કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/કવિ અને કવિતાઃ પ્રિયકાન્ત મણિયાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કવિ અને કવિતાઃ પ્રિયકાન્ત મણિયાર

પ્રિયકાન્ત મણિયાર

સર્જનાત્મક આવેગથી ભર્યા ભર્યા કવિ પ્રિયકાન્ત મણિયારનો જન્મ તા. ૨૪-૧-૧૯૨૭ના રોજ વિરમગામમાં થયો હતો. પિતા પ્રેમચંદ મણિયાર, માતા પ્રેમકુંવર. વતન અમરેલી. અભ્યાસ માત્ર નવ ધોરણ સુધી. અમદાવાદમાં ચૂડીઓ તૈયાર કરવાનો વ્યવસાય. ઉમાશંકરે પ્રિયકાન્તના, ‘પ્રતીક’ કાવ્યસંગ્રહ વિશેના લેખમાં નોંધ્યું છેઃ “કોડભરી નવોઢા એમણે (પ્રિયકાન્તે) ઉતારેલી ચૂડીઓ પર વધુ મુગ્ધ થતી હશે કે એમનાં સંઘેડાઉતાર કાવ્યો ઉપર ગુર્જર કવિતા એ જ પ્રશ્ન છે.” ૧૯૬૩માં ‘કુમાર’ ચંદ્રક તથા ૧૯૮૨માં મરણોત્તર સાહિત્ય અકાદેમી, દિલ્હીના પુરસ્કારથી સન્માનિત. તેમનું અવસાન ૨૫-૬-૧૯૮૫ના રોજ અમદાવાદ ખાતે થયું હતું. ૪૯ વર્ષના આયુષ્યમાં એમણે સાત માતબર કાવ્યસંગ્રહો આપ્યા — ‘પ્રતીક’ (૧૯૫૩), ‘અશબ્દ રાત્રિ’ (૧૯૫૯), ‘સ્પર્શ’ (૧૯૬૬), ‘સમીપ’ (૧૯૭૨), ‘પ્રબલ ગતિ’ (૧૯૭૪), ‘લીલેરો ઢાળ’ (૧૯૭૯) અને ‘વ્યોમલિપિ’ (૧૯૭૯). એમની સમગ્ર કવિતાનો સંચય ‘આ નભ ઝૂક્યું’ ૨૦૦૦માં પ્રગટ થયો. કવિ શ્રી ઉમાશંકરે તેમના એક લેખના અંતે માર્મિક નોંધ કરી છે  — “કવિ પ્રિયકાન્તના ઉદ્ગારો ચિરંજીવી રહેવા નિર્માયા છે.”

પ્રિયકાન્તમાં નિસર્ગદત્ત કવિપ્રતિભા હતી. પ્રિયકાન્તે નોંધ્યું છે તેમ બાલ્યવયમાં એમને ગીતસંસ્કાર મળેલા. વહેલી પરોઢે, ઢળતી સંધ્યાઓમાં તેમજ ચાંદનીરાતોમાં એમણે માતા પ્રેમકુંવરના મીઠા કંઠે ગવાયેલાં અસંખ્ય હાલરડાં, ગીતો અને ભજનો સાંભળ્યાં છે. આ લયસંસ્કારો એમની ચેતનામાં એવા તો ઘૂંટાયા કે પાછળથી સહજ રીતે આ સંસ્કારો એમનાં ગીતોમાં ઊતરી આવ્યા. પાંચ-છ વર્ષની વયે પ્રિયકાન્તે પિતાને કહેલું કે મોટા થઈને તેઓ શબ્દોની દુનિયા બાંધશે. બાળપણનું એમનું બીજું સ્વપ્ન પુસ્તકાલયમાં પુસ્તકોની વચ્ચે રહેવાનું હતું! વિરમગામ પાસેના ગામ માંડલની ‘મોહન વિનય મંદિર શાળા’માં જગજીવનભાઈ નામના ઉત્તમ શિક્ષક મળ્યા. એમની પાસે તેઓ સાહિત્યના પ્રથમ પાઠ ભણ્યા. શાળામાં હતા ત્યારે પ્રિયકાન્તે જિબ્રાનનાં લખાણો તેમજ રવીન્દ્રનાથનાં કાવ્યખંડો નોટબુકમાં ઉતારેલાં. આમ તેઓ નવેક વર્ષની વયે સાહિત્યની આબોહવામાં હતા. શાળાજીવનથી એકલા ઘૂમવાની ટેવ. પ્રકૃતિ અને જીવનથી વાકેફ થતા જતા, સૌંદર્યબોધ એમની ચેતનામાં રોપાતો જતો. ચૂડીઓના ધંધા માટે કુટુંબ અમદાવાદ આવ્યું. બાલાહનુમાનના નાકે ધંધો શરૂ કર્યો. રહેવાનું નજીકની કવીશ્વરની પોળમાં. અહીં પ્રિયકાન્તને નગરજીવનના અનુભવો થતા ગયા. અમદાવાદમાં તેઓ ન્યૂ હાઈસ્કૂલમાં દાખલ થયા, પરંતુ ૧૯૪૨-૪૩ના સ્વાતંત્ર્ય-લડતના દિવસોમાં પ્રિયકાન્તે નવમા ધોરણથી અભ્યાસ છોડી પિતાની દુકાનના કામમાં મન પરોવવા માંડ્યું — હાથીદાંતની ચૂડીઓ સંઘેડાઉતાર ઉતારવા માંડી અને બારીક નકશીકામ પણ તેઓ સરસ કરવા લાગ્યા. કવિતા તો જન્મજાત જાણે એમના લોહીમાં હતી. શાળા છોડીને ધંધામાં જોતરાયા પછી તેઓ કવિતાથી જરીકે દૂર ન થયા. ઘર-દુકાનથી નજીક જ ‘કુમાર’ કાર્યાલય. ત્યાં ‘બુધસભા’ ચાલે. ‘કુમાર’ની બુધસભામાં તેમનું ઘડતર થવા લાગ્યું. નલિન રાવળ તો એમની પોળમાં જ રહેતા. ‘બુધસભા’માં એમને રાજેન્દ્ર, નિરંજન, નલિન, હસમુખ જેવા કવિમિત્રો મળ્યા. અને હાથીદાંતની ચૂડીઓની જેમ કવિતા ઉતરવા માંડી ને કવિતામાંય ઝીણું નકશીકામ થવા લાગ્યું.

પ્રિયકાન્ત મણિયારમાં ફૂલોની, સર્જકતાની ગતિ પ્રબલ છે. એમની કવિતામાં ઝાડ પણ દોડે છે! —

‘ફૂલનું પ્રગટ કરવા મધુર મુખ
લઈને વસંત વાટમાં એકલ
ઝાડ કાંઈ દોડ્યું છે!’


‘મૂળિયાંની ત્યાં મુઠ્ઠીઓ વાળી
ધરતી ભીતર ઝાડ કાંઈ દોડ્યું છે!’

બહારની સાથે ભીતરની દોડ પણ વેગીલી છે આ કવિમાં. પ્રિયકાન્તમાં સર્જકતાનું પ્રબલ પૂર હોવા છતાં, બારીક નકશીકામના કસબના કારણે એમની ગતિ શુદ્ધ કવિતા ભણીની છે. એમના શબ્દોને હાથ છે, જે વિરાટનેય બાથ ભીડી શકે છે. એમના શબ્દોને ટેરવાં છે, જે ફોરમનેય સ્પર્શી શકે છે. એમના શબ્દોને આંખો છે, જે અદીઠનેય નીરખી શકે છે. એમના શબ્દોને કાન છે, જે મૌનને સાંભળી શકે છે! મૂળિયાંની જેમ પ્રતીક એમનાં કાવ્યોમાં નિઃશબ્દ વિસ્તરે છે; એમનાં કાવ્યોમાં કલ્પનો વ્યોમલિપિ આલેખે છે. એમનાં ગીતોનો ઢાળ લીલેરો છે. મનુષ્યની પીડા એમના હૈયાની સમીપ છે. એમનો ગોપીભાવ ભાવકનેય મોરપિચ્છની જેમ સ્પર્શ કર્યા કરે છે. એમના સર્જક-હાથમાં શબ્દ જાણે ફૂલ થઈને ફોરવા લાગે છે. એમનાં કાવ્યોમાંથી પસાર થતાં આપણી ભીતર પણ જાણે ફૂલો ફૂટવા લાગે છે ને એનાં મહેક મહેક રૂપ આપણનેય સરવરજલની જેમ ભીંજવે છે. આ ફૂલના કવિમાં ફૂલો કેવાં ફૂટે છે, ફોરે છે! —

‘ફૂલ એક ફૂટ્યું ને લોચનિયે ચૂંટ્યું
કે પાંખડી એવી ને એવી રે લોલ!’


‘ફૂલની નદી, ફૂલનું તળાવ, ફૂલનું નાનું ગામ,
ફૂલનો દીવો, ફૂલહિંડોળો, ફૂલમાં ફોર્યા રામ;
કાળને સાગર જાત ડૂબી ત્યાં તરતાં ફૂલથી ફાવ્યો,
ફૂલનો પવન લોચન મારે વાયો.’


‘એક્કેય એવું ફૂલ ખીલ્યું છે નહીં
કે જે મને હો ના ગમ્યું!’
ફૂલના પીધેલ આ કવિમાં ફૂલનો વ્યાપ તો જુઓ!—
‘હું ભાનમાં બોલી રહ્યો બેહોશ છું
હું ફૂલ પી એવાં ગયો છું ગટગટાવી
આંખમાં એની અસર એવી થતી
જેની સુગંધે જગત આ આખું શ્વસે
તે સૂર્ય મુજને તાતો ખીલેલો લાગતો,
... ...
ભમરા સમો ભમતો પવન ને ભમરા સ્વયં
મુજને ખીલેલા લાગતા,
હું આ બધું શું અરે બોલી ગયો
ફૂલથી કે ભૂલથી?’

‘અળગાપણાની મોકળાશે’ લેટનાર, નગરજીવનની ભીંસ અનુભવનાર આ કવિનો ‘હું’ ‘આપણે’માં જાણે છિન્નભિન્ન થઈને ઓળખ ગુમાવી બેસે છે —

‘મારા-તમારામાં કશોયે ભેદ ના.
કોક છાપાની હજારો પ્રત સમા સૌ આપણે.’

આ કવિ મનુષ્યને ફૂલની જેમ ચાહે છે. મનુષ્યની પીડા આ કવિને વલોવી નાખે છે. શોષિતોની પીડા આ કવિથી સહન થતી નથી. સામાજિક નિસબત એમની ભીતરથી સહજ પ્રગટે છે, જેમાંથી ‘એ લોકો’ જેવાં કાવ્યો પ્રગટે છે —
‘એ લોકો પ્હેલાં કાપડના તાકા ભરી રાખે છે
પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય ત્યારે
વાર વાર વેચે છે.’
આ કાવ્યની છેલ્લી પંક્તિમાં કવિ ભારે આક્રોશ સાથે કહે છે —
‘મારે કવિ થવું જ નથી,
ભારે અસર કરનારી જંતુનાશક દવા થાઉં તો બસ!’
આ કાવ્યમાં કાપડ, ધાન્ય તથા શીશીઓના બદલે માણસના સંદર્ભે ‘ફાટી જવું’, ‘સડી જવું’, ‘ફૂટી જવું’ પ્રયોજીને કવિકર્મ નિપજાવ્યું છે ને સાથે માનવધર્મ બજાવ્યો છે.
એમના વિલક્ષણ અછાંદસ કાવ્ય ‘ઈસુની ઉક્તિ’માં તેઓ વિદ્રોહ થકી માનવતા અને કરુણા પેટાવે છે —
‘આકાશના પિતા! હું તને ઓળખતો જ નથી,
મારે તો આકાશ ઓળખવું છે,
હું તો મારો સુથાર-બાપ શોધું છું.
મારે ઘર, હળ ને ઘોડિયાં ઘડવાં છે.
લાવો લાવો — ક્રૉસના કાષ્ઠમાં અગ્નિ પ્રગટાવી
આજની સાંજની રોટી પકાવી લઈએ —
...
...
અંધારું અંધારું — સૂર્ય ચંદ્ર તારા બધું બુઝાવી દો.
મારે કોઈ પણ વેશ્યાનો થોડી વાર વર થવું છે.
તેઓ શું કરે છે તેનું તેમને ભાન નથી,
ભલે
પણ હું શું કરું છું તે તો હું જાણું છું.’
તો, ‘ખીલા’ કાવ્યમાં, ઈસુને હાથ-પગમાં ખીલા મારીને ક્રૉસ પર જડી દીધા બાદ લુહારની ઉક્તિ જુઓ —
‘મેં મકાનો બાંધવાને જે ઘડ્યા
રે તે ખીલા તો અહીં જડ્યા!’
‘ફૉકલેંડ રોડને જોતાં’ કાવ્યમાં પ્રિયકાન્તને જ સૂઝે તેવું વેદનાસભર કલ્પન — વેશ્યાઓ સંદર્ભે —
‘રે સૂર્યમાં માછલીઓ તરી રહી’
‘અંધ’ કાવ્યમાં, અંધની ઉક્તિરૂપે, તાજાં કલ્પનો થકી, તીવ્ર અભિવ્યક્તિ જુઓ આ પંક્તિઓમાં —
‘વ્હેતા ઝરણની જેમ હું તો
સાંભળું છું સૂર્ય...’
,,,
હાથ નાખું ત્યાં મને અંધારની મુઠ્ઠી મળે
...
જેટલું અડક્યો જગત
એટલું પંપાળ્યું છે.’
મનુષ્યની પીડા જોઈને આ કવિને ‘કંઈક’ થાય છે, તો હાડકાંના માળખા સમી એક ગાયને જોતાં આ કવિ શું સંવેદે છે? ને એ સંવેદન કઈ રીતે અભિવ્યક્ત કરે છે?!
એક ગાય
ક્યાંકથી
ભૂલી પડી આવે હવા બસ; તૃણ નથી
ચોમેરમાંયે; તપ્ત કણ છે રેતના; તડકો પડ્યો;
ત્યાં કાય તો કેવળ રહી કૃશ હાડકાંનો માળખો
ને એ છતાં એ શ્વાસ લેતી (જેની તો અચરજ થતી)
— હાથમાં આવી ગયેલા મૃત્યુને વાગોળતી!
‘વાગોળતી’ની અગાઉ ‘મૃત્યુને’ મૂકવાથી કેવો કાવ્યચમત્કાર સર્જાય છે!
કાવ્યાત્મક દૃશ્યાત્મકતા એ આ કવિનો, કલ્પન-પ્રતીક ઉપરાંત, વિશેષ ઉન્મેષ છે. એનું એક ઉદાહરણ — ‘તળાવ ભણી—’ જુઓ —
‘મોલ લચે તેમ પંખી-ટોળું
આવતું તળાવ ભણી
નિજની નાજુક ચાંચ સમાણું
સાવ રે અલગ એક
વેગળું મૂકી જૂથને જાતે
જલશું પ્હોંચ્યું છેક.
જવના દાણા જેટલું ટીપું
પીધું
એટલામાં તો તળાવ આખું
પુલકી ઊઠ્યું
વેગમાં ઊડી
સ્હેજમાં લીધો
દિશ-મરોડ્યા જૂથનો પાછો સાથ!
ધાનના ઢગની જેમ હવે છે
તળાવ પાછું
શાંત!

કેવી દૃશ્યાત્મકતા સાથે આ કવિ કેવી કાવ્યક્ષણ — જવના દાણા જેવી! — કહો કે જીવનક્ષણ પકડે છે. માત્રામેળ છંદો આ કવિ પર મન મૂકીને વરસ્યા છે. પરંપરિત ઝૂલણા, કટાવ, ગુલબંકી, પરંપરિત હરિગીત આ કવિમાં સહજ પ્રગટ થાય છે. શાર્દૂલ, વસંતતિલકા, શિખરિણી, મંદાક્રાન્તા જેવા છંદો પર પણ આ કવિની સચોટ પકડ છે. ગીતોનો લીલેરો લય આ કવિને ગળથૂથીમાંથી મળ્યો છે. ઝરણાંની જેમ એમને ગીતો ફૂટે છે. આથી જ તેઓ ગીતને વાયુમાં વાવી શકે છે ને કવિતામાં ‘વાયુનાં શિલ્પ’ રચી શકે છે! હાથીદાંતની ચૂડીઓ ઉતારીને એમાં નકશીકામ કરતા કસબીની કલમે કાવ્યો ઊતર્યાં છે —

‘ગીત એક ગાયું ને વાયરે વાવ્યું
કે છોડ એનો છુટ્ટો મેલ્યો રે લોલ!’
પ્રણયનો પવન આ કવિના ‘હૈયાનાં લોચને’ વાયો છે, એમાંથી ‘એ સોળ વરસની છોરી’, ‘ઝરૂખે’ જેવાં ગીતો ફોર્યાં છે —
‘એ સોળ વરસની છોરી,
સરવરિયેથી જલને ભરતી તોયે એની મટકી રહેતી કોરી.’


‘કોક મદીલી લોચનબાળા શીદ ઝરૂખે ઝૂકે?’
...
વાંસળી કેટલી દૂર અને તે વાગતી કોની ફૂંકે?’
સર્જકતાનું પૂર અને પ્રણયનો પ્રબલ આ-વેગ; આથી કંચુકી-બંધ ન છૂટે તો જ નવાઈ —

‘કંચુકી-બંધ છૂટ્યા ને હટ્યું જ્યાં હીર-ગુંઠન,
હૈયાનાં લોચનો જેવાં દીઠાં બે તાહરાં સ્તન.
વૃત્તિઓ પ્રેમની સર્વ કેન્દ્રિત થઈ જ્યાં રહી;
પ્રીતના પક્ષીનો માળો રાતી નીલી નસો મહીં.’

આ કવિને કંચુકી-બંધને ખોલતાં ને સાથે ‘રહસ્ય-બંધ’ને બાંધતાંય આવડે છે. નવશેકા પાણીમાં હાથ બોળીએ એમ સૂર્યમાં નજરો બોળતા આ કવિમાં પ્રણયરાગ, રતિરાગ સેન્દ્રિયતાથી પ્રગટે છે. ‘હું સ્નિગ્ધમાં સરકતો’થી શરૂ થતા ‘સંયોગ’ જેવા કાવ્યમાં રતિરાગના સંદર્ભો કલાસંયમ સાથે બંધ કળી ખૂલે તેમ ખૂલે-ખીલે-મહેકે છે. આદિવાસી બોલી તથા જીવનની ગહેક-મહેકભર્યા ગીત ‘તને એક...’માં આ કવિનો માતૃભાવ ધાવણની જેમ ઊભરાય છે —

‘તને એક પૂંપરો હુવે!
કૅડમાં પણે ક્હાનજી તેડ્યો કોઈ જશોદા તુજમાં જુએ!’
ખાતાં ખારેક-ટોપરાં નર્યાં,
દરિયા બેઉ દૂધના ભર્યા,
આંખમાં રાખી ઘોડિયું એનું ભરવા પાણી જાય તું કૂવે!’

પ્રિયકાન્તના નામની સાથે જે ગીત તરત સાંભરે એ ‘કૃષ્ણ-રાધા’—
‘આ નભ ઝૂક્યું તે કાનજી
ને ચાંદની તે રાધા રે,
આ સરવરજલ તે કાનજી
ને પોયણી તે રાધા રે,
...
આ લોચન મારાં કાનજી
ને નજરું જુએ તે રાધા રે!’

કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠે નોંધ્યું છે તેમ, આ ગીત ‘રસ-રહસ્યની પરાકોટિ સિદ્ધ કરે છે.’ મકરંદ દવે જેવી શૈલી તથા રહસ્યભાવ ધરાવતા ગીતકાવ્ય ‘સાંઈ’માં આ કવિએ ‘ધૂળમાં નાવ ચલાવી’ છે અને ‘કાઠની ગાય દુઝાવી’ છે. આ કવિને કવિતાના ‘ઇલમની લાકડી’ જરૂર મળી ગઈ છે. આથી જ તો આ કવિમાં કવિતાના મીઠા સૂર મલકે છે, ગરવી ગાયની ડોકમાં હાર સોહાય એમ શ્રાવણની સાંજનો તડકો ચોકમાં ઢોળાય છે, ફૂલ ટહુકે છે, પુષ્પોના ઢગલાને પાંખો મળે છે, અંધકારની કાજળડબ્બી ઊઘડે છે ને મહીંથી ચંદ્રકિરણનો કટકો નીકળે છે, કૃષ્ણ-રાધાનું અદ્ભુત સાયુજ્ય રચાય છે. ગીતમાં સહજ ફોરી ઊઠતા આ કવિએ ક્યારેક ગઝલ ઉપર પણ હાથ અજમાવ્યો છે. એક શેર જોઈએ —

‘ફૂલનો બોજો કદી કો ડાળને હોતો નથી,
જાણીબૂઝીને હું હવે આ આંસુને લ્હોતો નથી.’

આ કવિની કલમને સતત ફૂલો ફૂટતાં રહ્યાં છે ને સ્થળ-કાળ ઓળંગીને ભીતર-બહાર સતત મહેકતાં રહ્યાં છે. ફૂલોના આ કવિને જય શ્રીકૃષ્ણ, ‘રાધા-કૃષ્ણ’, ‘કૃષ્ણ-રાધા’!
તા. ૮-૭-૨૦૨૧
અમદાવાદ
— યોગેશ જોષી