ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ડ/ડુંગરપુરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ડુંગરપુરી [               ]: ભાવપુરીના શિષ્ય. રાજસ્થાનના જોધપુર પાસેના ચિહઠણ ગામમાં તેમનો મઠ છે જે તેમના અવસાન પછી તેમના શિષ્યવર્ગે સ્થાપ્યો છે. આ સંત પૂર્વાવસ્થામાં જેસલમેરના પુરોહિત બ્રાહ્મણ હોવાની વાત મળે છે. ડુંગરપુરી ઈ.૧૯૦૦ આસપાસ થયા હોવાનું તથા વિરમગામ તાલુકાના દેત્રોજ ગામના વણકર હોવાનું નોધાયું છે પરંતુ એ માહિતી અધિકૃત જણાતી નથી. આ કવિનાં પદો (કેટલાંક મુ.)માં સતગુરુના મહિમાનું અને આધ્યાત્મિક અનુભવનું યોગમાર્ગી પરિભાષામાં તથા રૂપકશૈલીએ નિરૂપણ થયેલું છે. કવિની વાણીમાં એક પ્રકારની સચોટતા છે. તેમનાં ઘણાં પદો હિન્દી-રાજસ્થાનીમાં અને કેટલાંક મિશ્ર ભાષામાં તો કેટલાંક ગુજરાતી ભાષામાં મળે છે. ગુજરાતી ભાષાનું તત્ત્વ પાછળથી દાખલ થયું હોય એવું પણ નજરે ચઢે છે. કૃતિ : ૧. અભમાલા; ૨. નકાદોહન; ૩. પરમાનંદ પ્રકાશ પદમાલા, પ્રા. રજનીકાન્ત જે. પટેલ, સં. ૨૦૩૦ (ત્રીજી આ.); ૪. પ્રાકાસુધા : ૧; ૫. યોગ વેદાન્ત ભજન ભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.) (+સં.); ૬. હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦ (+સં.) સંદર્ભ : પ્રીતના પાવા, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૮૩ - ‘રાજસ્થાની લોકસાહિત્ય’. (૧ પદ મુ.).[ચ.શે.]