં ભંડારેલી કૃતઘ્નતાનું સ્મરણ થાય છે. પુષ્પ જેવી ખીલેલી પ્રિયતમાના પર હું જાણે બરફની શિલાની જેમ ચંપાઈ ગયો છું. આવી ક્ષણોમાં જીવન કોઈ વન્ય કાળા ફૂલ જેવું લાગે છે. એનામાં ફૂલની મૃદુતા નથી, પણ હિંસકતા છે. જાણે કોઈ પથ્થર છૂટો ફેંકીને ઘા કરી રહ્યું છે. જેને ચાહીએ છીએ તેની અને આપણી વચ્ચે એક હિમપ્રપાતનું અન્તર પડી ગયું છે. દૂર સરી ગયેલી પ્રિયતમાનું મૌન જાણે આ જીવનના વાકુ આગળ પૂર્ણ વિરામ મૂકી દે છે. તેથી જ તો કોઈ ઢળતી બપોરે થયો નથી એવો વિષાદ આ બપોરે કવિને થઈ રહ્યો છે. હૃદય તો મીંઢા ઘુવડના જેવું બેસી રહ્યું છે. પ્રિયતમા તો દૃષ્ટિસીમામાંથી દૂર સરી જ ગઈ છે, પણ બીજી કેટલીક નારી કવિના વિષાદને જોતી ત્યાંથી પસાર થાય છે. એ જાણે એનો થોડો અંશ સાથે લેતી જાય છે. વરસાદ એ ઢળતી બપોરે વરસતો જ રહ્યો, કવિના હૃદયમાં વિષાદ ઝમતો જ રહ્યો. ઉપેક્ષા, ઉદાસીનતા, કૃતઘ્નતા – આ બધાંનો આવી ક્ષણોમાં જાણે ગુણાકાર થઈ જાય છે. વર્ષા એ બધું ભૂંસી નાખવાને બદલે ટીપેટીપે એ બધું ફરીથી લખ્યા કરે છે. વાયેહોની જ એક બીજી કવિતા યાદ આવે છે, ઋતુનો આપણા પર કેટલો પ્રભાવ હોય છે! આવી ક્ષણોમાં એકાન્ત સહ્ય બનતું નથી, કોઈ આવેબેસે ને જે કાંઈ છે તેમાં સહભાગી થાય એવું આપણે ઇચ્છીએ છીએ, પણ કવિ કહે છે, ‘આજે તો કોઈ એકાદ પ્રશ્ન પૂછવા પૂરતુંય ફરક્યું નથી, કોઈએ આ બપોરે મારી પાસે કશું માગ્યું પણ નથી. કબરો વચ્ચે ખીલી ઊઠતું એકાદ ફૂલ સરખું મને દેખાયું નથી.’ કવિને આ ક્ષણે, આવી સ્થિતિ બદલ, ઈશ્વરની ક્ષમાયાચના કરવાનું મન થાય છે : ‘પ્રભુ, મને માફ કરજો, હું અત્યારે મૃત્યુને અલ્પ પ્રમાણમાં સ્વીકારી બેઠો છું.’ આપણે સમ્બન્ધની શૃંખલામાં પરોવાયા હોઈએ છીએ ત્યારે જીવનની ગતિને અનુભવીએ, પણ બધાથી સાવ વિખૂટા પડી જઈએ, સમ્બન્ધની કોઈ ભૂમિકા જ નહિ રહે ત્યારે? એથી જ કવિને એમ લાગે છે, ‘આ ઢળતી બપોરે હું સહેજ સરખો મરી ગયો છું.’