ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગંગા સતી -૨-ગંગાબાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગંગા(સતી)-૨/ગંગાબાઈ  [               ]: સંત કવયિત્રી. પરંપરાથી મળતી માહિતી અનુસાર વાઘેલા રાજપૂતની દીકરી. લગ્ન ધોળા જંકશન પાસેના સમઢિયાળાના કહળુભા (કહળસંગ) ગોહેલ સાથે. કૌટુંબિક સંસ્કારને કારણે નાનપણથી ભક્તિ તરફ વળેલાં ગંગાબાઈએ એનો રંગ પતિને પણ લગાડ્યો અને પુત્ર અજોભા ઉંમરલાયક થયા પછી બંનેએ ભજનકીર્તનમાં જ જીવન જોડ્યું. ગાયને જીવતી કરવાનો ચમત્કાર કરવાની ફરજ પડતાં સ્વૈચ્છિક રીતે સમાધિ સ્વીકારનાર પતિ કહળુભાની પાછળ એમણે પણ ૫૩મા દિવસે સમાધિ લીધી. વચ્ચેના ૫૨ દિવસ એમણ ેપુત્રવધૂ પાનબાઈ (ફૂલબાઈ નામ પણ નોંધાયેલું મળે છે)ને રોજ ૧-૧ ભજન સંભળાવી ભક્તિમાર્ગની શીખ દીધી. ગંગાસતીના ચાલીસેક ઉપલબ્ધ પદો (મુ.)માંથી વીસેક પદોમાં પાનબાઈને સંબોધન થયેલું મળે છે. ભજનિકોમાં સારો પ્રચાર પામેલાં આ પદોમાં ભક્તિ અને યોગસાધનાથી માંડીને પરમતત્ત્વના સાક્ષાત્કાર સુધીની વિવિધ ભૂમિકાઓનું નિરૂપણ છે. સચોટ અને સરળ રીતે પૂરા આત્મીયભાવથી થયેલ કથન અને “વીજળીને ચમકારે મોતી પરોવવું, પાનબાઈ !” જેવી કેટલીક માર્મિક પંક્તિઓથી ગંગાબાઈનાં પદો ધ્યાનપાત્ર બને છે. કૃતિ : ૧. ગંગા સતી એમ બોલિયાં રે, સં. સુનંદા વોહોરા, ઈ.૧૯૭૫ (+સં.); ૨. ગંગા સતીનાં ભજનો, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, -(+સં.); ૨. ગંગા સતીનાં ભજનો, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, -(+સં.); ૩. સતી ગંગાબાઈ, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, ઈ.૧૯૬૯;  ૪. સોસંવાણી. [દે.જો.].