કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૧. પારાવાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧. પારાવાર


હું પોતે મારામાં છલકું
પંચામૃતનો મુખરિત પારાવાર.

હું છું મારો ફેનિલ આરો,
ને હું મુજ ઊર્મિલ મઝધાર :
પંચામૃતનો મુખરિત પારાવાર.

ફેનફેનના કુન્દધવલ કંઈ
ઘૂઘરના ઘમકાર,
હું છું મારું સ્મિતસ્વરમંડલ,
ને હું મારો અભિહત હાહાકાર :
પંચામૃતનો મુખરિત પારાવાર.

હું મારો વિરહાકુલ પ્રેમી,
હું મારો અભિસાર —
સ્વયમ્ વિવર્તિત, સ્વયમ્ વિસર્જિત,
નશ્વર ને તોફાની તબડક
તરંગના તોખાર :
હું પોતે નિજ રેન સમાલું,
હું મારો અસવાર :
પંચામૃતનો મુખરિત પારાવાર.

ઋતુમય તેજઋચા હું પોતે,
હું ઉદ્ગાતા ને હું શ્રોતા,
હું મુજ મંત્રોચ્ચાર :
અનંતમાં લીલામય રમતા
છંદલલિત ઉદ્ગાર :
પંચામૃતનો મુખરિત પારાવાર.

ચેતનમય છલછલ જલઅંબર
ફરફર ફરકે —
દૂર દૂર જઈ આત્મવિલોપનમાં
સહુ મરકે —
મોજમોજનાં ગેબગતકડાં,
ક્ષણભંગુરનો ક્ષણક્ષણ નવઅવતાર :
મોજાંનો છે રવ,
રવનાં છે મોજાં અપરંપાર :
પંચામૃતનો મુખરિત પારાવાર.

હું મારામાં અસીમ સીમિત,
અવિરત, ચંચલ,
અકલિત, એકાકાર :
नित्य शिवोऽहम् नित्य जीवोऽहम्,
પોતે મારામાં મલકું,
પંચતત્ત્વનો પુલકિત પારાવાર.
(સિંજારવ, ૧૯૫૫, પૃ. ૮)