ગુજરાતી ગઝલસંપદા/ કિરીટ ગોસ્વામી

From Ekatra Foundation
Jump to navigation Jump to search


કિરીટ ગોસ્વામી

જે થયું સારું થયું ને જે થશે સારું થશે;
એટલી સમજણ હશે તો આ જગત તારું થશે.

થાય છે માઠા દિવસ પણ આખરે મીઠા કદી,
આજ નહિ તો કાલ, સઘળું દૂર અંધારું થશે.

જોઈએ બસ જોઈએ ખુદનો ભરોસો સામટો;
એ વિના જીવન પળેપળ સાવ નોંધારું થશે.

દાદ એને આપશો તો દુઃખ વધુ દુઃખ આપશે,
સુખ વધુ સુખ આપશે જો નિત્ય સહિયારું થશે.

મન હવે ચાલ્યું છે ભીતરના પ્રવાસે બસ, ‘કિરીટ’
બસ, હવે જે કંઈ થશે તે કામ કંઈ ન્યારું થશે.