ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/‘અશ્વમેધ-પર્વ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘અશ્વમેધ-પર્વ’ [ર. ઈ.૧૬૩૯/સં. ૧૬૯૫, મકરસંક્રાન્તિ] : ‘યૌવનાશ્વનું આખ્યાન’થી ‘અશ્વમેધ-પૂર્ણાહુતિ’ સુધીનાં ૧૭ આખ્યાનોમાં વિભક્ત થયેલી હરજીસુત ક્હાનની ૭૦૦૦ કડીઓમાં વિસ્તરેલી આ કૃતિ(મુ.) મહાભારતના સમગ્ર ‘અશ્વમેધ-પર્વ’ને આખ્યાનબદ્ધ કરવાના એક વિરલ પ્રયાસ તરીકે નોંધપાત્ર છે. કડવા માટે યોજાયેલી ‘અલંકાર’, ‘છંદ’, ‘ઝમક’, ‘સૂત્ર’ જેવી વિવિધ સંજ્ઞાઓ આ કૃતિની વિલક્ષણતા છે. કથા પરત્વે કવિ મહાભારતને અનુસરીને ચાલ્યા છે અને સળંગ પ્રવાહી કથાનિરૂપણથી વિશેષ એ સિદ્ધ કરી શક્યા નથી. પ્રસંગાનિરૂપણ કે અભિવ્યક્તિનો ચમત્કાર કૃતિમાં જવલ્લે જ જડે છે. તેમ છતાં તેમની વર્ણનરીતિમાં પ્રૌઢિ અને વિશદતા છે તેમ જ પરંપરાગત વર્ણનોનો તથા પાત્રોક્તિઓનો તેમણે વારંવાર આશ્રય લીધો છે, એથી કથા રસપ્રદ બની છે. ક્વચિત્ થયેલી ગીતની ગૂંથણી તથા દરેક કડવાને આરંભે રાગનો નિર્દેશ - ક્યારેક ૧થી વધુ રાગનો પણ નિર્દેશ - આ કૃતિને કવિએ અત્યંત ગેય રૂપે કલ્પી છે તેના પ્રમાણરૂપ છે. દરેક આખ્યાનને આરંભે ઇષ્ટદેવ કૃષ્ણની સ્તુતિ - ક્યારેક ૮-૧૦ કડીઓ સુધી વિસ્તારીને પણ - કવિએ કરી છે તે તેમની કૃષ્ણભક્તિ અને પ્રસ્તારી નિરૂપણશૈલીના દૃષ્ટાંતરૂપ છે. પહેલું ‘યૌવનાશ્વનું આખ્યાન’(ર. ઈ.૧૬૩૭/સં. ૧૬૯૩, માગશર સુદ ૨, રવિવાર) બતાવે છે તે જોતાં કવિએ આ કૃતિની રચના પાછળ પૂરાં ૨ વર્ષનો સમય આપ્યો છે એમ દેખાઈ આવે છે. [ર.સો.]