કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૧૩. અભેદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૩. અભેદ
(શાર્દૂલવિક્રીડિત)

કોઈ રાત્રિ વિશે સરોવર ભર્યું કાંઠા સુધી વારિથી,
પૃથ્વીના ઉર શું, પ્રસન્ન મધુરું ગંભીર ને નિર્મળું;
ના હાલે જલ ખાલી અંતરની કો ઊંડી ગુહા પૂરવા,
કે ગ્રાહો સમ કોઈ ગૂઢ અદમ્યાં તોફાની સત્ત્વો થકી,
ના વા ક્ષુબ્ધ થતું બહાર વહતા ઝંઝાનિલોથી 'થવા
કાળાં અભ્રથી – અંતરાય બનતાં આકાશ ને પૃથ્વીનાં.
ને તેનાં કુમુદો પ્રફુલ્લ નયનો શું પ્રેમનાં નેનને,
પાણીથીય અલિપ્ત, ઊર્ધ્વ, નીરખે નિષ્પન્દ, નક્ષત્રને. ૮
ધારેલી વ્યવધાનશૂન્ય પૃથિવી અંત્રિક્ષના અંકમાં
પ્રેમે લીન થઈ જતી ગગનના સર્વાંગ આશ્લેષથી;
સંક્રામ્યો તહીં વ્યોમરંગ સરમાં, આકાશની ઉન્નતિ
ગંભીરાઈ બની રહી સરમહીં, નક્ષત્ર એ ઊતર્યાં
પૃથ્વીનાં કુમુદોની સાથ રમવા, ને ભેદ ત્યાં ના રહ્યો –
આ તે છે સર, કે અગાધ અકળ્યું અસ્પૃશ્ય આકાશ એ! ૧૪

(શેષનાં કાવ્યો, પૃ. ૩૩)