કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૬. રાધા પત્ર લખે છે...

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૬. રાધા પત્ર લખે છે


ગોકુળમાં કોક વાર આવો તો કાન,
                    હવે રાધાને મુખ ના બતાવશો;
ગાયોનું ધણ લઈને ગોવરધન જાવ ભલે,
                   જમુનાને કાંઠે ના આવશો.

          તાંદુલની પોટલીએ પૂનમની રાત
                   ભલે બાંધીને આવો ગોકુળમાં,
          અડવાણે નૈં દોડે કોઈ અહીં,
                    વિરહાનાં રાજ નહીં જીતો ગોકુળનાં;
સમરાંગણ તમને તો શોભે હો શ્યામ,
                    વગર હથિયારે ત્યાં જ તમે ફાવશો!

          પાંદડે કદમ્બના, પાંપણની ભાષામાં,
                   લખી લખી આંખ હવે ભરીએ;
          જમનાનાં જળ, તમે દેજો હાથોહાથ
                             માધવને દ્વારકાના દરિયેઃ
લખિતંગ રાધાના ઝાઝા જુહાર...
                    શ્યામ, અંતરમાં ઓછું ના લાવશો!


૧૯૭૦

(અંતરનું એકાંત, પૃ. ૪૨)