કુરબાનીની કથાઓ/વિવાહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વિવાહ

રાતનો બીજો પહોર જામતો ગયો તેમ તેમ શરણાઈઓમાંથી બિહાગના સુર નીકળવા લાગ્યા. ઢોલનગારાંનો કોલાહલ બંધ છે. માયરાની નીચે છેડાછેડી બાંધેલ વરકન્યા અાંખો નમાવીને સપ્તપદીના મંત્રો સાંભળી રહ્યાં છે. ચોપાસના ઝરૂખાઓની બારીઓ ખોલીખોલીને નગરની રમણીઓ ઘૂમટાનાં ઝીણાં બાંકોરાંમાંથી વર-કન્યાને જોઈ રહી છે. આષાઢના નવમા દિવસની એ ઝરમર ઝરમર વરસતી રાત્રિયે, ધીરું ધીરું આકાશ ગરજે છે ને ધરતી ઉપર ધીરી ધીરી શરણાઈ બોલે છે. એ કોણ પરણે છે? એક ક્ષત્રિય રાજા પરણે છે. મારવાડનો એક મંડળેશ્વર મેડતાનો તરુણ રાજા. શરણાઈના એકલા સૂર ક્ષત્રિયના વિવાહમાં નહિ તો બીજે ક્યાં વાગે? ઈશાન ખૂણામાંથી વાયુના સૂસવાટા વાય છે. આકાશની છાતી ઉપર વાદળાં ઘેરાય છે માયરામાં મણિજડિત ઝુમ્મરો લટકે છે, દીવાઓ જાણે એ મણિઓની અંદર પોતાનાં હજારો પ્રતિબિમ્બો નિહાળી નિહાળીને નાચી રહ્યા છે. જ્યોતિઓથી ઝળહળતા એ લગ્નમડપમાં અચાનક કોણ વિદેશી આવીને ઊભો રહ્યો? દરવાજે આ રણભેરી કોણે બજાવી? આ ગઢના નગારા પર ડાંડી કેમ પડી? જાનૈયાઓ વીજળીના ચમકારની જેમ ખડા કેમ થઈ ગયા? તલવાર ખેંચીને ક્ષત્રિઓ વરકન્યાની આસપાસ કાં વીંટળાઈ વળ્યા? કોઈ યમદૂત આવી પહોંચ્યો કે શું? ના; એ તો મારવાડરાજનો દૂત આવ્યો છે વરરાજાના હાથમાં એક લોહીથી છાંટેલો કાગળ મૂકે છે અને સંદેશો સંભળાવે છે: “દુશ્મનો મારવાડમાં આવીને ઊભા છે, મરધરપતિ રામસિંહ રણે ચડી ચૂકયા છે. જોધાણનાથે કહાવ્યું છે કે, હે માંડળિકો! હથિયાર લઈને હાજર થજો. બોલો, રાણા રામસિંહનો જય!” મેડતાનો રાજા માયરામાં ઊભો ઊભો ગરજી ઊઠ્યો કે “જય, રાણા રામસિંહનો જય.” એની ભ્રુકૂટિ ખેંચાઈ ગઈ અને કપાળ પર પરસેવાનાં બિન્દુ જામ્યાં. પરણતી કન્યાની નમેલી અાંખોમાં અાંસુ છલછલ થાય છે. એનું અંગ થર થર થાય છે. પુરુષ પોતાની પરણેતરની સામે ત્રાંસી એક નજર નાખવા જાય ત્યાં તો દૂત બૂમ પાડી ઊઠ્યો કે “રાજપૂત સાવધાન! હવે સમય નથી.” એ ભીષણ અવાજથી આખો મંડપ જાણે કમ્પી ઊઠ્યો, દીવાની જયોતો જાણે થંભી ગઈ. “અશ્વ લાવો, રે કોઈ દોડો! અશ્વ લાવો.” રાજાએ સાદ કર્યો. ચાર નેત્રો મળી ન શક્યાં. મુખમાંથી વિદાયનો એક ઉચ્ચાર પણ ન કરી શકાયો. એ વીરની છાતીમાંથી અાંસુ ઊઠ્યાં તે આંખોને ખૂણે આવીને જ પાછાં વળી ગયાં. હણહણતો અશ્વ આવી પહોંચ્યો. એનો એ લગ્નમુગટ, એની એ ગુલાલભરી અંગરખી, હાથમાં એનો એ મંગળમીંઢોળ: ને રાજા અશ્વ ઉપર ચડી ચાલી નીકળ્યો. કન્યા તો ઘોડાના ડાબલા સાંભળતી રહી. મંડપના દીવા મણિમાળામાં પોતાનાં મોં નિહાળતા રહ્યા, પુરોહિતનો મંત્રોચ્ચાર અરધે આવીને ભાંગી ગયો અને શરણાઈના સૂરો શરણાઈના હૈયામાં જ સમાયા. અધૂરી રહેલી સપ્તપદી હવે કયારે પૂરી થવાની હશે? કન્યાને અંત:પુરમાં લાવીને માએ રડતાં રડતાં કહ્યું: ‘અભાગણી દીકરી! પાનેતર ઉતારી નાખ. મીંઢોળ છોડી નાખ. ગયેલો ઘોડેસ્વાર હવે ક્યાંથી પાછો આવે?' કુમારી કહે: ‘પાનેતર ઉતારવાનું કહેશો નહિ માડી! ને બાંધ્યા મીંઢોળ હવે છૂટવાના નથી. આ વેશે જ હું હમણાં મેડતાપુરને માર્ગે ચાલી નીકળીશ. ચિંતા કરશો નહિ, મા! રજપૂત પાછા આવ્યા વિના રહેશે નહિ, અધૂરા રહેલા ફેરા ત્યાં જઈને ફરી લેશું.' પુરોહિતે આવીને આશિર્વાદ દીધો. દુર્વાનાં પવિત્ર તરણાં સાથે બંધાવ્યાં. નગરની નારીઓનાં મંગળ ગીત સાંભળતી સાંભળતી રાજકુમારી વેલડીમાં બેઠી. સાથે રંગીન વસ્ત્રો પહેરીને દાસદાસીઓ નીકળ્યાં. માતા બચ્ચી ભરીને કહે છે કે: ‘બેટા! આવજે હો!' એની આંખમાં આંસુ સમાયાં નહિ. બાપુ માથે હાથ મેલીને બોલ્યા: ‘દીકરી! આવજે હો!' એણે મોં ફેરવી લીધું. છાનીમાની એણે આંખો લૂછી. ઘૂઘરીઆળી વેલ્ય, ધૂળના ગોટા ઉડાડતી પાદર વળોટી ગઈ, નદીને પેલે પાર ઊતરી ગઈ, સ્મશાનની પડખે થઈને નીકળી ગઈ. માબાપ જોઈ રહ્યાં. ઓ જાય! ઓ દેખાય! ઓ આકાશમાં મળી જાય! ઓ શરણાઈનો સૂર સંભળાય! અધરાત થઈ, અને મેડતાપુરના દરવાજા પાસે મશાલોનો પ્રકાશ ઝળહળી ઊઠ્યો. શરણાઈઓના ગહેકાટ સાથે રાજકુમારી આવી પહોંચી. નગરને દરવાજે પ્રજાજનોની મેદની જામેલી છે. સહુનાં અંગ ઉપર સફેદ વસ્ત્રો છે. પ્રજાજનો બૂમ પાડી ઊઠ્યા: ‘શરણાઈ બંધ કરો.' શરણાઈ બંધ પડી. દાસદાસીએાએ પૂછ્યું: ‘શી હકીકત છે?' નગરજનો બોલી ઊઠ્યાઃ ‘મેડતાના રાજા આજે યુદ્ધમાં મરાયા. આંહીં એની ચિતા ખડકાય છે એને અગ્નિદાહ દેવાશે.' કાન માંડીને રાજકુમારીએ વાત સાંભળી. આંસુંનું એક ટીપું પણ એ બે આંખોમાંથી ટપક્યું નહિ. વેલડીને પડદો ખોલીને કુમારીએ હાકલ મારી: ‘ખબરદાર! શરણાઈ બંધ કરશો મા! આજે અધૂરાં લગ્નો પૂરાં કરશું, છેડાછેડીની જે ગાંઠ બંધાઈ છે તેને ફરી ખેંચી બાંધશું, આજે સ્મશાનના પવિત્ર અગ્નિદેવની સમક્ષ, ક્ષત્રિઓની મહાન મેદિની વચ્ચે સપ્તપદીના બાકી રહેલા મંત્રો બોલશું.' ‘બજાવો શરણાઈ, મીઠા મીઠા સૂરની બધી યે રાગણીઓ બજાવી લો.' ચંદનની ચિતા ઉપર મેડતારાજનું મૂર્દું સૂતું છે. માથા પર એનો એ લગ્નમુગટ: ગળામાં એની એ વરમાળા: કાંડા ઉપર એનો એ મીંઢોળ: વિવાહ વખતનું એ મૃદુ હાસ્ય હજુ હોઠ ઉપર ઝલકી રહ્યું છે. મૃત્યુએ એ વરરાજાની કાંતિનું એક કિરણ પણ નથી ઝૂંટી લીધું. સૂતેલો વરરાજા શું કન્યાની વાટ જોતો જોતો મલકી રહ્યો છે? વેલ્યમાંથી રાજકુમારી નીચે ઊતર્યાં, છેડાછેડી બાંધીને વરરાજાના ઓશીકા આગળ બેઠાં, સૂતેલા સ્વામીનું માથું ખોળામાં લીધું. સપ્તપદીનો ઉચ્ચાર આરંભ્યો. નગરની નારીઓનાં વૃંદ આવીને મંગળ ગીતો ગાય છે, પુરોહિત ‘ધન્ય ધન્ય' પુકારે છે, ચારણો વીરાંગનાને જય-જયકાર બોલાવે છે, અને ભડભડાટ કરતી ચિતા સળગી ઊઠે છે. જય હો એ ક્ષત્રિ જુગલનો.