ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોવિંદરામ-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગોવિંદરામ-૩ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : આમોદ (જિ. ભરૂચ)ના વતની. જ્ઞાતિએ ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ. ‘અલીખાં પઠાણ’ કાવ્ય પરથી એ વૈષ્ણવ હોય એવું જણાય છે. એમના ભાઈ મયારામ ભટ્ટે સ્વામનારાયણ સંપ્રદાય સ્વીકારેલો. ‘બૃહત્ કાવ્યદોહન’ એમનો હયાતીકાળ ઈ.૧૭૮૧થી ઈ.૧૮૧૪ નોંધે છે પણ તેને માટેનો આધાર સ્પષ્ટ નથી. આ કવિને નામે મૂકવામાં આવતી ૬૨ કડીની કળિયુગનાં લક્ષણો વર્ણવતી ‘કળિયુગનો ધર્મ’ (ર.ઈ.૧૭૮૧/૧૭૮૨; મુ.)માં કવિનામછાપ નથી તે ઉપરાંત કવિની અન્ય રચનાઓ કુંડળિયામાં છે ત્યારે આ રચના ગરબી રૂપે રચાયેલી જોવા મળે છે. એટલે આ કૃતિ ગોવિંદરામની રચના હોવાનું થોડું શંકાસ્પદ બની જાય છે. કવિની અન્ય રચનાઓ(મુ.)માં ‘ઉપદેશ વિશે’ નામક ૪૭ કડીની, કૃષ્ણના મહિમા વિશેની ૨૭ કડીની, ઋષિપત્નીઓની કૃષ્ણ પ્રત્યેની પ્રેમભક્તિ વર્ણવતી ૧૭ કડીની, ઉમિયા-શિવનો પ્રસંગ આલેખતી ૯ કડીની, નરસિંહ મહેતાના મામેરા વખતનો સમોવણનો પ્રસંગ આલેખતી ૧૧ કડીની, રાવણે કરેલા સીતાહરણને વર્ણવતી ૬ કડીની, અલીખાં પઠાણની વૈષ્ણવભક્તિની પ્રશસ્તિ કરતી ૩ કડીની અને હોકાના અનિષ્ટ વિશેની ૪ કડીની - એ રચનાઓનો સમાવેશ થાય છે. ઋષિપત્નીઓની પ્રેમભક્તિ વર્ણવતી કૃતિમાં થોડીક કડી છપ્પામાં અને તે પણ વ્રજભાષામાં મળે છે. ‘ઉપદેશ વિશે’માં અંતર્ગત અસંતલક્ષણના કેટલાક કુંડળિયા અલગ રચના તરીકે મુદ્રિત પણ મળે છે. ‘ભ્રમર-ગીતના ચંદ્રાવળા’ (લે.ઈ.૧૮૨૩) પણ આ કવિને નામે નોંધાયેલ છે. કૃતિ : ૧. છંદરત્નાવલિ, પ્ર. વિહારીલાલજી મહારાજ, સં. ૧૯૪૧; ૨. બૃકાદોહન:૨. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.[ચ.શે.]