ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સંપાદક-પરિચય
ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાળા : (જન્મ : ૭ ઓગસ્ટ, ૧૯૩૬) ગુજરાતી સાહિત્ય પરિષદના ક. લા. સ્વાધ્યાય મન્દિરના નિવૃત્ત નિયામક અને ગુજરાતીના અધ્યાપક. અગાઉ તે દાહોદની નવજીવન આર્ટસ્ એન્ડ કોમર્સ કૉલેજના આચાર્યપદે હતા.
તેમણે કવિતા, વિવેચન અને સંપાદન ક્ષેત્રે ગુણવત્તાવાળું કામ કર્યું છે. છેલ્લા બે દાયકાથી વિવેચનક્ષેત્રે જે શક્તિશાળી સાહિત્યકારો કામ કરે છે એમાં ડૉ. ટોપીવાળાનું સ્થાન પહેલી હરોળમાં છે. વિવેચનમાં ભાષાકીય વિશ્લેષણ, શૈલીવિજ્ઞાન, સંરચનાવાદ, સંરચનાવાદોત્તર વિચારણા અને ડિ-કન્સ્ટ્રકશન વ. વિભાવો ગુજરાતીમાં સમજાવવાનું અને એનો પ્રત્યક્ષ સાહિત્યકૃતિઓમાં વિનિયોગ કરવાનું કાર્ય તેમણે કર્યું છે. તેમણે લેખન-કારકિર્દીનો આરંભ કવિતાથી કરેલો. ‘કાન્ત તારી રાણી’, ‘પક્ષીતીર્થ’ વ. તેમના કાવ્યસંગ્રહો પ્રગટ થયેલા છે, પણ તેઓ સવિશેષ વિવેચક તરીકે પ્રસિદ્ધ છે. ‘અપરિચિત અ, અપરિચિત બ’, ‘પ્રતિભાષાનું કવચ’, ‘સંસર્જનાત્મક કાવ્યવિજ્ઞાન’, ‘વિવેચનનો વિભાજિત પટ’, ‘ગ્રંથઘટન’ વ. તેમના વિવેચનગ્રંથો છે. તેમણે અનેક સંપાદનો અને અનુવાદો પણ કર્યા છે. પરિષદ તરફથી પ્રગટ થયેલા ‘ગુજરાતી સાહિત્યકોશ : ભાગ-૨ અને ૩ના મુખ્ય સંપાદક છે.
અનેક સાહિત્યસંસ્થાઓ સાથે તે સંકળાયેલા છે. ભારતીય જ્ઞાનપીઠ, સાહિત્ય અકાદમી, દિલ્હી અને નેશનલ બુક ટ્રસ્ટને તેમની સેવાઓ મળી છે.
(ગુજરાતી ગ્રંથકાર શ્રેણી-૪૩ ‘સુરેશ જોષી’માંથી સાભાર)
(જન્મ ૧-૯-૧૯૪૭)
રમેશ ર. દવેનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના મોસાળગામ ખંભલાવમાં થયો હતો. વતન – નાગનેશ ગામ. પિતા રતિલાલ દવે, માતા અનુબહેન. માતા સણોસરામાં શિક્ષિકા હતાં, પ્રાથમિક શિક્ષણ ત્યાં જ લીધું. માધ્યમિક શિક્ષણ મામા ‘દર્શક’ પાસે ‘ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા’ – આંબલામાં પ્રાપ્ત કર્યું. ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’, સણોસરા(જિ. ભાવનગર)માં ૧૯૬૮માં હિન્દી મુખ્ય વિષય સાથે સ્નાતક થયા. ૧૯૭૨માં આ જ વિષય સાથે અનુસ્નાતકની પદવી ભાવનગર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી મેળવી. ત્યાર બાદ ૧૯૭૫માં ગુજરાતી વિષય સાથે અનુસ્નાતકની ડિગ્રી મેળવી અધ્યાપક તરીકે પહેલાં મહિલા અધ્યાપનમંદિર – સાવરકુંડલામાં થોડો વખત અધ્યાપન કાર્ય કર્યું પછી ગઢડા વળિયા કૉલેજ(ભાવનગર)માં ૧૯૭૫થી ૧૯૮૧ સુધી ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. ૧૯૮૧માં ભાવનગર છોડીને અમદાવાદ ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદમાં ચાલતા ગુજરાતી સાહિત્યકોશ કાર્યાલયમાં અધિકરણલેખક તરીકે અને પછી કસ્તુરભાઈ લાલભાઈ સ્વાધ્યાયમંદિરમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા. તેમજ ૧૯૯૭થી ૨૦૦૯ સુધી નિયામક તરીકે કાર્ય કર્યું. આ અરસામાં ડૉ. ચિમનલાલ ત્રિવેદીના માર્ગદર્શનમાં ‘ગુજરાતી નવલકથામાં પાત્રનિરૂપણ’ વિષય પર ૧૯૮૩માં ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ. ડી.ની પદવી મેળવી. તેમજ જાન્યુઆરી ૧૯૯૭થી ૨૦૦૨ ડિસેમ્બર ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર ‘પરબ’ના સંપાદક તરીકે કામગીરી બજાવી.
એમના સર્જક વ્યક્તિત્વને ઘડનારાં પરિબળો જોઈએ તો માતા અનુબહેન પાસેથી મળેલો વાચનનો વારસો, જાણીતા સર્જક ‘દર્શક’નું સાંનિધ્ય, ‘દર્શક’ની સંસ્થાઓ ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા – આંબલા અને લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં લીધેલું શિક્ષણ – ત્યાંથી લીધેલા સંસ્કારો, ત્યાંનું સમૃદ્ધ ગ્રંથાલય, આ સંસ્થાના ઉત્તમ શિક્ષકો ‘દર્શક’, ન. પ્ર. બુચ, યોગેશ ભટ્ટ, યશવંતભાઈ ત્રિવેદીનો સહયોગ, ભાવનગરમાં તખ્તસિંહ પરમાર, ખોડીદાસ પરમાર, જયેન્દ્ર ત્રિવેદી, ગંભીરસિંહ ગોહિલ જેવા સંનિષ્ઠ અધ્યાપકોનું સાંનિધ્ય અને વિદ્વત્તાનો એમને લાભ મળ્યો. અમદાવાદના સાહિત્યિક વાતાવરણમાં મુકાતાં તેમજ ભોળાભાઈ પટેલ, રઘુવીર ચૌધરી, ચંદ્રકાન્ત શેઠ, ચન્દ્રકાન્ત ટોપીવાળા, ચિમનલાલ ત્રિવેદીના સંપર્કને લીધે સર્જન પ્રતિભાને પોષણ મળ્યું. આમ, સર્જન-વિવેચન માટે અમદાવાદનું સાહિત્યિક વાતાવરણ પોષક બની રહ્યું.
પ્રારંભિક લેખન લઘુકથા – ટૂંકી વાર્તા લખવાના પ્રયાસરૂપે આરંભાયું. ૧૯૬૯ના મે મહિનામાં ‘કુમાર’ સામયિકમાં ‘ગોરેનંદ યશોદા ગોરી’ એ વાર્તા પ્રકાશિત થઈ હતી. પરંતુ ધ્યાનપાત્ર સર્જકકૃતિ તો પચીસેક વર્ષે ૧૯૮૪માં ‘પૃથિવી’ નામે પ્રગટ થયેલી નવલકથા છે. ત્યાર બાદ સર્જન સાતત્યપૂર્વક ચાલતું રહ્યું છે. તેમનું સાહિત્યસર્જન બહુધા કથાસાહિત્ય અને નિબંધસ્વરૂપે થયેલું છે. ગુજરાત સાહિત્ય અકાદમીના પારિતોષિક તેમની નવલકથા, ટૂંકી વાર્તા અને નિબંધનાં પુસ્તકોને પ્રાપ્ત થયા છે.
–અજય રાવલ
‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’, ગ્રંથ : ૮ (ખંડ : ૨)માંથી સાભાર