ગુજરાતી નિબંધ-સંપદા/મણિલાલ નભુભાઈ દ્વિવેદી/અદ્વૈતજીવન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અદ્વૈતજીવન

મણિલાલ નભુભાઈ દ્વિવેદી

જે વસ્તુનો દીર્ઘ કાલથી પરિચય હોય તે સત્વર ભુલાતી નથી તો જેનો પરિચય અનન્ત યુગથી છે એવા ઊલટા વ્યવહારની છાપ હૃદયમાંથી ખસી કેમ શકે? તેમાં પણ બાલકનો જન્મ થતાની સાથે જ તેને દ્વૈતબુદ્ધિ વધે તેવું પેટભર શિક્ષણ, મોંએથી બોલીને તેમ અનેક ઇતિવૃત્તથી સૂચવીને, આપવામાં કસર રખાતી નથી. આવો આગ્રહ શરીરના રુધિરમાં પ્રવેશ કરી જાય છે, જીવનરૂપ જ થઈ રહે છે. જેમ જેમ બુદ્ધિ વિચાર કરવાને સમર્થ થતી ચાલે છે તેમ તેમ હું અને તુંનો વિભાગ સ્પષ્ટ થઈ બહુ રીતે જુદો પડતો જાય છે; અને સાદૃશ્યને આધારે તર્ક કરતાં મનુષ્ય એમ વિચાર ઠરાવે છે કે મારાથી અમુક મોટું છે—શરીરે, બુદ્ધિએ, ઉત્કર્ષે—તેનાથી કોઈ ત્રીજું વધારે છે; એમ છેવટ કોઈક સર્વથી મોટું પણ હોવું જ જોઈએ. તે સર્વશક્તિમાન, કર્તુમકર્તુમન્યથાકર્તું સમર્થ, ને સર્વને ઘડનાર પણ હોવું, કે હોવો, જોઈએ. કારણ વિના કાર્ય છે જ નહિ, એટલે જે જે છે તે સર્વનું કારણ તે જ. મૂલથી જ હું અને તું બે વસ્તુ તો હતી જ તેમાં એ સર્વનો એક ઉપરી ઉમેરાઈને ત્રણ થઈ. એ ત્રીજાના ભયથી જ હું ને તું ઉભય સીધાં ચાલે છે, ને તેને ખુશી રાખવા માટે અમુક રસ્તો, જેને સન્માર્ગ, નીતિ ધર્મ કહેવાય છે, તે ગ્રહણ કરવામાં આવે છે. બની શકે તો તે ત્રીજાને જરાવાર ભુલવણીમાં પણ નાખવાનો યત્ન કરવાનું મન તો ખરું પણ તેનો ડર વધારે એટલે જેમતેમ પણ નિભાવ કરવો પડે.

આવો વિચાર સર્વ કોઈ વિચારવંતને તુરત જ આવી શકે તેવો છે. એમાં કાંઈ વધારે બુદ્ધિબલની જરૂર નથી. માત્ર અવલોકન કરવાની જેવીતેવી શક્તિની જ અપેક્ષા છે. એ વિચારથી દ્વૈતબુદ્ધિ ભેદબુદ્ધિ જન્મ પામે છે, અને દુઃખમાત્રનો ત્યાંથી આરંભ થાય છે. એક એક માણસ સર્વ માણસથી જુદું પડી પોતાનું જ સાચવવા મથે છે, તેમાંથી વિશ્વનિયમોમાંના એટલા બધા નિયમોનો ભંગ થાય છે કે મનુષ્યદેહ ઉપર વ્યાધિ દુઃખ અને શોકનું પૂર ઉભરાવા લાગે છે. અને આખાં મંડલોની કે રાજ્યોની નીતિ પણ તેવાં જ અન્ય પ્રકારનાં વ્યાધિ દુઃખ અને શોક વિનાની રહેતી નથી. જે નિર્દોષ મનુષ્યોના રક્તનો સ્રાવ અનેક વખત કોઈ એક મનુષ્ય કે એક દેશના સ્વાર્થ માટે થયેલો છે; જે કલહથી એક એક કુટુંબ કે એક એક દેશ પોતપોતામાં જ તેમ પરકુટુંબ કે પરદેશ સાથે અસૂયાના વિષમ વિષમાં પીડાયાં છે; જે રીતે ગરીબોની મહેનતે પૈસાદાર પૈસાવાળા થયા છે, અને ગરીબોને ખાવાનું ન રહેવાથી અનેક અનર્થને માર્ગે ઊતરવાની જરૂર પડી છે; જેથી કરીને જગતમાંથી શુદ્ધ પ્રેમ, શુદ્ધ સ્વાર્પણ, શુદ્ધ ન્યાય, અને શુદ્ધ વિશ્વાસ, દિનપ્રતિદિન ઓછાં થતાં ચાલે છે, ને ઉદારતા અને દયાનો પ્રભાવ નબળો પડતો જાય છે; તે વસ્તુ ભેદબુદ્ધિ વિના બીજી કાંઈ નથી. મોટા મોટા ફિલસૂફો પણ સનાતન વિશ્વનિયમોથી પોતાના સિદ્ધાન્તોને સમર્થિત કરવાનું બાજુએ રાખી આવી ભેદબુદ્ધિથી પ્રસરેલા અનાચારને અનુકૂલ પડે તેવા સિદ્ધાન્તોનું પ્રતિપાદન કરવાની ભૂલમાં પડેલા છે, ને પડે છે, તે પણ એ ભેદબુદ્ધિના ભ્રમથી જ. એ ભેદબુદ્ધિ શાનું પરિણામ છે? જે શિક્ષણ મનુષ્યોને અનન્ત સમયથી મળ્યાં ગયું છે, ને તેથી જે વાત સહજ રીતે તેમને ગળે ઊતરે છે, તે અજ્ઞાનનું જ એ પરિણામ છે.

અજ્ઞાન! આપણે એ સિદ્ધાંતને, દ્વૈતબુદ્ધિના નિયમને, અજ્ઞાન એવું નામ આપી શકીશું? એમાં ભૂલ તો નહિ હોય? આર્યશાસ્ત્રોએ તેમ અર્વાચીન પાશ્ચાત્ય તત્ત્વશોધકોએ એટલો નિશ્ચય ખાતરીપૂર્વક કર્યો છે કે આ વિશ્વનું બંધારણ દ્વૈતથી હોઈ શકવું એ યોગ્ય કે બુદ્ધિપુરઃસર નથી. પોતે જે જાણતાં હોઈએ, જે વાત સહજ ગળે ઊતરે તેવી હોય, તેના કરતાં વિપરીત વાત સંભાળવી, અને ખરી માનવી, તે ઘણાંને બહુ વિકટ લાગે છે; ને એટલાથી જ તેઓ તે વિપરીત વાતને ખોટી માનવાનું વલણ ગ્રહણ કરે છે. આપણને ભાવે તે જ પથ્ય એવો કાંઈ નિયમ નથી, ભાવે કે ન ભાવે પણ જેથી ખરો લાભ હોય તે જ પથ્ય; સત્ય તે જ સત્ય, પછી તે આપણા હાલના વિચારોથી વિપરીત હોય કે તેને મળતું હોય.

વિશ્વની જે વ્યવસ્થા છે તેમાં યથાર્થ રીતે અવલોકીએ તો બે પદાર્થ હોય એમ લાગે છે; એક જોનાર ને બીજું તેને જોવાનું. જોવાના સાધનનો, હાલ, ‘જોવાનું’ એમ જે વિભાગ ઠરાવ્યો તેમાં જ સમાસ રાખીએ તો દ્રષ્ટા અને દૃશ્ય બે જ વિભાગ આખા વિશ્વમાંના પ્રત્યેક પદાર્થના થઈ શકે. દૃશ્યમાં પણ ચેતનયુક્ત અને ચેતનહીન એવા બે વિભાગ છે. ચૈતન્યહીનને જડ કહે છે, અને જડ તથા ચેતન બે જ પદાર્થમાત્રનાં તત્ત્વ છે એમ સામાન્યતઃ બોલાય છે. પણ કોઈ જડ પદાર્થ લો તો તેમાં શું સમજાય છે? માત્ર તેની અમુક આકૃતિ અને તેનું અમુક નામ, પણ તે પદાર્થ પોતે શું છે. વસ્તુતઃ શાનો બનેલો છે તે સમજાતું નથી, કે સમજાવાનું પણ નથી. તેનું કારણ તત્ત્વજ્ઞો એમ કહે છે કે દ્રષ્ટાનું જે ચૈતન્ય દૃશ્યને જુએ છે તે વાસ્તવિક રીતે દૃશ્યના યથાર્થ તત્ત્વને જોતું નથી, માત્ર દૃશ્યનું પ્રતિબિંબ પોતામાં પડે છે તેને જ જોઈ લે છે, ને તેને અમુક નામ રૂપ અર્પે છે. જોવું, જાણવું, સમજવું, એ આદિ ધર્મ તેને જ્ઞાન કહીએ, તો કેવલ જાણવું એટલા ધર્મે કરીને જ્ઞાન સર્વત્ર ને સર્વ પદાર્થોમાં એક જ પ્રકારનું સમજાશે. એ જ્ઞાન તે જ ચેતન. એ ચેતન તે જડનો ધર્મ નથી, કેમ કે ચેતન વિનાનું જડ કહીં પણ છે જ નહિ, હોઈ શકે નહિ. ત્યારે સિદ્ધ એટલું જ થયું કે ચેતન એ જ સર્વત્ર એકાકાર એક વસ્તુ છે; જડ શું છે તે જાણવું અશક્ય છે, માત્ર તેના પ્રતિબિંબ દ્વારા તેનાં નામ રૂપ સમજાય છે.

દ્રષ્ટા અથવા જોનાર જે અંતરમાનું ચૈતન્ય તેનું બંધારણ જ એવું છે કે તે બાહ્યપદાર્થને જોવા જાય તે પૂર્વે તે પોતે જ તે પદાર્થરૂપ થઈ જાય છે, અને પોતે જ પોતાના રૂપને જુએ છે. અને વચમાં જે બાહ્ય પદાર્થ (દૃશ્ય) જાણવું ધાર્યું હતું તે તો બાજુ ઉપર રહી જાય છે. જ્ઞાન થાય છે તેની પ્રક્રિયા જ આ કહી તે પ્રમાણે છે. બીજી રીતે નથી. જડવાદીઓ કહે છે કે પદાર્થને ચક્ષુરાદિ સાથે સંસર્ગ થયો એટલે ચક્ષુનાં પરમાણુ છે તેને ગતિ મળી, અને તે ગતિ મગજમાં પહોંચી, નાડીઓને સંક્રાન્ત થઈ. એ રીતે નાડી દ્વારા જે અનુભવ થયો તે જ્ઞાન એ નામથી વ્યવહરાયું. એટલે કે જ્ઞાન એ તો જડ પરમાણુની અમુક ગતિનું નામ છે, બાકી વસ્તુતઃ જ્ઞાન એવું જડથી ભિન્ન કાંઈ નથી; અને દ્રષ્ટા અને દૃશ્ય એવા ભેદ પાડી, દૃશ્ય કદાપિ જણાતું નથી, ને દ્રષ્ટા પોતે પોતાને જ જુએ છે એમ જે કહેવાય છે તે વિના કારણ યોજેલી યુક્તિ માત્ર જ છે. આના સામેના સિદ્ધાન્તવાળા એમ આક્ષેપ કરે છે કે જડ પરમાણુને જે ગતિ થઈ શકે છે તેનો પ્રકાર નિરંતર એકરૂપ જ હોય છે, તેનો ધર્મ ચલનવલન એવો સતત એક જ રહે છે. પછી તે ગમે ત્યાં અને ગમે તે રીતે પ્રવર્તતો હોય. પરંતુ જેને જ્ઞાન કહીએ છીએ, જે આ ગતિ કરતાં વિલક્ષણ હોવું જોઈએ એમ માનીએ છીએ, તે તો માત્ર અમુક એકાકાર નથી હોતું, એટલે ગતિથી પેદા થયેલી જે વસ્તુ હોઈ શકે તેની સાથેનું તેનું સાદૃશ્ય ભાગી પડે છે; જ્ઞાનમાં તો હર્ષ, શોક, ભય, ક્રોધ, લોભ, મોહાદિ અનેક રંગ વર્તાય છે, જે જડપરમાણુની ગતિ માત્રથી સાધ્ય હોવા અશક્ય છે એટલે જડપરમાણુથી અતિરિક્ત એવો જ્ઞાન ધર્મ કે જ્ઞાન પદાર્થ સ્વતંત્ર સ્વીકારવો પડે છે. પ્રતિવાદી એમ કહે છે કે પરમાણુની અમુક પ્રકારની રચનાઓથી તેમની ગતિનાં પરિણામ પણ સુખદુઃખાદિ વૈચિત્ર્યવાળા હોઈ શકે. તો તે વાત સિદ્ધ થવી હજુ બાકી છે. એવો અનુભવ કદાપિ થયો નથી, થઈ શકે એમ અનુમાન કરવાનું સાધન પણ અદ્યાપિ સિદ્ધ થઈ શક્યું નથી. એટલે એ વાત તો બાજુ પર રહેવા દેવી પડે તેવી છે. પરંતુ એટલું તો સત્ય છે કે અમુક પ્રકારે જ્ઞાન થાય છે તેની સાથે જ તે જ્ઞાનના આધારરૂપ મગજ અને નાડીઓમાં પણ અમુક ફેરફાર અને ગતિ થયા વિના રહેતી નથી. જોકે આ ગતિનું પરિણામ જ જ્ઞાન છે એમ કહી શકાતું નથી, કેમ કે, આગળ જે કારણ આપ્યાં તે ઉપરાંત વળી જ્યારે એ ગતિ થાય તેવો પરમાણુસંસર્ગ બને છે તે જ અવ્યવહિત ક્ષણે જ્ઞાન પણ હાજર હોય છે, જેમ હોવું એ, જો જ્ઞાન પોતે પરમાણુની ગતિનું પરિણામ હોય તો, સંભવે નહિ; વચમાં થોડો પણ વખત લે. ત્યારે એ જ સિદ્ધ થયું કે જ્ઞાન અને જ્ઞાનતંતુ અથવા નાડીઓમાં ગતિ થવી બે સાથે સાથે જ થાય છે. તે ઉભય એકબીજાનાં કાર્ય કારણ જેવાં નથી, તો હવે એમ પણ માનવું પડે એ બન્ને કોઈ એકાદ પદાર્થનાં જ બે રૂપાન્તર છે. કોઈ એક જ વસ્તુ એવી છે, કે હોવી જોઈએ કે જેનો એ બે પ્રકારે આવિર્ભાવ એક જ સમયે થયાં કરે છે. આ વાત સ્પષ્ટ સિદ્ધ કરી આપવી કઠિન છે કેમ કે આગળ કહી ગયા તેમ આપણે જે વસ્તુ જાણવા માગીએ તે વસ્તુ બાજુ ઉપર રહી જાય છે, અને જાણનાર પોતે જ પોતાને જોઈ લઈ અમુક નામાદિ તેને આપે છે, એવું આપણા મનનું કે જ્ઞાન પામવાના સાધનનું જ બંધારણ છે. છતાં નિદ્રા (સુષુપ્તિ), મૂર્છા, સમાધિ, એ આદિ અનુભવમાં એ ઉભયનું એકત્વ, અથવા કોઈ એકનાં જ એ બે રૂપાન્તર, એમ સમજાયા વિના રહેતું નથી.

આટલા જ ઉપરથી એમ કહેવાય છે કે જ્ઞાન એવો ‘જાણવા’ રૂપે સર્વત્ર જે પદાર્થ છે તે જ પોતે પોતાને જુએ છે. અને વિવિધ નામરૂપાદિ, સૃષ્ટિ રચે છે. એ સૃષ્ટિ જે રચાય છે તે વસ્તુતઃ કલ્પિત જ છે. કેમ કે તેનું તત્ત્વ શું, ઘોડો કે ઘડો જે નામ કહ્યું તેનું યથાર્થ તત્ત્વ શું, તે સર્વથા અગમ્ય છે. એક નામ માત્ર જ જે જોનારે પોતે પોતાની જ વૃત્તિને આપેલું છે, તે હાથમાં છે. અર્થાત્ સૃષ્ટિ મિથ્યા છે. અથવા જોનારની દૃષ્ટિમાં જ છે; અને જોનાર પોતે જ એક સર્વસિદ્ધ, સર્વદા અનુભૂત, અને પ્રત્યક્ષ છે. જે પોતાના જ સ્વરૂપને જુદાં જુદાં નામ આપી તેમને ખરાં માનવાના ભુલાવામાં ભુલાય છે. જ્યારે એ ભુલાવો મટી જાય અને આ બધું રહસ્ય યથાર્થ સમજી જોનાર પોતે જ એક જ છે એમ થાય ત્યારે તેને સાક્ષાત્કાર કહે છે. પણ એ વાત આગળ કહેવાશે.

નિશ્ચય અત્યારે તો એટલો જ થયો કે જ્ઞાન એ વસ્તુ જડનો કોઈ પ્રકારે પરિણામ નથી, પણ સતત જડથી અભિન્ન છે. એટલે પ્રકારાન્તરે પણ પાછું જ્ઞાન અથવા જોનાર એ જ એક છે. બીજું કાંઈ નથી એમ માનવું પડશે. ઉપર જે વિવેચનો કરી તેમાંથી એટલું નીકળ્યું કે દ્રષ્ટા અને બીજું કાંઈક, જે શું છે તે કદી સમજાવાનું નથી, તે છે. તો એ દ્વૈતનો પરિહાર શી રીતે કરવો? એ પરિહાર સુલભ છે, કેમ કે દૃશ્ય પોતે પોતાની મેળે અનન્ત યુગ પર્યંત હોય તોપણ તે ‘છે’ એમ શી રીતે થાય? ચેતન વિના તેનું થવું જ અશક્ય, અર્થાત્ તેનું અસ્તિત્વ જ ચેતનને આધીન. ચેતન વિના જડ છે જ નહિ. આવો સિદ્ધાન્ત થયો ત્યારે સમસ્ત વિશ્વમાં દ્રષ્ટા ચેતન છે એમ થયું. દૃશ્ય જે છે તે પણ હમણાં જ કહ્યું તેમ ચેતનનો જ પ્રકાર છે. દ્રષ્ટા અને દૃશ્ય એવું જે વ્યાવહારિક દ્વૈત છે તે પરમાર્થ દૃષ્ટિએ જોતાં અદ્વૈત જ છે, કેમ કે ચેતન વિના એ ઉભયમાં બીજું કશું છે નહિ, હોય તો એ જણાવાનું નથી. બાહ્ય પદાર્થનો અનુભવ થવો એ વાત જ, અંદરના ચૈતન્ય વિના અશક્ય છે. કેમ કે એ ચેતન, સર્વ અવસ્થામાં પોતાના ઐક્યને લીધે જ, બાહ્ય અનુભવનું પણ ઐક્ય સ્થાપી શકે છે, અને વ્યાપ્તિરૂપ જ્ઞાનના સિદ્ધાંત બાંધી શકે છે. એમ પણ ચેતન એ અદ્વૈત જ સિદ્ધ થયું. દ્રષ્ટા અને દૃશ્યનો જે ભેદ છે તે તો ત્યારે એમ જ સિદ્ધ થાય છે કે દ્રષ્ટા પોતે જ પોતાને જુએ છે. જો એમ જ છે તો ભેદ કેમ સમજાય છે?

ભેદ શા માટે સમજાય છે? આવો પ્રશ્ન શંકારૂપે આવી પડ્યો છે. એનું ઉત્તર આપતાં પહેલાં અત્યાર સુધીમાં આપણે જે સિદ્ધ કર્યું છે તે ફરી લક્ષમાં લેવાનું છે. જ્ઞાન અથવા ચૈતન્ય એ જ વિશ્વાસ કરવા યોગ્ય ખરી, અને સિદ્ધ વાત છે; તે ચૈતન્ય જડનો ધર્મ નથી; જડ પોતે અથવા જ્ઞાનથી બાહ્ય એવી જે જે વસ્તુ સમજાય છે તે અમુક નામરૂપે કરીને જણાય પણ તે યથાર્થ જણાતી નથી કે જણાવાની નથી; અને જડ તથા ચૈતન્ય એ બે કોઈ એક જ એકાકાર વસ્તુનાં કાર્ય અથવા રૂપાન્તર છે. આટલી વાત સિદ્ધ થઈ છે. હવે એમ પૂછવું કે જ્યારે બધું એકરૂપ છે ત્યારે ભેદ કેમ સમજાય છે? એ યથાર્થ શંકા નથી; કારણ કે ‘ભેદ છતાં એક’ એવું જ આપણે જે અદ્વૈત સિદ્ધ કર્યું તેનું રૂપ નક્કી થયેલું છે. જે નામરૂપાત્મક બનાવને જડ એવું નામ આપવામાં આવે છે, તેની એક વિકૃતિ એવી થાય છે કે જે ચૈતન્યના સંબંધે અમુક ધર્મવાળી થઈ શકે છે, ને જોનાર, બોલનાર, ચાલનાર, વિચારનાર, સુખી, દુઃખી, એવા નાના ધર્મ પામી શકે છે. એને સામાન્ય રીતે મન અથવા અંતઃકરણ કહેવાય છે. આ અંતઃકરણ પ્રતિ મનુષ્ય ને પ્રતિ વ્યક્તિએ ભિન્ન હોય છે, એટલે સર્વત્ર અનુભવની એકતા બની શકતી નથી. ને ભેદ સમજાય છે. એ ભેદ સમજવો તે જ વાસ્તવિક વસ્તુગતિ નથી, કેમ કે ભેદજન્ય જે વ્યવહાર તે સિદ્ધ વસ્તુગતિથી નિરાલો છે. સિદ્ધ વસ્તુગતિને કોઈ અન્યથા કરી શકતું નથી, જે વ્યાવહારિક વસ્તુગતિ છે તેને અન્યથા કરી શકાય છે. ખરેખરો પુત્ર દૂર દેશમાં મરી ન ગયા છતાં, તે મરી ગયો એમ સાંભળતાં પીડા થાય છે તે કોના મરણથી? સિદ્ધ એવી વસ્તુ જે દૂરદેશસ્થ પુત્ર તેનું તો મરણ થયું જ નથી એટલે તેના મરણથી નહિ, પણ અંતઃકરણે કલ્પેલો જે પુત્ર તેના મરણથી. એમ જ હું તું એવી જે ભેદબુદ્ધિ તે પણ અંતઃકરણે કલ્પેલા ભેદથી, બાકી વસ્તુગતિએ જોતાં હું એ પ્રત્યયનું સ્થાન અને તું એ પ્રત્યયનું સ્થાન નિદાને એકાકાર જ છે. અંતઃકરણની કલ્પના એ જ ભેદનું કારણ, પણ તે મિથ્યા છે, અને સર્વત્ર એકાકારતારૂપ અદ્વૈત આ રીતે સિદ્ધ થાય છે.

અદ્વૈતવાદનું આ સંક્ષિપ્ત રૂપ છે, જે વસ્તુગત્યા તે જ યોગ્ય છે એમ વિચારવાનને પ્રત્યક્ષ થઈ શકે તેવું છે. ઉપર ઉપરથી જોતાં જીવ, જગત, ને ઈશ્વર એવા ત્રણ ભેદ જે લાગે છે તે કેવલ અવાસ્તવિક વિવેચકબુદ્ધિનું પરિણામ છે એમ પણ સહજ સમજાય છે. ચૈતન્ય એ જ વિશ્વસનીય અને સિદ્ધ જ્ઞાનનો દેશ ઠર્યો. ત્યારે તેનાથી જુદી જે વાત હોય તે અવિશ્વસનીય એટલે અસત્ય અને અસિદ્ધ એટલે મિથ્યા ઠરવી જ જોઈએ. ચૈતન્ય એટલે જાણવું, સમજવું, ચાલવું, આદિ કોઈ ધર્મ સમજવો નહિ, પણ ‘છું કે છે’ એમ કહેવા કે વિચારવામાં જ તેનું જે અસ્તિત્વ, હોવાપણા રૂપે અનુભવાયું તે જ ચૈતન્ય. ચૈતન્ય વિના ‘છે-છું’ એ અનુભવ જ અશક્ય છે. જેમ ચૈતન્ય વિના આ અનુભવ અશક્ય છે, તેમ એ ચૈતન્યની બહારની કોઈ વસ્તુને નિતાન્ત સત્ય કહેવી એ પણ તેટલું જ અશક્ય છે, કારણ કે ચૈતન્ય પોતાથી જુદો પાડીને કોઈ પદાર્થ સમજી કે ગ્રહી શકતું નથી, માત્ર તે તો પદાર્થનાં નામરૂપાનુસાર થયેલી અંતઃકરણવૃત્તિને અવબાસે છે. આવું હોવાથી ઈશ્વર એવો કોઈ પદાર્થ ચૈતન્યના પ્રદેશમાં સિદ્ધ થઈ શકતો નથી; કેમ કે કર્તૃત્વ, નિયામકત્વ, મોક્ષદાતૃત્વ, એ આદિ ધર્મો ચૈતન્ય જે અત્યંત ધર્મરહિત છે તેમાં ઘટી શકતા નથી. અંતઃકરણની ઉપાધિથી ચૈતન્યમાં જેમ ભેદનો ઉપચાર થાય છે ને ધર્મ ઘટી શકે છે, તેમ ઈશ્વર માટે માનવાની ઇચ્છા હોય તો તેથી તો ઈશ્વરનું ઈશ્વરત્વ તૂટી જશે, ને ઈશ્વર પણ એક મોટો જીવ બની રહેશે. એને જો ઈશ્વરવાદી ઇષ્ટાપત્તિ કહેતો હોય તો અદ્વૈતી પણ તેનો ઈશ્વર સ્વીકારવામાં હાનિ દેખતો નથી. વિશ્વથી નિરાળા અને કર્તા તથા નિયંતા એવા ઈશ્વરનું અસ્તિત્વ પ્રથમ આ પ્રમાણે જ સિદ્ધ થઈ શકતું નથી, તો તેના અસ્તિત્વને વૈષમ્યનૈર્ઘૃણ્યાદિ દોષથી નિષેધવાની જરૂર નથી. મનુષ્યોએ પોતાના સામાન્યજ્ઞાનથી પોતાના જે ધર્મો છે તેને ઉત્કર્ષ રૂપે કોઈક કલ્પિત મહામનુષ્યને આરોપ્યા, ને એમ સર્વરૂપ અદ્વૈત ચૈતન્યનો જે શુદ્ધ વિચાર અને જે મહાધર્મ તેને કેવલ મલિન કરી નાખ્યો. ઈશ્વરને જેવો તે સિદ્ધ થાય છે તેવો અગમ્ય, અવર્ણ્ય સર્વરૂપ એવો માનવામાં જે મહત્તા સમાયેલી છે, તે તેને રાતદિવસ સંસાર જેવી ખટપટ કરતો બનાવવામાં જરાપણ રહેલી નથી. કેટલાક કહેશે કે અમે ઈશ્વરને અવર્ણ્ય, સર્વવ્યાપી, આદિ માનીએ જ છીએ, તો તેમની તે વાત ઠીક છે. પણ તે યથાર્થરૂપ સર્વમયતા, તેને તેઓ ઈશ્વરનું તાટસ્થ્ય માનીને કેવલ બગાડી નાખે છે. ઈશ્વર તટસ્થ, પ્રસાદ આપનાર, તે છતાં નિરાકાર અને સર્વવ્યાપી, આ સિદ્ધાન્ત કેટલાક ધર્મવાળા માને છે; પછી તે ઈશ્વર શી રીતે અવિર્ભાવ પામે છે, શી રીતે વિશ્વને નિયમે છે, તે બાબત ગમે તેવા તફાવત તે જ મતની પણ જુદી જુદી શાખાઓમાં જણાય છે, તેથી કશો બાધ નથી. અવાંતર ભેદ ગમે તે હોય પણ ઈશ્વરસ્વરૂપ અમુક પ્રકારનું સ્વીકાર્યું એ જ મતાન્તરોના સાદૃશ્યનું મુખ્ય કારણ છે. ને એવું સાદૃશ્ય પોતાના મતને લીધે કદાપિ ક્રિશ્ચિયન ધર્મ સાથે કે મુસલમાન ધર્મ સાથે, બૌદ્ધ મત સાથે કે વૈષ્ણવ મત સાથે, પ્રાર્થના સમાજ સાથે કે આર્ય સમાજ સાથે, ગમે તેની સાથે સિદ્ધ થતું હોય તેમાં સત્ય શોધવાના ઝુંડા નીચે ચાલનારે શરમાવાનું કાંઈ નથી. અદ્વૈતમતવાળા પોતે મુસલમાન સૂફીઓ સાથે, ક્રિશ્ચિયન કેબેલીસ્ટો સાથે, ચાઇનીઝ ટેઓઇસ્ટો સાથે, પોતાના મતનું ઐક્ય સ્પષ્ટ રીતે અને ખુલ્લે હૃદયે સ્વીકારે છે; તો તટસ્થ અને નિરાકાર ઈશ્વર સ્વીકારનારે પોતાના મતનું સાદૃશ્ય જ્યાં હોય ત્યાં સ્વીકારવામાં શા માટે હાનિ સમજવી જોઈએ? પણ એવું સાદૃશ્ય કોને કોની સાથે છે અથવા નથી એ વાત અત્રે સિદ્ધ કરવાની નથી, એ તો એક પ્રાસંગિક વાત થઈ. પણ મુખ્ય વાત એ જ છે કે તસ્ટસ્થ કર્તા, પ્રસાદ આપનાર, અને નિરાકાર કે સાકાર એવો ઈશ્વર કોઈ યુક્તિથી કે કોઈ આંતર અનુભવથી સિદ્ધ થતો નથી.

ઘણાક તટસ્થેશ્વરવાદીને એવું ભય રહે છે કે એમ ન માનવાથી અને ચૈતન્યને સર્વમય એક ગણવાથી, જીવ એવો જે પદાર્થ છે તે નીકલી જશે, અને તેથી માણસને પોતાનાં પાપ-પુણ્ય માટે ફલ ભોગવવાં પડે છે તે અન્યાય ગણાશે. અર્થાત્ દુનિયામાં ગમે તેમ કરીએ તોપણ કશી જવાબદારી નથી એમ થશે. અદ્વૈતવાદની કોટિ બરાબર ન સમજાયાથી આ ભય પેદા થયું છે, ને જો એટલા જ કારણથી અદ્વૈતવાદ ન સ્વીકારાતો હોય તો અમને ખાતરી છે કે એ બાબતમાં એમ માનનારા ભૂલ કરે છે એવું અમારા કરતાં કોઈ વધારે સમર્થ અદ્વૈતાનુયાયી બતાવી શકશે. અંતઃકરણવૃત્તિથી ભેદબુદ્ધિ પેદા થાય છે એ વાત લક્ષમાં રાખવાથી, જીવનો વિભાગ રદ થવાની જે ભીતિ છે તે નિર્મૂલ થશે; અને જ્યાંસુધી ભેદબુદ્ધિ છે અર્થાત્ અંતઃકરણ અને તેની વૃત્તિઓ છે ત્યાંસુધી પાપ- પુણ્ય જવાબદારી એ જે વ્યાવહારિક યુક્તિઓ છે તે પણ કાયમ રહેશે જ. વ્યાવહારિક યુક્તિઓ એમ કહેવાનું કારણ આગળ સ્પષ્ટ કરીશું, કેમ કે જેને નીતિ કે પુણ્ય કહેવાય છે તેમાં યથાર્થ નીતિ કે યથાર્થ પુણ્ય શું છે તે જુદો વિષય છે, અને જેને વેદાંત, ગુરુ-શિષ્ય અને શાસ્ત્ર સમેત, મિથ્યા, અત્યંત મિથ્યા, કહે છે કે તે નીતિ ને તે પુણ્ય તે જુદી વાત છે. એટલે કે તટસ્થેશ્વર ન માનવાથી જે ભય માનવામાં આવે છે એ નિષ્કારણ છે એમ માનવામાં બાધ નથી. તટસ્થેશ્વર માનનારા બીજું કારણ એમ કહે છે કે આપણા અંતઃકરણની લાગણી આપણને કોઈના ઉપર આધાર રાખવા, કોઈની ભક્તિ કરવા પ્રેરે છે, માટે તટસ્થેશ્વર જ તે ભક્તિનું ભાજન છે એવું આપણા સ્વભાવથી સિદ્ધ છે. આનું ઉત્તર એ જ કે આપણા શુદ્ધ ચૈતન્યની સાક્ષીથી તટસ્થેશ્વર કરતાં, સર્વ કરતાં સર્વમય એકરસ ઈશ્વરની સાક્ષી સિદ્ધ રીતે મળે છે એ વાત આપણે આ વિષયના પ્રથમ આરંભે જ સિદ્ધ કરી છે, અને તે ઉપરાંત વળી વિશ્વસ્વરૂપ સમજવાની બાબતમાં માત્ર લાગણીથી દોરાઈ, બુદ્ધિ અથવા આંતર ચૈતન્ય જે સિદ્ધ કરે તેને ન ગણકારવું એ યથાર્થ વિવેકવાનનું કામ નથી.

એકલી લાગણીને આધારે ધર્મ જેવી બાબતમાં સિદ્ધાન્ત બની શકે નહિ. પદાર્થવિજ્ઞાન, રસાયનશાસ્ત્ર, ભૂગોળ કે ભૂસ્તર, એવા કોઈ એકદેશી શાસ્ત્રમાં પણ લાગણીને જેમ બને તેમ અતિ વિદૂર રાખીએ છીએ તો સર્વ જીવિતનો હેતુ બતાવનાર ધર્મશાસ્ત્રની વાત વિચારવામાં માત્ર લાગણીનો જ આધાર પકડવો એ ઉપહાસાસ્પદ છે. કહેશે કે બુદ્ધિથી કશી તકરારનો અંત આવી શકે નહિ, માટે આંતરેન્દ્રિયની પ્રતીતિ અને તે તે પ્રતીતિ પ્રમાણે થતાં જ તે પ્રતીતિજન્ય આવેગની શાન્તિ, એ સિદ્ધ અનુભવને આધારે ધર્મસ્વરૂપ નિયમવું સુલભ છે. જો આવું જ હોય તો તો તટસ્થેશ્વરવાદ એક માનવા માત્ર રૂપ થઈ પડે, અને તે મતના અનુયાયીઓને, પોતે ધારેલી વાત જ જ્યારે કલ્પના માત્ર છે, ત્યારે બીજાનાં દૂષણ દેખવાનું લેશ પણ પ્રયોજન રહે નહિ. કિંબહુના પથરાને ઈશ્વર કલ્પનાર, કે ઓરડો અડકાવી મૂકી તેમાં જ ઈશ્વર બેઠા છે તેનું ભજન કરવું એમ માનનાર, એવાને પણ હસવાનું તેમને કારણ રહે નહિ. પરંતુ અમને એમ લાગે છે કે કલ્પના તથા આવેશ અને લાગણી એ બધાંને બુદ્ધિએ તપાસવાની આવશ્યકતા છે, એમ ન હોય તો નીતિનિયમ પણ વિપરીત થવા જાય.

લાગણી માત્રથી જ ધર્મસ્વરૂપ નક્કી થતું હોય, તો તે ધર્મને આધારે રચાનારી નીતિના સ્વરૂપમાં પણ લાગણીનો વિભાગ અધિક માનવો જોઈએ. એમાં પણ જે દ્વારા શુદ્ધ લાગણી તૃપ્ત થાય તે જ ઉત્તમ નીતિ, જેમ કે પ્રાર્થના આદિ, એમ શા માટે ન માનવું? પણ વાસ્તવિક વાત એવી છે કે બુદ્ધિના તત્ત્વને ન માનવાનું કહેનાર પણ, લાગણીને જ માનવી, તેનાં અમુક કારણ છે, ઇત્યાદિ વાદ કરે છે તેમાં જ તે બુદ્ધિને સ્વીકારે છે. માત્ર દુરાગ્રહથી કે જડતાથી, તેટલે સુધી આવેલી બુદ્ધિને આગળ લઈ જવામાં હાનિ દેખે છે, કે ડરે છે. આત્માની પ્રત્યક્ષ સાક્ષીને એક આધાર રૂપે રાખી બુદ્ધિને પ્રવર્તવા દેવાથી અદ્વૈત વિના બીજો સિદ્ધાન્ત સિદ્ધ થવો અશક્ય છે. અને એ પ્રમાણે બુદ્ધિને ચલાવવામાં લાગણીને નુકસાન થવાનો કે અનવસ્થારૂપ અપ્રતિષ્ઠાનનો ભવ આવવાનો સંભવ નથી.

ધર્મસ્વરૂપ ઠરાવવામાં તો બુદ્ધિએ જ સુકાન હાથ રાખવું જોઈએ, પછીના નિર્ણય પ્રમાણે અમલ કરવામાં લાગણીને પોતાનું સ્થાન બુદ્ધિ આપે તો ઝાઝો બાધ નથી. એવો સમય આવે છે કે જ્યારે બુદ્ધિ અને લાગણીનો વિષય જુદો રહેતો નથી. જ્યારે જાણવું તે જ માનવું, અને માનવું તે જ જાણવું, એવી સ્થિતિ થઈ રહે છે, અને વ્યવહાર પરમાર્થ એક થઈ અભેદ સિદ્ધ થાય છે; એ સમયની સર્વને અપેક્ષા છે, એને જ આધારે નીતિનો પાયો ઊભો છે.

નીતિ શું? વ્યવહારમાં એમ વારંવાર જણાય છે કે જેને એક ઠેકાણે નીતિ કહેવામાં આવતી હોય છે તે બીજે ઠેકાણે અનીતિ કે નીતિબાહ્ય મનાય છે! વ્યવહાર ઉપર નજર કરીએ તો નીતિનો એક પણ માર્ગ હાથ આવતો નથી. કોઈ ઈશ્વરજ્ઞાનને, કોઈ અંતરનો પ્રેરણાને, કોઈ ઉપયુક્તતાને નીતિના બંધારણના નિયામક રૂપે માને છે, પણ વ્યવહાર માત્ર ઉપર જ જેની દૃષ્ટિ છે એવું એકે ધોરણ ત્રિકાલાબાધ સિદ્ધાન્ત બતાવી શકતું નથી. તેમાં પણ જીવ, ઈશ્વર, જગત એવા ત્રણ ભેદ માનનારની નીતિનું ધોરણ તો બહુ જ અસંતોષકારક રહે છે. જીવ અને ઈશ્વરના વિષયો પોતાના વર્તનમાં ઘણી વાર વિરોધભાવ પકડે છે, ક્વચિત્ જગત પણ તે બેના વિરોધમાં ત્રીજો વિરોધ ઉમેરે છે, ને એ સર્વનું સમાધાન તે મતવાળા પ્રાર્થનાથી, માફ માગવાથી, સાધે છે. પણ વિશ્વનિયમો માફ માગવાથી બદલાતા નથી. તેને બદલી શકે એવો કોઈ કર્તા નથી, હોય તોપણ તે વિપરીત વૃત્તિવાળો થવાથી કર્તા થવા યોગ્ય નથી.

અદ્વૈત પક્ષે જોતાં અભેદભાવના એ જ સર્વ ન્યૂનાધિકતા, દુઃખદોષ, ઇત્યાદિ તારતમ્ય માત્રને નિર્મૂલ કરવાનો ઉપાય છે. અને તે જ ઉત્તમોત્તમ નીતિનિયામક છે. વિશ્વના નિયમો જે પ્રકારે પ્રવર્તે છે તે પ્રવૃત્તિમાં એકાંત નઠારું એવું કશું છે નહિ, જે નઠારું સારું, સુખ-દુઃખ, મનાય છે તે માનનારાની વૃત્તિનો જ ચમત્કાર છે. અર્થાત્ એવી ખોટી વૃત્તિ શમવી એ જ આવા ઉત્તમોત્તમ અભેદનો માર્ગ છે; ને તેવો અભેદ સિદ્ધ થયાનું ચિહ્ન એ છે કે સુખમય એવી જે વિશ્વરચના અને તેની પ્રવૃત્તિ તે સાથે—વિક્ષેપ કરનાર વૃત્તિને અભાવે—એકાકાર થઈ તદનુકૂલતામાં જ લય પામી જવું. બીજી રીતે કહીએ તો પિંડબ્રહ્માંડ એક થવું. આ ધોરણ લક્ષમાં રાખી વર્તવાથી વ્યવહારની પણ ઉત્પત્તિ સહજે થાય છે, અને જે જે વાત અભેદ પ્રતિ દોરનાર તે તે નીતિમય એવો સ્પષ્ટ અને સુગમ સિદ્ધાન્ત હાથ આવે છે.

નીતિનો નિયમ હાથ આવે તો જ સારા-નઠારાનો વિવેક બની શકે. જ્યાંસુધી વિશ્વના સ્વરૂપ વિશેનો કાંઈ પણ નિર્ણય કરવામાં આવ્યો નથી, અર્થાત્ પદાર્થવિજ્ઞાનથી કે તત્ત્વવિચારથી જ્યાંસુધી જીવિતના હેતુનું સ્વરૂપ બંધાયું નથી ત્યાંસુધી નીતિનું ધોરણ હાથ આવવું અશક્ય છે. કારણ સ્પષ્ટ જ છેક એ નીતિના ફલરૂપ જે સુખ તે સુખનું સ્વરૂપ બંધાવામાં કશો નિયમ હાથ રહેવાનો નહિ. કેમ કે સુખના સ્વરૂપનો નિશ્ચય વિશ્વના સ્વરૂપના અને તે ભેગા જીવિતના હેતુના સ્વરૂપના, નિર્ણયની સાથે જ બની શકે તેમ છે. વિશ્વસ્વરૂપનો સિદ્ધ નિશ્ચય કર્યા વિના જે જે નીતિનિયમો રચાય છે તે માત્ર કલ્પના, સગવડ, કે આવેશને આધીન હોય છે.

અદ્વૈતમાં તો વિશ્વસ્વરૂપનો નિર્ણય કરાયેલો જ છે કે સત્‌રૂપ સર્વમયતામાં જે ભેદ જણાય છે તે એક કલ્પના માત્ર છે, અને તેની ઉપપત્તિ ગમે તે દ્વારા ગમે તે પ્રકારે કરવામાં આવતી હોય તથાપિ પરમાર્થ સત્તાનો સ્વીકાર કરવામાં આવે એ જ અદ્વૈતસિદ્ધાન્તાનુસાર વિશ્વવિવેક માન્યા બરાબર છે. અર્થાત્ યદ્યપિ પદાર્થવિજ્ઞાન તે અદ્વૈત પક્ષે વિશ્વવ્યવસ્થા સમજવામાં મુખ્ય નથી તોપણ તાત્ત્વિક દૃષ્ટિથી પરમાર્થ સત્તારૂપે જે વાત અદ્વૈતમાં સિદ્ધ છે તેનો ત્રણે કાલમાં બાધ થવો અશક્ય છે. એટલે એ અંશને અવલંબી તે સિદ્ધાન્તાનુસાર વિશ્વવ્યવસ્થા સુસંપન્ન છે.

અભેદ એ જ અદ્વેતની નીતિ છે. એ પણ કલ્પના માત્ર જ હોય એવી શંકાના સમાધાન માટે અનુભવમાં પણ તે અભેદને ઉતારેલો છે. જે પ્રકારે બ્રહ્માંડની વ્યવસ્થા ચાલે છે તે પ્રકારમાંથી પિંડ કાંઈ જુદા હોઈ શકે નહિ પણ ચિત્તની કલ્પનાને લીધે એ બેની એકતામાં વિક્ષેપ થાય છે. એ કલ્પનારૂપ દ્વૈત ટળી અભેદ થાય ત્યારે પિંડબ્રહ્માંડ એક થાય એટલે કે તેનો અનુભવ પણ થાય જ. પિંડબ્રહ્માંડની એકતા કે તેનું સાદૃશ્ય માનવામાં બાધ નથી, કેમ કે અદ્વૈતવાળા જે અનુભવથી તેમ માને છે તે અનુભવને હાલની પદાર્થવિજ્ઞાનવિદ્યા પણ અનુમોદે છે. ઈવોલ્યુશનમાં મનુષ્યસમષ્ટિની ઉત્પત્તિનો ક્રમ ગર્ભરૂપ વ્યષ્ટિના ક્રમ ઉપરથી અનુમાનીને જ રચાયેલો છે, એટલે અર્થાંતરે પણ પિંડબ્રહ્માંડૈક્યવાદ સ્વીકારાયેલો સિદ્ધ છે. એ ઐક્ય દ્વારા જ્યારે અભેદનો અનુભવ થાય ત્યારે જ અદ્વૈતસિદ્ધાંતની નીતિની ટોચે પહોંચાયું એમ સમજાય છે.

જે લોકો અદ્વૈતને માનતા નથી, અને જેને માટે અનુભવનું કોઈ પણ પ્રમાણ નથી એવો તટસ્થેશ્વર કલ્પી તેનાથી પોતાને અને જગતને જુદાં માને છે. અને તે ઈશ્વરની પ્રીતિ સંપાદન કરવામાં નીતિનો સામવેશ કરે છે, તેમની નીતિ એક કલ્પના માત્ર જ છે એમ કહેવું જોઈએ. કેમ કે તેમની નીતિનિયમનું મૂલ મંડાણ જ કલ્પનાથી છે. તેમણે જે દ્વૈતભાવ નિત્યસિદ્ધ માન્યો છે તેમાંથી અભેદ કોઈ વાર ફલતો નથી, ફલી શકે નહિ અને એમ થાય ત્યારે પિંડબ્રહ્માંડનું જે વાસ્તવ ઐક્ય તે પણ તેમના અનુભવમાં આવે નહિ. દ્વૈતને અનુસરી બંધાયેલાં નીતિધોરણ સાર્વત્રિક કે સર્વસામાન્ય પણ ન જ થાય, કેમ કે દ્વૈત પોતે કલ્પિત છે એટલે કલ્પનાની ઉપપત્તિ અનેક પૂર્વાપર વિરુદ્ધ કલ્પનાથી જ બને જ. એવા નીતિનિયમની પરાકાષ્ઠા ભ્રાતૃવત્ સર્વ એટલી જ છે, પણ અદ્વૈતના નીતિનિયમનું સ્વરૂપ — આત્મવત્ સર્વ એ છે.

નીતિનું એ પણ એક કામ છે કે જગતનાં દુઃખાદિનો યોગ્ય સ્થાને સમાસ કરી તેમનો અત્યંત અભાવ થાય તેવો માર્ગ બતાવવો. તો તે વાત દ્વૈતનીતિમાં કદાપિ બનવાની નથી. પ્રથમે તેમનો ઈશ્વર જ તારતમ્યનો વિસ્તારનાર છે, ત્યાં તેની સૃષ્ટિમાં તારતમ્ય સર્વથા ન્યાયપુરઃસર જ હોય, એમ માની શકાય નહિ. કેમ કે દયાર્દ્રસર્વશક્તિમત્તા અને તારતમ્યસિસૃક્ષા બે સાથે રહી શકતાં નથી. અર્થાત્ એ મતાનુસાર એવી ઉચ્ચ ભાવનાના બોધનો અવકાશ જ નથી કે જેમાં પરમ અભેદ—પ્રેમ—એ જ સર્વ સુખરૂપ કર્તવ્યના સારરૂપ, અથવા જીવિતના હેતુરૂપ સ્થાપી શકાય, અને એમ વ્યવહારને પણ પરમાર્થ તરફ દોરી શકાય. એ મતમાં પરમાર્થ એવું છે જ નહિ, સંભવતું નથી, કેવલ વ્યવહાર જ છે. અને તે વ્યવહારને ઉત્તમરૂપે, પણ અવ્યવહારરૂપે જ સ્થાપવો એ, તે મતની નીતિનો ઉદ્દેશ. મોક્ષ પણ તે મતમાં એ જ છે કે ઈશ્વરનું સામીપ્ય, દ્વૈતદૃષ્ટિએ મારું-તારું માનવા છતાં સર્વને ભાઈ જેવા માની સુખ પામવું, દુઃખનો અભાવ સાધવો. કેટલાક નવીન ઈશ્વરવાદીઓ બતાવે છે કે છેવટ મોક્ષ તો અભેદરૂપ જ છે, સર્વમય ઈશ્વરત્વમાં લય તે જ મોક્ષ છે. પણ ભક્તિ એ જ નીતિ છે, એ વિના અન્ય માર્ગ નથી. આ વાત તો વદતોવ્યાઘાત છે એટલે ઉપેક્ષણીય છે.

પરમ પ્રેમ, અત્યંત અભેદ, એ જ ઉત્તમોત્તમ નીતિભાવના જેને આધારે વ્યવહારમાત્રનું સ્વરૂપ દોરાવું જોઈએ. જે અદ્વૈતાનુયાયી છે તેનું જીવિત પણ અદ્વૈત, અદ્વિતીય જ છે. તેને નાત, જાત, વર્ણ, વ્યવહાર, દેશ, વિદેશ, એવા ભેદની ભાવનાઓ હૃદયના સ્વાભાવિક વિસ્તારનો અટકાવ કરવા આડી નડતી નથી. તે સર્વત્ર સમભાવ નહિ, પણ એકત્વ જ દેખે છે. અને દુઃખકલેષદ્વેષાદિનો કે સુખનો પણ. અવકાશ દેખાતો નથી. તેને સુખાદિથી પણ અધિક પરમ પ્રેમરૂપ અભેદ સર્વત્ર અનુભવાય છે.

ત્યારે હવે અદ્વૈતનીતિના પક્ષ ઉપર એક જ શંકા રહે છે. જ્યારે બધું અદ્વૈત જ છે, સુખદુઃખ, રાગદ્વેષ, ઇત્યાદિ દ્વંદ્વનો અવકાશ જ નથી, ત્યારે પુરુષપ્રયત્નનો અવકાશ રહેતો નથી, અને મનુષ્ય પોતે સ્વતંત્ર રીતે કાંઈ પણ કરી શકે એમ માની શકાતું નથી, અર્થાત્ આ ઉપદેશ પોતે પણ વ્યર્થ જ છે. આ શંકાનું સમાધાન કરતા પૂર્વે સ્પષ્ટ જણાવવું જોઈએ કે અદ્વૈતસિદ્ધાન્તમાં ઉપદેશ, કે ગુરુશિષ્ય કશાનો અવકાશ છે જ નહિ. એવું જ સિદ્ધાન્તમાં સ્વીકારેલું છે કે અનાદિ વાસનાએ કરીને ભેદબુદ્ધિ જેવું લાગે છે તે ટાળવા સુધી જ ઉપદેશાદિની જરૂર છે, બાકી તો તે બધું મિથ્યા છે, વેદ, શાસ્ત્ર, ઇત્યાદિ પણ મિથ્યા છે. અદ્વૈત અભેદ, તેમાં ભેદ બને જ નહિ; ને તે ન બને ત્યારે એ આરોપ મટાડવા સુધી જ બોધ પણ બને તેટલા માટે એક માનવા માત્રથી ભેદ છે એમ આરોપ (મિથ્યા કલ્પના) કરીને વાદવિવાદની પ્રવૃત્તિ સ્વીકારે છે. એને જ (અધિ) આરોપાપવાદ કહે છે. એટલે કે વ્યવહાર અને પરમાર્થ એવા બે ભેદ આખા અનુભવના (ત્રીજો પ્રાતિભાસિક ભેદ હાલ દૂર રાખીએ) પડેલા છે. ભેદભાવનાને અનુસરી જે જે પ્રવૃત્તિ છે તે વ્યવહાર છે, અભેદમાત્ર, જે મૌનરૂપ છે, અવાચ્ય છે, તે પરમાર્થ છે. વ્યવહાર મિથ્યા છે—જ્ઞાનાવભાસ્ય છે, જ્ઞાન વિના કાંઈ નથી. આવો વિભાગ છે. તે લક્ષમાં લેતાં ઉક્ત શંકાનું સમાધાન થઈ શકશે. કાર્યકારણનો મહા નિયમ લાગુ કરવાથી, અને તે નિયમને સર્વત્ર વળગાડવાથી, એમ ફલ થાય છે કે કારણ વિના કાર્ય બનતું નથી. કાર્ય છે તો કારણ છે જ, અને પ્રત્યેક કર્મ કોઈકનું કાર્ય અને કોઈકનું કારણ હોઈ શકે છે. એ નિયમને જડ, તેમ માનસિક સૃષ્ટિ સર્વમાં સરખી રીતે લગાડીએ તો પુરુષપ્રયત્ન એવું, એ નિયમની બહાર, કશું હોઈ શકવાનો સંભવ નથી. આપણા મનમાં કાંઈ ઇચ્છા થઈ, અને કાર્ય કર્યું, પણ તે જ ઇચ્છાની સાથે તેનાથી કેવળ વિરુદ્ધ ઇચ્છા પણ કરી શકાય છે. એટલે માણસ સ્વતંત્ર છે. કાર્યકારણના નિયમથી પ્રેરિત નથી એમ કેટલાક કહે છે; પણ કાર્ય થાય તેવી, કે તે ન થાય તેવી, જે ઇચ્છા થઈ તે અકારણ થઈ એમ તો છે જ નહિ, એટલે તે પ્રેરિત છે કે નથી એ નિશ્ચય બને નહિ. અલબત્ત કોઈ સાક્ષાત્ પ્રેરણા કરનારનું ચક્ષુભિઃ સત્ય દર્શન, કે અંતરમાં તેવા પ્રેરકનો લાગણીરૂપે અનુભવ, એ કશું ન થતું નથી, પરંતુ અમે કાર્યકારણના નિયમને સાક્ષાત્ સશરીર પ્રેરકરૂપ—અર્થાત્ તટસ્થ ઈશ્વર—માનતા જ નથી, એટલે તે નિયમની અસર, તેના સાકાર પ્રેરકત્વને અભાવે, ખોટી ઠરી શકતી નથી. પરંતુ આ બધો કાર્યકારણનો નિયમ જેન નથી જ લાગતો તેવો પણ કોઈ પદાર્થ છે,—પદાર્થ એ નામ તો એક સમજવા માટે કહ્યું કેમ કે તે વસ્તુ નથી, ગુણ નથી, કર્મ નથી, છતાં સર્વથી અભિન્ન છે. તે જ્ઞાન. જ્ઞાન એક રૂપ જ છે એટલે ત્યાં કાર્યકારણનો નિયમ નથી. માટે તે જ્ઞાન અનુભવનું એમાં પુરુષપ્રયત્ન કે સ્વાતંત્ર્ય માનીએ તો ચાલે; અને એ નિયમને વ્યવહાર સાથે યોજીએ તો, એમ પણ કહેવાય છે કે વ્યવહારમાં જે જે થાય છે તે કાર્યકારણથી નિયમિત રીતે જ થાય છે. પણ તેમાં જે જે જ્ઞાનાંશ છે તે તો કોઈ સ્વતંત્ર કર્તા ભોક્તા જ છે. એમ વ્યવહાર પરત્વે કાર્યકારણની દોરીનો બંધ સુદૃઢ છતાં પરમાર્થ પરત્વે તેનો અત્યંતાભાવ છે. એટલે અદ્વૈતમતની નીતિ સ્વીકારવાથી સ્વાતંત્ર્યની હાનિ કે પુરુષપ્રયત્નનો અનવકાશ, એવું કાંઈ નથી. વ્યવહારમાં સ્વાતંત્ર્ય કે પ્રયત્નથી કશું બદલાતું નથી, પરમાર્થનો અનુભવ જે નથી થતો તે પ્રયત્નથી થાય છે.

આ પ્રકારે અદ્વૈતમત અભેદરૂપ નીતિ જે પ્રેમનું રહસ્ય છે તે જ વિસ્તારે છે, ને તેમાં કાંઈ વિરોધ નથી એટલું જ નહિ, પણ તે જ નીતિ જ્યારે સર્વત્ર પ્રવર્તશે ત્યારે તમાન દુઃખક્લેષાદિનો અત્યંત અભાવ થઈ રહેશે. એ નીતિ સુસાધ્ય હો કે દુઃસાધ્ય હો, કેવલ ભાવનારૂપ હો કે પ્રત્યક્ષસિદ્ધ હો, તે બાબતની અત્ર તકરાર નકામી છે, કેમ કે માણસોએ પોતાના જીવિતને દોરવા માટે એક દૃષ્ટિબિંદુ રાખવો જોઈએ, ને તે ઊંચામાં ઊંચો હોય તેમાં જ લાભ છે એ વાત સર્વને અનુભવસિદ્ધ છે.

અદ્વૈતનીતિનો પાયો અદ્વૈતભાવના-અદ્વૈતજ્ઞાન-તે છે. તેની ઉપપત્તિ પણ સર્વ કરતાં વધારે સયુક્તિક અને સાનુભવ છે. એ પાયા ઉપર રહેલી અદ્વૈતનીતિ કદાપિ હાલે તેમ નથી. ‘સુદર્શન’: ડિસેમ્બર, ૧૮૯૦થી અગષ્ટ, ૧૮૯૧