ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ગુલાબદાસ બ્રોકર/ઊભી વાટે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઊભી વાટે

ગુલાબદાસ બ્રોકર

‘ઊભી વાટે ઊડે રે તારી…’ લલકારતો જતો ગામનો કોઈ મસ્ત જુવાન અધવચ્ચે જ અટકી ગયો, ઊભો રહી ગયો. ટાંકીએથી પાણી ભરી જતી જુવતીઓ પણ માથે બેડાં સોતી ઊભી રહી જઈ આ નવીન દૃશ્ય જોવા લાગી. પાનવાળા અને રસ્તે બેઠેલાં શાકવાળાંઓ પણ જોઈ રહ્યાં.

આગળ કોઈ એક ભિખારણ હાથમાં નવસ્ત્રા એક બાળકને જેમ-તેમ ઉપાડી ઝડપબંધ ચાલી જતી હતી. તેને માથેથી ફાટેલ સાડલાનો છેડો નીચે ઢળી ગયો હતો. તેની આંખમાંથી દડદડ આંસુ વહ્યાં જતાં હતાં, અને શ્વાસ લેતી લેતી એ એ જોરથી બોલ્યે જતી હતીઃ

‘તારી તો પાઈએ ન ખપે, મારા બાપ, તારી તો ખોરી બદામ પણ મને ન ખપે.’

અને પાંચ-છ પગલાં પાછળ પાછળ, દુકાનમાં બેઠા હોય એવા જ ઉઘાડા ડિલે, દાણાના જાણીતા વેપારી કપૂરચંદ શેઠ પગે ખોડંગાતા ખોડંગાતા ઝડપબંધ ચાલતા હતા. તેમનો અવાજ પણ સહેજ ગળગળો લાગતો હતો. તેમના એક હાથમાં બે-ત્રણ રૂપિયા હતા, બીજા હાથે તે ઉપરનીચે થઈ ગયેલા ધોતિયાના બે છેડાને સરખા કરવા પ્રયત્ન કરતા હતા. જે હાથમાં રૂપિયા પકડેલા હતા તે હાથ આગળ ધરી તે કરગરતા અવાજે બોલતા હતાઃ

‘મને માફ કર બાઈ, આ આટલું લેતી જા. મારી ભૂલ થઈ.’ આ દૃશ્ય એટલું નવીન હતું, ન માની શકાય એવું હતું, વિચિત્ર હતું કે આખી બજાર અને ચાલી જતાં લોકો સ્તબ્ધ બની એ જોઈ રહ્યાં.

લોકો સ્તબ્ધ બની જાય તેમાં નવાઈયે નહોતી. વર્ષોથી કપૂરચંદ શેઠ ગામના મોટા વેપારી તરીકે પ્રખ્યાત હતા. લાખોનો વેપાર કરતા અને લાખો રળતા. પણ એક દિવસ પણ તેમણે કોઈની તરફ દયામાયા બતાવી હોય એવો એક પ્રસંગ ગામલોકોને શોધવા જવો હોય તો કપૂરચંદ જ્યારે શેઠ નહોતા પણ માત્ર કપૂરિયો જ હતા અને કોઈની દુકાને મજૂરી કરી, કોઈનાં ટોળટપ્પાં સહન કરી જેમતેમ કરીને ગુજરાન ચલાવતા – છેક તે સમય સુધી ચાલ્યાં જવું જોઈએ. પછી તો હમણાં હમણાં જ સત્યાગ્રહી તરીકે જેલમાંથી છૂટી આવેલા ગામના કોઈ ભણેલા જુવાને કહ્યું હતું તે જ કપૂરચંદ શેઠ વિશે ગામલોકોને સાચું લાગતું. તેણે બિચારાએ કોઈ એક વાતમાં એવું કંઈ વાંચ્યું હશે પણ તે કપૂરચંદ શેઠને એટલું લાગુ પડતું હતું કે ગામલોકોમાં એ વસ્તુ અત્યંત પ્રચલિત બની ઉખાણાં જેવી થઈ ગઈ હતી. વાત કરતાં કરતાં તેણે કહ્યું હતું કે દરેક માણસને બે હૃદય હોય છેઃ એક જીવન ટકાવી રાખનારું, જે શ્વાસોચ્છ્‌વાસ વ્યવસ્થિત કરે, લોહીને શરીરમાં ફેરવે, જે બંધ પડતાં માણસ મરી જાય, તે; અને બીજું જેને સામાન્ય રીતે આપણે બધા હૃદય કહીએ છીએ તે – જે વડે આપણે ભાવનાઓ સેવીએ, કોઈના દુઃખે દુઃખી થઈએ, કોઈ આદર્શ માટે મરી ફીટવા ઇચ્છીએ, તે આ આપણા કપૂરચંદ શેઠ દળણાં દળનારીના દીકરા હોવા છતાં, અત્યારે, જેને આપણે હૃદય કહીએ છીએ તે ગુમાવી બેઠા છે. જેને ડૉક્ટરો હૃદય કહે છે તે જ માત્ર તેમની પાસે છે નહિતર તે છેક આવા કેમ હોય?

અને ત્યારથી તો જ્યારે કપૂરચંદ શેઠની કંઈ ને કંઈ વાત નીકળે ત્યારે બધા પેલી બે હૃદયવાળી વાત યાદ કરે અને હસે. તેથી સ્તો આજે જાણે જેને હંમેશને માટે વિદાય આપી દરિયામાં ફેંકી દીધું હતું તે હૃદયને પાછું ઉછાળા મારતું તેમણે જોયું ત્યારે ગામલોકો સ્તબ્ધ બની ગયાં. અને સ્તબ્ધ બની જાય એમાં આશ્ચર્ય પણ શું?

પેલા સત્યાગ્રહી જુવાનના કથનમાં અત્યુક્તિ કેટલી હશે તે તો કોણ જાણે. પણ કપૂરચંદ શેઠે ખરેખર એ બેમાંથી માત્ર ડૉક્ટરી હૃદયના આશ્રયે જ જીવવાનું પસંદ કર્યું હોય તેમ તો સ્પષ્ટ દેખાતું હતું. મા ગામનાં દળણાં દળતી, જાતજાતનાં કમ કરતી, ગમે તેમ કરી પોતાનું અને ત્યારે તો, હા, કપૂરિયો જ — કપૂરિયાનું પેટ ભરતી. અને દીકરો પણ બેચાર ચોપડી ભણી ન ભણી ત્યાં તો પેટપૂજા અર્થે ગમે ત્યાંથી પત્રંપુષ્પમ્ મેળવવાના વ્યવસાયમાં પડી ગયો હતો. ઘીની દુકાને ઉમેદવારી કરી, કાપડના તાકાઓ ઊંચક્યા, ફેરી કરી, દાણાવાળાની દુકાને માત્ર ખાવું-પીવું અને ત્રણચાર રૂપિયાના પગારે નોકરી કરી, અને વર્ષો સુધી એ જ રીતે ગમે તેમ કરી પેટ ભર્યું. એ બધા અનુભવો જ કદાચ એના હૃદયના એ બીજા ભાગને ધીમે ધીમે સંકોચી ગયા હશે, પણ જેમ જેમ કપૂરચંદની ઉંમર વધવા લાગી તેમ તેમ એ હૃદય તો બંધ જ થતું ગયું.

ભાગ્ય ઊંચું આવતું ગયું. કપૂરિયો કપૂર બન્યો; પછી કપૂરભાઈ પછી કપૂરચંદ અને છેવટે તો કપૂરચંદ શેઠ. પણ જેમ જેમ ભાગ્ય ઊંચું આવતું ગયું તેમ તેમ પેલું હૃદય સંકોચાતું જ ગયું, બિડાતું જ ગયું. પેલો જુવાન એની ધારણામાં સાવ ખોટો તો નહોતો જ, કેમ કે બે-ચાર વાર શેઠે પોતે જ કંઈક ફંડફાળા ભરાવનારને કે એવાં બીજાં લફરાં ઊભાં કરનાર બેચાર જુવાનોને અંતઃકરણપૂર્વક સલાહ દીધેલીઃ

‘વેવલાવ, એવી એવી ગામની પંચાયતમાં પડવા જશો તો કેમે ઊંચા નહિ આવો. તમારી જાત સંભાળોને!’

છતાં શરૂશરૂમાં તો કોઈ કોઈ વાર બિડાતું જતું પેલું હૃદય પણ પોતાનો બંધ મોકળો કરી ઊઘડવા પ્રયત્ન કરતું એમ કપૂરચંદ શેઠને લાગતું તો તે બળપૂર્વક એને પાછું બંધ કરી દેતા. જગતના અનુભવે તેમને શીખવ્યું હતું કે જો ઊંચું આવવું હોય તો આવા વેવલાવેડા કર્યે, પારકી પંચાત કર્યે ન પાલવે.

એટલે તો એક વખત જ્યારે તેમના મહેતાજીએ પહેલાં તો ચડતા પગારે અને પછી અડધા કપાતા પગારે છ મહિનાની રજા માગી, ત્યારે પેલા બંધ પડવા આવેલા હૃદયે ફરી પાછું જોર કરી ઊઘડી જવાના ગમે તેટલા પ્રયત્ન કર્યા તોપણ તેમણે ચોખ્ખી ના જ પાડી દીધી. પોતે એ દુકાનમાં નોકરી કરતા ત્યારે પણ આ જ મહેતાજી હતો. આજે પોતે મોટા શેઠ બન્યા ત્યારે પણ એ જ. વર્ષો સુધી પ્રામાણિકતાથી તેણે નોકરી કરી હતી પણ નસીબે તેને યારી નહોતી આપી. તેને દમની સખત બીમારી તો હતી જ, તેમાં વળી પાંડુ ઉમેરાયો અને વૈદ્ય ડૉક્ટરોએ કહ્યું કે છ મહિના આરામ નહિ લે તો મોત જ આમાંથી તેને છોડાવશે. શેઠને ઘડીભર તો થઈ ગયું કે આ મારો જૂનો સાથીદાર, અમુક વખત ઉપરી, પછી નોકરી સુધીનો અમારો સંબંધ. આપી દઉં રજા. પણ પછી તો વ્યવહાર એ વ્યવહાર. એમણે હા ન જ પાડી. ગામ આખું તેમને આ નિર્ણય જાણી આશ્ચર્યમાં ડૂબી ગયું. બેચાર જણા તો મહેતાજીની વતી બે શબ્દો એમને કહેવા પણ ગયા. પણ શેઠે તો પોતાનું સ્વાસ્થ્ય મેળવી લીધું હતું. તે એકના બે ન થયા.

અને પેલો સત્યાગ્રહી આવો બે હૃદયોવાળો સિદ્ધાંત પ્રતિપાદિત કરવા પ્રેરાયો એ તો વળી એક બીજા જ પ્રસંગથી. હિંદના નજર-કેદીઓનો પ્રશ્ન ઉગ્ર બનતો જતો હતો.

ગામના થોડા જુવાનોએ નક્કી કર્યું કે થોડા પૈસા એકઠા કરી નજરકેદીઓનાં કુટુંબના ભરણપોષણ માટે મોકલી આપવા. સરકાર તો એમને કશું આપતી જ નહોતી અને એ લોકો બિચારા વગર કારણે હેરાન થતા હતા. રાષ્ટ્રવ્યાપી દેશભાવનાની અસર આ શહેર ઉપર પણ સારા પ્રમાણમાં હતી. ઝડપબંધ થોડા રૂપિયા ભેગા થઈ ગયા એમાં સારો તો નહિ પણ ઠીક ઠીક ઉમેરો કપૂરચંદ શેઠ કરી આપશે એ આશાએ પાંચ-છ જુવાનો આ સત્યાગ્રહી જુવાનની સરદારી હેઠળ કપૂરચંદ શેઠને ત્યાં ગયા.

તેમની વાત શેઠે શાંતિથી સાંભળી. પછી એક પાઈ પણ આપવાની ના કહી. પેલા જુવાને વધારે આગ્રહ કર્યો ત્યારે શેઠે કહ્યુંઃ

‘હું આવા આવા ફિતૂરમાં માનતો નથી.’

‘પણ શેઠ, આ તો કોઈ ફિતૂર માટે નથી. આ તો એમનાં બૈરાંછોકરાં માટે છે.’ જુવાને હસીને કહ્યું.

શેઠે ફરી પાછી ના પાડી. ‘હું કંઈ નહિ આપું.’

‘શેઠ, એવું તં કંઈ હોય? આમાં તમારા જેવા ન આપે તો કોણ આપે!’

‘કોઈ ન આપે તો વધારે સારું. પણ હું તો નહિ જ આપું.’

‘પણ શેઠ, આપને આ લોકોનાં કુટુંબનાં માણસોનો ખ્યાલ છે, કેટલાં દુઃખી થાય છે એ લોકો?’

‘જો ભાઈ, તું મોટી મોટી વાત કરે છે તે તારામાં કંઈ અક્કલ હોય એમ લાગે છે.’ કપૂરચંદ શેઠે કંટાળીને કહ્યું. ‘તો સાંભળ. જો એ બૈરાંછોકરાંઓના ધણીને કે બાપને એની નથી પડી તો મને શી પડી હોય? જા ભાઈ, જા, કામ કર આવાં લફરાં ઊભાં કરવા કરતાં.’

‘જો એમ જ હોય, શેઠ, તો મારે તમારી પાઈ પણ ન જોઈએ.’ પેલાએ જરા રોષથી ઊભા થતાં થતાં કહ્યું.

‘તારે જોઈએ તોયે હું ક્યાં આપું એમ છું, ભાઈ?’ કહી શેઠે હસીને તેમને વિદાય આપી.

આવો એ શેઠ આજે જ્યારે એક ભિખારણ – જે એની પાઈને પણ અડવાની ના પાડતી હોય એ ભિખારણ – ની પાછળ તેને પૈસા આપવા કરગરતો ઉઘાડા ડિલે ને આતુર ચહેરે દોડ્યો જાય એ બનાવ એટલો અદ્ભુત હતો કે એની અંદર સમાયેલું અદ્ભુત તત્ત્વ ઉખેડી સાદી-સીધી રીતે તેનો અર્થ કાઢવો એ ગામનાં લોકો માટે અશક્ય નહિ તો મુશ્કેલ તો હતું જ. એ બધાં તો ફાટી આંખે અને થંભેલા પગે આગળ જતી ભિખારણ અને પાછળ જતા શેઠની દોડાદોડી જોઈ રહ્યા.

એ લોકોને એ અદ્ભુત લાગતા રહસ્યની પાછળનો સાદોસીધો ઉકેલ જડે તેમ પણ નહોતો. કદાચ વર્ષો સુધી જડ્યો પણ નહિ હોય. પણ ઘણીખરી રહસ્યભૂત બિનાઓનું રહસ્ય જોતા જાઓ તો કંઈયે ન હોય તેમ આ બિનામાં પણ હતું. છતાં તે એટલું સાદું હતું એટલે જ લોકોને જડતું નહોતું.

લોકો તો માનતા કે માત્ર એક હૃદયને રાખીને કપૂરચંદ શેઠે બીજા હૃદયને ઉખેડી ક્યાંય ફેંકી દીધું છે. ખરી રીતે તો તેમણે એ બીજા હૃદયને બળપૂર્વક બંધ કરી દીધું હતું. કોઈ કોઈ વાર ઊઘડવા મથે તો એને બમણા જોરથી બંધ કરતા. પણ એને ચપોચપ બંધ કર્યું હતું એટલું જ, નાશ કરી નાખ્યું નહોતું. ને ગમે તેટલું ચપોચપ બારણું બંધ કરો છતાં ક્યાંક ને ક્યાંક નાનામાં નાની, આપણી સ્થૂળ આંખોને તો દેખાય પણ નહિ એવી અવકાશ-રેખા તો રહી જ જવાની. કપૂરચંદ શેઠના હૃદયના એ ભીડીને બંધ કરેલાં બારણાંને પણ આવી સ્થૂળ આંખોથી – ગામની કે ઝાઝો ભાગ તો તેમની પોતાની પણ ન દેખી શકાય એવી અવકાશરેખા હતી. એ રેખા જ તેમના રહસ્યનો ઉકેલ હતો. અને એવી રેખાનું અસ્તિત્વ પણ ન સ્વીકારનાર ગામલોકોને માટે એ ઉકેલ અશક્ય હતો.

એ અવકાશની આછીપાતળી લગભગ અગોચર રેખા તે કપૂરચંદ શેઠની ઘણાં વર્ષોથી મૃત્યુ પામેલી માતા. કેટકેટલાં દુઃખ વેઠીને તેણે પોતાને મોટા કર્યા હતા તેનાં એ દુઃખ પોતે નજરે જોયેલાં એટલે કપૂરચંદ શેઠને બરાબર ખ્યાલ હતો. કોઈ કોઈ વાર તો એ દિવસોની અને એ દુઃખોની કલ્પના આવતાં હજી પણ કપૂરચંદ શેઠ કંપી ઊઠતા. પોતે ન ખાઈને કે અર્ધું ખાઈને પણ માતાએ કેટલા હેતથી પોતાને જમાડ્યા હતા, જિવાડ્યા હતા એ પણ તેમને બરોબર યાદ હતું. છેવટે એ તો બિચારી સારો દિવસ જોયા પહેલાં જ મરી ગઈ. મરતાં મરતાં પણ એ જ અમીદૃષ્ટિ એની આંખોમાં ભરેલી કપૂરચંદ શેઠે જોઈ. એ બધું પેલાં બંધ કરેલાં બારણાંને કોઈ કોઈ વાર જરાક ખુલ્લાં કરી દેતું અને કપૂરચંદ શેઠના ચિત્તને ભલે પળવાર માટે પણ, વિષાદયુક્ત કરી દેતું.

પણ એ બધી વાતોને વર્ષો વીતી ગયાં હતાં. હમણાં તો યુદ્ધ થયું અને એથી દાણાદૂણીના ભાવ એટલા વધી ગયા હતા કે એ બધામાં બીજો કશો વિચાર કરવાની પણ શેઠને ફુરસદ નહોતી રહેતી.

તેમાં વળી છેલ્લા ચાર-પાંચ દિવસથી સરકાર દાણાનો ભાવ બાંધી દેવાનો વિચાર કરતી હતી અને શેઠના હાથમાં ઊંચા ભાવનો પુષ્કળ માલ આવી ગયો હતો તેની ચિંતા હતી એટલે પેલી આછી-પાતળી અવકાશરેખા પણ અદૃશ્ય જેવી બની ગઈ હતી.

તેમાં વળી આ ભિખારણ આવી. મોટો સોદો પાર ઉતારવાની વેતરણ ચાલતી હતી. ઉનાળાના દિવસોની ગરમી, માથે આ વેપારનો બોજો અને સોદો કરનારની ભાવ નક્કી કરવામાં ધડ કરવાની વૃત્તિ! શેઠ પૂરેપૂરા કંટાળ્યા હતા. ગરમી ટાળવા તો તેમણે પહેરેલું ખમીસ કાઢી નાખ્યું હતું. વેપારનો બોજો ઓછો કરવાનો પ્રયત્ન ચાલુ જ હતો અને ભાવની કડાકૂટ કરતા વેપારીઓને પણ માંડ સમજાવી લેવાની અણી ઉપર આવ્યા હતા ત્યાં આ ભિખારણ!

‘એ આ ગરીબને પાઈ પૈસો આપજો, માબાપ.’

‘એ શેઠિયાવ, જરા દયા કરજો, માબાપ.’

‘એ આ બચ્ચું ભૂખે મરી જશે, બાપલિયા, પાઈ-પૈસો તો આપો.’

શેઠની દુકાનના પાટિયા પાસે ઊભી ઊભી અણીને સમયે આવી બૂમો પાડતી ભિખારણ શેઠને ઝેર જેવી લાગી. પેલા વેપારીઓની સાથે ચાલતી વાત અટકાવી તેમણે ગુસ્સાથી ભિખારણ સામે જોયું.

અને બૂમ પાડીઃ

‘આઘી મર આઘી, રાંડ વેવલી.’

ફરી પાછો વેપારી સાથેનો વાર્તાલાપ શરૂ થઈ ગયો.

ત્યાં તો હજીયે હૃદય વધારે હલાવી નાખવાના ઇરાદાથી યોજેલો અવાજ તેમના સ્વાસ્થ્યનો ભંગ કરતો તેમને કાને અથડાયોઃ

‘અરે શેઠ સા’બ, તમે અમારા સામું નહિ જુઓ તો કોણ જોશે, મારા બાપ? પાઈ પૈસો તો આપો, મા’રાજ.’

શેઠ ક્રોધથી કાંપતા ઊભા થઈ ગયા. મહેતાજીની સામે જોઈ બૂમ મારીઃ

‘આને કાઢ આ વેજાને અહીંથી. કામટાણે જીવ લે છે.’

‘એ શેઠ, આ બચ્ચા સામું તો જુઓ. બિચારું ભૂખે મરી જાય છે.’ વધારે આર્જવ પેલીએ પોતાના સ્વરમાં આણ્યું.

શેઠ એકદમ તેની પાસે બહાર ધસી ગયા. જોરથી કહ્યુંઃ

‘જાય છે કે નહિ?’

‘પણ આ મારું બચ્ચું, શેઠ સા’બ.’

‘હવે જાને રાંડ.’ શેઠનો સ્વભાવ ઉગ્ર હતો.

‘આ બચ્ચાને તો કંઈ આપો, મહેરબાન.’

‘બચ્ચું! બચ્ચું! રાંડો ક્યાંથી લાવે છે બચ્ચાંઓ? કોના પેટનું હશે કોણ જાણે?’ શેઠ ભાન ગુમાવી બેઠા હતા.

‘મારા પેટને ભાંડો મા, શેઠ.’ પેલીએ વિનંતી કરી. તેની આંખોમાં ગુસ્સો, દુઃખ, અપમાનનું ભાનઃ બધું પારાવાર ભરાઈ ગયું. પણ શેઠે તે કશું ન જોયું.

‘હવે તારું પેટ! રાંડો ક્યાંથી લાવે છે બચ્ચાંઓ કોણ જાણે!’ અત્યંત જુસ્સાથી આ શબ્દો બોલી શેઠ તેની સામે રોષથી તાકી રહ્યા.

ભિખારણ તેમની સામે જોઈ રહી – એક ક્ષણમાત્ર, બીજી ક્ષણે તો તેની આંખમાં પાણી ઊભરાઈ આવ્યાં. અત્યંત સ્નેહથી તેણે બાળકને પોતાની છાતીએ લપેટી લીધું અને એક શબ્દ પણ બોલ્યા વિના તે પાછી વળી ગઈ.

‘ગઈ રાંડ જીવ લેતી’ બોલી પાછા વળતા શેઠને કાને એક ડૂસકું માત્ર અથડાયું. તે પણ જરા પાછા વળ્યા. જોયું તો પેલી ભિખારણ એકદમ ધીમા પગલે ચાલી જતી હતી.

અને કોણ જાણે શુંયે થયું કે વર્ષોથી જતનપૂર્વક, બળપૂર્વક બંધ કરેલાં શેઠના હૃદયનાં દ્વાર આપોઆપ ઊઘડી ગયાં. એક ધડાકે ઊઘડી ગયાં. હજારોનો વેપાર રોકાઈ રહે છે, પેલો સોદો માત્ર બે-પાંચ વાક્યોના વિનિમયથી પાર પડી જાય તેમ છે તે અટકી જાય છે, આવા આવા વેવલાવેડા કરવાથી કોઈ ઊંચું આવી શકતું નથી એ તો ચોક્કસ છે. – એ બધુંયે એક ક્ષણમાં તો કપૂરચંદ શેઠ ભૂલી ગયા અને પેલી ચાલી જતી ભિખારણની પીઠ તરફ તાકીને ઊભા જ રહ્યા.

એ તો ઊભા જ રહ્યા. ક્ષણ વારમાં તો એ ભિખારણને ભિખારણ તરીકે જોતા પણ એ બંધ થઈ ગયા. તેમની નજર આગળ આજ તો ત્રીસ-ચાળીસ વર્ષથી જેને પોતે જોઈ નહોતી એવી એક સ્ત્રીની મૂર્તિ ખડી થઈ ગઈ. તેના ગાલ બેસી ગયા હતા, તેની કાયા વાંકી વળી ગઈ હતી, તેના શરીરનું તેજ સુકાઈ ગયું હતું. માત્ર તેની આંખો અનર્ગળ અમી પોતા પ્રત્યે વર્ષાવી રહી હતી. એ મૂર્તિ ઓચિંતી જ જુવાન બની ગઈ. તેના હાથમાં પણ એક બાળક હતું. તે ભીખ નહોતી માગતી, નોકરી માગતી હતી. કોઈ કોઈ વાર દયા માગતી. બાળક માટે, ટાઢે ફડફડતા બાળક માટે એકાદ ફાટ્યુંતૂટ્યું વસ્ત્ર માગતી હતી. આવા એક નહિ પણ અનેક ઠેકાણેથી તેને જાકારો મળતો જતો હતો. આ ભિખારણે પોતા તરફ વાળ્યાં હતાં એવાં જ આંસુભીનાં નેત્રો તે પેલા તિરસ્કાર કરનાર તરફ વાળી મૂંગી મૂંગી ચાલી જતી હતી.

‘મારી મા.’ શેઠ જરા મોટેથી બબડ્યા. પોતાનાં દુઃખસુખની અનેક વાતો માએ તેમને કહેલી તે તેમને યાદ આવી ગઈ. તેમની આંખો પણ જરા ભીની થઈ. પેલી ભિખારણ અને તેનું બાળક એ જ પળે તેમના મનમાં પોતાના અને પોતાની માતાના પ્રતીક સમાં બની ગયાં. તેમણે બૂમ પાડીઃ

‘એ બાઈ, ઊભી રહે.’

જરા જેટલું પાછળ જોઈને પેલી બાઈ જરા પણ ઊભી રહ્યા સિવાય આગળ ચાલી. એ જરા જેટલું ફરી ત્યારે તેનો આંસુભર્યો ચહેરો શેઠને દેખાયો. તે તરત જ દુકાનની અંદર દોડી ગયા અને પટારામાંથી બેત્રણ રૂપિયા હાથમાં લઈ તેની પાછળ દોડ્યા. પેલી જરા આગળ નીકળી ગઈ હતી તેથી જરા ઉતાવળે દોડ્યા અને બૂમ મારીઃ

‘એ માતાજી, જરા ઊભી રહે. એ આ લેતી જા.’

દુકાનના નોકરચાકર, મુનીમમહેતાજી, પેલા વેપારીઓ બધા આ વિચિત્ર દૃશ્યને જોઈ રહ્યા.

અને થોડી જ પળોમાં તો એ જોનારની સંખ્યા વધી પડી. ભિખારણે તો શેઠનો અને તેમનાં પગલાંનો અવાજ સાંભળ્યો કે તેણે પણ પોતાની ગતિ વધારી. આંખોમાં આંસુ પણ આપોઆપ વધી ગયાં. તે આગળ દોડતી રહી અને રોતી રોતી બૂમો પાડતી રહીઃ

‘તેં મારું પેટ વગોવ્યું, મારા વીરા, મને તારી પાઈએ ન ખપે.’

અને પાછળ શેઠ ઉઘાડા ડિલે, ખોડંગાતા પગે, અધ્ધર શ્વાસે, લંબાવેલે હાથે, કરગરતે અવાજે, દોડતા જેવું ચાલતા ચાલતા બોલતા રહ્યાઃ

‘એ મને માફ કર, મારી મા, પણ આ લેતી જા. મારી ભૂલ થઈ.’

પાણી ભરતી જુવતીઓ, શાક વેચતા બકાલીઓ, પાન વેચતા દુકાનદારો અને ગીતની લીટી લલકારતો જુવાન આ અદ્ભુત દૃશ્ય સ્તબ્ધ બની જોઈ રહ્યાં. આગળ ને આગળ વધતા જતા સમાજવર્તુળ વચ્ચેથી આગળ ભિખારણ ને પાછળ શેઠ પોતપોતાની ગતિનો વેગ વધારતાં ચાલ્યાં જ જતાં હતાં. તે લોકો નજરમાંથી પૂરેપૂરાં બહાર નીકળી જાય તે પહેલાં તો પેલા જુવાને ચાલ્યા જતા શેઠની દિશામાં હાથ લંબાવી પોતે લલકારતો હતો તે લીટી પૂરી કરીઃ

‘ઊભી વાટે ઊડે રે તારી પોતડી.’

સાંભળનારાઓએ સહાસ્ય તે લીટી ઝીલી લીધી.