ગુજરાતી નારીસંપદા : કવિતા/અછાંદસ - ૩
પન્ના ત્રિવેદી
⯐
રાતને આખ્ખેઆખ્ખી રહેવા દે
તારી વૈશાખી વાતોનું બાકોરું ન પાડ મહીં
થોડી રાતી ભીનાશ રાખી લેવા દે...
આ રાત
જોતજોતામાં
મોટી થઈને, કાલ ઊઠીને સવાર થઈ જશે...
પણ
હમણાં તો
રાતને રાત કહેવા દે!
કહું છું,
હળવાશનું આ ગળચટ્ટ અંધારું
છેક પગના તળિયે પથરાઈ જાય
ત્યાં સુધી સૂંધી લેવા દે નિરાંતે....
આજ તો આ રાતને ચાખી લેવા દે!
પછી દિવસ તો છે જ
માણસને મુદ્દે ને મુઠ્ઠે ખાનારો
આપણી જ સામે આપણા મરશિયા ગાનારો
એ વરણાગીયો કોઈનો ય થયો છે કદી આખ્ખેઆખ્ખો!
રાતની કાળી તરસ
ને દિવસની ધોળી તરસ
ભેગી મળીને
માણસને ભીતરથી કરી મૂકે છે કાબરચીતરો!
કહું છું,
આ નીરવ રાતને
ભરી લેવા દે અખંડ...
પછી રવરવતા અજવાળે
ચપોચપ ખરીદાશે મલમલના સંબંધ!
અંધારાનું રૂ પિંજી પિંજીને
હોવાપણાનું અત્તર જરીક છાંટી લેવા દે...
પછી દિવસ તો છે જ
આખીય હયાતીને તાર તાર કરી નાંખનારો!
રાતને આખ્ખેઆખ્ખી રહેવા દે...
રાતને રાતભર રાત રહેવા દે!
***