ગુજરાતી ગઝલસંપદા/ અનિલ વાળા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અનિલ વાળા

હું હવાની જેમ ચારે કોર લ્હેરું,
તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે;
થાય મન તો હું વળી દરિયાય પ્હેરું,
તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.

લોક રાખે છે ઈનામો કેટલાં મારા ઉપર,
એ વાતની તમને કશી ક્યાં છે ખબર?
શોધવું મુશ્કેલ છે મારું પગેરું,
તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.

જીવતામાં જીવ છું હું ને મરેલામાં
મરણ એવી જ છે કૈં વાયકા મારા વિશે.
ક્યાંય પણ મારું નથી એક્કેય દે’રું,
તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.

ગૂંચવીને વાતને છેવટ ઉકેલી નાખવી
એવી રમત ગમતી મને, ને એટલે –

આંધળે કુટાય છે ક્યારેક બહેરું,
તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.

ગીતમાં હું લય બની લ્હેર્યા કરું છું,
ને ગઝલમાં ગાલગાગા ગાલગાગા ગાલગા,
વેદનાઓ પાઈને વૃક્ષો ઉછેરું,
તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.

હું જ છું કે જે નશામાં ચૂર થઈને
છેક ઈશ્વરનાં ચરણ પાસે જતો ને આખરે,
કોઈની શ્રદ્ધા તણું શ્રીફળ વધેરું,
તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.