ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનદાસ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જિનદાસ-૨[ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : અંચલગચ્છના કલ્યાણસાગરસૂરિના શિષ્ય. પરદેશ ખેડવા નીકળેલા ૩ વેપારીઓની કથા દ્વારા જુગારનાં બૂરાં ને જીવદયાનાં રૂડાં પરિણામ સમજાવતો ૬ ઢાળનો ‘વ્યાપારી-રાસ’ (ર.ઈ.૧૬૬૩/સં.૧૭૧૯, માગશર-૬, મંગળ/શુક્રવાર; મુ.), ૪૨ કડીનો ‘જોગી-રાસ’ તથા ‘પુણ્યવિલાસ-રાસ’ એ એમની કથાત્મક કૃતિઓ છે. આ ઉપરાંત ગિરનારની યાત્રા વખતે રચાયેલ ‘નેમિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૫૫/સં.૧૭૧૧, આસો સુદ ૨; મુ.) તેમ જ અન્ય સ્તુતિઓ, પદો અને લાવણીઓ વગેરે આ કવિએ રચ્યાં હોવાનું નોંધાયું છે. વસ્તુત: જિનદાસની નામછાપવાળી ઘણી સ્તુતિરૂપ અને ઉપદેશાત્મક લાવણીઓ હિંદી ભાષામાં મુદ્રિત મળે છે. કૃતિ : ૧. વ્યાપારી રાસ, શા.ભીમસિંહ માણેક, સં. ૧૯૬૯;  ૨. ચૈસ્તસંગ્રહ : ૨, ૩; ૩. જૈકાપ્રકાશ : ૧; ૪. જૈકાસંગ્રહ; ૫. જૈપ્રપુસ્તક : ૧; ૬. જૈસમાલા(બા) : ૧. સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ’, ઈ.૧૯૬૮;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ચ.શે.]