કુંવરબાઈનું મામેરું/કડવું ૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડવું ૮


[ નાગરો દ્વારા થતી વૈષ્ણવ ભક્તની મજાક(ચેષ્ટા)ને વળ ચડાવીને ખરેખર તો કવિએ મહેતાની વિનયશીલતાનું ગૌરવ કર્યું છે.]

(રાગ ગોડી)
કૌતુક આ કળજુગનાં, વૈષ્ણવની ચેષ્ટા થાય રે;
વાંકાબોલી નાત નાગરી, સહેજે બોલે અન્યાય રે. કૌતુક૦          ૧

ભોજન કરવા મહેતાજી તેડ્યા, સાથે બહુ વેરાગી રે;
ટોળે મળી નાગરની નારી, જોઈજોઈ હસવા લાગી રે. કૌતુક૦          ૨

ધર્યાં તિલક, તુલસીની માળા, છાપાં અંગ વિરાજે રે;
‘વેવાઈનું રૂપ જુઓ, રે બાઈ! કંદર્પ સરીખો લાજે [1]રે. કૌતુક૦          ૩

મલ્હાર ગાશે નહાતી વેળા, વરસશે વરસાત રે;
પ્રસાદ કરતાં થાળ ગાશે, જમશે જાદવનાથ રે. કૌતુક૦          ૪

સ્નાન કરી નાગર સહુ બેઠા, જેને જેશું મળતું રે;
મહેતાજીને નાહવા કારણ જળ મેલ્યું કળકળતું [2]રે. કૌતુક૦          ૫

જેમ તેલ-કઢા તાતી ઉકાળી સુધન્વાને તળવા રે,
તેવું જળ વેવાણે મૂક્યું મહેતાજીને છળવા રે. કૌતુક૦          ૬

ઉષ્ણોદક દેખી મહેતાએ માગ્યું ટાઢું પાણી રે;
મર્મવચન મુખ મરડી બોલી કુંવરબાઈની જેઠાણી રેઃ કૌતુક૦          ૭

‘જો માગ્યા મેહ વરસે, મહેતાજી! તો અમ પાસે શું માગો રે?’
બાજઠે બેઠાં તાળ મગાવી, બોલ હૃદેમાં વાગ્યો રે. કૌતુક૦          ૮

સ્મરણ માંડ્યું શામળિયાનું, આલાપ્યો રાગ મલ્હાર રે;
નાગરલોક સહુ જોવા મળિયા, બોલે વ્યંગ વિચાર રે. કૌતુક૦          ૯




  1. કંદર્પ(કામદેવ) જેવો પણ નરસિંહના રૂપ આગળ શરમાય, ભોંઠો પડે– એવો કટાક્ષ
  2. ઊકળતું