ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/‘કૃષ્ણચરિત્ર’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘કૃષ્ણચરિત્ર’ [૨.ઈ.૧૮૫૨/સં.૧૯૦૮, માધવ માસ સુદ ૧૩, રવિવાર] : ગરબડદાસના પુત્ર ગિરધરદાસકૃત ૨૧૨ અધ્યાય અને ૯૫૦૦ કડીની આ કૃતિ(મુ.)ને કવિએ ૯૫૦૦ ચોપાઈની કહી છે પરંતુ તેમાં ચોપાઈ ઉપરાંત દુહા, સોરઠા, ભુજંગી, હરિગીત અને અન્ય દેશીબંધોનો વિનિયોગ થયો છે. અધ્યાય તે, કેટલીક વાર મુખબંધ વિનાનાં, કડવાં જ છે. કૃતિ ગોકુળલીલા, મથુરાલીલા અને દ્વારિકાલીલા એમ ૩ ખંડમાં સમગ્ર કૃષ્ણચરિત્રનું નિરૂપણ કરે છે. એમાં ભાગવત, હરિવંશ, પદ્મપુરાણ, મહાભારત, ગર્ગસંહિતા તથા નારદપુરાણનો, ક્વચિત્ ફેરફાર સાથે, આધાર લેવામાં આવ્યો છે અને તેને કારણે ધ્યાન ખેંચે તેવું પ્રસંગોનું વૈવિધ્ય આવ્યું છે. કથાપ્રસંગોના આધ્યાત્મિક અર્થઘટનમાં વિશેષતા જણાય છે. કૃષ્ણ-જસોદા જેવાં કેટલાંક પાત્રોને આધ્યાત્મરૂપકમાં ઘટાવ્યાં છે ને કૃષ્ણ વલોણું તાણે છે તે પ્રસંગમાં સમુદ્રમંથનનો પ્રસંગ વણી લીધો છે. વર્ષા અને શરદવર્ણન જેવાં પ્રકૃતિવર્ણનોમાં પણ કવિએ આધ્યાત્મક્ષેત્રનાં ઉપમાનો યોજ્યાં છે. બીજી બાજુથી મધ્યકાલીન કાવ્યપરંપરામાં જોવા મળતું દૈવી પાત્રોનું માનવીકરણ તથા સામાજિક વહેમોનું નિરૂપણ પણ અહીં જોવા મળે છે. કૃતિમાં રાજસૂયયજ્ઞના પ્રસંગે પ્રગટ થતું કૃષ્ણનું વિનમ્ર વ્યક્તિત્વ હૃદયસ્પર્શી બને છે. તે ઉપરાંત કૃષ્ણનો સ્વાભાવિક બાલભાવ, વેરભાવે બ્રહ્મમય બનતા કંસનો અજંપો, કંસપ્રેર્યા કૃષ્ણને મળવા જતા ને મનોમંથન અનુભવતા અક્રૂરનો ભક્તિભાવ ને એવા બીજા ઘણા મનોભાવોનાં ચિત્રો પણ આસ્વાદ્ય છે. કમળ પર અક્રૂરને થતા કૃષ્ણદર્શનમાં અદ્ભુતરસ, કંસ પાછળ રાણીઓએ કરેલા વિલાપમાં કરુણરસ, દ્વારિકાલીલાના જુદાજુદા પ્રસંગમાં ભયાનક રસ એમન વિવિધ રસો નિરૂપવાની કવિએ તક લીધી છે તે નોંધપાત્ર છે. વ્યક્તિ, સ્થળ અને પ્રકૃતિનાં વર્ણનો કવિએ પ્રાસાદિકતાથી કર્યા છે. વર્ષાનું સૌમ્ય અને રૌદ્ર સ્વરૂપ એકસરખી નિષ્ઠાથી વર્ણવ્યું છે. જરાસંઘ-કૃષ્ણ-યુદ્ધવર્ણનમાં કવિએ શબ્દની નાદશક્તિ પાસેથી કામ લીધું છે. કૃતિ ઉપમાકોશ જેવી છે. ‘મથુરાલીલા’માં કૃષ્ણને અનાદિ વૃક્ષ તરીકે વર્ણવ્યા છે તે એક સુંદર પૂર્ણરૂપક છે તો દ્વારિકાલીલામાં કૃષ્ણ-સત્યભામા વચ્ચેના સંવાદમાં ‘વસંત’, ‘ચક્રધારી’, ‘ધરણીધર’ વગેરે શબ્દો ઉપરાના શ્લેષ ચમત્કૃતિભર્યા છે. [દે.જો.]