કુંદનિકા કાપડિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

કાપડિયા કુન્દનિકા નરોત્તમદાસ/દવે કુન્દનિકા મકરંદ, ‘સ્નેહધન’ (૧૧-૧-૧૯૨૭) : વાર્તાકાર, નવલકથાકાર. લીંબડીમાં જન્મ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોધરામાં. ૧૯૪૮માં ભાવનગરથી રાજકારણ અને ઇતિહાસ વિષયો સાથે બી.એ. ૧૯૫૫ થી ૧૯૫૭ સુધી ‘યાંત્રિક’ ને ૧૯૬૨થી ૧૯૮૦ સુધી ‘નવનીત’નાં સંપાદક. ૧૯૮૫નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. એમની પ્રથમ રચના ‘પ્રેમનાં આંસુ’ વાર્તા છે. ધૂમકેતુ, શરદબાબુ, ટાગોર, શેક્સપિયર અને ઇબ્સનમાંથી પોતાને સર્જનકાર્યની પ્રેરણા મળી હોવાનું એ જણાવે છે. એમના વાર્તાસંગ્રહોમાં ‘પ્રેમનાં આંસુ’ (૧૯૫૪) તથા ‘વધુ ને વધુ સુંદર’ (૧૯૬૮), ‘કાગળની હોડી’ (૧૯૭૮) અને ‘જવા દઈશું તમને’ (૧૯૮૩) મુખ્ય છે. ફિલસૂફી, સંગીત ને પ્રકૃતિ જેવા વિષયોને વિશેષ રીતે પ્રયોજતી એમની વાર્તાઓમાં રહસ્યમયતા કોઈ ને કોઈ રીતે આલેખાયેલી હોય છે. એમણે લખેલી ત્રણ નવલકથાઓ પૈકી પહેલી ‘પરોઢ થતાં પહેલાં’ (૧૯૬૮) જીવનમાં પડેલા દુઃખના તત્ત્વને અતિક્રમીને મનુષ્ય પોતાના આનંદરૂપ સાથે શી રીતે અનુસંધિત થઈ શકે એ મૂળભૂત પ્રશ્ન છેડીને કલાત્મક ધ્વનિમયતાથી પરોઢનાં આશાકિરણની ઝાંખી કરાવતી કથા છે. ‘અગનપિપાસા’ (૧૯૭૨) બુદ્ધિ કરતાં હૃદય પરની આસ્થા પ્રગટ કરીને નવો દૃષ્ટિકોણ પ્રગટ કરતી કથા છે. ‘સાત પગલાં આકાશમાં’ (૧૯૮૪) નામની એમની બહુચર્ચિત દીર્ઘનવલ આધુનિક નારીના વિદ્રોહની કંઈક અંશે દસ્તાવેજી કથા છે. એમણે ત્રણેક અનુવાદો આપ્યા છે : શ્રીમતી લોરા ઇંગ્લસ વાઈલ્ડર નામની લેખિકાની નવલકથાનો અનુવાદ ‘વસંત આવશે,’ (૧૯૬૨), મેરી એલન ચેઝના જીવનના – ખાસ કરી બાળપણના – અનુભવોનો સાહિત્યિક સુષમાવાળા અનુવાદ ‘દિલભર મૈત્રી’ (૧૯૬૩), અને બંગાળી લેખિકા રાણી ચંદના પ્રવાસવર્ણનનો અનુવાદ ‘પૂર્ણકુંભ’ (૧૯૭૭), ઉપરાંત એમના પ્રકીર્ણ લેખેનો સંગ્રહ ‘દ્વાર અને દીવાલ’ (૧૯૫૫), પ્રાર્થનાસંકલન ‘પરમસમીપે’ (૧૯૮૨) પણ નોંધપાત્ર છે.