ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચતુરવિજય-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચતુરવિજય-૩ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં નવલવિજયના શિષ્ય. એમની ‘ચોવીસી’ (મુ.) ભાવાવિષ્ટતા, અલંકારયુક્ત રસાળ અભિવ્યક્તિ અને દેશીવૈવિધ્યથી નોંધપાત્ર બને છે. આ ઉપરાંત, આ કવિએ ઈ.૧૮૪૪માં મેત્રાણામાં પ્રગટ થયેલ ને પ્રતિષ્ઠા પામેલ જિનપ્રતિમાઓવિષયક ૪ ઢાળનું ‘મેત્રાણાતીર્થની ઉત્પત્તિનું સ્તવન/(મેત્રાણામંડન) ઋષભ-જિન-સ્તવન’ (મુ.), ૩૦ કડીનું ‘બીજનું સ્તવન’ (ર.ઈ.૧૮૨૨/સં. ૧૮૭૮, અસાડ સુદ ૧૦; મુ.), ‘કુમતિવારક સુમતિને ઉપદેશ-સઝાય’, ‘આત્મશિખામણ-સઝાય’, ‘અષ્ટમીનું સ્તવન’, ‘વર્ધમાન-સ્તુતિ’ અને ‘સીમંધરજિન-વિનતિ’ એ કૃતિઓ રચેલ છે. ‘(મેત્રાણામંડન) ઋષભજિન-સ્તવન’ ‘જૈન ગૂર્જર કવિઓ’એ ભૂલથી નવલવિજયને નામે નોંધેલ છે. કૃતિ : ૧. અસ્તમંજુષા; ૨. ચૈસ્તસંગ્રહ:૩; ૩. જિસ્તસંગ્રહ; ૪. જિભપ્રકાશ;  જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૩ - ‘મેત્રાણા તીર્થની ઉત્પત્તિનું સ્તવન’, સં. જેશિંગલાલ ન. શાહ (+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧).[શ્ર.ત્રિ.]