કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૫. બુદ્ધનાં ચક્ષુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૫. બુદ્ધનાં ચક્ષુ

સુન્દરમ્

ભલે ઊગ્યાં વિશ્વે નયન નમણાં એ પ્રભુ તણાં,
ઊગ્યાં ને ખીલ્યાં ત્યાં કિરણકણી આછેરી પ્રગટી,
પ્રભા ત્યાં ફેલાઈ જગત પર દિવ્યા મુદ તણી,
હસી સૃષ્ટિ હાસે, દલ કમલનાં ફુલ્લ બનિયાં.

પ્રભો! જન્મે જન્મે કર ધરી કંઈ શસ્ત્ર ઊતર્યાં,
નખાગ્રે, દંતાગ્રે, દમન કરિયું શબ્દછળથી,
સજ્યું કે કોદણ્ડ, ગ્રહી પરશુ, ચક્રે ચિત ધર્યું,
તમે આ જન્મે તો નયનરસ લેઈ અવતર્યા.

વિધાતાનાં દીધાં નયન કરીને બંધ જગ આ
ભુજાએ ઝૂઝંતું કુટિલ મનનો આશ્રય લઈ,
પ્રભો! આવી આપે નયન જગને અર્પણ કર્યાં,
ભમંતું અંધારે જગત નવ ચક્ષે જગવિયું.

મથ્યા લોકો ખુલ્લાં નયન કરવા બંધ પ્રભુનાં,
પૂર્યાં કિલ્લે, મ્હેલે, રમણીભુજને પિંજર વિષે;
વિદાર્યા એ બંધો, નયન ઊઘડ્યાં ચેતનભર્યાં,
ન ઊંઘ્યાં જાગેલાં, મૂરછિત દૃગોને જગવિયાં.

ફરી ખૂણે ખૂણે જગત નીરખ્યું નેત્ર સદયે,
લહ્યું : સૃષ્ટિખાડે ખદબદી રહ્યા કીટ જગના,
જરા-વ્યાધિ-મૃત્યુ ત્રિવિધ વમળે ડૂબી મરતા,
અને બીજા જીવો ઉપર નભતા જીવ નીરખ્યા.

ઘૂમ્યા શાંતિ અર્થે વન વન, તપો તીવ્ર તપિયાં,
ન લાધ્યું ઇચ્છેલું, નયન ભમતાં ત્યાં વિરમિયાં;
સર્યાં તે મીંચાઈ નિજ હૃદયને સાગરતલે.
ઠરી આત્માગારે વિરલ લઈ મુક્તા ઊઘડિયાં.

અને આત્મસ્નાને અધિક થઈને આર્દ્ર નયનો
ખૂલ્યાં ના ખૂલ્યાં ત્યાં પ્રણયરસગંગા અવતરી,
વહી તે ફેલાતી સભર જડ ને ચેતન વિષે,
કૃપાગંગાસ્નાને અવગતિ ટળી જીવ સહુની.

ઉધારી સૃષ્ટિને નયનજલથી, ચક્ષુ પ્રભુએ
શમાવ્યાં, ત્યાં બીજાં નયન જગને અંતર ખૂલ્યાં;
પછી ઝંઝાવાતો ઊમટી કદી એને મૂંઝવતા,
તુફાનો દાબી એ દ્વિગુણ બલથી તે ચમકતાં.

હવે ના મીંચાશે નયન કદીયે જે ઊઘડિયાં,
દયાની ગંગા આ પરમ તપ અંતે ઊતરી, તે
અખંડા વ્હેતી ર્‌હો કઠણ તપના સિંચન થકી,
વહો ખંડે ખંડે, પ્રતિ ઉર વહો તપ્ત જગને.

(કાવ્યમંગલા, પૃ. ૧૪-૧૫)