ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/સંપાદક-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search

સંપાદક-પરિચયઃ
રમણ સોની

ચાર દાયકા સુધી વિવિધ યુનિવર્સિટીઓમાં ગુજરાતી ભાષાસાહિત્યનું અધ્યાપન કરીને વડોદરાની મ.સ.યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા, અને ૧૯૮૦-૮૫ દરમ્યાન ગુજરાતી સાહિત્ય પરિષદ-નિર્મિત ગુજરાતી સાહિત્યકોશના એક સંપાદક રહેલા પ્રો. રમણ સોની (જ. ૭-૭-૧૯૪૬) ગુજરાતીના વિવેચક, નિબંધકાર, અનુવાદક, સંશોધક અને સંપાદક છે.

“ઉશનસ્ સર્જક અને વિવેચક’ એ શોધનિબંધમાં તથા “વિવેચનસંદર્ભ’, ‘સાભિપ્રાય’, ‘સમક્ષ’, ‘મારી નજરે’ વગેરે એમના ૧૦ ઉપરાંત વિવેચનગ્રંથોમાં વસ્તુના નક્કર સ્પર્શવાળું વિવેચન આપનાર ડૉ. સોની ગુજરાતી વિવેચનના વિશેષો અને વિલક્ષણતાઓ પર સતત નજર રાખતા રહ્યા છે. મરમાળી અભિવ્યક્તિથી નિઃસંકોચપણે નિર્ભીત વિવેચન કરવા છતાં વિવેચનમાં એમનો મૂળ અભિગમ તટસ્થ, વિધાયક અને ઇતિહાસલક્ષી રહ્યો છે. એમણે મધ્યકાલીન અને અર્વાચીન કૃતિઓનાં નમૂનેદાર શાસ્ત્રીય સંપાદનો આપ્યાં છે. ‘સમયદર્શી સાહિત્યસંદર્ભકોશ’ના ૪ ગ્રંથો એમનું યશસ્વી કોશકાર્ય છે. જેની ૨૦ ઉપરાંત આવૃત્તિઓ થઈ છે એ “તોત્તોચાન’ ઉપરાંત ‘અમેરિકા છે ને, છે જ નહીં’ -જેવા સહજ સુંદર અનુવાદગ્રંથો, ‘વલ્તાવાને કિનારે’ તથા ‘હિમાલય અને હિમાલય’ પ્રવાસ-પુસ્તકો, ‘સાત અંગ, આઠ નંગ, અને-’ હાસ્યનિબંધસંગ્રહ, ‘આંગણું અને પરસાળ’ લઘુનિબંધ-સંગ્રહ, વગેરેમાં એમની લાક્ષણિક સર્જકતાનો પરિચય મળે છે.

અઢી દાયકા(૧૯૯૧-૨૦૧૭) સુધી એમણે કરેલા ‘પ્રત્યક્ષ’ સામયિકના સંપાદને પુસ્તક-સમીક્ષા-ક્ષેત્રે અમીટ છાપ છોડી છે. પ્રત્યક્ષના ઉપક્રમે થયેલા ‘નેપથ્યેથી પ્રકાશવર્તુળમાં’ તથા વિશ્વભરના સામ્પ્રત ગ્રંથોમાંથી ૮૫ ઉપરાંતની સમીક્ષાઓ આપતા ‘અવલોકનવિશ્વ’ જેવા મહત્ત્વના બૃહદ સંપાદનગ્રંથો ચિરસ્મરણીય છે. પ્રત્યક્ષના સર્વ અંકોમાંથી ચૂંટેલાં લખાણોનું સંપાદન ‘પ્રત્યક્ષસંપદા’ આગવી મુદ્રાવાળું છે.

વિવેચનમાં તેમજ સર્જનાત્મક લેખનમાં એમનું સઘન છતાં મરમાળુ ગદ્ય હંમેશાં રસપ્રદ બની રહે છે એ તેમની વિશેષ ઓળખ છે.

– કિશોર વ્યાસ


સંપાદક-પરિચય:
ભારતી રાણે

ભારતી રાજીવ રાણે(જ.૧૯૫૪) આપણાં એક અગ્રગણ્ય પ્રવાસલેખક ઉપરાંત કવિ અને નવલકથાલેખક પણ છે. વ્યવસાયે એ તેજસ્વી કારકિર્દીવાળાં તબીબ, ગાય્નેકોલૉજિસ્ટ છે અને બારડોલીમાં ડૉ. રાજીવ રાણે સાથે પોતાની હૉસ્પિટલ ‘સ્નેહાંજલિ’ ચલાવે છે.

લલિત નિબંધોથી લેખન-કારકિર્દી શરૂ કરનાર ડૉ. ભારતી રાણે વિશ્વના અનેક દેશો-પ્રદેશોનો પ્રવાસ કરતાં રહ્યાં છે ને નિબંધશૈલીએ પ્રવાસલેખન કરતાં ગયાં છે. ‘ઇપ્સિતાયન’(૨૦૦૯)થી આરંભાયેલી આ લેખનયાત્રાના બીજા પડાવો છે – યુરોપના દેશોના પ્રવાસનું પુસ્તક ‘પગલાંનાં પ્રતિબિંબ’(૨૦૧૦), સિલ્કરૂટના દેશોના પ્રવાસનિબંધો ‘રણ તો રેશમ રેશમ’(૨૦૧૮), ઉત્તર ધ્રુવવૃત્તનો પ્રવાસ ‘ઉજાસનો પ્રવાસ’(૨૦૧૯), આઈસલૅન્ડનાં અદ્ભુત-રોમાંચક સ્થાનોના પ્રવાસનિબંધો ‘હિમાગ્નિનો વિસ્મયલોક’(૨૦૨૨) અને જાપાનનો પ્રવાસ ‘સાકુરા સંગાથે’(૨૦૨૩). પ્રવાસોમાં થયેલા માનવીય અનુભવો આલેખતું ‘સ્નેહાંકિત વિશ્વ’(૨૦૨૩) નામનું એક વિશિષ્ટ પુસ્તક પણ તાજેતરમાં પ્રકાશિત થયું છે.

પ્રવાસનિબંધકાર તરીકેનો એમનો વિશેષ એ છે કે એ સર્જકની વિસ્મયદૃષ્ટિથી ઉલ્લાસપ્રેરી શૈલીએ નિબંધલેખન કરે છે, એની સાથે વિગત-ચોકસાઈની ઝીણવટ, ને એથી આવતું કુતૂહલપ્રેરક દસ્તાવેજીકરણ પણ ચૂકતાં નથી.

એમણે વિવિધ વર્તમાનપત્રોની કોલમો ચલાવી છે, અને એમનાં મોટાભાગનાં પુસ્તકો સાહિત્યસંસ્થાઓએ પુરસ્કૃત કરેલાં છે.

એમનાં બે પુસ્તકોના હિંદી અનુવાદ થયા છે તથા એમની લઘુનવલ ‘પાંખેથી ખર્યું આકાશ’નો અંગ્રેજી અનુવાદ A Little sky of the Wings (Tr. Rajiv Rane) નામે થયો છે.

– રમણ સોની