કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/કવિ અને કવિતાઃ નલિન રાવળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કવિ અને કવિતાઃ નલિન રાવળ

નલિન રાવળ

જેમના હૃદયમાં કાવ્યના અવકાશવ્યાપી છંદ ગુંજે છે એવા કવિ નલિન રાવળનો જન્મ તા. ૧૭-૩-૧૯૩૩ના રોજ અમદાવાદમાં થયો હતો. એમનું વતન વઢવાણ. પિતા ચંદ્રકાન્ત રાવળ. એમનું પ્રાથમિક શિક્ષણ કાલુપુરની શાળા નં. ૭માં તથા માધ્યમિક શિક્ષણ ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલ, અમદાવાદમાં. ૧૯૫૨માં મૅટ્રિક. ૧૯૫૬માં અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે બી.એ. થયા. ૧૯૫૯માં અંગ્રેજી-ગુજરાતી વિષયો લઈને એમ.એ. થયા. ભરૂચ અને નડિયાદમાં થોડો સમય અધ્યાપન કર્યું. ત્યારબાદ બી. ડી. આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે જોડાયા અને ત્યાંથી નિવૃત્ત થયા. ૨૦૧૩માં તેઓ ‘નરસિંહ મહેતા ઍવૉર્ડ’થી સન્માનિત થયા. તા. ૫-૪-૨૦૨૧ના રોજ નલિન રાવળનું અમદાવાદમાં અવસાન થયું. નલિન રાવળના કાવ્યસંગ્રહો — ‘ઉદ્ગાર’ (૧૯૬૨), ‘અવકાશ’ (૧૯૭૨), ‘લયલીન’ (૧૯૯૬), ‘મેરી ગો રાઉન્ડ’ (૨૦૦૧), ‘આહ્લાદ’ (૨૦૦૮), ‘આફ્રિકન સફારી કાવ્યો’ (૨૦૦૯), ‘સૌરભ’ (૨૦૧૫) તથા શેષ કાવ્યોનો સમાવેશ એમની સમગ્ર કવિતા ‘અવકાશપંખી’ (૨૦૧૫, સંપાદકઃ યોગેશ જોષી)માં થયો છે.

પિતા ચંદ્રકાન્ત રાવળ રોજ પરોઢિયે રુદ્રી-પાઠ કરતા. એનો લયઘોષ શિશુ નલિનના કાનને ગળથૂથીમાંથી મળ્યો. બારેકની વયે એમને ‘મહિમ્નઃ સ્તોત્ર’ કંઠસ્થ હતું. ‘શક્રાદય સ્તોત્ર’નો વસંતતિલકા, નર્મદાષ્ટકનો નારાચ છંદ તેમજ શંકરાચાર્યરચિત શિવમાનસપૂજાનો ભવ્ય લલિત છંદ શિશુવયથી જ એમના ચિત્તમાં, એમની ચેતનામાં રોપાયેલા. શાળાજીવન દરમિયાન તેઓ કવિતાનો મોટેથી પાઠ કરતા ને છંદ-લય તેમના લોહીમાં ભળતા જતા. આથી જ તો આ કવિની કાવ્ય-ધમનીમાં સૂક્ષ્મ લયાર્થ પણ વહેતો રહ્યો છે. તેઓ શાળામાં હતા ત્યારે એમને ત્રણ કવિઓનાં દર્શન થયેલાં — મેઘાણી, સુન્દરમ્ અને ઉમાશંકર. ઉમાશંકરને તો તેઓ શાળાના દરવાજેથી વર્ગમાં લઈ આવેલા. ઉમાશંકર વિદ્યાર્થીઓ સાથે પ્રેમથી ફરેલા ને સાથે છબિ પણ પડાવેલી. શાળાના સામયિકમાં વિદ્યાર્થી નલિને એક ગીત આપેલું. નલિન રાવળ તથા પ્રિયકાન્ત મણિયાર અમદાવાદમાં એક જ પોળમાં રહેતા. ઘર પણ સામસામે. ‘કાવ્યમુગ્ધ’ પ્રિયકાન્ત ઝરૂખામાં ઊભા ઊભા એમની તાજી કાવ્યરચનાઓ સંભળાવતા. પ્રિયકાન્ત એમને ‘કુમાર’ની ‘બુધસભા’માં લઈ ગયા. ને પછી તો એમને કવિતાનો બરાબરનો છંદ લાગ્યો ને તેઓ કાવ્યપ્રવાહમાં ખેંચાયા. ‘બુધસભા’માં રાજેન્દ્ર, નિરંજન, પ્રિયકાન્ત, હસમુખ પાઠક, પિનાકિન ઠાકોર જેવા કવિઓના જીવંત સહવાસમાં આવવાનું બન્યું. ઇન્દુકુમાર ત્રિવેદી જેવા મિત્ર મળ્યા ને એમનું કવિ તરીકે ઘડતર થવા લાગ્યું. અંગ્રેજી સાહિત્યનો ઊંડો અભ્યાસ તથા નિરંજન ભગતના સાન્નિધ્ય થકી તેઓ યુરોપીય સાહિત્યના ગાઢ સંપર્કમાં આવ્યા, પ્રશિષ્ટ સાહિત્યરુચિ કેળવાતી ગઈ. કૉલરિજ, એલિયટના સૈદ્ધાંતિક વિવેચનની સાથોસાથ બલવંતરાય, રામનારાયણ વિ. પાઠક તથા ઉમાશંકરનાં વિવેચન થકી એમણે કવિતાના સંકુલ સ્વરૂપને આત્મસાત્ કર્યું. કૉલરિજ, કીટ્સ, યેટ્સ, એલિયટ, ડીલન ટૉમસની સાથોસાથ ઉત્તમ ગુજરાતી કાવ્યભાવન તથા કાવ્યસર્જનપ્રક્રિયા થકી તેઓ કાવ્યસૌંદર્યને પામતા રહ્યા અને ‘કાવ્યં નિત્યં આનંદરૂપમ્’નો અનુભવ કરતા રહ્યા.

સુરેશ દલાલે કવિ નલિન રાવળ વિશે નોંધ્યું છે— “નલિન છંદોલયની અભિવ્યક્તિની દૃષ્ટિએ નિરંજનની વધુ નજીક છે. પણ કાવ્યસૌંદર્ય સિદ્ધ કરવાની દૃષ્ટિએ શ્રીધરાણી, પ્રહ્લાદ અને રાજેન્દ્રની નજીક છે.” નલિન રાવળની કવિતામાંથી પસાર થતાં કરુણાસભર, આનંદસભર દર્શનનો આહ્લાદક કાવ્યાનુભવ થાય છે. એમનાં રમ્ય, ભવ્ય, સર્વાશ્લેષી કલ્પનો, ગતિશીલ પ્રતીકો, આધુનિક નગરજીવનની સંકુલતા; પ્રણય, પ્રકૃતિ તથા જીવનનું લયાન્વિત સૌંદર્ય; મિથ તથા નાટ્યાત્મક આત્મોક્તિ, માત્રામેળ છંદોનું લચકભર્યું લયસ્થાપત્ય, એમનાં અછાંદસ કાવ્યોમાંય વહેતો કવિના અંતરંગનો લય; ધ્વનિમય ચિત્રો ને દૃશ્યાત્મક ધ્વનિ, કાવ્યઆકૃતિનું શિસ્તબદ્ધ બારીક નકશીકામ, ભાવ-ભાષા-છંદ-લયનું સંતુલન, વસ્તુ અને સ્વરૂપની સમતુલા, સ્થળ તથા વ્યક્તિ નિમિત્તે પ્રગટતાં કાવ્યસંવેદનો, ઈશ્વર તથા મનુષ્યમાં કવિની શ્રદ્ધા વગેરે વિશેષ ઉન્મેષ ભાવકચેતનામાં ઠરે છે. કવિની શ્રદ્ધા કહેતાં જ સાંભરે છે ‘અવકાશ’ સંગ્રહની છેલ્લી કૃતિની પંક્તિઓ —

‘આ
નેત્રનું તેજ
સ્થિર થાય તો પ્રભુ
સહુ નેત્રમાં ગુંજી રહેલ
તારાં
નેત્રો તણું અક્ષરતેજ પામી
તારું પ્રભુ (તારી કૃપા થકી)
હું
અવકાશવ્યાપી લયચિત્ર આળખું.’

કલ્પન અને પ્રતીકની પાંખો ધરાવતું આ કવિનું કાવ્યપંખીય લયચિત્ર આલેખતું, અક્ષરતેજ આંકતું અવકાશવ્યાપી ઉડ્ડયન કરે છે. આ કવિમાં ‘પંખી’ વિવિધ લયાન્વિત, રૂપાન્વિત કલ્પનો રૂપે પ્રગટ થાય છે ને કવિતાના ઉડ્ડયનનેય પ્રબલ વેગ આપે છે; જેમ કે —

‘સમયપંખી નભ વસંતનું લઈ ઊડે’

‘રેતપંખી’ કાવ્યની અંતિમ પંક્તિઓ —

‘એ
રેતપંખીનાં ખરખર ખરતાં પીંછાંમાંથી ખરખર ખરતી
રેત રેતની વર્ષા
નીચે
સુક્કાં તીક્ષ્ણ સળગતાં રેત રેતનાં સ્વપ્નો
નીચે
રેત રેતનાં રડતાં નગરો.’

નાટ્યાત્મક આત્મોક્તિ રૂપે ગદ્યકાવ્યનું નવું જ પરિમાણ જોવા મળે છે તેવા કાવ્ય ‘અશ્વત્થામાની સ્વગતોક્તિ’માં, અશ્વત્થામાના પગના નખમાં પ્રવેશી તેના દેહ-પ્રાણમાં ફેલાતા દુરિત પંખીનું કલ્પન તથા એનું અદ્ભુત પ્રત્યક્ષીકરણ જુઓ —

‘આકાશમાંના તારકોને ક્રૂર ન્હોરથી પીંખી,
અંધકારનું આ તોતિંગ પંખી
પાંખોના તીક્ષ્ણ ઘાતથી અવકાશને ચીરી,
કુરુક્ષેત્રની છાતી પર ચિત્કાર કરતું તૂટી પડે છે.’


‘પ્રેમ બળી જાય છે ત્યારે આ પંખીના જેવો લાગે છે.
શ્રદ્ધા બળી જાય છે ત્યારે આ પંખી
પીંછાં પ્રસારી નાચે છે.
સત્ય બળી જાય છે ત્યારે આ પંખી ચિચિયારીઓ પાડતું
નગરોનાં સડતાં છાપરાંઓ પર
ઘુમરાવા લેતું ઊડે છે.’

દીર્ઘ રચના ‘મરીચિકા’નું કાવ્યવસ્તુ ‘વિવેકચૂડામણિ’ ગ્રંથમાંના દત્ત — પરશુરામ સંવાદ પર આધારિત છે. આ કાવ્યમાંયે તોતિંગ પંખીનું કલ્પન આવે છે —

‘તોતિંગ પંખીની કરકરિયાળી છાયામાં
રેત પર રેત ઉપરતળે
પંખીના લોહિયાળ ન્હોરમાં નગર આખું ખૂંપેલ
ઊંચે ને ઊંચે ચકરાવા લેતું ઊડે જાય પંખી
અધ્ધર ને અધ્ધર
પ્હાડ પાંખે ભીંસાયેલું આભ હલબલ્યું
ક્ષિતિજ પ્હોળા ચકરાવા લેતાં પંખીએ છોડી દીધું
ઊંડી હવાખીણે નગર
તૂટી પડે ટુકડેટુકડામાં તૂટી પડે — તૂટી પડ્યું નગર.’

અન્ય દીર્ઘ કાવ્ય ‘નારી’ પણ સ્થળ-કાળને અતિક્રમીને વિસ્તરે છે, ‘નારીચેતના’નેય અતિક્રમે છે ને જાણે વિશ્વચેતનામાં, કહો કે, અતિમાનસચેતનામાં, ‘દર્શન’માં વિ-રમે છે. આ કવિના પહેલા જ સંગ્રહ ‘ઉદ્ગાર’માં વૃદ્ધાવસ્થા વિશેનાંય ઉત્તમ કાવ્યો સાંપડ્યાં છે. ‘એક નામેરી વૃદ્ધને મળતાં’ કાવ્ય ગુજરાતી કવિતાનું અમર કાવ્ય બની રહે તેવું થયું છે. કાવ્યમાં યૌવનક્ષયના વિષાદનો ભાવ વેધક રીતે ઉપસાવ્યો છે; નાટ્યાત્મક આત્મોક્તિ તથા યુવાન અને વૃદ્ધ વય વચ્ચેની સમાંતર દૃશ્યાવલી થકી તીવ્ર સંવેદનને તારસ્વરે વહેતું મૂક્યું છે. આ કાવ્યની પહેલી પંક્તિ — ઉઘાડની પંક્તિ જોઈએ —

‘ખીલી સમી ખોડાઈ ગઈ મારી નજર
મારા ઉપર’

પ્રકૃતિવિષયક કાવ્યો તો આ કવિની ભીતરથી ફૂલની જેમ ફૂટ્યાં છે, સુવાસની જેમ વિસ્તર્યાં છે; પરોઢના આભની જેમ, વરસાદ પછી નીકળતા તડકાની જેમ ઉઘાડ પામ્યાં છે. તડકાની જ વાત કરીએ તો આ કવિમાં તડકો કેટકેટલાં ઇન્દ્રિયગમ્ય, રમ્ય કાવ્યરૂપ પામ્યો છે! થોડાં કલ્પનસભર, તાજગીસભર ઉદાહરણ જોઈએ —

‘કાલ લગી ને આજ’ કાવ્યમાં —
‘કાલ લગી
પોચું જાણે પલળેલા પૂંઠા જેવું આભ
આજ
કડક જે પાપડ ને સારેવડા જેવું.
...
...
આજ
કવિતાના લયબદ્ધ છંદ જેવો તાજો
તડકો કડાક કોરો પ્હેરીને હું નીકળ્યો છું.’


‘એક વૃદ્ધાની સાંજ’ કાવ્યમાં —

‘જાળી ઉપર ગૂંચવઈ ગયેલો સાંજનો તડકો નિહાળી
ઊન ગૂંથતાં આંગળાં ઘરડાં અચાનક કંપમાં અટકી ગયાં.’

‘સાંજનો તડકો’ કાવ્યમાંના ગતિશીલ કલ્પનને નીરખો —

‘વન્ય ચિત્તા-શો ભભકતો
સાંજનો તડકો
હવામાં દેહ તોળી બારીમાં કૂદ્યો’

‘સવાર–૧’ કાવ્યમાં વહેતી સવાર જુઓ —

‘ટહુકો પંખીનો ગુંજ્યો, મુગ્ધ થૈ પંખીએ અહો,
કંઠને પર્ણમાં વ્હેતો... વ્હેતો વ્હેતો કરી દીધો!’

‘સાંધ્યગીત’માં પવન તથા અંધારનું આ રૂપ જુઓ —
‘પવન નાની નદીના કાનમાં કૂજે’


‘આ તૃણ ઉપર રમતો સુંવાળી રાત્રિનો અંધાર.’

‘બપોર’માં ખડ ખડ ખડ ખડ હસતી, ઊડતી, બિહામણી ઉનાળાની બપોર જુઓ — એની અંતિમ પંક્તિઓ —

‘આભ ઊગેલાં વાદળ બાળ્યાં,
નદી, સરોવર, ખેતરનાં હૈયાં સળગાવ્યાં,
બાળ્યા પગ-રસ્તા,
બાળ્યા કોકિલના ટહુકા,
કવિઆંખની લોહ-કીકીઓ એક ન બાળી.
ખડ ખડ
હસતી ખડ ખડ
બિહામણી આ ઊડે બપોર.’

પ્રકૃતિકાવ્યોની જેમ આ કવિનું અંતરંગ નગરજીવનની કવિતામાંય ઉઘાડ પામ્યું છે. નગરજીવનની સંકુલતાને, માનવીની છિન્નભિન્નતાને આધુનિક રીતિથી આ કવિએ અનેકવિધ કલ્પન-પ્રતીક થકી કાવ્યરૂપ આપ્યું છે. એકાદ ઉદાહરણ જોઈએ —

‘આ ઢગલો પડેલાં હાંફતાં બિલ્ડિંગ,
હવામાં દોડતાં જંગી અવાજોનાં પશુટોળાં.’

સુંદર કાવ્યો આપનાર નલિન રાવળે એમની કેફિયતમાં નોંધ્યું છે — “કાવ્ય આવે છે સહજ સ્ફુરણ દ્વારા એમ કહેવાયું છે અને એ મારો અનુભવ પણ છે, આમ છતાં હરેક વખત કાવ્ય કાંઈ નથી ફૂલની જેમ ફૂટતું કે પવનની લહર જેમ ફરકી આવતું. લાંબો સમય આંખ સામે અવકાશમાં લટકતો શબ્દ કે પંક્તિનો છેડો હાથમાં આવે તે અર્થે જીવલેણ ઝઝૂમવું પડ્યું છે.”

(‘સર્જકની આંતરકથા’, ૧૯૮૪, પૃ. ૨૧૭) અનુગાંધીયુગના આ સૌંદર્યલક્ષી કવિમાં ગાંધીદર્શન કરાવતું કાવ્ય-ગુચ્છ ‘ગાંધી’ મળે છે. આ કવિ પાસેથી ગુજરાતી કવિતાને વધારે સમૃદ્ધ કરનારાં ‘અશ્વત્થામાની સ્વગતોક્તિ’, ‘એક નામેરી વૃદ્ધને મળતાં’, ‘રેતપંખી’, ‘સિંહ’, ‘રસ્તા’, ‘કાલ લગી અને આજ’, ‘ઝૂમાં સુંદરી’, ‘સાંજનો તડકો’, ‘સખ્ય’, ‘નારી’, ‘સાંધ્યગીત’ ‘વાર વાર’, ‘મેરી ગો રાઉન્ડ’ ‘મરીચિકા’, ‘નચિકેતા’ જેવાં કાવ્યો સાંપડ્યાં છે, જે આપણને મનુષ્યના આત્મલયની ઊંડી પ્રતીતિ કરાવે છે. એમની કલાસભાનતા તથા છંદ-લયની સજાગતા કવિતાને ઘાટ આપવામાં મદદરૂપ નીવડે છે.

૩-૭-૨૦૨૧
અમદાવાદ
— યોગેશ જોષી