કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કવિ અને કવિતાઃ માધવ રામાનુજ

વાંસળીના સૂર જેવાં કાવ્યો આપનાર કવિ માધવ રામાનુજનો જન્મ તા. ૨૨-૪-૧૯૪૫ના રોજ અમદાવાદ જિલ્લાના પચ્છમ ગામે થયો હતો. પિતા વૈદ્ય ઓધવદાસ રામાનુજ. માતા ગંગાબા. તેઓ પાંચમા ધોરણમાં ભણતા ત્યારે પિતાનું અવસાન થયું. અભ્યાસ સાથે શ્રમ ચાલતો. હાઈસ્કૂલનો અભ્યાસ અમદાવાદ, સાદરા, કોઠ, પચ્છમ અને ગ્રામભારતી જેવી પાંચ શાળાઓમાં. ગ્રામભારતી, અમરાપુરમાંથી મૅટ્રિક થયા. ૧૯૭૩માં સી. એન. કૉલેજ ઑફ ફાઇન આર્ટ‌્સમાંથી કમર્શિયલ આર્ટ વિષયમાં ગવર્નમેન્ટ ડિપ્લોમા ઑફ આર્ટ. ૧૯૬૯માં ‘અખંડ આનંદ’ના તંત્રીવિભાગમાં, ૧૯૬૯-૭૦ દરમિયાન વોરા ઍન્ડ કંપનીના પ્રકાશન – માસિક પત્રિકાના સંપાદન વિભાગમાં, ૧૯૭૦થી ૧૯૭૩ દરમિયાન આર. આર. શેઠની કંપનીનાં પ્રકાશનોનાં મુખપૃષ્ઠ ચિત્રોના કલાકાર તરીકે કામ કર્યું. ૧૯૭૩થી સી. એન. ફાઇન આર્ટ‌્સ કૉલેજના એપ્લાઇડ આર્ટ વિભાગમાં અધ્યાપક, પછી આચાર્ય તરીકે નિવૃત્ત. ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તથા ઉપપ્રમુખ થયા. અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસિઝ ઍન્ડ ટ્રાન્સપ્લાન્ટેશન રિસર્ચ સેન્ટરમાં ૨૦૦૩થી ૨૦૧૮ સુધી સેવા આપી. ‘વિચરતા સમુદાય સમર્થન મંચ’ના પ્રમુખ. માધવ રામાનુજ નરસિંહ મહેતા ઍવૉર્ડ (૨૦૧૨) તથા ગુજરાત સાહિત્ય અકાદમીના ગૌરવ પુરસ્કાર (૨૦૧૬)થી સન્માનિત.

માધવ પાસેથી ‘તમે’ (૧૯૭૨), ‘અક્ષરનું એકાંત’ (૧૯૯૭), ‘અનહદનું એકાંત’ (૨૯૧૩) તથા એમની સમગ્ર કવિતાનો સંગ્રહ ‘અંતરનું એકાંત’ (૨૯૧૭) પ્રાપ્ત થયા છે.
પિતા વૈદ્ય ઓધવદાસ રામાનુજ પાસેથી માધવને મંદિર તથા વૈદું વારસામાં મળેલાં. માતા ગંગાબાના કંઠેથી વહેતાં હાલરડાં શિશુ માધવની કર્ણચેતનામાં રોપાતાં. નાની બહેન ‘નાનુ’ પણ રણકતા અવાજમાં સરસ ગાતી. વારસામાં મળેલા મંદિરના કારણે ગરબીઓ અને ભજનો ને સંગતમાં ઝાંઝ-કરતાલ – લય-તાલ એમના કાનમાં રેડાતા. પિતા ઓધવદાસ પણ કેઠીયે દોકડ (તબલાં) બાંધતા... એના તાલની રમઝટ-રંગત શિશુ માધવના લોહીમાં વહેતી. આમ ઘર, મંદિર તથા શેરીમાંથી લય જાણે ગળથૂથીની જેમ પિવાતો રહ્યો. ગ્રામચેતના એમની રગોમાં વહેતી. રાસ-ગરબા, લોકગીતો, લગ્નગીતો થકી એમની ચેતના રણઝણતી. મરસિયાં થકી એમની ભીતર જાણે સારંગીના કરુણ સૂર ઘૂંટાતા. બાર વર્ષની વયે તેઓ ગામ છોડી શહેરમાં આવ્યા. પણ ગ્રામચેતના, પ્રકૃતિસૌંદર્ય એમની ચેતનામાં ધબકતાં રહ્યાં. પિતાની છત્રછાયા ગુમાવ્યા પછી અનેક મુશ્કેલીઓ વેઠી. ૧૯૬૮ના અંતમાં ભોળાભાઈ પટેલ સાથે થોડો સમય રહેવાનું થયેલું. એ દિવસોમાં રચાયેલી સર્વપ્રથમ ત્રણ રચનાઓ રઘુવીર ચૌધરીએ ‘વિશ્વમાનવ’માં પ્રગટ કરી. ‘કુમાર’ની બુધસભામાં જતા થયા. ત્યાં અન્ય કવિમિત્રો મળ્યા. માધવે નોંધ્યું છે તેમ, કવિ અબ્દુલકરીમ શેખની નિર્મળ મૈત્રીએ કવિતાનું જતન કરતાં શીખવ્યું. ચિત્રકળા તથા સંગીતકળા પણ એમને કાવ્યસર્જનમાં ખપ લાગી. એકાદ વર્ષ એમણે પ્રસિદ્ધ સિતારવાદક શ્રીમતી મંજુ મહેતા પાસે સિતારની તાલીમ લીધી હતી. ચિનુ મોદી સાથે કવિમિત્રોની ‘હૉટેલ પોએટ્સ’માં તેઓ દર ગુરુવારે જતા. એક ગરુવારે કોચરબથી કવિમિત્ર પ્રબોધ જોશી સાથે ‘હૉટેલ પોએટ્સ’માં જતી વેળા ‘એક એવું ઘર મળે આ વિશ્વમાં–’ જેવી રચના સ્ફુરી હતી. રઘુવીર ચૌધરી તથા ચંદ્રકાન્ત શેઠ જેવા મિત્રોનો સ્નેહ પામ્યા. રઘુવીર ચૌધરીએ એમને રાવજીના ઘરાનાના કવિ કહ્યા છે.
માધવ કહેતાં જ તરત સાંભરે વાંસળીના સૂર, યમુનાનાં પૂર, ગોકુળ, વૃંદાવન, ગોપી, ગોરસ, મોરપિચ્છ, કદંબ... ને માધવ રામાનુજની ગોકુળના ગોરસ સમી કેટલીક પંક્તિઓ મનમાં રમવા લાગે –

‘ગોકુળમાં કોક વાર આવો તો કાન,
                    હવે રાધાને મુખ ના બતાવશો’


‘રોઈ રોઈ આંસુની ઊમટે નદી
                    તો એને કાંઠે કદમ્બવૃક્ષ વાવજો!’


‘એક વાર યમુનામાં આવ્યું’તું પૂર!
          મથુરાથી એક વાર માથે મૂકીને કો’ક
                   લાવ્યું’તું વાંસળીના સૂર...
... ...
‘કાંઠો તો યમુનાનો, પૂનમ વનરાવનની,
                   વૅણ એક વાંસળીનાં વૅણ!
મારગ તો મથુરાનો, પીંછું તો મોરપિચ્છ
                   નૅણ એક રાધાનાં નૅણ!’


‘ભીતર વાગે વાંસલડી ને
                    હવે બ્હાર ક્યાં ભમીએ...’

માધવ રામાનુજ કહેતાં જ તેઓ જાણે આંખ સામે દેખાય – ઘઉંવર્ણો ઘાટીલો ચહેરો, અડધી બાંયનો ખાદીનો ઝભ્ભો, પાયજામો, સાદા ચંપલ; રૂપેરી જેવા સફેદ વાળ, સાદી-પાતળી ફ્રેમનાં ચશ્માંના કાચ પાછળ જાણે ગોકુળ-ગોરસ-ક્હાનને શોધ્યા કરતી – અદીઠને જાણે તાક્યા કરતી ગભીર-પ્રશાંત આંખો. જીવનમાં ખૂબ વીત્યું હોવા છતાં આછું મરકતા હોઠ પર હંમેશાં વાંસળીના સૂર જેવું સ્મિત, ચહેરા પર પ્રસન્નતા અને અચરજનું ઓજસ –

          આમ અમસ્તા બેઠા હો ત્યાં –
          અનહદ આરત કોણ જગાવે!’

સતત અચરજ અનુભવતા આ કવિ અનહદના એકાન્ત સુધીનો અર્થ તાગવા મથતા રહ્યા છે.

કૃષ્ણવિષયક મધમીઠાં ગીતો સિવાય પણ એમનાં કેટલાંક કાવ્યો લોકહૈયે વસી ગયાં છે. માધવની ઓળખ સમાં કેટલાંક કાવ્યોની થોડી પંક્તિઓ જોઈએ –

હળવા તે હાથે ઉપાડજો રે અમે કોમળ કોમળ,
સાથરે ફૂલડાં ઢાળજો રે અમે કોમળ કોમળ...


પાસપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ!
જેમ કે, ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ...


          આપણે તો ભૈ રમતારામ!
વાયરો આવે-જાય એણે ક્યાંય બાંધ્યાં ન હોય ગામ...


સૈયર, તારા કિયા છૂંદણે
                    મોહ્યો તારે છેલ, કહે ને!


ડૂંડે બેઠા છે રૂડા દાણા પટલાણી,
                    ઑણ દીકરીનાં કરી દઈં આણાં...

સૉનેટ-ગઝલનો એનો સફળ પ્રયોગ –

એક એવું ઘર મળે આ વિશ્વમાં —
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું!

એમનું મુક્તક – ‘એક ક્ષણ’ –

એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો —
ટૅન્ક પર માથું મૂકી ઊંઘી લઉં...

ગ્રામજીવન તથા કૃષિજીવનનો એમનો અનુભવ, ચિત્રકળાનો અભ્યાસ તથા સંગીતની સાધના એમને કાવ્યસર્જનમાંય ખપ લાગ્યાં છે. ગ્રામજીવનનાં સહજ-સુંદર ચિત્રો, કહો કે સંવેદનચિત્રો મળે છે એમની કવિતાઓમાંથી. થોડાં ઉદાહરણ જોઈએ –

</poem> ઈંઢોણીના મોર સૂંઘતાં વેણી કેરાં ફૂલ. થનગને પાની સાથે પંથ; </poem>

કૃષિજીવનના ધબકાર રજૂ કરનાર આધુનિક કવિ રાવજી પટેલ યાદ આવે એવી પંક્તિઓ –

લહલહતા ડૂંડે ખેતરનો હરખ ફૂટતો દેખું.


‘અમે તમારા ખેતર ફરતા શેઢા,
અમને વીંટળાઈ ઊગ્યું છે ખેતર;
ખેતર ભર્યા સમંદર,
— ખેતર મબલક મૉલ તમારા,
શેઢે લીલીસૂકી વાડ,
વાડનું છીંડું ઠેલી
રાતવરત આવો,
તો અમને મળજો!’

આ કવિતામાં માત્રામેળ છંદોમાંનું લયસૌંદર્ય પણ રાવજી જેવું ધ્યાનાર્હ છે. માધવે ગીત ઉપરાંત ગઝલ, સૉનેટ, મુક્તક, અછાંદસમાં પણ કામ કર્યું છે. ઘર, વતન, શેરી, શૈશવ, ખેતર, સીમ, વૃક્ષો, નદી – આદિનાં આહ્લાદક સ્મરણ-ચિત્રો એમનાં સૉનેટોમાં કાવ્યાત્મક પરિમાણ સાથે ઉઘાડ પામ્યાં છે –

‘બધાં જેવું મારે પણ ઘર હતું... આંગણ મહીં
પરોઢે આવીને કલરવ જતો પાડી પગલાં.
ગમાણે બાંધેલી ખણકી ઊઠતી સાંકળ અને
ઉલાળેલા શિંગે થનથન થતી સીમ, ઉંબરે.’

શિખરિણી પાસેથીય કવિએ સહજ-સુંદર કામ લીધું –

‘ઘરે આવો પાછા, સમજણ લઈને સફરની.’

આ કવિમાં અલગ અલગ સંદર્ભે પામવું હજી બાકી છે તેવા ઘરની શોધ સતત ચાલતી રહી છે. આ કવિ-ચિત્રકાર પીંછીથી દોરી ન શકાય તેવાં ચિત્રો શબ્દ થકી, લય થકી, કાવ્ય-ધબકાર થકી ચીતરે છે! જેમ કે –

ભીંત્યું ચીતરી ને એમાં પૂર્યા ઉજાગરાના
                   સોનેરી રૂપેરી રંગ,
પાણિયારું ચીતર્યું ને બેડાંમાં છલકાવ્યો
                   ધગધગતો તરસ્યો ઉમંગ!
તોરણમાં લીલછોયા ટહુકાના સૂર અને
          હાલરડે આળેખ્યાં પારણાં!
          — પછી પગલાંમાં ચીતર્યાં સંભારણાં...

આ કોમળ કોમળ કવિ ધરતીની ભીતર પણ જોઈ શકે છે, અનુભવી શકે છે મૂળને વિસ્તરતું! –

મૂળ તો ભીનું ભીનું ખસે
          પાણી પવન અને મન જેવું
                   એ ધસમસ ના ધસે...

આ કવિએ ટીમણટાણે ચાસમાં તરવરતી માટીની તાજી ગંધ માણી છે ને વાડે વળગેલા વેલાની સૂકી સીંગોના ખખડાટને સાંભળ્યો છે... ઝૂકીને નજર માંડતું ઝાકળિયું નીરખ્યું છે. જરા ઢંઢોળતાં જ ટમટમી જતું નભનું મૌન જોયું છે. આ કવિના કાન ફૂલને ખીલતું સાંભળી શકે છે ને સુવાસના પગરવના સંગીતનેય સૂણી શકે છે. આ કવિ એક જ ઝબકારે અનંતનેય આરપાર ભાળે છે. આ કવિને ‘શબ્દ’માં અને ‘શબદ’માં ‘ખબરાં’ પડી છે. –

શબદમેં જીનકું ખબરાં પડીં
          ક્યા પાટી ક્યા પેન અરે!
ક્યા ઘૂંટે બારાખડી —
          શબદમેં જીનકું ખબરાં પડી...

આ કવિનાં પાંદડાંને તો ખરવાનુંયે મન થાય છે! – અને તેય ખીલી ઊઠવા જેવા જ ઉમળકાથી! – ‘ખીલવું’ અને ‘ખરવું’ – બેયમાં કવિના ચહેરા પર એકસરખું મધુર સ્મિત! —

પાંદડાના મનમાં તો એવુંયે થાય છે કે
                    પીંછાની જેમ ખરી પડીએ,
લહેરાતાં લહેરાતાં ઊતરીએ નીચે ને
                    ધરતીને ધીમેથી અડીએ...

‘કેટલું વીત્યું હશે...’ કાવ્યમાં માધવ કહે છે –

વસ્ત્ર-આભૂષણ ત્યજી, વલ્કલ સજી
વનની વિકટ વાટે વળ્યા
ત્યારે ફરકતું સ્મિત મુખ પર
આપના એ પરમ પાવન સ્મિતનો
બસ એક આછો સ્પર્શ આપો –
તો કશું છોડી નીકળતાં
જે થવાનું દુઃખ
એને આવરણ એનું જ દઈએ...

માધવ પર પણ ઘણું ઘણું વીત્યું છે ને છતાં વાંસળીના સૂર સમું મધુર સ્મિત એમના હોઠ પર ફરફરતું રહ્યું છે.

તા. ૧૭-૦૬-૨૦૨૨ – યોગેશ જોષી