ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોપાલદાસ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગોપાલદાસ-૨ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : રૂપાલ (ઉત્તર ગુજરાત)ના વણિક. પિતા રામદાસ, વૈષ્ણવઆચાર્ય વિઠ્ઠલનાથજી (ઈ.૧૫૧૬-ઈ.૧૫૮૬)ની કૃપાથી એમનું જન્મજાત મૂંગાપણું ગયેલું ને એમની ‘વલ્લભાખ્યાન’ નામની કૃતિ પણ આ કૃપાનું જ પરિણામ છે એવી જનશ્રુતિ છે. ‘આખ્યાન’ નામક ૯ કડવાંમાં રચાયેલું ‘વલ્લભાખ્યાન/નવાખ્યાન’ (મુ.) મુખ્યત્વે પુરુષોત્તમના અવતારરૂપ વિઠ્ઠલનાથજીની લીલાઓનું વર્ણન કરે છે તથા વિઠ્ઠલનાથજીના પુત્ર ઘનશ્યામજીના પરિણીત જીવન (લગ્ન ઈ.૧૫૯૨)ના નિર્દેશને પણ સમાવી લે છે. સંપ્રદાયમાં ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવતું આ આખ્યાન વર્ણનછટા અને ગેયતાની દૃષ્ટિએ પણ ધ્યાન ખેંચે છે. કવિએ આ ઉપરાંત રાસલીલાનું વર્ણન કરતું ‘ભક્તિપીયૂષ’ તથા કીર્તનો તેમ જ ધોળ રચ્યાં હોવાનું નોંધાયું છે. કવિએ ધોળ, પદ નરસિંહ મહેતાને નામે પણ રચ્યાં છે એવી માન્યતા છે. કૃતિ : ૧. વલ્લભાખ્યાન તથા મૂલપુરુષ, પ્ર. ધીરજલાલ દલપતરામ, ઈ.૧૮૬૩; ૨. વલ્લભાખ્યાન, પ્ર. પુષ્ટિમાર્ગીય યુવક પરિષદ, ઈ.૧૯૬૫;  ૩. બૃકાદોહન : ૮ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગુસાસ્વરપો; ૩. ગોપ્રભકવિઓ;  ૪. અનુગ્રહ, જૂન ૧૯૬૦ - ‘શ્રી ગોપાલદાસ ‘વલ્લભાખ્યાન’ના કર્તા અને રૂપાપરી-રૂપાલનો પ્રાચીન ઇતિહાસ’, લલ્લુભાઈ છ. દેસાઈ. [ર.સો.]