ગુજરાતમાં કલાના પગરણ/પ્રારંભિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
‘એકત્ર’નો ગ્રંથગુલાલ


Ekatra-foundation-logo.jpg


આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page

તથા

https://ekatra.pressbooks.pub

પરથી વાંચી શકશો.


અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org, https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page or https://ekatra.pressbooks.pub.





ગુજરાતમાં કલાના પગરણ
(જીવનપટનાં સ્મૃતિચિત્રો આલેખતી આત્મકથા)





રવિશંકર રાવળ







કલા રવિ ટ્રસ્ટ અને આર્ચર
અમદાવાદ





આવકાર

શ્રી રવિશંકર રાવળે તેમના જીવનની કથા ‘આત્મકથાનક’ રૂપે 'કુમાર'માં બે ભાગમાં પ્રગટ કરેલી.

એ જમાનામાં બીજી આત્મકથાઓ પ્રગટ થઈ હતી જેમકે ગાંધીજીના સત્યના પ્રયોગો. ઇન્દુકાકાનું જીવન, કાકા કાલેલકરની સ્મરણયાત્રા પણ તે સચિત્ર નથી. જ્યારે એક કલાકાર થવા મથતો મધ્યમ વર્ગનો યુવાન પોતાનું જીવન આલેખવા સાથે તત્કાલીન સમાજનું દર્શન કરાવે છે અને એના પાને પાને ચિત્રો દોરે છે. ત્યાર પછી આવી સચિત્ર આત્મકથા લખાઈ નથી.

‘આત્મકથાનક’ના બીજા ભાગમાં હાજી મહંમદ અલારખીયા ને 'વીસમી સદી'ની વાત આવે છે. હાજીની સુખદુઃખની સાથાદારીમાંથી રવિભાઈ ઘડાય છે અને પછી અમદાવાદ આવતાં રવિભાઈ 'કુમાર' પ્રગટ કરે છે. જેનું ઉદ્ઘાટન બંગાળી વિદ્વાન ઓસી ગાંગુલીને હાથે થાય છે.

તે અરસામાં મહારાષ્ટ્રમાં અજંતાની ગુફાઓ મળે છે અને રવિભાઈ મહિનાઓ સુધી ત્યાં પડાવ નાખે છે. એમાં મળેલાં ચિત્રો અને અજંતાની વાત કુમાર દ્વારા રવિભાઈ પ્રગટ કરે છે. તે સાથે ડૉ. કુનીંગ હામ અજંતામાં મળે છે જે સમયાંતર રવિભાઈને ત્યાં આવે છે.

રવિભાઈ પોટ્રેઈટ કરે છે. પૈસા પાત્ર થાય છે અને પાલડીમાં ‘ચિત્રકૂટ’ નામે ભવ્ય મકાન કરે છે અને તેમાં ગુજરાતની પ્રથમ કલાશાળા થાય છે. જેનું નામ ‘ગુજરાત કલાસંગ’ જે વિનામૂલ્યે કલાનું શિક્ષણ આપે છે. તેમાં રસિકલાલ પરીખ, કનુ દેસાઈ, જયંતીલાલ ઝવેરી, છગનલાલ જાદવ, જગન મહેતા, દાંડીયાત્રાનો ફોટો પાડનાર બલવંત ભટ્ટ, ચકોર, ચંદ્ર ત્રિવેદી જેવા ચિત્રકારો તૈયાર થઈ ગુજરાતમાં કલાનો પ્રવાહ ઊભો કરે છે. અહીં શ્રી રવિશંકર રાવળ સૌના પિતાસ્થાને રહે છે. અને અહીંથી જ ગુજરાતમાં કલામાં પગરણ થાય છે.

રવિભાઈ ગુજરાતની કલાના પુરોધા બને છે. ગુજરાતમાં ભારતના અગ્રગણ્ય કલાકારો આવે છે. તેમને અમદાવાદના ટાઉનહોલમાં મહેમાન બનાવી જનતાને લાભ આપે છે. આ જોતાં રવિભાઈની આત્મકથાનક ફરી પ્રગટ કરવાના સમયે શ્રી અમીતભાઈ અને અનીલ રેલીઆ નવા ૪૦૦ પાનના પુસ્તકને ‘ગુજરાતમાં કલાનાં પગરણ’નું નામ આપે છે. ગુજરાતમાં, ગુજરાત લલિતકલા તેના નવા મકાનને રવિશંકર રાવળ ગેલેરી નામ આપી રવિભાઈને સન્માને છે. રવિભાઈ વ્યક્તિ મટી કલાના દૂત બને છે.

નટુભાઈ પરીખ
 



રવિશંકર રાવળ : પરિચય
RavishankarRaval 1966.jpg


રવિશંકર મહાશંકર રાવળ (જ. 1 ઑગસ્ટ 1892, ભાવનગર; અ. 9 ડિસેમ્બર 1977, અમદાવાદ) : અર્વાચીન ગુજરાતમાં કલાજાગૃતિનો પ્રસાર કરનાર પાયાના અગ્રયાયી (pioneer) કલાકાર, ચિત્રકાર, કલાપત્રકાર, ‘કુમાર’ માસિકના સ્થાપક અને લેખક. આધુનિક ગુજરાતના ‘કલાગુરુ’. પિતા મહાશંકરે સૌરાષ્ટ્રનાં અલગ અલગ ગામો અને નગરોમાં પોસ્ટમાસ્ટરના હોદ્દા સંભાળ્યા હોવાથી રવિશંકરને બાળપણમાં ભાવનગર, ધોરાજી, રાજકોટ, વઢવાણ, પોરબંદર ઇત્યાદિ સ્થળોનો અનુભવ થયો. દસ વરસની વયે મહાશંકરની બદલી મહેસાણા થઈ. અહીં માટીમાંથી રમકડાં અને માથાની ચોટલી કાપી પીંછી બનાવી નાનાં ચિત્રો ચીતરવાનો નાદ લાગ્યો, અને ભાવનગર આવી સ્થાનિક ચિત્રકાર ભગવાનજીને ગુરુ બનાવ્યા. આ નાદ ભાવનગરમાં હાઈસ્કૂલ-અભ્યાસ દરમિયાન ઘણો જ વધ્યો. આ સમયે રાજા રવિવર્માનાં ચિત્રોની છાપેલી અનુકૃતિઓથી રવિશંકર પ્રભાવિત હતા અને યુરોપની વાસ્તવદર્શી પદ્ધતિથી ભારતીય વ્યક્તિઓ, ઇતિહાસ અને પુરાકથાઓનાં મોટા કદનાં ચિત્રો ચીતરવાની ખ્વાહિશ જાગી. 1909માં તેઓ મૅટ્રિક પાસ થયા અને તે જ વર્ષે તેમનું લગ્ન રમા નામની ક્ધયા સાથે થયું. એ જ વર્ષે નાસિક અને મુંબઈની યાત્રા કરી. મુંબઈમાં સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટની મુલાકાતે રવિશંકરના દિમાગમાં કલાલક્ષી મહત્વાકાંક્ષા જગાડી. 1910માં ભાવનગરની શામળદાસ કૉલેજમાં વિનયન(આર્ટસ)નો અભ્યાસ શરૂ કર્યો. કૉલેજ-અભ્યાસ દરમિયાન ટેનિસની રમતનો શોખ કેળવ્યો. એ જ વર્ષે પિતા સાથે કરાંચીની યાત્રા કરી. 1911માં વિનયનનો અભ્યાસ પડતો મૂકી, મુંબઈ જઈ સર જે. જે સ્કૂલ ઑવ્ આર્ટમાં પ્રવેશ મેળવ્યો. એ જ વર્ષે તેઓ કવિ ન્હાનાલાલના સંપર્કમાં આવ્યા.

ન્હાનાલાલે રવિશંકરને ચિત્રકલાનાં ધ્યેયો અંગે વિચારતા કર્યા. તે સમયે સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં ગ્રેકો-રોમન શૈલીની જ બોલબાલા હતી. દેહસૌષ્ઠવ ધરાવતા ગ્રીક યુવાનોનાં પ્લાસ્ટરનાં મૉડલની સહોપસ્થિતિમાં જીવંત મૉડલ તરીકે અર્ધભૂખ્યા, માયકાંગલા લોકોને ગોઠવવાથી રવિશંકરને સ્વાભાવિક અણગમો થતો. એ વર્ષે પિતા સાથે કરાંચીની ફરી યાત્રા કરી. સર. જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં પ્રિન્સિપાલ ગ્રીનવુડ, પ્રો. જૉન વૉલેસ, પ્રો. ગ્રિફિથ્સ, પ્રો. પૉર્ટર ફીલ્ડ, પ્રો. બર્ન્સ, પ્રો. જેસ્પર બ્રેટ, પ્રો રૉબોથામ તથા પ્રસિદ્ધ ચિત્રકાર પ્રો. ધુરંધર પાસે રવિશંકરે કલાસાધના કરી. આ અરસામાં રવિશંકરને નાનાભાઈ ભટ્ટ તથા સ્વામી આનંદ સાથે પરિચય થયો.

1915માં સૂરતમાં યોજાયેલી સાહિત્ય પરિષદ ખાતે રણજિતરામ વાવાભાઈના પ્રયત્નોથી પ્રથમ વાર કલાપ્રદર્શન યોજાયું. તેમાં રવિશંકરે ત્રણ ચિત્રો પ્રદર્શિત કર્યાં અને તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી રૌપ્ય ચંદ્રક મળ્યો. આ ત્રણેય ચિત્રો લઘુ કદનાં (miniature) હતાં અને તે ત્રણેય ચિત્રો અનુક્રમે ન્હાનાલાલની ‘ગુર્જર સુંદરી’, ગોવર્ધનરામની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ તથા ગુજરાતના વિવિધ લોકો પર આધારિત હતાં.

રવિશંકરનાં ચિત્રોથી રણજિતરામ વાવાભાઈ ખૂબ પ્રભાવિત થયા અને રવિશંકર સાથે રણજિતરામની દોસ્તી પાકી થઈ. એ જ વર્ષે રણજિતરામે રવિશંકરની ઓળખાણ હાજી મહમ્મદ શિવજી અલારખિયા સાથે કરાવી અને તે ઓળખાણ પણ મૈત્રીમાં પરિણમી. એ જ વર્ષે અલારખિયાએ ઊંચી રુચિ પોષતું સચિત્ર સામયિક ‘વીસમી સદી’ શરૂ કર્યું, જેના પ્રથમ અંક પર રવિશંકર દ્વારા ચિત્રિત માથે છેડો ઓઢેલી અને ‘વીસમી સદી’ વાંચી રહેલી ગુજરાતી નારીનું ચિત્ર છાપવામાં આવ્યું. આ ઉપરાંત ચંદ્રશંકર પંડ્યાના કાવ્ય ‘ઘાટ ઘડજે રૂડી પેર’ અને ન્હાનાલાલના કાવ્ય ‘કોઈ કહો કોયલડીને’ માટેનાં રવિશંકરે કરેલાં ઉદાહરણચિત્રો આ અંકમાં છપાયાં.

અલારખિયાએ રવિશંકરની ઓળખાણ મુંબઈના પત્રકારો, સાહિત્યકારો, સંગીતકારો અને અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે કરાવી. તેમાં ઠક્કુર નારાયણ વિસનજી, ફોટોગ્રાફર શાપુરજી ભેદવાર, ‘સુકાની’ (ચંદ્રશંકર બૂચ), ‘શયદા’, ‘મિસ્કીન’, ‘સાગર’, ‘દીવાના’, કનૈયાલાલ મુનશી અને રમણીક મહેતાનો પણ સમાવેશ થતો હતો. આ દરમિયાન રવિશંકરે ટૉલ્સ્ટૉયનું પુસ્તક ‘What Is Art ?’ વાંચ્યું અને તેના પરથી અભણ તેમજ છેક અદના આદમી સમજી શકે તેવી તથા જીવનપોષક વિધેયાત્મક વલણોને સમર્થન આપે તેવી કલાનું સર્જન કરવાની મહત્વાકાંક્ષી જાગી.

‘વીસમી સદી’ના પછીના અંકોમાં કનૈયાલાલ મુનશીની સોલંકીયુગની નવલત્રયીનાં કેટલાંક પ્રકરણો માટે રવિશંકરે પ્રસંગચિત્રો આલેખ્યાં.

1916માં સર્વોત્તમ વિદ્યાર્થી તરીકે અભ્યાસ પૂરો કરતાં રવિશંકરને સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટનો મેયો મેડલ મળ્યો. 1917માં તેમના ચિત્ર ‘બિલ્વમંગળ’ને બૉમ્બે આર્ટ સોસાયટીનો પ્રતિષ્ઠિત ગોલ્ડ મેડલ મળ્યો. આ ચિત્ર પ્રણાલીગત ભારતીય લઘુચિત્રશૈલીએ ચિત્રિત હતું; તેમાંથી ત્રિપરિમાણીય ઊંડાણની પ્રયત્નપૂર્વક બાદબાકી કરી તેને દ્વિપરિમાણીય ઉઠાવ અપાયો હતો. આ ચિત્રને મુંબઈના એક અતિધનાઢ્ય મુસ્લિમ ગુજરાતી ફાજલભાઈએ ખરીદી લીધું.

1917થી રવિશંકર રાવળે કલા-વિષયક પત્રકારત્વ શરૂ કર્યું. આ પ્રકારનો તેમનો ‘કલાની કદર’ નામનો પહેલો લેખ વડોદરાથી મટુભાઈ કાંટાવાળાના તંત્રીપણા હેઠળ પ્રકટ થતા ‘સાહિત્ય’ માસિકના 1917ના સપ્ટેમ્બર અંકમાં છપાયો.

‘વીસમી સદી’ના 1917ના ઑક્ટોબર માસના અંકમાં કવિ ન્હાનાલાલના કાવ્ય ‘મેઘદૂત’ના સમશ્ર્લોકી અનુવાદ સાથે રવિશંકરનાં ઉદાહરણચિત્રો (illustrations) છપાયાં. 1918માં મુંબઈમાં પ્રસિદ્ધ બંગાળી ચિત્રકાર મુકુલ ડેનો પરિચય કેળવ્યો.

મુંબઈનું ભેજવાળું હવામાન તબિયતને માફક ન આવતાં 1918માં રવિશંકરે મુંબઈ છોડ્યું. આજીવન કેડો ન મૂકનાર દમનો વ્યાધિ તેમને આ સમયે લાગુ પડ્યો. તત્કાળ ભાવનગર પિતાને ઘેર જઈ નિવાસ કર્યો. 1919થી અમદાવાદ ખાતે કાયમી નિવાસ કર્યો. અહીં તેમનો મેળાપ બચુભાઈ રાવત સાથે થયો, જે ભવિષ્યમાં પરસ્પરને લાભપ્રદ સાબિત થયો. એ જ વરસથી રવિશંકરે ગુજરાતના કુમાર-યુવાનોને પોતાને ઘરે, દરવાજે ‘ગુજરાત કલા મંદિર’ એવું પાટિયું ટિંગાડી અવૈધિક રીતે કલાશિક્ષણ આપવું શરૂ કર્યું. તેમના તેજસ્વી વિદ્યાર્થીઓની લાંબી હારમાળામાં 1919માં પ્રથમ વિદ્યાર્થીઓ મિ. યુરેઝી અને મિ. સૅમ્સન બેન્જામિન હતા.

1920માં યોજાયેલા છઠ્ઠા સાહિત્ય પરિષદ સંમેલનના કલાપ્રદર્શનના ક્યુરેટર રવિશંકર નિમાયા, અને તે નિમિત્તે ગુજરાતભરમાંથી જૂનાં વાસણો, દીવીઓ, ભરતકામ, મોતીકામ, ચાકળા, ઇત્યાદિ પ્રદર્શિત કર્યાં. પ્રદર્શન-ઉદ્ઘાટક રવીન્દ્રનાથ ટાગોરને ગુજરાતની પરંપરાઓની આ ઝાંખીથી આનંદ થયો.

1920માં ‘કલાપીનો કેકારવ’ માટે તેમણે ઉદાહરણ-ચિત્રો કર્યાં. એ જ વર્ષે કોલકાતાની યાત્રા કરી અવનીન્દ્રનાથ ટાગોર અને ગગનેન્દ્રનાથ ટાગોરનો પરિચય કેળવ્યો, અને દાર્જિલિંગની અને શાંતિનિકેતનની યાત્રા પણ કરી. શાંતિનિકેતનમાં ચિત્રકારો ક્ષિતીન્દ્રનાથ મજુમદાર અને અસિતકુમાર હાલદારનો પરિચય કેળવ્યો. એ જ વર્ષે ‘સત્યવાન-સાવિત્રી’ નામનું મોટું તૈલચિત્ર સર્જ્યું. 1921માં ઘનિષ્ઠ પત્રકાર મિત્ર હાજી મહમ્મદ શિવજી અલારખિયા અવસાન પામતાં રવિશંકર રાવળ ગ્લાનિમાં ડૂબી ગયા. 1921થી 1923 સુધી બે વરસ સુધી અમદાવાદના પ્રસિદ્ધ ધનિક મિલમાલિક અંબાલાલ સારાભાઈની ગૃહશાળામાં જોડાયા અને તેમના કુટુંબનાં બાળકોના કલાશિક્ષક બન્યા.

રાષ્ટ્રપિતા ગાંધીજી પર અંગ્રેજ સરકારે અમદાવાદમાં કેસ ચલાવ્યો તે પ્રસંગનો, કોર્ટમાં હાજર રહી રવિશંકર રાવળે દોરેલો સ્કેચ 1921માં ‘હાજીમહમદસ્મારકગ્રંથ’નું સંપાદન કર્યું. ડિસેમ્બર, 1921માં અમદાવાદ ખાતે યોજાયેલા કૉંગ્રેસ અધિવેશનમાં રવિશંકરનાં છ ચિત્રો ‘બુદ્ધનો ગૃહત્યાગ’, ‘દધીચિનો દેહત્યાગ’, ‘ભારતમાતા’, ‘હિંદુ-મુસ્લિમ ઐક્ય’, ‘હઠીસિંહનું દહેરું’ તથા ‘રાણી સિપ્રીનો મકબરો’ પ્રદર્શિત થયાં.

1922માં અમદાવાદના સર્કિટ હાઉસમાં ગાંધીજી પર અંગ્રેજ સરકારે ચલાવેલા મુકદ્દમા પ્રસંગે અંબાલાલ સારાભાઈ સાથે હાજર રહી તે પ્રસંગનો સ્કૅચ કર્યો.

રામાનંદ ચૅટર્જીના પ્રસિદ્ધ સામયિક ‘ધ મૉડર્ન રિવ્યૂ’ને આદર્શ (મૉડલ) તરીકે રાખીને 1924માં ઊગતી પેઢીના સર્વાંગી વિકાસને લક્ષ્ય બનાવતા યુગપ્રવર્તક ‘કુમાર’ સામયિકના તેઓ સ્થાપક અને પ્રથમ તંત્રી બન્યા. પોતાના ઘનિષ્ઠ મિત્રકાર્યકર પત્રકાર બચુભાઈ રાવતનો આ માટે કરોડરજ્જુ જેવો ટેકો મળ્યો. અનેક કવિઓ, લેખકો, ચિત્રકારો, પત્રકારોની ઊગતી પ્રતિભાને પોષણ આપવાનું કામ કરવા સાથે ગુજરાતની કુમાર-યુવા પેઢીને વિશ્વસંસ્કૃતિનો પરિચય આપવાનું ભગીરથ કાર્ય એથી આરંભાયું.

1925માં રવિશંકર રાવળને કાલિદાસ પારિતોષિક મળ્યું. 1927માં એક માસ માટે અજંતા જઈ ભીંતચિત્રોની નકલો ઉતારી. 1930માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો. 1935માં કલાના અવૈધિક અભ્યાસ માટે ‘ગુજરાત ચિત્રકલા સંઘ’ની સ્થાપના કરી. આ ઉમદા ભગીરથ કાર્યને માટે થઈને કાકાસાહેબ કાલેલકરે તેમને ‘ગુજરાતના કલાગુરુ’નું બિરુદ આપ્યું, જેને સમસ્ત ગુજરાતની પ્રજાએ અપનાવી લીધું.

1936માં રવિશંકરે જાપાનનો ત્રણ માસનો પ્રવાસ કર્યો. 1938માં ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના કરાંચી અધિવેશનમાં કલાવિભાગના અધ્યક્ષ બન્યા. 1941માં શાંતિનિકેતને ‘વર્ષાપર્વ’ના અતિથિવિશેષ તરીકે તેમને આમંત્ર્યા. તે જ વર્ષે તેમણે ‘આર્ટ સોસાયટી ઑવ્ ઇન્ડિયા’ તેમજ ‘મુંબઈ પ્રાન્તીય કલાપરિષદ’ના પ્રમુખનું સ્થાન ગ્રહણ કર્યું.

1948માં કુલુમાં વિખ્યાત રશિયન ચિત્રકાર નિકોલસ રોરિકના અતિથિ બન્યા. 1950માં હંસા મહેતાએ મ. સ. યુનિવર્સિટીમાં લલિત કલાની કૉલેજ શરૂ કરવા માટે રચેલ ‘બૉર્ડ ઑવ્ એક્સ્પર્ટ્સ’માં રવિશંકર રાવળને સામેલ કર્યા. 1952-53માં વિયેના વિશ્વશાંતિ પરિષદમાં હાજરી આપી તથા રશિયા તથા તત્કાલીન સોવિયેત રાજ્યોની મુલાકાત લીધી. 1965માં તેમને સોવિયેત લૅન્ડ નહેરુ ઍવૉર્ડ તથા ભારતના રાષ્ટ્રપતિ તરફથી ‘પદ્મશ્રી’ ખિતાબ મળ્યા.

1970માં કેન્દ્રીય લલિત કલા અકાદમીએ ફેલોશિપ ઍવૉર્ડ તથા તામ્રપત્ર દ્વારા રવિશંકર રાવળનું બહુમાન કર્યું. ગુજરાતની નવી પેઢીના અનેક ચિત્રકારો-શિલ્પકારોના ઘડતરમાં રવિશંકર રાવળનો પ્રત્યક્ષ ફાળો રહેલો છે. તેમાં કનુ દેસાઈ, રવિશંકર પંડિત, ગજાનન ખરે, હર્ષદ પંડ્યા, જગન મહેતા (જગન્નાથ મહેતા), છગનલાલ જાદવ, રસિકલાલ પરીખ, કૃષ્ણલાલ ભટ્ટ, વ્રજલાલ ત્રિવેદી, ચંદ્રવદન ભટ્ટ, શ્રીદામ ભટ્ટ, જનક પટેલ, રશ્મિ ક્ષત્રી, સત્યેન્દ્ર ત્રિપાઠી, જયંતીલાલ ઝવેરી, ચંદ્રશંકર રાવળ, સોમાલાલ શાહ, દશરથ પટેલ, છોટાલાલ જોશી અને દિવ્યકાન્ત ઓઝાનાં નામ ઉલ્લેખનીય છે.

આ વિદ્યાર્થીઓ દારૂની બદી, દહેજની બદી ઇત્યાદિ સમાજસુધારક વિષયો પર પોસ્ટરો તૈયાર કરતા, જેમનાં જુદાં જુદાં નગરોમાં પ્રદર્શનો થતાં અને ‘કુમાર’માં પણ છપાતાં.

રવિશંકરનાં લખાણોમાં ‘અજન્તાના કલામંડપો’ (1936), ‘કલાચિંતન’ (1947), ‘કલાકારની કલમે’ (1956), ‘ભારતીય સંસ્કૃતિના પૂજક જેમ્સ કઝિન્સ’ (1959), પ્રણાલીગત ગુજરાતી લઘુચિત્રો પરનું પુસ્તક ‘દિવ્ય બંસરી-ગાયક’ તથા આત્મકથા મુખ્ય છે. જન્મથી માંડી મૅટ્રિક પાસ થયા લગીની (એટલે કે 1892થી 1909 લગીની) આત્મકથા 1967માં ‘જીવનપટનાં સ્મૃતિચિત્રો’ નામે પ્રગટ થઈ હતી. તે પછીના જીવન અંગેના આત્મકથાના હપતા ‘કુમાર’ માસિકમાં લખવા ચાલુ રાખ્યા હતા. તે કથા 1935 આગળ અટકી ગઈ હતી. આ અગ્રંથસ્થ હપતાઓ સાથેની બૃહદ આત્મકથા (1892થી 1935 લગીની) 1998માં ‘ગુજરાતમાં કલાનાં પગરણ’ શીર્ષક હેઠળ પ્રકાશિત થઈ, જેનું સંપાદન અમિતાભ મડિયાએ કરેલ છે. ‘કલાકારની સંસ્કારયાત્રા’ (1947) તેમનું કુલુ-મનાલી, ઉત્તર ભારત અને જાપાનના પ્રવાસનું વર્ણન કરતું પુસ્તક છે. ‘મેં દીઠાં નવાં માનવી’(1956)માં તેમણે 1952માં કરેલી વિયેના અને રશિયાયાત્રાનાં વર્ણનો છે.

રવિશંકરનાં ચિત્રોએ ગુજરાતની અસ્મિતાની સભાનતાનો પ્રસાર કરવામાં 20મી સદીમાં મોટો ફાળો આપ્યો. નરસિંહ મહેતા, મીરાં, અખો, પ્રેમાનંદ, શામળ ઇત્યાદિ શબ્દની કલાના સર્જકોના મૂળ ચહેરાની છબીના અભાવમાં રવિશંકરે કલ્પનાથી સર્જેલાં તે સર્જકોનાં વ્યક્તિચિત્રો સાક્ષરોમાં તેમજ જનસામાન્યમાં – બંનેમાં પ્રીતિપાત્ર થઈ ગયાં. ગુજરાતની કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં રવિશંકરે ચીતરેલાં આ ચિત્રોની છાપેલી નકલો ટીંગાતી જોવા મળે જ. આ ઉપરાંત તેમની દીર્ઘ કારકિર્દી દરમિયાન તેમનાં નોંધપાત્ર ચિત્રોમાં ‘ઋષિ ભરત અને મૃગ’, ‘પરશુરામ’, ‘મીનાક્ષી મંદિરમાં આદિવાસી યુગલનાં લગ્ન’, ‘ચાંદાપોળી’, ‘રાજકુમારી રૂપાંદે’, ‘કૈલાસમાં રાત્રી’, ‘યમ-નચિકેતા’, ‘હેમચંદ્રસૂરિ’, ‘ચંદ્ર અને કુમુદ’, ‘શ્રીમતી’, ‘લક્ષ્મીબાઈ’, ‘મુંજાલ’, ‘ખુદાના બાગમાં આદમ અને ઈવ’ (ચિત્ર 1 અને 2), ‘સુખી ગૃહસ્થાશ્રમ’, ‘વાડામાં લીલા સરસ્વતીચંદ્ર’, ‘બિલ્વમંગળ’, ‘સાથી તારા નભ મહીં થશે રાજહંસો રૂપાળા’, ‘દક્ષિણામૂર્તિ’, ‘યમ-સાવિત્રી’, ‘પહાડી સાધુ’, ‘વૃદ્ધ ટેલિયો’, ‘વીણા અને મૃગ’, ‘એક ઘા’, ‘મહાત્મા મૂળદાસ’, ‘દક્ષ યજ્ઞભંગ’ અને ‘રૂપ અને રૂપરેખા’નો સમાવેશ થાય છે.

રવિશંકર રાવળના મૃત્યુ બાદ તેમનાં વણવેચાયેલાં ચિત્રોનું તેમના વારસદારોએ ગુજરાત લલિત કલા અકાદમીને દાન કર્યું; જેમનું કાયમી મ્યુઝિયમ હજી સુધી થયું નથી. વલ્લભવિદ્યાનગર ખાતેની ફાઇન આર્ટ કૉલેજના મ્યુઝિયમમાં તથા અમદાવાદના સંસ્કાર કેન્દ્ર ખાતે 2000માં સ્થપાયેલ ‘સિટી મ્યુઝિયમ’માં રવિશંકર રાવળનાં ચિત્રો કાયમી સંગ્રહ પામ્યાં છે. 1992માં તેમની 100મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત સરકારે તેની લલિત કલા અકાદમીની અમદાવાદસ્થિત આર્ટ ગૅલરીનું ‘રવિશંકર રાવળ કલાભવન’ નામાભિધાન કર્યું હતું.

મનોજ દરુ
 
અમિતાભ મડિયા