ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કાનજી પટેલ/ડેરો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ડેરો

કાનજી પટેલ

‘આ દિવાળી’ તે આવતી દિવાળી હુદી તારા ઘરમાં સોકરો પાલણે ના ઝૂલતો થાય તો તારું જૂતું ને મારું મોં. આ બોલ જો કદી જૂઠો પડે તો આ મદારી તારા પેશાબનો થાય!’ રામદેવના દહેરે રમજૂનાથે બે છોકરીના બાપ મનુ કોન્ટ્રાક્ટરને વચન આપ્યું.

રમજૂનાથ મદારી ભજન ગાવામાં એક્કો, હિન્દી, ગુજરાતી, કચ્છી, કાઠિયાવાડી, મારવાડીની છાંટ વચવચમાં મારે. જેવો માણસ સામે એવી સરસ્વતી ચલાવે. સામેવાળું એની મોહિનીમાં પડી જાય. છૈયાછોકરાની ખોટ, મિલકતના ઝઘડા, પેમલા પેમલીની મળવાની છૈયા છોકરાની લગનની મંછા હોય,કોઈને રોગ હોય, પાપ વિસારો કરવો હોય એની એને ખબર પડે એ બાર વાત કરી એનાં ઇલાજ તાવીજ કરી દે.

મોટી ગોળ આંખો, માથે જટાનો અંબોડો, દાઢી મૂછ, ગળામાં રુદ્રાક્ષ ને શીંગી, ભગવી બંડી ને લૂંગી, કપાળમાં અને બાવડે, ગળે કેસરી પટ્ટા, સીમની લાકડી, રાઠોડી મોજડી, બંડીના ગુંજામાં યેવડા બીડીની જૂડી ને ખનકતી દિવાસળી. કોઈ વાર કેવેન્ડર્સનું પાકીટ પણ હોય.

ઢળતી ઉંમરે મનુ કોન્ટ્રાક્ટર રમજૂનાથના ડેરા પડખે રામદેવના થાનકે વાતે ચઢ્યા હતા. રમજૂનાથ કહેતા હતા, ‘મારો રામો પીર રણુંજાવાળો સે. ધોળી ધજાઓવાળો એ તારો સૌ સારો કરશે અને દિવાળી મોર્ય જો હારો દન બતાડે તો આ રામાપીરની બનતી સેવા તારે કરવી. આ બબાના થાનકે તું વચન આલતો જા. જો ફતેહ નથી થાતી?’

દિવાળી આવતા મોર્ય મનુ કોન્ટ્રાક્ટરે રેતીનું ટ્રેક્ટર, સીમેન્ટ, ઈંટો — એ બધું ખડક્યું. દહેરું થઈ ગયું એક અઠવાડિયામાં.

રમજૂનાથ મૂળે વણજારા કોમનો. મદારીની છોકરીની માયામાં પડ્યો. મદારી થયો. ડેરામાં પેઠો. વણજારી અવતારનું એનું નામ રાંમાજી. મદારી અવતારમાં એ નાથ સંપ્રદાયનો ગુરુ થયો. કાઠિયાવાડ, મારવાડ ને પાવાગઢ સુધી ડેરે ડેરે, ગામે ગામ એની ફેરી થાય. ભજન પાટ પુરાય ને બાધા આખડી અપાય.

વહેલી સવારે રામાદેવના થાનકે કેસેટમાંથી ડેલો ચગે ને રમજૂનાથના હૈયે હરખ માય નહિ. થાનકે વારતહેવારે લોક દરશને આવે.

મદારી અવતારમાં ઊતર્યા પછી બેચાર વરસ સાપ પકડી, કરંડિયે ઘાલી, હાથચાલાકીના ખેલ કતાં એ આ ગામ પેલું ગામ કરે. બાધાઓ આપવાનું શીખી લીધું. રામાપીરનાં, શંકરપાર્વતીનાં, નવ નાથનાં ભજનો લલકારી પાકો થતો ગયો.

એ કહે, ‘મું જાણું નાથ પંથના સઘળા પૂરજા.’ લોકોને એ ભજનમાં રંગે, ચેલા મુંડે, ફરતી જાતન લોકોમાં, ઠરેલી વસતિમાં એમ બધે એના ચેલા, બારે માસ ફરતો રહે ને વચવચમાં રામાપીરના મંદિરે આવતો જતો રહે.

એનો એક નેમ. બોલવું, સાંભળનારને શોધવું. આઘે આઘેના લોકો અહીં આવતા થયા. એ હથેળી વાંચે, ભવિષ્ય ભાખે, લોકો કહે રમજૂનાથને ઝંખણી વિદ્યા આવડે છે, એને રામાપીર પ્રસન્ન છે.

હમણાંનું સરકારે જંગલખાતાના કાયદાનું પાલન કડક કર્યું હતું. જંગલ ખાતું ને પોલીસ મળીને સાપનો ખેલ કરતા મદારીઓને પકડી જેલમાં પૂરવાનું ચાલતું હતું. જીવદયાવાળા એમાં જોસભેર ભળેલા.

એકવાર રમજૂનાથ ગાંધીનગરન પાસેના એક ગામમાં ખેલ બતાવે.

ગાંધીનગરમાં કમિશનરો, ડી.એસ.પી. બધાંની ઑફિસમાં ખેલ બતાવી બધાંને દંગ કરે. પચાસ સો રૂપિયા તો રમત રમતમાં ઢીલા કરાવે.

બપોરી વેળાનો એક ઝાડ તળે ડેરો નાખી પડેલો. ભેગા બીજા મદારીઓ પણ હતા. એક-બે તો બીડીઓના કસ ખેંચતા હતા. એટલામાં જંગલ ખાતાના માણસો, પોલીસ ને જીવદયાવાળા મીતલ ભટ્ટ ત્યાં આવી પહોંચ્યા.

પૂછવા લાગ્યા, ‘એ કરંડિયા ખોલો, એમાં શું છે? સાપ છે? સાપને પકડી ખેલ બતાડવો એ કાયદાની રીતે ગુનો છે. ચાલો બતાવો, આગળ થાઓ. થાણે ચાલો.’

રમજૂનાથ અને બીજા મદારી તો કાંઈ બોલ્યા વગર જોઈ રહ્યા. રમજૂનાથ કહે, ‘શાયેબ, અમે આજના થોડા સાપ નાગ રાખીએ છીએ? આદિવાસી છીએ. ડેરામાં રહીએ. ખેલ બતાડીને પેટ ભરીએ. અમારા હળ બળદિયા આ સાપ જ સે.’

‘એ જે હોય તે. અત્યારે કાયદા બદલાયા એટલે તમને પકડવા પડે, ચાલો. આગળ થાઓ.’

જંગલ ખાતાની ઑફિસ તરફ ચાલવા માંડ્યાં. ઑફિસની આગળ લાકડાનું એક મોટું પાંજરું હતું. એમાં મદારીઓને પૂરી કરંડિયા લઈ લીધા.

‘હવે અંદર રહો.’

કાગળિયાં કરી લઈને ખાતાવાળા તો ઑફિસમાં જઈ બેસી ગયા. મદારીઓ પાંજરામાં સાંકડ માંકડ બેસી ગયા. બૈરાંછોકરાં પેલા ઝાડ તળે બેઠાં રહ્યાં. મોડી સાંજે બૈરાંઓ પાસેના ગામે મદારીઓના ડેરે જઈ કહ્યું કે ચાર મદારીને પાંજરે પૂર્યાને કરંડિયા જપ્ત કર્યા છે. ધારાસભ્ય મંગાજી ચૌહાણને ડેરાવાળા મળ્યા.

‘અમારી મદારી કોમનો શું વાંકગનો સે? અમે પેટ ભરીએ સીએ આ સાપથી. સાપને મારતા નથી. જંગલખાતાવાળા, પોલીસ અને જીવદયાવાળાએ અમારા લોકોને પકડી લીધા સે.’

મંગાજી ચૌહાણને આખી વાત વિચિત્ર લાગી પણ એનું શું કરવું એ સમજાયું નહીં. એમણે જંગલખાતાની ઑફિસે ફોન રણકાવ્યો. જવાબ મળ્યો કે કેસના કાગળો થઈ ગયા છે ને કોર્ટમાં રજૂ થયા પછી જ મદારીઓનો છૂટકારો થશે. ગુનો છે એટલેકોર્ટ કરે તે ખરું. અમે લાચાર છીએ.

એઠલામાં એક છાપાવાળાએ જાણ્યું કે મદારીઓને પૂર્યા છે. એ જંગલખાતાની ઑફિસ આગળ પહોંચ્યો ને પાંદરામાં મદારીઓના ફોટા પાડી ગયા. બીજા દિવસે પેપટમાં સમાચાર આવ્યા કે મદારીઓને વાંદરા પૂરવાના પાંજરે પૂર્યા છે. જીવદયાવાળાનો ઇન્ટરવ્યુ લઈને એ પણ ભેગો છાપ્યો.

આ સમાચાર અમદાવાદના એક સામાજિક કાર્યકરે વાંચ્યા. એ પાંજરે જઈને પહોંચ્યો. જંગલખાતાવાળાને મળ્યો. વચ્ચે શનિ-રવિ આવતા હતા. એટલે કોર્ટમાં સોમવારે જ મદારીઓને રજૂ કરાય ને કોર્ટ કરે તે ખરું. એવું જાણી એ પણ દુઃખી થયો. એણે ‘ગુર્જર સમાચાર’માં મદારીઓની કહાણી છાપી. એણે પોલીસ કમિશનર કેવલકુમારને આખી વાતની રજૂઆત કરી. જંગલખાતાના ડી.એફ.ઓ.ને પણ આ લખી જણાવ્યું કે મદારીભાઈઓને જીવવા માટે સાપ પાળીને ખેલ બતાવવા સિવાય રોજીનો કોઈ આધાર નથી. ભણતર, ઘર, રોજી ન હોય તો મદારી કરે શું? મદારીના અસલી સવાલની કોઈને ખબર નથી.

કેવલકુમાર અને ફોરેસ્ટના ડી.એફ.ઓ.એ વાત કરી. જે તે કાર્યવાહી જલદી કરીનેઆ મદારીઓને પાંજરેથી છોડાવવા કોશિશ કરી. એમાં સોમવારની સાંજ પડી ગઈ.

સોનવારે ન્યાયાધીશે મદારીઓને કોર્ટમાં કહ્યું, ‘તમારે તમારા બચાવમાં કંઈ કહેવાનું હોય તો કહો. વકીલની જરૂર છે?’

રમજૂનાથ કહે, ‘શાયેબ, અમારે શેનો વકીલ રોકવાનો? ખેડૂત ખેતી કરે. શિકારી શિકાર કરે. અમે ભટકતા આદિવાસી કોઈને ત્યાં સાપ નીકળે તો પકડીને એ ઘરવાળાને રાહત આપીએ. સાપને કરંડિયે રાખી એની સેવા કરીએ. ગામેગામ ફરીને છોકરાંને ખેલ બતાડી ાજી કરીએ એમાં કાંઈ ખોટો સે?’

ન્યાયાયાધીશ કહે, ‘એ ન ચાલે. ચાલો તમારો બસો બસો રૂપિયા દંડ. હવેથીસાપ પકડશો નહિ. એવી કબૂલાત પર સહી કરી આપો એ શરતે તમને છટા કરવામાં આવે છે.’

મદારીઓ બસો બસો રૂપિયા ક્યાંથી લાવે?

પાસેના ગામ દહેગામના મદારીઓએ ફાળો કરીને બસો બસો રૂપિયા ચાર મદારીઓ વતી કોર્ટમાં ભર્યા. કબૂલાતનામા પર સહીઓ કરાવીને એમને છોડાવી લાવ્યા.

બે દિવસ પછી હલધરવાસમાં મદારીઓનો મોટો મેળાવડો થયો. મદારી કલ્યાણ સમિતિના બોલાવવાથી સમાજ કલ્યાણ ખાતાના સચિવ અનિલકુમાર મદારીઓમાં આવ્યા.

અનિલકુમારે અઢધો કલાક ભાષણ કર્યું. મદારીઓે વસાવવા જમીન આપવાની વાત કરી. ગ્રામ પંચાયતના ઘરથાળ ફાળવણીના ઠરાવ લાવો તો તરત લોન આપીએ એમ કહ્યું.

રમજૂનાથ કહે, ‘સચિવ સાહેબ, ઘર આપશો પણ પેટ ભરવાનું શું સાધન આવો સો એ તો કહો. આ ચાર દિવસ પહેલાં મને ને બીજા બે ત્રણ મદારીઓને વાંદરાના પાંજરામાં જંગલખાતાવાળાએ પૂરી ઘાલેલા. પૂરાવવામાં જીવદયાવાળાય હતા. ગામમાં અને પંચાયતો ઘરથાળ આપતી નથી. પરતા રહીએ તો નિશાળોમાં સોકરાં કેવી રીતે જાય? આ સાપ ને બાપ બધું મેલી દઈએ. પણ અમને ખાવાપીવાનું અલાવો.’

અનિલકુમાર સાંભળી રહ્યા. ત્યાં ખેડબ્રહ્માના પહાડનાથે અને કઠલાલના જામફળનાથે ઊભા થઈ પોતાની વાત કહેવા માંડી. શું કહેવું? સવાલ તો મૂળનો છે. એમને થયું ‘મદારીનો કોયડો ભારે છે. સમાજકલ્યાણ સચિવે કહ્યું કે સરકારમાં આની સર્વગ્રાહી રજૂઆત કરીએ તો કાંઈ થાય બાકી મારા હાથમાં કાંઈ નથી.’ મેળાવડો વેરાયો.

થોડા દિવસ થયા, રમજૂનાથની છોકરીનો વિવાહ પાવાગઢના એક ડેરામાં કર્યો. મદારીઓમાં એવો રિવાજ કે લગ્ન કરતાં પહેલાં જમાઈ સસરાને ચાર છ મહિના ભીઘ માગીને ખવરાવે. રમજૂનાથનો જમાઈ સસરાને કમાઈ ખવરાવવા એમના ડેરે રહેલો. સવારે સાતેક વાગે ગામની ચોકડી પર ચાની લારીએ ચા પીતો હતો ને પી.એસ.આઈ. ને બે પોલીસવાળા ત્યાં આવી પહોંચ્યા. આગલે દિવસે ગામમાં ચોરી થયેલી. ચોર પકડાયા નહોતા. એ માથાંની શોધમાં હતા. રમજૂનાથના કમાઉ જમાઈ અને એની સાથે નીકળેલા છોકરાને એમ બેને ગળચીએ ઝાલી પોલીસ થાણે લઈ ગયા. પૂછપરછ કરી, ક્યાંના છો? રમજૂનાથનો જમાઈ કહે, ‘પાવાગઢનો સું.’

‘પાવાગઢનો છે તો અહીં કેમ આવ્યો? સાલાઓ ચોરી કરવા ફરો છો? એ જમાદાર આ બે લફંગાઓને પકડી કાગળિયાં કરો. શકમંદમાં એમનાં નામ લખો.’

પોલીસખાતું માને કે ઘરબાર વગરના ખેલ કરી ખાતા, ડેરામાં રહેતા આવા લોકો ચોરીઓ કરે છે. એટલેક્યાંક ચોરી થાય તો નટ, વાદી, વાઘરી, મદારી, બજાણિયા, નાયક એવા સમુદાયોના માથાં ચોપડા પૂરે પાયે કરવા પકડી આણે, થાણે ગોંધી રાખે. મારી ફટકારી બરજબરી ચોરી કબૂલાવે. માર ખાતાં એમાંથી કોઈ મરી જાય તો મામલો થોડો લાંબો થાય. પણ સપડાયો એ તો બેચાર દિવસ થાણાની કોટડીની હવા ખાઈ આવે. એવો ખોટે ખોટો પીલસ ચોપડે ચડેલોફરીવાર આસપાસ ચોરી થાય તો ફરી પકડી લેવાય. એમ વરસોથી ચાલ્યા જ કરે છે.

મદારી કે વાદી, લાલવાદી કે ફૂલવાદી. લાંબી લાકડીના બે છેડે બે ઝોલા. એકમાં કરંડિયો ને બીજામાં ઉઘરાવેલી કણેક, કરંડિયા પર બીન મૂકેલું રહે. પડખે ધરમનો પછેડો. સાથે ઘરનું એક છોકરું જંબુરો થઈને રહે. હરેક મદારી વસતિમાં ફર્યા કરે. કોઈ ભગવાં પહેરે કોઈ કાળાં પહેરે. કોઈ વલી ખાખી ખમીસ. જોવા લોક ભેગું થાય. છોકરાંને ભારે કૌતૂક.

કસબા કે મોટા ગામના છેવાડે તળાવ કે કૂવાની બાજુમાં ડેરા પડેલા હોય. બૈરાં કાળાં લૂગડાં પહેરે. એ જૂદાં માગવા નીકળે. ગાવામાં, ખેલમાં, હાથચાલાકીમાં, જ્યોતિષમાં, હથેળી વાંચવામાં નાનપણથી છોકરાં વળગી ગયાં હોય. રોજના રોટલા નીકળે. બીડી, ચા ને ભજિયાં મળે તો ભયો ભયો. કોઈ ગધેડિયા મદારી, કોઈ જાલમનાથ તો કોઈ અકબરનાથ. સિકંદર ને કલંદર એવાં એવાં ઇતિહાસી નામો ધરીને મૂછે તાલ દેતા, દાઢીએ તેલ લગાડતા ગળે રૂદ્રાક્ષ ફેરવતા, ખેલ, જ્યોતિષ સિવાયની લોક સાથે કોઈ વાત ન કરે,દારૂ ગાંજાના નશે અઘોરી જેવા થઈ ઘૂમે. સાંજે ડેરે જઈને ઠરે.

આ ડેરો અજબનો છે. રાતે ડેરામાં રામાપીરનાં, નાથ પંથનાં, કબૂરનાં ભજનો ગવાય. છોકરાં બીન વગાડે. સાપે રમે, વીંછીને ખભે રાખીને ફરે. ગોરાઓએ આ જોઈને એમને ગેબી ગણ્યા. અંદરખાને કશું રાંધતા હશે. ગોરા વિરુદ્ધ કોઈ યોજના ઘડતા હશે. લોકો વચ્ચે સંદેશા લાવવા-લઈ જવાનું કામ કરતા હશે. એમ ગણીને એમને ગુનેગારોની યાદીમાં સમાવ્યા. એને સવાસો-દોઢસો વરસ થયાં. આવી ગુનેગારીનો સિક્કો વગાડેલી ડેરાવાળી એકસો એકાણું જમાતો દેશમાં છે.

આ ડેરામાં ઝીણા ટાંકે સીવેલી ગોદડી, ખલતા, ઝોળી, પહેરણ, ચોળી ને ચણિયા છે. નાચવાનો દોર છે. પેટ પર પથ્થર ફોડવાનો ઘણ છે. બહુરૂપી થવાના વેશ છે. ડેરો લગાડતાં વાર નહિ. સમી ભોંય પર હાથ ફેરવી દડ ખસેડ્યો, ઉપર ખજૂરની ચટ્ટાઈ ફેલાવી, એના પર સીવેલી ગોદડી નાખી, ઉપર પોટલા ને વાસણ ખડક્યાં, મોટી ગોદડીનો છાંયો કર્યો અને પડાવ થઈ ગયો. લુહારિયા, કાંગસિયા, ગોસાવી, બહુરૂપી એવા અનેક ગામે ગામે, ડેરે ડેરે વર્ષોથી જન્મે છે અને મરે છે.

કોઈ એક ઠેકાણે અઠવાડિયું તો બહુ થઈ ગયું. ડેરો ગબડતો રહે, પવન થઈને. વસતિમાં એ ભમે પણ વસતિનાં લક્ષણ એમાં ન પેસે. વસતિને રાજી કરવાનાં વાનાં ડેરો જામે પણ વસતિ ભેગું ઝાઝું ભળે નહિ. રાંધવાનું સાંજે એકવાર. પથ્થરના ઢેકલે, કાંટા સળગાવી લોઢિયે રોટલા, હાંડલે ચોખા ને પથરે ચટણી કરી છાસ ભેગાં હલાવી હોજરે ગરક કરતો ડેરો ભણતર, ઘર કશામાં ઊતરતો નથી. એને દુનિયાના લોભનો વાયરો અડતો નથી.

ભમી ભમીને ડેરાને થાક ન લાગે? લોક ને સરકાર એના સામું ન જુએ. સાપને ખાતર જેલ જતાં,ને કરેલી ચોરી માટે કેદખાને જતાં, ડેરાને શું શું વીતતું હશે? સંધ્યાકાળે ડેરા આગળ આવીને ગામનાં છોકરાં ઢેકલા પર શેકાતા રોટલા ને ભડભડતા કાંટાને તાકી રહે. એમનાં મા-બાપ એમને રાડ પાડીને સાંજ પડ્યે ઘરમાં ખેંચી પૈસાડે.

દારૂ પીને, ફાડિયું રોટલો ચગળીને ડેરો એ જૂની ગોદડીમાં ઢળી પડે. આસપાસ બેચાર કૂતરા ચોકી કરતા હોય. વાવાઝોડું આવે, પણ ડેરો ન હલે. વસતિને થાય કે આટલા વાવાઝોડામાં, વરસાદમાં, તાપમાં, ટાઢમાં ડેરો કેમ હલતો નથી. એને ભવનું ભેગું નથી કરવું. આજનું, હમણાંનું, અબઘડી પેટ ઠરે એટલું મળ્યું કે કિકિયારીઓ કરે. તરસ્યાં થયા વાવકૂવેથી ચાર પોશ પાણી પેટમાં પડ્યું કે ડેરો ટાઢો હિમ. બે ફાકા ચવાણું ખાધું, આઠદશ કશચૂંગી ફૂંકી ને ઉપરની આસમાની જોતાં ડેરાની આંખ ઊંઘે ઠરડાઈ જાય. મોતી શા તારા એના કોઠે રમે.

ચઢતાં ચઢતાં આસમાન જવું, ખાતાં ખાતાં હાથી જવું, દેવથી, નરકથી ડર્યા કરવું, ભોંયમાં મૂળ ઘાલી ગંધાઈ ઊઠવું એ ડેરાને આવડતું નથી. જ્યાં ઊભાં રહ્યાં, આડાં પડ્યાં, ઊંઘ્યાં એ જમીન ઝટ ખાલી કરવીએ એનો મંતર. પગ ઉખાડતા વાયરામાં મોજથી લાંબા શ્વાસ ખેંચવાનું ડેરાને સહજ છે. આંકડે દોડીને થાકેલી દુનિયા આ ડેરાની રૂમાની વાતો માંડે છે. વણઝારા, ઇરાની, વાદી, સીદી, બન્નીએર, કંઝાર ભાટ, છારા, વાઘરી, નાયક, સલાટ, વીશપડા કંઈ કેટલાંય નામ. અંદરની ચીદ એક જ — ડેરો.

જુગ ફરે છે. એનાં બળ ફરે છે. રૂપ ને રંગ ફરે છે. પણ ફરનારા બદલાતા નથી. એમાં એ જ છે. ફરતાં રહેવાનો, ડેરે રહેવાનો વારસો, બળિયાં રાજને લોક એના મૂળમાં છે. ફરતાંને ઠરવા નહિ દેવાનાં. આ ધરતી ઠરેલાંની છે એમ બળિયાં માને છે.

પણ ધરતી કોઈનાં પગલાં સંઘરતી નથી. વાયરો પગલાંને ભૂંસી નાખે છે. પાણી માર ધપાટીને પગલાંને પી જાય છે. ભોંયકંપ સઘળાના સાંધા ભાંગે છે. પણ ડેરાને શું ખોવાનું? એ પહેરે શું ને પાથરે શું? આસમાન ઓઢે ને આસમાન પાથરે ને માંય તો આસમાન જ આસમાન. ડેરો થવા માંહ્યલું આકાશ જોઈએ. નોંધારા ટકવા સંઘરાની માયા મૂકવી પડે.

રાત ઠરી હોય. ઝીણવટ કરીને રમજૂનાથ મદારીનું અંતરઆબળખાને પૂછે, તું જઈ જઈને કેટલે જશે? અબળખા કાંઈ બોલે નહિ. અંતર એના સામું જોઈ રહે અને જાગી ઊઠે ડેરો. મધરાતે ડેરો જીવતરનું ભણતર થઈને આવે. આવતી કાલની નિશાળ થઈને આવે.