ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/‘કરસંવાદ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘કરસંવાદ’ [ર.ઈ.૧૫૧૯] : લાવણ્યસમયની દોહરા-ચોપાઈબદ્ધ ૭૦ કડીની આ સંવાદરચના(મુ.)માં વરસીતપના પારણા પ્રસંગે ભગવાન ઋષભદેવને ઇક્ષુરસ વહોરાવતા શ્રેયાંસકુમારના ૨ હાથ એકબીજાથી પોતાનું ચડિયાતાપણું પ્રગટ કરતો વિવાદ કરે છે. અંતે ભગવાન ઋષભદેવ બંનેની મહત્તા દર્શાવી એમની વચ્ચે સમાધાન કરાવે છે, અને એ દ્વારા સંપનો મહિમા કરે છે.પોતાનું અધિકપણું સમર્થિત કરવા રજૂ થયેલી હકીકતો રસપ્રદ છે. જેમ કે જમણો હાથ : જમણો હાથ થાળમાં પિરસાયેલાં પકવાનનાં ભલાં ભોજન કરે છે; ડાબો હાથ : હાથ ધોવાનું જળ ત્યારે કોણ આપે છે ?; જમણો હાથ : જપમાળા ધરવાનું ને પરમેશ્વરની સેવા કરવાનું કામ હું જ કરું છું; ડાબો હાથ : પણ પ્રભુ સંમુખ જેવા ૨ હાથ જોડાયા કે અમે અળગા ક્યાં છીએ ? કૃતિમાં વ્યક્ત થતા સમાજનિરીક્ષણ, વિનોદચાતુરી તથા ઝડઝમકયુક્ત રચનાશૈલીથી આ સંવાદરચના ધ્યાનાર્હ બને છે. કૃતિના પાઠમાં “ચમોતરે” પાઠ ક્યાંક નોંધાયેલો મળે છે એ આધારભૂત લાગતો નથી. [કા.શા.] કરુણાચંદ(મુનિ) [ઈ.૧૬૫૯/૧૭૫૯માં હયાત] : જૈન સાધુ. ૧૫ કડીની ‘જંબૂસ્વામી-સઝાય’ (મુ.) અને ૧૫ કડીની ‘સુદર્શન-શેઠની સઝાય’ (ર.ઈ.૧૬૫૯ કે ૧૭૫૯/સં. ૧૭૧૫ કે ૧૮૧૫, “ઇષુશશીનાગમહી”, શ્રાવણ - ; મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈપ્રાસ્તસંગ્રહ; ૨. રત્નસાર:૨, મુ. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. [પા.માં.]