ગાતાં ઝરણાં/સાચો કવિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાચો કવિ


જેના વિચારોની દુનિયા નવી,
તેને હું માનીશ સાચો કવિ.

શુષ્ક જીવનમાં આનંદ આણી શકે,
જોઈ મુખ, વાત અંતરની જાણી શકે;
વ્હેણ જેને સમયનાં ન તાણી શકે,
સત્ય શોધે અને જે રહે વર્ણવી,
તેને હું માનીશ સાચો કવિ.

જેની દાસી બનીને રહે કલ્પના,
જેની દૃષ્ટિને શોધ્યા કરે પ્રેરણા;
હો અચળ જેના સિધ્ધાંત પર્વત સમા,
ધ્યેય રાખે જે મરતાં સુધી જાળવી,
તેને હું માનીશ સાચો કવિ.

એક વિશાળ આત્મ-ઓજસ હો જેની કને,
જેને પગલે નૃતન એક કેડી બને;
જાય બંધાઈ જે પ્રેમનાં બંધને,
પરની દાઝે રહે જેનું હૈયું દ્રવી,
તેને હું માનીશ સાચો કવિ.

છે ખરા અર્થમાં તે કવિતા ‘ગની’,
જે રહે એક આદર્શ ગાથા બની;
ભાવના જેમાં હો વિશ્વબંધુત્વની,
લેખિની જેની સર્જે નવો માનવી,
તેને હું માનીશ સચો કવિ.

૨૯-૯-૧૯૪૫