કેશવલાલ હિંમતલાલ કામદાર

કામદાર કેશવલાલ હિંમતલાલ (૧૫-૪-૧૮૯૧, ૨૫-૧૧-૧૯૭૬) : વિવેચક, નિબંધકાર. જન્મ રાજકોટમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોંડલમાં; ઉચ્ચ શિક્ષણ જૂનાગઢ, અમદાવાદ અને પૂનામાં. ૧૯૧૨માં ફર્ગ્યુસન કૉલેજમાંથી ઇતિહાસ. રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૧૬માં એમ.એ. ૧૯૧૮માં સુરત કૉલેજમાં અધ્યાપનનો આરંભ. ૧૯૧૯ થી નિવૃત્તિ સુધી વડોદરા કૉલેજમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રનું અધ્યાપન. એમણે ‘સરસ્વતીચંદ્રનું રાજકારણ’, ‘ગુજરાતના સંસ્કારિત્વનું ઘડતર’ અને ‘દિગ્વિજયી જંગીસ ખાં’, ‘અકબર’, ‘ગુજરાતનો સોલંકીયુગ’ ઇત્યાદિ સ્વાધ્યાયપૂર્ણ લેખો ધરાવતો લેખસંગ્રહ; ‘સ્વાધ્યાય : ૧-૨’ (૧૯૪૦) તેમ જ ‘હિન્દુસ્તાનનો શાળોપયોગી ઇતિહાસ’ (૧૯૨૬), ‘હિન્દની પ્રજાનો ટૂંકો ઇતિહાસ’ (૧૯૨૭), ‘અ હિસ્ટરી ઑવ ધ મુગલ રૂલ ઇન ઇન્ડિયા’ (૧૯૨૮), ‘ગુજરાતની ઇતિહાસસમૃદ્ધિ’ (૧૯૪૪) ઉપરાંત ‘અર્થશાસ્ત્ર’ (૧૯૩૩) અને ‘સ્વાધ્યાય અવબોધિકા’ (૧૯૩૪) જેવાં પુસ્તકો આપ્યાં છે.