ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણ-કલ્યાણ મુનિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કલ્યાણ/કલ્યાણ(મુનિ) : કલ્યાણના નામે ૬ કડીની ‘મહાવીરજિન-ગીત’ (મુ.) અને કલ્યાણમુનિને નામે ૯ કડીની ‘વૈરાગ્ય-સઝાય’ (મુ.) એ જૈન કૃતિઓ મળે છે. આ કલ્યાણ કયા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. હિંદીમાં કલ્યાણને નામે ૬ કડીનું ‘ઋષભદેવ-સ્તવન’ (ર.ઈ.૧૮૦૨/સં. ૧૮૫૮, ચૈત્ર સુદ ૧૫; મુ.) તેમ જ ખરતરગચ્છના કલ્યાણને નામે ૫૯ કડીની ‘ગિરનાર-ગઝલ’ (ર.ઈ.૧૭૭૨/સં. ૧૮૨૮, મહા વદ ૨) તથા ૬ કડીની ‘સિદ્ધાચલ-ગઝલ’ (ર.ઈ.૧૮૦૮/સં. ૧૮૬૪, ભાદરવા સુદ ૧૪; મુ.) એ જૈન કૃતિઓ મળે છે જે સમયદૃષ્ટિએ જોતાં ખરતરગચ્છના અમૃતધર્મશિષ્ય ક્ષમાકલ્યાણની હોવાની સંભાવના છે, કેમ કે એમણે ‘કલ્યાણ’ એવી નામછાપથી અને હિંદીમાં પણ રચનાઓ કરેલી છે. કલ્યાણના નામે મળતી જૈનેતર કૃતિઓમાંથી કૃષ્ણનું રૂપવર્ણન કરતી ‘પંચરંગ’ (લે.ઈ.૧૭૭૯), શ્રીકૃષ્ણની થઈ આવતી સ્મૃતિઓના આલેખનની સાથે ગોપીની વિરહવેદના વ્યક્ત કરતી ૨૪ કડીની ‘ઓધવજીની ગરબી’ (લે.ઈ.૧૭૮૦ પહેલાંના અરસામાં; મુ.)ના કર્તા કદાચ એક જ કલ્યાણ હોય. તે કલ્યાણ-૪થી નિશ્ચિતપણે જુદા ગણાય. ગદ્યપદ્યાત્મક કૃતિ ‘વેદાન્તસાર’ (લે.ઈ.૧૮૨૦)ના કર્તા કયા કલ્યાણ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. જૈપ્રપુસ્તક:૧; ૨. જૈસસંગ્રહ(ન.); ૩. (કવિ બ્રેહેદેવકૃત) ભ્રમરગીતા, સં. મંજુલાલ ૨. મજમુદાર, ચિમનલાલ મ. વૈદ્ય, ઈ.૧૯૬૪;  ૪. જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૫૪ - ‘સિદ્ધાચલ ગઝલ’, સં. મુનિરાજ શ્રી કાન્તિસાગરજી. સંદર્ભ : ૧. કવિચરિત: ૩;  ૨. ગૂહાયાદી; ૩. જૈગૂકવિઓ : ૩(૧). [હ.યા; ચ.શે.]