કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૩. પ્રભુ! જીવન દે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩. પ્રભુ! જીવન
(વિયોગિની)

પ્રભુ, જીવન દે, હજી જીવન દે!
વિપદો નિતનિત્ય નવીન નડે,
ડગલું ભરતાં કુહરે જ પડે,
કંઈ ગુપ્ત ભયો મહીંથી ઊઘડે,
વનકંટકથી તન રક્ત ઝરે,
પણ તોય ન અશ્રુ કદાપિ ખરે
દૃગ, એ પડીને ફરીથી ઊપડે
પગ, એટલું હે પ્રભુ જીવન દે;
પ્રભુ, જીવન દે, નવજીવન દે! ૯
પ્રભુ, બંધનમાં જકડાઈ ગયો,
મુજ દેહ બધો અકડાઈ ગયો,
અવ ચેતન દે,
નવચેતન દે!
સહુ એક જ ઘાથી હું તોડી દઉં,
તલ ગાઢ અહંત્વનું ફોડી દઉં,
તુજ વારિ વિશાલ મહીંથી ઊડે,
લઘુ પામરતા બધી માંહી બૂડે,
જલ એ ઊભરી અભર્યું જ ભરે,
પ્રભુ, એ જલમાં ઝીલવાનું જ દે!
પછી દર્દુર દીર્ઘ રવે જ ભલે, ૨૦
દિનરાત ડરાઉં ડરાઉં કરે,
પણ નિર્ભય મુક્ત અસીમ જલે
ઝીલતાં જનશું મળવાનું જ દે;
પ્રભુ, ચેતન દે, નવચેતન દે. ૨૪
યદિ એ નવ દે, –
પણ જીવનઓટ ન ખાળી શકું,
મુજ જીવનખોટ ન વાળી શકું,
હળવે મુજ જીવનહ્રાસ થતો,
અમ નિર્બળનો ઉપહાસ થતો
જગ ટાળી શકું ૩૦
નહિ, એવું ન દે! પ્રભુ, એ કરતાં,
મુજ આયુષશેષય સંહરતાં,
ઘડી યૌવન જીરણ અંગ તું દે, –
પ્રભુ, જિંદગી પુણ્ય વિના ગઈ છે,
પણ ક્યાં તુજ એ કરુણા ગઈ છે? –
બીજું ના કંઈ તો બસ આટલું દે,
જગપાપ શું કૈં લડવાનું જ દે,
લડી પાર અને પડવાનું જ દે,
હસી મૃત્યુમુખે ધસવાનું જ દે,
ધસી મૃત્યુમુખે હસવાનું જ દે, ૪૦
જીવવા નહિ તો
મરવા કોઈ ભવ્ય પ્રસંગ તું દે!
ઘડી એ બસ એટલું યૌવન દે;
પ્રભુ, યૌવન દે, નવયૌવન દે! ૪૪

(શેષનાં કાવ્યો, પૃ. ૬-૭)