ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીવરાજ-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જીવરાજ-૩ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : વેગમપુર (સુરતનું બેગમપુરા ?)ના વતની. અવટંકે પંચોળી. આ કવિની કૃતિઓમાં ‘ઈશપ્રતાપ’ (ર.ઈ.૧૬૭૬/સં.૧૭૩૨, ફાગણ સુદ ૫, મંગળવાર; મુ.) ગરબીના ઢાળમાં રચાયેલું શિવમહિમાનું ૬૩ કડીનું પદ છે; ‘કૈલાસવર્ણન’ (ર.ઈ.૧૬૭૮/સં.૧૭૩૪, ચૈત્ર સુદ ૪, શનિવાર; મુ.) કૈલાસની શોભા વર્ણવી એનો મહિમા ગાતું, સંસ્કૃત તત્સમ શબ્દોની બહુલતાવાળું ને કાવ્યત્વની દૃષ્ટિએ નોંધપાત્ર ૧૧૭ કડીનું કાવ્ય છે; ‘જીવને શિખામણ’ (મુ.) વૈરાગ્યબોધક અને ભક્તિબોધક ૪૦ કડીનું પદ છે. શિવભક્તિવિષયક આ ત્રણે કૃતિઓ કવિની તત્ત્વજ્ઞાનવિષયક તેમ જ સંસારદર્શનની ઠીકઠીક સૂઝ દર્શાવે છે. કૃતિ : બૃકાદોહન : ૫. સંદર્ભ : ૧. કવિચરિત : ૩, ૨. ગુસારસ્વતો.[ર.સો.]