ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જેમલ ઋષિ-જયમલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જેમલ(ઋષિ)/જયમલ [જ.ઈ.૧૭૦૯/૧૭૧૦-અવ. ઈ.૧૭૯૭/સં. ૧૮૫૩, વૈશાખ સુદ ૧૩] : લોંકાગચ્છના જૈન સાધુ. ભૂધરજીના શિષ્ય. જન્મ રાજસ્થાનમાં લાંબિયા ગામમાં. જ્ઞાતિએ વીસા ઓસવાલ. ગોત્ર સમદડિયા મહેતા. પિતા મોહનદાસ. માતા મહેમાદે. દીક્ષા લગ્ન પછી ટૂંક સમયમાં જ પત્ની લક્ષ્મી સહિત ઈ.સ.૧૭૩૧/૧૭૩૨માં. આ મુનિએ ૧૩/૧૬ વર્ષ સુધી એકાંતર ઉપવાસ કર્યા હતા અને ૫૦ વર્ષ સુધી સૂઈને નિદ્રા ન લેવાનો મહાસંકલ્પ પાળ્યો હતો. અવસાન અનશનપૂર્વક નાગોરમાં. ‘નેમચરિત્ર-ચોપાઈ/નેમ-રાસ’ (ર.ઈ.૧૭૪૮/સં.૧૮૦૪, ભાદરવા સુદ ૫), ૨૨ ઢાળનો ‘પરદેશી રાજાનો રાસ’ તથા ‘ઉદાયીનૃપ-ચરિત્ર’ એ એમની દીર્ઘ રાસાત્મક કૃતિઓ છે, તો ૬ ઢાળની ‘અર્જુનમાળીની ઢાળ’ (ર.ઈ.૧૭૬૪/સં.૧૮૨૦; કારતક સુદ ૧૫), ‘અવંતીસુકુમાલ ચોઢાળિયું’ (ર.ઈ.૧૭૬૯/સં.૧૮૨૫, આસો સુદ ૭), ૬૭ કડીની ‘ખંધક-ચોપાઈ ખંધકચોઢાળિયું’ (ર.ઈ.૧૭૫૫/સં.૧૮૧૧, વૈશાખ સુદ ૭), ‘કમલાવતી-સઝાય’, ‘સ્થૂલિભદ્ર-સઝાય’ એ ચરિત્રાત્મક પ્રકારની તેમની અન્ય કૃતિઓ છે. તેમણે કાર્તિકશેઠ, તેતલીપુત્ર, મહારાણી દેવકી, મેઘકુમાર, સતી દ્રૌપદી, સુબાહુકુમાર વગેરે વિશે પણ આવી રચનાઓ કરી હોવાનું નોંધાયું છે. ‘આત્મિક-છત્રીસી’, ‘ઉપદેશ-ત્રીસી’, ‘ઉપદેશ-બત્રીસી’, ‘જીવા-પાંત્રીસી’(મુ.), ‘પુણ્ય-છત્રીસી’, વૈરાગ્ય-બત્રીસી’, ‘શલ્ય-છત્રીસી’ (મુ.), ૩૭ કડીની ‘આલોયણ-સઝાય’ ‘કાયાની સઝાય’ (મુ.), ૪૩ કડીની ‘મૂરખ જીવડાની સઝાય/શિખામણની સઝાય’ (મુ.) એ એમની ઉપદેશાત્મક કૃતિઓ છે. એમનાં ઉપદેશાત્મક કાવ્યો ૩૭ હોવાનું નોંધાયું છે. ‘ચોવીસી’, ‘વીસી’, ૧૧૦ કડીની ‘સાધુવંદના’ (ર.ઈ.૧૭૫૧; મુ.), ‘ચોસઠ યતિઓની સઝાય’, ૨૬ કડીની ‘શાંતિનાથનો છંદ’ (મુ.) તથા અન્ય સ્તુતિ-સ્તવનાદિ તેમ જ ‘ગૌતમપૃચ્છા’, ‘બાલ-પચીસી’, ૪૩ કડીની ‘દિવાળી-સઝાય’ અને ૩૫ કડીની ‘ચંદ્રગુપ્ત-સોળ-સ્વપ્ન-સઝાય’ વગેરે પ્રકીર્ણ રચનાઓ આ કવિની મળે છે. આ કવિની કૃતિઓની ભાષામાં હિંદી-રાજસ્થાનીનો પ્રભાવ છે. કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧ અને ૨, સં. મુનિ શ્રી શામજી, ઈ.૧૯૬૨; ૨. જૈસમાલા : ૨ (શા.); ૩. જૈસસંગ્રહ (ન.); ૪. મોસસંગ્રહ; ૫. વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. મુનિ શ્રી પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨, (સાતમી આ.); ૫. શ્રાવક સ્તવનસંગ્રહ : ૩, પાનમલ ભૈરોદાનજી સેઠિયા, ઈ.૧૯૨૩. સંદર્ભ : ૧. જૈનધર્મ કે પ્રભાવક આચાર્ય, સાધ્વી સંઘમિત્રા, ઈ.૧૯૭૯; ૨. હિસ્ટરી ઑવ્ રાજસ્થાની લિટરેચર, હીરાલાલ માહેશ્વરી, ઈ.૧૯૮૦;  ૩. ડિકૅટેલૉગભાઈ : ૧૯(૨); ૪. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૫. મુપુગૂહસૂચી.[ર.ર.દ.]