ગાતાં ઝરણાં/બહારો ન આવે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બહારો ન આવે


રહે મારું જીવન જો એક જ દશામાં, હવેથી ચમનમાં બહારો ન આવે,
વિખૂટી પડે રાત-દિવસની જોડી, કદી સાંજ પાછળ સવારો ન આવે.

ઘડીભર પ્રકાશી પડ્યો જે ધરા પર, ગગનમાં ફરી એ સિતારો ન આવે,
બને તો તમે પણ મને જાવ ભૂલી, મને પણ તમારા વિચારો ન આવે.

મળ્યું છે જીવન આજ તોફાન-ખોળે, ચહું છું દુખદ અંત મારો ન આવે,
ઓ મોજાંઓ, દોડો,જરા જઈને રોકો, ધસી કંઈ વમળમાં કિનારો ન આવે.

મહોબ્બત પ્રથમ ધર્મ છે જિંદગીનો, મહોબ્બત વિના કોઈ આરો ન આવે,
સતત ચાલવું જોઈએ એ દિશામાં, જે થાકી ગયા તો ઉતારો ન આવે.

કોઈને હું પામી ગુમાવી ચૂક્યો છું, જગતથી ભરોસો ઉઠાવી ચૂક્યો છું,
ખુશીથી જજે જિંદગી તું ય ચાલી, તને જ્યારે વિશ્વાસ મારો ન આવે.

હતું કોણ સાથે અને ક્યાં હતો હું, ન કહેજે કોઈને ભલી ચાંદની તું,
સિતારા કરે વાત ગઈ રાતની તો, કહેજે કે ઉલ્લેખ મારો ન આવે.

‘ગની’, મારે રાતોના દિવસ ફરે તો, ફરી જાય આ પ્રકૃતિની પ્રથા પણ,
ચમનમાં જણાયે ન અશ્રુનાં ચિહ્નો પછી રક્તવર્ણી સવારો ન આવે.

૧૩-૬-૧૯૫૧