કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ

અંધારની ખુશ્બોને માણનાર, માટીની સુગંધને ગટગટાવનાર કવિશ્રી પ્રહ્ લાદ પારેખનો જન્મ ૧૨મી ઑક્ટોબર, ૧૯૧૨ના રોજ ભાવનગરમાં થયો હતો. પિતા જેઠાલાલ દુર્લભજી પારેખ રેલવેમાં નોકરી કરતા હતા. માતા મેનાલક્ષ્મી પારેખ અને પત્ની રંજનબહેન પારેખ. તેમને ચાર પુત્રી અને એક પુત્ર. કવિએ પ્રાથમિક શિક્ષણ ભાવનગરની ધૂળી શાળા અને દરબારી શાળામાંથી મેળવ્યું. માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ, ભાવનગરમાંથી પ્રાપ્ત કર્યું. અહીં નાનાભાઈ ભટ્ટ અને હરભાઈ ત્રિવેદી જેવા વિદ્વાનોના સાન્નિધ્યમાં તેમનું સંસ્કારઘડતર થયું તેમજ સાહિત્યનું વાતાવરણ મળ્યું. ૧૯૩૦માં આઝાદીની ચળવળમાં જોડાવા માટે અભ્યાસ છોડ્યો. વીરમગામની સત્યાગ્રહ- છાવણીમાં જોડાયા. શ્રી ઉમાશંકર જોશી તથા અન્ય સત્યાગ્રહીઓ સાથે વિસાપુર જેલમાં જેલવાસ ભોગવ્યો. એ પછી પુનઃ અભ્યાસ શરૂ કર્યો. દક્ષિણામૂર્તિમાંથી વિનીતની પરીક્ષા પાસ કર્યા પછી તેઓ વધુ અભ્યાસાર્થે ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ૧૯૩૩માં શાંતિનિકેતન જઈને ચાર વર્ષ અભ્યાસ કર્યો. ૧૯૩૭માં તેઓ વિલેપાર્લેની પ્યુપિલ્સ ઓન સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. ૧૯૪૫થી મૉડર્ન હાઈસ્કૂલમાં સંગીતના શિક્ષક તરીકે કાર્યરત રહ્યા. ૨ જી જાન્યુઆરી ૧૯૬૨ના રોજ હૃદયરોગના હુમલાથી કાંદીવલી, મુંબઈમાં અવસાન થયું.

શાંતિનિકેતનમાં અભ્યાસ દરમિયાન, રવીન્દ્રનાથની નિશ્રામાં કવિશ્રી પ્રહ્ લાદ પારેખની કવિપ્રતિભાનું ઘડતર થયું. ત્યાં તેમને સૌંદર્યબોધની સહજ દીક્ષા મળી. શાંતિનિકેતનના વાતાવરણમાં તેમની સર્જકતાને પોષણ મળ્યું. સાહિત્ય, સંગીત, ચિત્રકલા, નાટ્યકલા, શાંતિનિકેતનના ઉત્સવો વગેરે તેમના ચિત્તમાં ઝિલાયાં. તેમની સર્જકચેતના ખીલતી ગઈ. સૌરાષ્ટ્રના ભજનસંગીત, લોકસંગીતના ઢાળો, રવીન્દ્રસંગીતના ઊંડા સંસ્કારો તથા રવીન્દ્રનાથની કવિતાઓના છંદોલય સતત તેમના કાને પડ્યા છે. આ કવિનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘બારી બહાર’ ૧૯૪૦માં પ્રગટ થયો. એ દ્વારા એમણે નવી કેડી કંડારી. ૧૯૪૮માં તેમનો બીજો કાવ્યસંગ્રહ ‘સરવાણી’ પ્રગટ થયો. નવી તાજગી લઈને આવનાર પ્રહ્ લાદ પારેખની કવિતામાં ભાવ, ભાષા અને અભિવ્યક્તિ ધ્યાન ખેંચે છે. પ્રકૃતિ, પ્રેમ, પ્રણય, માનવહૃદયના ઋજુભાવો, અધ્યાત્મભાવ વગેરે પ્રહ્ લાદ પારેખની કવિતાના મુખ્ય વિષયો રહ્યા છે. આ કવિની મહત્ત્વની લાક્ષણિકતા એ છે કે તેઓ અમૂર્તભાવોને ઇન્દ્રિયગ્રાહ્ય બનાવે છે. આથી જ તેઓ તડકાના ચોસલાને ચગળાવી શકે છે અને અંધારની ખુશ્બોને માણી શકે છે. બે કાવ્યસંગ્રહો ઉપરાંત કવિશ્રી પ્રહ્લાદ પારેખ પાસેથી સ્ટિફન ઝ્ વાઇગની નવલકથાનો અનુવાદ ‘અજાણીનું અંતર’ નામે મળ્યો છે, તેમજ ઇન્ગોલ્સ વાઇલ્ડરની વાર્તાઓના અનુવાદો ‘રૂપેરી સરોવરને કિનારે’ નામથી પ્રગટ થયેલાં છે. ‘રાજકુમારની શોધમાં’ અને ‘કરુણાનો સ્વયંવર’ નામે દીર્ઘ બાળવાર્તાઓ તથા ‘તનમનિયા’ નામે બાળકાવ્યોના સંગ્રહો મળ્યાં છે, તો ‘ગુલાબ’ અને ‘શિવલી’ (૧૯૩૮)માં શૈશવકાળનું મનોવૈજ્ઞાનિક નિરૂપણ કર્યું છે. ૧૯૬૨માં તેમણે ‘શિસ્તની સમસ્યા’ નામે પરિચયપુસ્તિકા આપી છે.

કવિશ્રી પ્રહ્લાદ પારેખ તેમના સમકાલીનો કરતાં જુદી કેડી કંડારનાર કવિ છે. કવિશ્રી ઉમાશંકર જોશી પ્રહ્લાદ પારેખની કવિતાને ‘આંખ, કાન અને નાકની કવિતા’ કહે છે. આ કવિતા તેમને ‘નીતર્યા પાણી જેવી સ્વચ્છ કવિતા’ લાગી છે. કવિશ્રી ચંદ્રકાન્ત શેઠ પ્રહ્લાદ પારેખની કવિતા વિશે લખે છે ઃ “એમની કવિતા શકુંતલાની જેમ પ્રકૃતિના ખોળે ઊછરેલી છે. પ્રકૃતિનાં સૌમ્ય અને રમ્ય તત્ત્વો પ્રતિ એમનું પ્રબળ આકર્ષણ છે. વર્ષો પછીના ઉઘાડ જેવી આભા એમની કાવ્યસૃષ્ટિમાંથી આપણે પામી શકીએ છીએ. તેમની કાવ્યસૃષ્ટિમાં પ્રકૃતિની પ્રફુલ્લિત ગતિ સાથે જીવનની ગહન રસવૃત્તિનું અનોખું સાયુજ્ય સધાયેલું અનુભવાય છે.” આ સૌંદર્યાભિમુખ કવિને પ્રકૃતિનાં વિવિધ તત્ત્વોનું અગમ્ય આકર્ષણ છે, અદ્ ભૂત ખેંચાણ છે. એમની પાસેથી આપણને નિર્ભેળ પ્રકૃતિકાવ્યો મળ્યાં છે, તો પ્રકૃતિનું આલંબન લઈને તેમણે વિવિધ સંવેદનોને કાવ્યરૂપ આપ્યું છે. આ કવિને પ્રકૃતિ સતત સાદ કરે છે. કવિ નિતનવીન રૂપે પ્રકૃતિને પામે છે, માણે છે અને આલેખે છે. ‘બારી બહાર’ કાવ્યમાં કવિ જ્યારે વર્ષોથી બંધ બારી (હૃદયની!) ઉઘાડે છે, ત્યારે કવિને દસે દિશાઓમાંથી ‘આવ, આવ’ એવો આવકાર સંભળાય છે. બારી બહારનું સૌંદર્ય કવિની જ્ઞાનેન્દ્રિયોને સ્પર્શીને ભીતરમાં પ્રવેશે છે :

‘આવે વાયુ પ્રથમ ભીતરે સિંધુના મોજ ચૂમી,
ઘૂમી ઘૂમી વનવન મહીં પુષ્પોની ગંધને લૈ;
માળે માળે જઈ જઈ લઈ પંખીના ગાનસૂર,
લાવે હૈયે નિકટ મુજ જે આંખથી હોય દૂર.’

સિંધુની લહેરોને ચૂમીને, વનેવનમાં ઘૂમીને, પુષ્પોની સુગંધ લઈને, માળાઓમાંથી પંખીઓના ગાન લઈને આવતો પવન કવિના હૃદયમાં પ્રવેશે છે. કવિ પ્રકૃતિના પ્રત્યેક તત્ત્વમાં સજીવારોપણ કરીને જીવંત કલામય નિરૂપણ કરે છે. ખૂબ નજાકતથી, વિસ્મયયુક્ત પ્રસન્નતાથી, કિરણો, પંખીઓ, વૃક્ષો, ઝરણાં, માર્ગની ધૂળ, ખેતરમાંનાં ડૂંડાં, મૃદુ ડગલે જતી વાદળી, વીજળી, મેઘધનુષ્ય, વનો, પર્વતો અને રણોની વાતો કરતી સમ્રાજ્ઞી જેવી વાદળી વગેરેનું કવિ હૃદયંગમ વર્ણન કરે છે. એ બધાંથી કવિનું હૈયું તરબતર થઈ જાય છે. કવિ પણ ‘આકાશથાળે’ સૌંદર્યનો આસવ ભરેલી ‘તારકપ્યાલીઓ’ લઈને ઊભેલી રાત્રિના હાથમાંથી એક પ્યાલી લઈને પીએ છે. સૌંદર્યના અમૃતપાનથી કવિની આંતરબાહ્ય સૃષ્ટિ એકાકાર થઈ જાય છે. ‘ઘેરૈયા’માં પ્રકૃતિના અવનવા અદ્ ભુત રંગોનું સૌંદર્યદર્શન કરતા કવિ ખુદ ઘેરૈયા બની જાયછે. કવિને આ અવનવા રંગોથી પૃથ્વીને અને આકાશને રંગનાર મહાઘેરૈયો કોણ છે, એની શોધ છે:

‘મહાઘેરૈયો કો વિધવિધ લઈ રંગ ઘૂમતો,
ઘડી પૂર્વે છાંટે, ઘડીક ભરતો પશ્ચિમ દિશા;
કહી આખે આભે ઘનદળ મહીં રંગ પૂરતો,
કદી સાતે રંગો લઈ ગગનમાં ચાપ કરતો.’

પ્રકૃતિ સાથે ઓતપ્રોત આ કવિએ નભમંડપમાં, વનમાં અને વર્ષાની સંગતમાં મહેફિલો માણી છે. ‘અમારી મહેફિલો’માં કવિએ પ્રકૃતિના સૌંદર્યને ભરપૂર આસ્વાદ્યું છે, વાદળને પીધાં છે, વસંતની સૌરભ ગટગટાવી છે, વીજનૃત્યો પણ માણ્યાં છે, તો માનવસમુદાયમાં હૃદયના સુખદુઃખના સંવેદનરસની મહેફિલો પણ માણી છે. અંધારની ખુશ્બોથી કવિનું હૈયું અપૂર્વ આનંદથી છલકાઈ જાય છે. ‘આજ’ કાવ્યમાં જુઓ:

‘આજ અંધાર ખુશબોભર્યો લાગતો,
આજ સૌરભભરી રાત સારી;’
કવિને રાત્રિનું સૌંદર્ય, ફૂલોનોં મઘમઘાટ આશ્ચર્યચકિત કરી દે છે. પ્રકૃતિનું સૌંદર્ય કવિને રહસ્યમય લાગે છે ઃ
‘ક્યાં, કયું પુષ્પ એવું ખીલ્યું, જેહના
મઘમગાટે નિશા આજ ભારી
.... .... .... .... .... .... .... .... ....
.... .... .... .... .... .... .... .... ....’

કવિને જે આનંદની કલ્પના હતી એ ‘સુરભિ-પૂર’ થઈને ઊમટ્યો છે, પ્રગટ્યો છે. તેમનું હૃદય જે સૂર માટે વ્યગ્ર હતું તે સૂર કવિને લાધ્યો છે. આ કવિ અંધકારને પણ શણગારી શકે છે, રંગી શકે છે અને આસ્વાદી પણ શકે છે. આ કવિને છાપરાના નળિયાનાં બાકોરાંમાંથી પડતાં ‘ચાંદરણાં’ પ્રકાશનાં પુષ્પો લાગે છે. તો ‘જૂઈ’માં કવિએ પ્રકૃતિનું એક અરૂઢ સુંદર કલ્પનાચિત્ર રજૂ કર્યું છે. રાત્રે રમવા નીકળતા તારલા, જૂઈ અને પવનની રમતમાં કવિએ બાળસહજ લીલાનું સુંદર ચિત્રાંકન કર્યું છે. ‘શિવલી’ એટલે પારિજાત. અંધકારમાં થોડી થોડી વારે ખરતાં પારિજાતની પાંખડીઓમાં કવિ શરદઋતુની તાજગી અનુભવે છે. રાત્રિ જામતી જાય છે તેમ શિવલીની સુગંધથી કવિનું હૃદય મઘમઘી ઊઠે છે. જ્યારે ‘ઘાસ અને હું’માં કવિએ ઘાસના નૈસર્ગિક વૈભવનું સુંદર ચિત્રાત્મક નિરૂપણ કર્યું છે:

‘જ્યાં સુધી પહોંચે નજર
ત્યાં સુધી બસ ઘાસનો વિસ્તાર છે,
ને પછી આકાશ કેરી
નીલરંગી ક્ષિતિજ કેરી ધાર છે.’

જાણે કવિ અહીં ધરતી અને આકાશના આશ્લેષની સૌંદર્યલીલાનું આપણને ‘દર્શન’ કરાવે છે. કવિચિત્ત પ્રેમ અને પ્રકૃતિના આહ્લાદક સૌંદર્ય સાથે તાદાત્મ્ય અનુભવે છે. આ અલગારી કવિ સૌંદર્યની ભૂખ અને તરસ સંતોષવા માટે નીકળી પડ્યા છે:

‘રખડવા નીકળ્યો છું
તરસને ભૂખ મારી તૃપ્ત કરવા કાજ
આજ ભટકવા નીકળ્યો છું.’

વર્ષા પછીની તડકીલી સૃષ્ટિના સૌંદર્યને કવિએ ઇન્દ્રિયગ્રાહ્યતાથી આસ્વાદ્ય બનાવ્યું છે. તડકાના તાજા અને થોડા ગરમ ચોસલાને બટકાં ભરીને તેની ઉપર માટીની સોડમને ગટગટાવી જવાની વાત કરતા કવિ પ્રકૃતિસૌંદર્યને પામીને જહાંગીરીનો અનુભવ કરે છે:

‘શી છે કમી, જહાંગીર છું
– ને જહાંનું નૂર આ સામે ખડું.’

વર્ષાનો ઉત્સવ ઊજવવા માટે પ્રહ્લાદ પારેખે વર્ષાગીતોની માળા રચી છે. જેને તેઓ ‘વર્ષામંગળ’ કહે છે. જેમાં રવીન્દ્રનાથનાં વર્ષાગીતો અને શાંતિનિકેતનના વર્ષા-ઉત્સવોની પ્રેરણા છે. આ પણ પ્રકૃતિ કવિતાના ઉત્તમ ઉદાહરણો છે. જેમ કે, ‘ધરતીનાં તપ’, ‘મન પાગલ થાય રે’, ‘વાવણી’, ‘આવી’તી એક તારી વાદળી’ વગેરે નોંધપાત્ર છે. આ કવિએ પ્રકૃતિનું આલંબન લઈને અનેક ઋજુ સંવેદનોને વાચા પણ આપી છે; જેમ કે, ‘બનાવટી ફૂલોને’ કાવ્યમાં કવિ બનાવટી ફૂલોના ઓઠા નીચે બનાવટી લોકોની સંવેદનહીનતાને વ્યંજિત કરે છે. ‘જલધિમોજ શો’ જેવા લઘુકાવ્યમાં કવિ ખૂબ મોટી વાત કરે છે :

‘તૂટો, નવ તૂટો, પહાડ; કણ વા ખરો, ના ખરો ઃ
નહીં જલધિમોજ એ કદીયે ચિત્ત ચિંતા ધરે.
પ્રફુલ્લ સુખ, ઉરગીત સહુ અંગથી નાચતા–,
વહી સતત કાંઠડે ભીષણ પર્વતે આથડે.’

સતત આનંદ-મોજથી નાચતાં, ગાતાં, ઊછળતાં દરિયાનાં મોજાંઓ ભીષણ પર્વતોને અથડાયાં કરે છે. અડીખમ ઊભેલા પહાડો તૂટે ન તૂટે, એમાંથી કોઈ કણ ખરે ન ખરે તેની ચિંતા કે પરવા વગર મોજાંઓ તેમનું અવિરત કામ કર્યા કરે છે. કવિ અહીં કર્મફળની આશા વિના જીવનધર્મ અદા કરવાનું ઇંગિત આપે છે. કવિશ્રી પ્રહ્લાદ પારેખનાં પ્રણયકાવ્યોમાં મુગ્ધતા, ઝંખના, સમર્પણ, વિષાદ વગેરે ભાવોનું હૃદયસ્પર્શી નિરૂપણ છે. તેમનાં આ કાવ્યોમાં પ્રણયભાવના અને પ્રકૃતિચિત્રોનો સુભગ સમન્વય જોવા મળે છે. પ્રકૃતિસૌંદર્યનો આસવ માણતા આ કવિના હૃદયમાં આનંદની છોળો ઊડે છે. તેમનાં કાવ્યોમાં હતાશા, નિરાશા, એકલતા કે શૂન્યતા ભાગ્યે જ જોવા મળે છે. છતાં આ પ્રકૃતિપ્રેમી કવિને ક્યારેક ‘એકલું’ લાગે છે:

‘કોઈ રે આવી કોઈ વહી ગયું, મારે અંતરને દ્વાર;
કોઈ રે ગાઈ મૂંગું રહી ગયું, છાયો ઉરમાં સૂનકાર:
એવું રે લાગે આજે એકલું.’

તો કવિના હૈયાને તેમની ‘પ્રીત’ની વાટ ખબર છે. એટલે જ કવિ ‘મારા રે હૈયાને તેનું પારખું’માં કહે છે:

‘વગડે ઊભી છે નાની ઝૂંપડી, થર થર થાયે છે દીપ;
તહીં રે જોતી મારી વાટડી, વસતી મારી ત્યાં પ્રીતઃ
મારા રે હૈયાને તેનું પારખું.’

કવિશ્રી પ્રહ્લાદ પારેખ પાસેથી ઈશ્વરપ્રીતિ અને અધ્યાત્મભાવના કાવ્યો-ગીતો મળ્યાં છે. તેમનાં કાવ્યોમાં અધ્યાત્મભાવનું સહજ અને સરળ નિરૂપણ હોય છે. જુઓ:

‘એક લંગોટી, એક ભંભોટી, હાથમાં છે એકતારો,
એક હરિનું નામ છે હોઠે, ગાનનો એક ફુવારો.
હૈયે અમારે ગાનનો એક ફુવારો.’

અધ્યાત્મના રંગે રંગાયેલા આ અવધૂતના ગાનનો રંગ ગેરુ છે. જેમાં ધરતીથી આભ સુધી સમગ્રને એકાકાર કરવાની દિવ્ય શક્તિ છે. ‘તારો ઇતબાર’ એ પ્રભુ પરની અડગ શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસને અભિવ્યક્ત કરતું ગીત છે. તો ‘આપણે ભરોસે’માં ઈશ્વર પરની શ્રદ્ધા સાથે આત્મશ્રદ્ધા કેળવવાની વાત છે:

‘ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો
ખુદાનો ભરોસો નકામ,
છો ને એકતારે ગાઈ ગાઈને કહે,
તારે ભરોસે રામ!’

ભજનના અને લોકગીતના લય, ઢાળ તેમજ સહજતાથી પ્રયોજાતા છંદો વગેરે પ્રહ્લાદ પારેખની લાક્ષણિકતા છે. કવિશ્રી ચંદ્રકાન્ત શેઠ પ્રહ્લાદ પારેખની કવિતા વિશે જણાવે છે કે : “પ્રહ્લાદ પારેખની બધી જ કવિતા છાંદસ છે, નિયત લયથી બદ્ધ છે. એમની કવિતા વર્ણમેળ, માત્રામેળ, સંખ્યામેળ તેમજ લયમેળ – એવા ચાર છાંદસ પ્રકારોમાં મળે છે... આ કવિના પહેલા કાવ્યસંગ્રહ ‘બારી બહાર’માં છંદોબદ્ધ રચનાઓનું તો એમના ‘સરવાણી’ નામના બીજા કાવ્યસંગ્રહમાં ગીતોનું બાહુલ્ય છે.’ આ સૌંદર્યબોધના કવિને સૌંદર્યમાં જ પરમાત્માનો અનુભવ થાય છે. એટલે જ કવિ મોકળા મને ગાય છે:

‘અમે પીનારા એ અદ્ ભુત રસોના ફરી ફરી,
અમે ગાનારા એ રસઅસરને સૌ અનુભવી.’

તા. ૧૦-૦૯-૨૦૨૧ – ઊર્મિલા ઠાકર