ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઈસરદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઈસરદાસ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ-અવ. ઈ.૧૫૬૬/સં. ૧૬૨૨, ચૌત્ર સુદ સુદ ૯) : રોહડિયા શાખાના બારોટ. જન્મ મારવાડમાં જોધપુર તાબે ભાદ્રેસ/ભાદ્રેજ/ભાદ્રેચીમાં. તેમનું વતન લીંબડી હોવાનું પણ નોંધાયું છે. પરંતુ ચારણી પરંપરા એ હકીકતનો સ્વીકાર કરતી નથી જણાતી. એક પરંપરા એમનો જન્મ ઈ.૧૪૫૯ (સં. ૧૫૧૫, શ્રાવણ સુદ ૨, શુક્રવાર)માં થયો હોવાનું જણાવે છે. પરંતુ એમના સૌથી નાના પુત્ર ગોપાળદાસનું ભૂચર મોરીના યુદ્ધ (ઈ.૧૫૮૧)માં મૃત્યુ તથા જામનગર (સ્થાપના ઈ.૧૫૪૦)ના જામ રાવળની રાજસ મા સાથેનો એમનો સંબંધ - એ જોતાં જન્મસમય ઈ.૧૬મી સદી પૂર્વાર્ધમાં કદાચ લઈ જવો પડે. કવિના પિતા સુરાજી અને માતા અમરબા હતાં. પ્રથમ પત્ની દેવલબાઈ.બીજાં પત્ની રાજબાઈ તે દેવલબાઈનો જ અવતાર હતાં એમ કહેવાય છે. કવિ પોતાના ગુરુ તરીકે પીતાંબર ભટ્ટને નિર્દેશે છે તે જામ રાવળના દરબારમાં પંડિત હતા અને કવિને એમણે રાજભક્તિ તરફથી પ્રભુભક્તિ તરફ વાળેલા એવી કથા છે. આ પ્રસંગ જામનગરમાં બન્યો હોવાની વાત વધારે પ્રચલિત છે પંરતુ કવિનો જન્મ ઈ.૧૪૫૯માં માનતી ચારણી પરંપરા આ પ્રસંગ જામ રાવળ કેરાકોટ(કચ્છ)માં હતા ત્યારે બન્યો છે એમ નોંધે છે. ઈસરદાસના ઈશ્વરનિષ્ઠ જીવન અને ચમત્કારોની ઘણી વાતો મળે છે. સંચાણા ગામે તેમણે દરિયામાં સમાધિ લીધેલી એમ કહેવાય છે. ચારણી ભાષાસાહિત્યમાં અનેરું સ્થાન ભોગવતી, ભક્તિબોધક ને તત્ત્વજ્ઞાનાત્મક, ૩૬૦ કડીની ‘હરિરસ’(મુ.)ને બીજી ૪૦ ઉપરાંત કૃતિઓના કર્તા તરીકે જાણીતા આ ભક્તકવિના શામળાને સંબોધીને રચાયેલા અને એક વખત તેમને આશ્રય આપનાર મુસ્લિમ દાદુની પ્રશસ્તિ કરતા સોરઠા કે દુહા ગુજરાતી ભાષામાં ઘણા જાણીતા છે. તે ઉપરાંત કવિના કોઈક ગીતમાં ગુજરાતી ભાષાનું તત્ત્વ નોંધપાત્ર પ્રમાણમાં દેખાય છે ને રામદેપીરના નિજિયાપંથનો પ્રભાવ વ્યક્ત કરતાં પાંચેક ભજનો વિશેષત: ગુજરાતી ભાષામાં મળે છે. ઇસરદાસે આ કૃતિઓ ગુજરાતી ભાષામાં રચી હશે કે કાળક્રમે ભાષા પરિવર્તન પામી હશે તે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. શ્રી હરિરસ, સંપા. શંકરદાન જે. દેથા, ઈ.૧૯૨૮, ઈ.૧૯૭૭ (નવમી આ.) (+સં.)  ૨. (ભગત શ્રી કાળુજીકૃત) ભજનચિંતામણિ, મુ. સત્સંગ પ્રિન્ટિંગ પ્રેસ, સં. ૧૯૯૨. સંદર્ભ : ૧. ઊર્મિનવરચના, ઑક્ટો.-નવે. ૧૯૭૫ - ‘બારહઠ ગોપાળદાસનો પાળિયો’, સં. બારહઠ કેસરદાનજી;  ૨. ગૂહાયાદી; ૩. જૈગૂકવિઓ : ૩(૨);૪ મુપુગૂહસૂચી; ૫. રાહસૂચી : ૧. [કી.જો.]